કોઈને હરારી નિરાશાવાદી લાગે, કોઈને ઉતાવળિયા લાગે, કોઈને ઓછા જીવનઅનુભવી લાગે. વગેરે બાબતોમાં એમની વિચારસૃષ્ટિની ટીકાટિપ્પણી થઈ શકે. પણ એ સ્વીકારવું જોઈશે કે તેઓ ઇતિહાસવિદ છે ને ઇતિહાસની ભૂમિકાએ વર્તમાનને મૂલવી રહ્યા છે અને પોતાની લાક્ષણિક દૃષ્ટિમતિથી માનવજીવનનું ભવિષ્ય ભાખી રહ્યા છે.
એમણે વિશ્વમાં પ્રવર્તતા લિબરાલિઝમને – ઉદારતાવાદી મતને – ‘એ.આઈ.’-ના આવિષ્કાર સંદર્ભે તપાસ્યો છે તેમાં પણ એમની લાક્ષણિક દૃષ્ટિમતિનો પરિચય મળે છે. “21 Lessons for the 21st Century” -માં, તેઓ લખે છે :
“The rise of AI poses a fundamental challenge to the liberal world order. If we do not find ways to shape AI in accordance with our values, it could easily undermine the very foundations of liberalism.” (P. 158)
જરા, સમજી લઈએ :
માનવઇતિહાસમાં ઉદારતાવાદી મત તુલનાએ નવો છે. બે સદી જેટલા પાછળ જઈએ, તો જાણવા મળે તે વિચાર આ છે – સૌ મનુષ્યો સમાન જનમ્યા છે અને સૌ મનુષ્યો કેટલાક અકાટ્ય અધિકારો ધરાવે છે. જીવવા માટે અનિવાર્ય સ્થાવર-જંગમ મિલકત કે જમીનજાગીરના અધિકારો તો ખરા જ પણ તેમાં વ્યક્તિસ્વાતન્ત્ર્ય શિરમોર અધિકાર છે. વાણીસ્વાતન્ત્ર્ય, લગ્ન, લિવ-ઇન, મૈત્રીકરાર કે LGBT અધિકારો પણ એટલા જ મૂળભૂત છે. ટૂંકમાં, વ્યક્તિ પોતાના જીવન વિશે નિર્ણયો લેવાને મુક્ત છે, ચાહે તે પસંદ કરી શકે છે. એમાં રાજ્ય કે અન્ય સત્તાઓ દખલ ન કરી શકે.
મને આ ક્ષણે હરારીનો એક TED વાર્તાલાપ યાદ આવે છે. એમણે કહેલું તે મારા શબ્દોમાં મૂકું. કહેલું કે રાજકારણમાં મતદાર કર્તાહર્તા છે, વેપારવણજમાં ગ્રાહક, સાહિત્ય અને કલાઓમાં ભાવક; વગેરે. સમજવાનું એ છે કે એ દરેકમાં વ્યક્તિની ઇચ્છામતિ જ નિર્ણાયક નીવડે છે.
હરારી જણાવે છે કે ઉદારતાવાદનો વિરોધ કરનારા પણ છે. કહેવાયું છે કે આ મત અતિશય વ્યક્તિવાદી છે અને તેથી સામાજિક જૂથોનાં હિતો નથી સચવાતાં. ઉપરાન્ત, હરારી ઉમેરે છે કે ૨૧-મી સદીમાં ઉદારતાવાદી મતનું ભવિષ્ય જોખમમાં છે. કેમ કે એક તરફ, રાજકારણીઓ બૌદ્ધિકોને બાજુએ મૂકીને લોકપ્રિયતાવાદને – પૉપ્યુલિઝમને – પોષી રહ્યા છે, અને ખાસ તો ‘એ.આઈ.’ તરફથી નવી નવી થ્રેટ ઊભી થઈ રહી છે.
હરારી એમ પણ જણાવે છે રાષ્ટ્રવાદ અને ધર્મવિષયક વિચારધારાઓ જોડે આ ઉદારતાવાદ હોડ બકી શકે એમ નથી. (દાખલો હું આપું કે ધર્મ સામે લોકશાહીવિષયક વિચારોએ પણ ટકવું મુશ્કેલ થઈ પડે છે !) તેથી હરારી જણાવે છે કે આપણે એ વિચારધારાઓના જે કંઈ દાવા છે તે સાથે ઉદારતાવાદનું સંતુલન સિદ્ધ કરવું પડશે, બલકે આપણા સમયમાં પ્રવર્તતી રાજસત્તાપરક વિચારધારાઓ સાથે એનો મેળ પાડવો પડશે. તેઓ તો આર્થિક અને રાજકીય સિસ્ટમ્સના પુનર્વિચારનો મુદ્દો આગળ કરે છે ! કહે છે, એવા પુનર્વિચારના પ્રભાવે કરીને આપણે ‘એ.આઈ.’-યુગના પડકારોને પ્હૉંચી વળવાની ક્ષમતા મેળવી શકીશું.
કેટલાક સમીક્ષકોને હરારીના ઉદારતાવાદી મતનું આ વિશ્લેષણ અતિશયિત લાગ્યું છે, કેટલાકને સાદું સરળ લાગ્યું છે, છતાં મોટાભાગનાઓને હરારીના આ વિચારો ૨૧-મી સદીના સંદર્ભમાં ઘણા ધ્યાનાર્હ લાગ્યા છે.
હરારીએ ‘એ.આઈ.’-પાવર્ડ સર્વેઇલન્સ સ્ટેટ્સનો, એટલે કે કડક દેખરેખ રાખનારી રાજસત્તાઓનો, નિર્દેશ કર્યો છે. સરકારો ‘એ.આઈ.’-પાવર્ડ સર્વેઇલન્સ સિસ્ટમ્સનો ઉપયોગ કરીને નાગરિકોના જીવન વ્યવહારોને ટ્રૅક કરી શકશે, મૉનિટર કરી શકશે; પરમ્પરાગત પદ્ધતિઓથી કરવા જાય તો ન કરી શકે. એક અપૂર્વ સ્વરૂપનું ટોટાલિટેરિયન રૅઝિમ, એકહથ્થુ શાસન, ઊભું થશે.
સ્પષ્ટ છે કે પરિણામે વ્યક્તિની અંગતતા અને સ્વતન્ત્રતા જોખમાશે. બહુ મોટા પાયે બનાવટી સમાચારો અને ખોટી માહિતીનાં પ્રસારણો થઈ શકશે અને તેથી સંસ્થાઓ પ્રત્યેના પ્રજાકીય ભરોંસાનો ક્ષય થશે. વળી, રાજકીય સ્થિરતા પણ જોખમાશે. હરારી જણાવે છે કે જો સુપર ઇન્ટેલિજન્ટ એ.આઈ.ઝનાં સર્જન થશે તો માનવજીવન માટે એ મહાજોખમ પુરવાર થશે. માણસને ટપી જઈને એ એમ પુરવાર કરશે કે માણસ જ પોતાના અસ્તિત્વ માટે એક હ્યુજ થ્રેટ છે !
આ વાતો અટકળોઆધારિત છે – હાઇપોથેટિકલ સીનારિયોઝ. અને એમ તો કહી શકાતું જ નથી કે એ પ્રમાણે થશે જ થશે. નિષ્ણાતોને દરેક ભય સાચો ભાસે છે તેમછતાં તેઓ કશી સહસમ્મતિ નથી સાધી શક્યા. કેમ કે, ખરી વાત એ છે કે ‘એ આઈ ’ પાસે ચૉક્કસ સ્વરૂપનું સામર્થ્ય હોય તેમ જ તેનો અમુક નક્કી પ્રકારે ઉપયોગ થાય તો જ સંભવિત ભય સાચા પડે, તો જ હરારીએ કે નિષ્ણાતોએ ભાખેલા જોખમો જોખમ રૂપે પુરવાર થાય.
અલબત્ત, હરારી પણ એવું નથી જ માનતા કે આ થ્રેટ્સ અનિવાર્યપણે સંભવશે જ સંભવશે. કહે છે, ઉદારતામતવાદ સાથે મેળ પાડી શકે એવી ‘એ આઈ ’-સિસ્ટમ્સ ડિઝાઇન કરવાનું અશક્ય નથી, પણ મૉડું થાય એ પહેલાં અત્યારથી ચેતી જવું જરૂરી છે.
= = =
(08/23/23: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર