બે હિજરતી કાફલા, સિયાલકોટથી નીકળેલા હિન્દુઓનો અને બીજો અમૃતસરથી નીકળેલા મુસ્લિમોનો, સામસામા મળ્યા ને ઊભા રહી ગયા. સિયાલકોટથી નીકળેલાઓમાં કિશોર કુલદીપ નાયર હતા. એ કહે છે, કાફલાઓ વચ્ચે નેણ શું પરોવાયાં …
‘ઔર હમારે બીચ એક રિશ્તા
કાયમ બના – દર્દકા રિશ્તા.’
ફિલ્મોની વાત નીકળી જ છે તો આ લખતાં સાંભરી આવ્યું કે આજકાલ ‘ગદર-2’ની ધૂમના હેવાલો ઉફાન પર છે. જો કે એ જોવાનું તો બનતાં બનશે … બલકે, બને તો બને! પણ ‘ગદર’ (1)ને કરમુક્ત કરવાનું થયું ત્યારે, ખાસ નહીં તો પણ સહેજસાજ ઝીણી આંખે જોવાનું બન્યું હતું અને તેને વિશે લખવાનું થયું ત્યારે જે શીર્ષકે વિપળના પણ વિલંબ વિના ઢેકો કાઢ્યો તે હતું, ‘દેશભક્તિ નામે ટિકિટબારી.’ ફિલ્માંકનની થોડીક ક્ષણો, કોઇ ગીતની એકબે પંક્તિ, બાકી બધું જાડું કામ, ઘોર અને ધરાર.
ભાઇ ભાગલા એ એક કારુણિકા હતી. વિભાજનની વિભીષિકા આપણા જીવનનું એક દુદૈર્વ વાસ્તવ હતું, છે અને રહેશે. પણ હાલ જે પ્રકારની રાજકીય માનસિકતાને ઉત્તરોત્તર વળ ને આમળા ચઢે છે એમાં આપણાં માધ્યમો પાસે સવાલને સમગ્રપણે સમજવાની રીતે તેમ સહૃદયતાની કેળવણી વાસ્તે જવા અંગે સમજ અને સંવેદનાનું ખાસું ટાંચું પડેલું છે.
કેવા એ દિવસો હતા અને શેમાંથી આપણે પસાર થયા હતા તેનો આપણી સીરિયલોના સુવર્ણ યુગમાં ‘બુનિયાદ’ વાટે કંઇક ખયાલ આવ્યો હતો. મહાભારત-ખ્યાત રાહી માસૂમ રઝા કૃત ‘આધા ગાંવ’ (સીરિયલ, હું ધારું છું, ‘નીમ કા પેડ’) પણ એમ તો આ લખતાં સ્મૃતિમાં ધસી આવે છે.
વળી ફિલ્મ ભણી વળું તો સાંભરે તો છે સત્યુસાહેબની ‘ગર્મ હવા’ને પાકિસ્તાન જાઉં ન જાઉં તરેહની કશ્મકશમાંથી ભારતમાં ઠરીઠામ થતું પાત્ર (બલરાજ સહાની). અમૃતસરમાં હજી હમણાં પાંચ છ વરસ પર જ ઊભું થયેલું પાર્ટિશન મ્યુઝિયમ જોઇએ ત્યારે પણ એ માહોલ અને સરહદની બંને બાજુની દિલી ગડમથલ, દિમાગી ઉલઝન, અગન, જલન, બધું જ. અમૃતા પ્રીતમની હૃદયસ્પર્શી વાર્તા પરથી ઊતરી આવેલી ફિલ્મ ‘પિંજર’માં પણ તમને બંને બાજુ જોવા મળશે.
ગુજરાતી સાહિત્ય એ રીતે જે એક કિતાબે રળિયાત છે તે કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઉખડેલાં’ છે. ગરવી ગુજરાતકન્યા મૃદુલા સારાભાઇએ ગાંધી પરંપરામાં રોપાઇને અપહ્યતાઓનો પ્રશ્ન હાથ ધર્યો. સરહદની બેઉ બાજુએ જેમનો સંપર્ક થઇ શક્યો તે અપહ્યતાઓને જાળવીને મૂળ કુટુંબમાં પુન:સ્થાપિત કરવાનું મહાભારત કાર્ય એ હતું. ત્યારે માંડ બાવીસ-તેવીસની કમળા એમના એક સહકાર્યકર તરીકે જીવના જોખમે અભયપૂર્વક પ્રવર્તી એની આખી એક સૃષ્ટિ એમાં ઊઘડી આવી છે, અને તે આપણને હિન્દુ, મુસ્લિમ, શીખ એવી ટાઇપકાસ્ટ ઓળખોથી ઉફરાટે ચડતા પડતા આખડતા માણસની રૂ-બ-રૂ કરી આપે છે. લોહી ઊકળવાની અણીએ તમે સમસમી રહો છો. આ સમસમા તમને ખબરે ન પડે અને સંવેદનમાં, સમસંવેદનામાં ફેરવાઇ જાય છે ને માણસમાં સ્થાપી આપે છે.
પત્રકાર કુલદીપ નાયર કને એમનું એક સંભારણું સાંભળવાનું બન્યું તે હું કદાપિ ભૂલી શકતો નથી. ભાગલાની જાહેરાત થઇ ત્યારે નાયર પરિવાર સિયાલકોટમાં વસતો હતો. જ્યારે આરંભની આનાકાની પછી વતન છોડવું અનિવાર્ય લાગ્યું જ ત્યારે સિયાલકોટના હિન્દુઓએ હિજરત શરૂ કરી. અમૃતસર પહોંચતા અડધે રસ્તે સામેથી આવતો એક કાફલો મળ્યો જે મુસ્લિમોનો હતો. બેઉ બાજુએ ઘવાયેલાં, થાકેલાં, માંદલાં ડોસાંડગરાં ને વળી હટ્ટાકટ્ટા જુવાનજુવતી અને કિશોરો તેમ જ બાળકો હશે. ખબર નહીં સહેજ ઉશ્કેરાઇને, કંઇક ખમચાઇને બંને કાફલા સામસામાં થંભી ગયાં. નેણ શું નેણ પરોવાયાં. અને કુલદીપે કહ્યું, હમારે બીચ એક રિશ્તા કાયમ બના. દર્દ કા રિશ્તા.
જર્મનીનો એક અનુભવ હું ક્યારે ય ભૂલતો નથી. 1985માં, હજુ પૂર્વ ને પશ્વિમ જર્મની જુદાં હતાં ત્યારની વાત છે. ચર્ચ પ્રેરિત એક સ્વતંત્ર ફોરમે બિનસરકારી રાહે થોડા પત્રકાર મિત્રોને નિમંત્ર્યા હતા જેમાં ગાંધી પીસ ફાઉન્ડેશનના સદ્દભાવથી મારો પણ સમાવેશ થયો હતો. સામ્યવાદી પૂર્વ જર્મનીમાં પ્રવેશ મળવો સરળ ન હતો, પણ પશ્ચિમ જર્મનીના ચર્ચ વતી પૂર્વ જર્મનીના ચર્ચે સામ્યવાદી શાસનની રજા મેળવી અને અમે જઇ શક્યા. જો કે અહીં મારો મુદ્દો પૂર્વ ને પશ્ચિમ જર્મનીનો – સામ્યવાદી ને મુક્ત જર્મનીનો નથી એટલે અટકું અને મૂળ વાત પર આવું. પૂર્વ જર્મનીના અમારા યજમાન અમને બીજા વિશ્વયુદ્ધના એક નિર્ણાયક મંત્રણાકેન્દ્ર પોટ્સડામ લઇ જતાં પહેલાં પડખેની સિતમ છાવણીની મુલાકાતે લઇ ગયા, જ્યાં યહૂદીઓને રિબાવી રિબાવીને ગેસ ચેમ્બરમાં કે અન્યથા મારી નખાયા હતા. સ્થળ મુલાકાત પછી અમે સૌ ડઘાયેલા ને ડુમાયેલા હતા. અમારા યજમાને ભીની આંખે ને ભીને અવાજે કહ્યું કે અહીં આવવું મારે સારુ સુખકર નથી. પણ પછી ઉમેર્યું, ‘આવવાનું બને તો હું છોડતો નથી; કેમ કે મને યાદ રહે કે અમે ક્યારેક ન કરવાનું કરી બેઠા હતા જે માણસની રીત નથી.’
વિભાજનની વિભીષિકાને, એના રાજકીય આટાપાટા ને વિચારધારાકીય વળોટોથી હટીને આ રીતે જોતા થઇએ તો નાગરિક તરીકે તો જીવતેજીવત મોક્ષ જ મોક્ષ.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 23 ઑગસ્ટ 2023