ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર અવતરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે, અમેરિકામાં જાતિ-વિરોધી કાનૂન માટે ચળવળ ચલાવતા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ સંલગ્ન સંગઠન, ફાઉન્ડેશન ફોર હ્યુમન હોરાઈઝનના અધ્યક્ષ દિલીપ મહસ્કેએ એક ઓનલાઈન સામયિકમાં લખ્યું લખ્યું હતું કે, “ચંદ્રયાન-3ની સાથે દેશ એક ઊંચી ઉડાન ભરી રહ્યો છે ત્યારે, આપણી સામે એક દુઃખદ સવાલ બનેલો છે, અને તે છે ભારતનું ગહેરું જાતીય વિભાજન. એ એક એવી જટિલ આંટીઘૂંટી છે જે સમાજની રૂપરેખાને પ્રભાવિત કરતી રહે છે, પણ જેને હંમેશાં નજરઅંદાજ કરવામાં આવે છે અથવા સહેતુક છુપાવામાં આવે છે.”
મહસ્કેની આ ટિપ્પણીનું કારણ સર્વોચ્ચ અદાલતમાંથી આવેલા એ સમાચાર હતા, જેમાં બેન્ચે બિહારની જાતિ ગણનાનો ડેટા સાર્વજનિક કરવા પર મનાઈ હુકમ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
બિહારન લોકોની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓનું વિગતવાર આકલન કરવા માટે અને વંચિત સમુદાયોને મદદ કરે તેવી સરકારી નીતિઓ ઘડવાના આશયથી, નીતીશ કુમારની સરકારે ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં જાતિ ગણના શરૂ કરી હતી. આમ તો મે મહિના સુધીમાં પૂરી કવાયત પૂરી થઇ જવાની હતી, પરંતુ તેની સામે આવેલા કાનૂની અવરોધોને કારણે તેમાં વિલંબ થયો હતો.
ઓગસ્ટના બીજા સપ્તાહમાં તેનું કામ પૂરું થયું છે અને હવે તેની ડેટા એન્ટ્રીનું કામ ચાલે છે. એ કામ પૂરું થાય તે પછી એ રિપોર્ટને બિહાર વિધાનસભામાં મુકવામાં આવશે અને પછી તેને સાર્વજનિક કરવામાં આવશે. જાતિ ગણનાના નીતિશ કુમારના નિર્ણયને રાજકીય દાવ તરીકે જોવામાં આવે છે અને જાન્યુઆરી મહિનામાં જ જાતિ ગણના પર રોક લગાવવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજીઓ થઇ હતી, પણ અદાલતે અરજીઓને સાંભળવાની ના પાડી દીધી હતી.
એ પછી, હિતેચ્છુ અરજીકર્તાઓએ એવું કહીને જાતિ ગણનાના રિપોર્ટને સાર્વજનિક કરવા સામે મનાઈ હુકમ માંગ્યો હતો કે તેનાથી નિજતા(પ્રાઈવસી)ના બંધારણીય અધિકારનો ભંગ થાય છે. મંગળવારે, સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ સંજીવ ખન્નાએ એ તર્કને ફગાવી દેતાં પૂછ્યું હતું, “કોઈને તેની જાતિ કે પેટા જાતિ પૂછવાથી તેની નિજતા કેવી રીતે પ્રભાવિત થાય? તમારા પાડોશીઓને તમારી જાતિ ખબર જ હોય છે … તો પછી સર્વેમાં પૂછવામાં આવેલા 17 સવાલોમાંથી કયા સવાલથી નિજતાનું ઉલંઘન થાય છે?”
બિહારની જાતિ ગણનાએ દેશમાં વ્યાપ્ત સામાજિક વિભાજનો, રાજકારણ અને શાસન વચ્ચે ફરી એકવાર ટકરાવની સ્થિતિ ઊભી કરી છે. જાતિ ગણનાનાં પરિણામો દૂરગામી છે. તેનાથી નીતિ-વિષયક નિર્ણયો, રાજકીય પ્રતિનિધિત્વ અને જાતિ-આધારિત ભેદભાવ સામેની લડાઈ પર અસર પડવાની છે.
વાસ્તવમાં, જાતિ ગણના અંગ્રેજ સરકારની વિચારસરણી છે. તેની પાછળનો તર્ક એવો હતો કે જો ભારત પર શાસન કરવું હોય તો ધર્મ અને જાતિના આધારે ભાગલા પાડો. બ્રિટિશ સરકારે 1931માં વસ્તી ગણતરી કરાવી. આ વસ્તી ગણતરી વર્ષ 1941માં પણ થવાની હતી. પરંતુ વિશ્વયુદ્ધને કારણે આ શક્ય બન્યું નહીં. સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી કોઈ કેન્દ્ર સરકારે જાતિ ગણતરીની ભલામણ કરી નથી.
બિહારમાં પછાત અને અત્યંત પછાત વર્ગોની વસ્તી રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ છે. આ જ કારણથી તમામ રાજકીય પક્ષો આ વોટ બેંકની તૈયારીમાં વ્યસ્ત છે. ભા.જ.પ. લગાતાર વડા પ્રધાન મોદીને પછાત ચહેરા તરીકે ગણાવીને વોટ માંગતી રહી છે, ત્યારે મહાગઠબંધન બિહારમાં જાતિની ગણતરીને મુદ્દો બનાવીને આ વોટ બેંકને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
મુખ્ય પ્રધાન હોવાથી નીતીશ કુમારે ભલે જાતિ ગણના કરાવી હોય, તેનું અસલી શ્રેય આર.જે.ડી. નેતા અને ડેપ્યુટી સી.એમ. તેજસ્વી યાદવને જાય છે. તેમણે કહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવનું સપનું પૂરું થયું છે. લાલુ પ્રસાદ શરૂઆતથી જ જાતિ ગણનાની માંગ કરી રહ્યા હતા. 2020ની વિધાનસભા ચૂંટણી બાદ પેટાચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાં સુધી નીતીશ કુમાર ભા.જ.પ. સાથે હતા. જો.કે બાદમાં નીતીશ આર.જે.ડી. સાથે આવ્યા હતા અને આ નિર્ણય લીધો હતો.
જાતિ ગણનાથી મતોની ગણતરી બદલાઈ જવાની છે. જાતિ ગણનાના સમર્થન અને વિરોધ પાછળ વોટની રાજનીતિ છે. જાતિ ગણનાએ મંડલ-કમંડલનું રાજકારણ ફરીથી જીવતું કર્યું છે. 2024ની ચૂંટણી પહેલાં જાન્યુઆરી મહિનામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. ભા.જ.પ. હિંદુ ઓળખ પર વોટ માગવાની છે. એટલે બિહારના સત્તાધારી પક્ષોએ ઓ.બી.સી. કાર્ડ એ જ રીતે ઉતાર્યું છે, જે રીતે વડા.પ્રધાન વી.પી. સિંહે (મંડલ કમિશનના નામે) લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન ઉતાર્યું હતું. વર્ષ 1990માં લાલુ પ્રસાદે મંડલના બહાને જાતિ ગણતરીની માંગ કરી હતી.
2024ની લોકસભા ચૂંટણી માથા પર છે ત્યારે યુ.પી.-બિહાર અને અન્ય રાજ્યોમાં વિરોધ પક્ષો જાતિ ગણનાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મધ્ય પ્રદેશમાં બિહારની જેમ દાવ ખેલ્યો છે. તેમણે જાહેરાત કરી કે પ્રદેશમાં કાઁગ્રેસની સરકાર બન્યા બાદ જાતિ ગણના કરવામાં આવશે. આમ કરવાથી એ જાણી શકાશે કે કોણ પછાત અને ગરીબ છે, કેટલા લોકો ભૂમિહીન છે અને તેમનો વિકાસ કેવી રીતે કરવો.
ખડગેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કાઁગ્રેસ હવે આ મુદ્દાને પકડીને પોતાની રાજનીતિ આગળ વધારશે. તેને બિહાર અને કર્ણાટકમાં રાજકીય લાભ પણ મળ્યો. હવે મધ્ય પ્રદેશમાં પણ આ જ લાભનું પુનરાવર્તન કરવા માંગે છે. જાતિ ગણનાની આ રમત પાછળનું કારણ ઓ.બી.સી. આરક્ષણ માનવામાં આવે છે કારણ કે તેમાં સમાવિષ્ટ જાતિઓનું કહેવું છે કે વર્તમાન સમયમાં તેમની સંખ્યા વધી છે, પરંતુ અનામતની મર્યાદા વધી નથી. કાઁગ્રેસ પણ ઓ.બી.સી.માં હા પુરાવે છે. કમલનાથે પોતે 27 ટકા અનામત આપવાની વાત કહી છે. કમલનાથ પહેલાં શિવરાજ સિંહ ચૌહાણની સરકાર દ્વારા પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી લીલી ઝંડી મળી શકી ન હતી.
ગુજરાત કાઁગ્રેસ પણ ઓ.બી.સી. કાર્ડનો ઉપયોગ કરી રહી છે. રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણીને લઈને કાઁગ્રેસે મંગળવારે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાઁગ્રેસે સ્થાનિક સંસ્થાઓમાં અનામતની જરૂરિયાત સહિત અન્ય પછાત વર્ગોને અસર કરતા વિવિધ મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માટે ધરણામાં ભાગ લેવા શાસક ભા.જ.પ.ના વરિષ્ઠ OBC રાજકારણીઓને આમંત્રણ આપ્યું છે.
રાજ્ય કાઁગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પાર્ટીએ તમામ સમુદાયો, તમામ ધર્મો અને તમામ પક્ષોના રાજકીય નેતાઓને ઓ.બી.સી.ને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા આમંત્રણ આપ્યું છે. સ્વાભિમાન ધરણાએ જાતિ આધારિત વસ્તી ગણતરી સહિત ચાર માંગણીઓ ઉઠાવી હતી. ચાવડાએ કહ્યું કે, અમે સ્થાનિક સ્વ-સરકારી સંસ્થાઓમાં 27 ટકા ઓ.બી.સી. અનામતના અમલીકરણ, ઓ.બી.સી. માટે રાજ્યના બજેટના 27 ટકાની ફાળવણી અને સહકારી મંડળીઓમાં અનામત મુજબ બેઠકોની ફાળવણી કરવાની માંગ કરી છે.
વિપક્ષ જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવી રહ્યો છે તેની સામે ભા.જ.પ. વિશ્વકર્મા યોજના લાવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે ઓ.બી.સી.ના ઘણા સમુદાયોને નવી શક્તિ આપવા માટે ‘વિશ્વકર્મા યોજના’ આવતા મહિને વિશ્વકર્મા જયંતી(17 સપ્ટેમ્બર)ના અવસર પર શરૂ કરવામાં આવશે.
દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે, આવી સ્થિતિમાં વિશ્વકર્મા યોજનાને રાજકીય હથિયાર માનવામાં આવી રહ્યું છે. આ યોજના 18 પ્રકારના પરંપરાગત કામદારો માટે છે. સરકાર તેમને માત્ર 5 ટકા વ્યાજના દરે લોન આપશે. આ યોજનાની મદદથી 30 લાખથી વધુ કામદારોને આગળ વધવાની તક મળશે. આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ યોજનાને મોદી સરકાર માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે.
ઓ.બી.સી. સમુદાયોના ઉત્થાન માટેના સકારાત્મક કદમનાં 25 વર્ષ પછી પણ મંડલનો વિચાર હજુ એટલો જ પ્રભાશાળી રહ્યો છે. દિલીપ મહસ્કે પેલા લેખમાં લખે છે, “ચંદ્રયાન-3 જેવા વૈજ્ઞાનિક મિશન હાથ ધરવા માટે ભારત સરકારનો ઉત્સાહ રાષ્ટ્રવ્યાપી જાતિ ગણના કરવાની તેની અનિચ્છાથી વિપરીત છે. ચંદ્રયાન-3 એક તરફ પ્રથમ બ્રહ્માંડ પર વિજય મેળવવાની રાષ્ટ્રની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે, જ્યારે જાતિ ગણના સામાજિક અસમાનતાઓનો સામનો કરવાની તેની ઇચ્છા વિશે ગંભીર આત્મનિરીક્ષણની પ્રેરણા આપે છે. એક તરફ આપણે તારાઓ સુધી પહોંચી રહ્યા છીએ, પણ બીજી તરફ જમીન પરના સાથી નાગરિકોના જીવંત અનુભવોને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ.”
લાસ્ટ લાઈન:
“ગાંધી, નહેરુ અને સૌએ સ્થિતિ સુધારવાની કોશિશ કરી હતી. તેમણે ઘણા આર્થિક અને સામાજિક વિભાજનો તોડવાની કોશિશ કરી હતી, પણ જડતા અને વ્યવસ્થા આડે આવી હતી.”
— વી. પી. સિંહ, પૂર્વ વડા પ્રધાન
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે” 27 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર