દર્શક, મેઘાણીનું તાજવે ફોરતું ને સમસંવેદને દૂઝતું ગાંધીઘટન લઈને આવ્યા. મેઘાણી નસીબદાર કે એમને એમના જ સમયખંડમાં અને એમના જ પંથકમાં દર્શક મળી રહ્યા
એક સાથે સંભારવા છે આજે બેઉને : 28મી ઓગસ્ટે મેઘાણી જયંતી અને 29મી ઓગસ્ટે દર્શક સ્મૃતિ. આ લખી રહ્યો છું ત્યારે એમ જ સ્મરણ સરી આવે છે કે 2001ના ઓગસ્ટની 29મીએ દર્શક ગયા ત્યારે ભાદરવા સુદ અગિયારસ હતી. મને આ કિસ્સામાં તિથિ સંભારવી ગમે છે, કેમ કે એમાં યથાસ્થિતિનો અસ્વીકાર છે અને પરિવર્તનનો પુરસ્કાર છે.
લગરીક આત્મકથાત્મક ઢબે શરૂઆત કીધી જ છે તો વળી એમ જ આગળ ચાલું. મેઘાણીને પંચોતેર થયા ત્યારે ચોટીલા ડુંગરના પેટાળમાં, નીચે, મોટી સભા ભરાઈ હતી. પાંચેક હજાર માણસ હશે. વાંસોવાંસ, લોકભારતી પરિવાર સમક્ષ દર્શકે ત્રણ મેઘાણી વ્યાખ્યાનો આપ્યા – ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી.’ એ બહાર તો 1972-73માં પડ્યાં હશે, પણ મેં ચાવથી ઘૂંટડે ઘૂંટડે પીધાં પાલનપુર સબ જેલમાં, માર્ચ 1975. મહેન્દ્ર મેઘાણીએ મને જેલમાં એ મોકલી આપેલ. ગુજરાતમાં ભરકટોકટીએ બાબુબાઈ જશભાઈની જનતા મોરચા સરકાર પડી ત્યારે A Suitable Boyની આપહેસિયતથી પહેલા ઘાણમાં પકડાયેલા પૈકી હુંયે હતો અને કવિ ઉપવાસી(ભોગીભાઈ ગાંધી)નો નિત્યસોબતી એટલે ચિત્તમાં રમતી પંક્તિ અલબત્ત એ જ હતી કે ‘નહીં કંઈ ગુમાવવું – ફક્ત શૃંખલાબેડીઓ!’ જેલમાં ‘અધર ધેન એન્ટિસોશિયલ’ અમે ચાર-પાંચ જ જણા હતા. બાકી બધા કાચા કામના કેદીઓ બહુધા, ‘લોકવરણ’ જ કહો ને … અમે કટોકટી સામે લડનારા હતા, પણ સામાન્ય સમાજથી કેટલા કપાયેલ હોઈશું, ન જાણે!
બરાબર આ જ દિવસોમાં ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’ એ મેઘાણી વ્યાખ્યાનો હાથમાં આવ્યાં. શો આબાદ મુખડો બાંધ્યો’તો વીર દર્શકવાળાએ! એમણે કહ્યું કે અકેકો શબ્દ તોળી તોળીને બોલનાર ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા એ ચીલેચલુ અર્થમાં તો હોય જ નહીં – શૌર્ય ને વીરરસના પોવાડા કે ‘સિંધુડો.’ રાષ્ટ્રીય જાગૃતિ ને વીરરસની રચનાઓ તો ખાસ્સી હતી, જેમ કે ‘કેસરભીના કંથ હો સીધાવો જી રણવાટ.’ કે પછી, ‘પાર્થને કહો ચડાવે બાણ.’ એટલે ગુજરાતમાં કોઈ રાષ્ટ્રનાં ગીતો ગાનાર કવિઓ તો હતા નહીં અને મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ થયા એવું તો નથી.
દર્શકે બરાબર મુદ્દો ઊંચક્યો : ગાંધીજીના મનમાં રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા ને અભણ – એ બેને જે સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર. એ બે વચ્ચેની, જો મેઘાણીની ભાષામાં કહીએ તો –
‘હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી, મનડાની આખરી ઉમેદ.’
પોરો રે આવ્યો સંતો પાપનો.
જૂના જમાનામાં ગામડામાં દરબારો હોય અને રૈયત પણ હોય, પણ આર્થિક-સામાજિક એવો વર્ગવિચ્છેદ નહોતો જે ભણેલા અને અભણ વચ્ચે આવ્યો. જે કંઈ તળપદ તેને સારુ એક તુચ્છભાવ ભણેલામાં પેદા થયો. દર્શક આ સંદર્ભમાં રા.વિ. પાઠકની ‘મુકુન્દરાય’ વાર્તા સંભારે છે.
મેઘાણીએ જે માહોલ ઊભો કર્યો એમાં ભણેલા જુવાનિયા પાળિયા, દેરીઓ, જંગલ-પહાડ, પોતાનાં ગામ, ડોશી, મીર, ચારણ બધાં તરફ આદરથી જોવા લાગ્યા. તમે જેની સાથે એકતા કરવા માગતા હો તેની સાથે પરિચય થવો જોઈએ, અને તેને ચાહો તેવો પરિચય થવો જોઈએ.
મેઘાણીના આ તાજવે ફોરતા ગાંધીઘટનમાં દર્શકે ‘છેલ્લો કટોરો’ સરખી સુપ્રતિષ્ઠ ને સર્વસ્વીકૃત રચનાએ નહીં અટકતાં એક જુદી જ રચનાને આગળ કરી છે. પૂર્વે સુંદરજી બેટાઈ સરખા એકાદા સુખદ અપવાદને બાદ કરતાં કોઈએ એના પર આવી ને આટલી નજર નોંધી નથી.
આ રચના તે ‘છેલ્લી સલામ.’ હિંદુઓ ને હરિજનોથી અલગ પાડતા ચુકાદા સામે ગાંધીએ સવર્ણ માનસને પલટાવવા અનશન આદર્યા. એ અનશન અવસરે મેઘાણી લઈને આવ્યા : ‘સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે …’ કવિની સ્વાધીનતા, એનો મિજાજ તો જુઓ :
રઘુપતિ રામ મારા રુદાનો વિસામો – એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો…જી,
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે,
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો…જી!
આખો સમાજ એવો ગેગી ગયો છે કે –
ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી …
વાત આજની જ નહીં, છેક રામ ને કૃષ્ણના વારાની છે …
કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી …
છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને
અસુરો કહીને કાઢ્યા વનવાસ જી.
આદિવાસીઓ, દુબળાને માથે વીતાડવામાં શું બાકી રાખી છે?
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં’!
રખે કોઈ રોકે નયણાં રડીને હો…જી!
રાષ્ટ્રીયતાના વિમર્શ આખાને વીરરસની, ‘ધ અધર’ને વિહારવાની મૂઠમાંથી ઉગારી ગાંધી-રવીન્દ્ર-આંબેડકર પરંપરામાં સમતા સંઘર્ષ અને સમતા સ્નેહનમાં ઢાળવાની આ મેઘાણી પહેલ, શબ્દો જડતા નથી એને માટે. જેલમાં એ વાંચતો હતો, અને બેડી તૂટતી અનુભવતો હતો.
ભવભૂતિએ કહ્યું કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિપુલ છે – ક્યારેક તો, ક્યાંક તો મને કોઈક સમાનધર્મા મળશે. મેઘાણી નસીબદાર કે એમને એમના જ સમયખંડમાં અને એમના જ પંથકમાં દર્શક લગભગ વાંસોવાંસ મળી રહ્યા.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 ઑગસ્ટ 2023