Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335195
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Aadhunik Moodivaad : Saidhantik Dhaaranao ane Vaastav

રોહિત શુક્લ|Samantar Gujarat - Samantar|25 August 2015

આધુનિક મૂડીવાદ : સૈદ્ધાંતિક ધારણાઓ અને વાસ્તવ

——————————————————————————

અર્થશાસ્ત્ર મૂડીવાદ અને બજાર બાબતે કેટલીક ધારણાઓ ધરાવે છે. આ ધારણાઓ પરસ્પર ગુંથાયેલી છે અને તેથી એક ‘મોડલ’નું સ્વરૂપ ધારણ કરે છે. ટૂંકમાં આ મોડલ આ પ્રમાણે છે :

તમામ વ્યક્તિ સ્વાર્થ પ્રેરિત હોય છે. આથી કોઈ કોઈને છેતરી શકતું નથી. ગ્રાહક વધુ ભાવ આપશે નહીં અને વેચનાર ખોટ ખાશે નહીં. વેચનાર અસામાન્ય નફો મેળવવાનો પ્રયાસ કરશે તો ગ્રાહકો તેને છોડીને અન્ય પાસે જતા રહેશે.

આ પ્રક્રિયા બરાબર ચાલે તે વાસ્તે વેચનારા વચ્ચે હરીફાઈ હોવી જોઈએ અને વેચનારા ઓછામાં ઓછી કિંમતે વેચાણ કરી શકે એ વાસ્તે તેમણે અત્યંત કાર્યક્ષમ બની રહેવું પડશે. મૂડીને ઓછામાં ઓછું વ્યાજ, શ્રમને ઓછામાં ઓછું વેતન તથા જમીનને ઓછામાં ઓછું ભાડું આપે ત્યારે જ ઉત્પાદક પણ – ઓછામાં ઓછો -નફો રળી શકશે.

આ બંને બાબતો; બજારમાં ગ્રાહક અને વેચનારનું મિલન તથા ઉત્પાદનમાં સાધન સંયોજન ઇષ્ટતમ રહે, તે વાસ્તે લોકશાહી વ્યવસ્થા જોઈશે. સરકારે આર્થિક ક્ષેત્રે દખલબાજી કરવાની નથી. જો બધાં જ પરિબળો યોગ્ય રીતે કામ કરે તો બધાને આપોઆપ જ; જાણે કે કોઈક ‘અદૃશ્ય હાથ’ વડે, સુખ મળી રહેશે.

અર્થશાસ્ત્રે છેલ્લાં અઢીસો વર્ષથી આ રટ લગાવે રાખી છે. પણ તે પછી વોલ્ગાથી ગંગા અને મિસિસિપીથી સાબરમતીમાંથી પાર વગરનાં પાણી વહી ગયાં છે. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઝડપી આર્થિક વૃદ્ધિ, ગરીબી નિવારણ કે માનવ વિકાસ અને લોકશાહી જેવી તમામ રચનાઓ વાસ્તે પોતે જ સક્ષમ છે એમ કહેનારો મૂડીવાદ ખરેખર તો નાયક નહીં પણ ખલનાયક છે.

મૂડીવાદી રચનાઓના ઉપર કથિત મોડલમાં વાસ્તવિક જગતનો સહેજ જ અર્ક ઉમેરીએ તો ખબર પડશે કે ખરેખર તો આ વૈશ્વિક મૂડીવાદ માત્ર બે-ચાર દેશોને જ નહીં પણ સમગ્ર વિશ્વને તબાહ કરવાના કાવત્રાંબાજીના પેંતરા ભરી રહ્યો છે. આથી જ નવા મૂડીવાદને ‘ક્રોની કેપીટાલીઝમ’ – ‘ગઠિયો મૂડીવાદ’ કહેવામાં આવે છે. આ ગઠિયો મૂડીવાદ રાજસત્તા, ધર્મસત્તા અને ન્યાયસત્તા સાથે જાતભાતના ખેલ રચે છે. તેનો ઇરાદો માત્ર નફો મેળવવાનો હોય છે અને આ માટે તે કોઈ પણ હદે જઈ શકે છે.

આ વિચારણાને સમજવાનું પ્રારંભબિંદુ એ છે કે આ ગઠિયા મૂડીવાદમાં નફો, સંબંધો, લાગવગ, ભ્રષ્ટાચાર વગેરેનાં પરિણામે અને નહીં કે બજારના મુક્ત હોવાના કારણે નીપજે છે. પેલા સૈદ્ધાંતિક અને પુસ્તકિયા અર્થશાસ્ત્રમાં નફો ‘જોખમ ખેડવાનો’ બદલો ગણાય છે. પણ વૈશ્વિક કોર્પોરેટ જગતમાં નફો મેળવવા માટે જોખમ ઉઠાવવાનું પરવડે તેમ હોતું નથી.

અમેરિકામાં વીસમી સદીમાં થયેલા ઉદ્યોગીકરણની તરાહનો ઉલ્લેખ પણ અહીં પ્રાસંગિક બને છે. અમેરિકન ઉદ્યોગોએ પરસ્પર હરીફાઈ કરવાને બદલે ઈજારો સ્થાપવાના અનેક પ્રકારના પેંતરા ચલાવ્યા. આ પ્રક્રિયા સામે ઝૂકી જવાને બદલે અમેરિકન સરકારે લોકહિતનું રક્ષણ કરવા સંખ્યાબંધ કાનૂનો ઘડ્યાં. આ કાયદાઓ એન્ટી ટ્રસ્ટ એક્ટ્રસ તરીકે ઓળખાયા.

આ બાબત સ્પષ્ટ થાય તે વાસ્તે વાસ્તવિક જગતની એક ‘કેસ સ્ટડી’નો સહારો લઈએ. આ કેસ સ્ટડી પોલેન્ડમાં સ્થપાયેલી દાએવુ નામની કોરિયાની મોટરકાર કંપનીનો છે. આ કંપનીએ પોલેન્ડમાં પોતાની ફેક્ટરી નાંખી અને લગભગ બે અબજ ડૉલર(લગભગ સવાસો અબજ રૂપિયા)નું રોકાણ કર્યું. જોખમના વાતાવરણમાં આવી વિશાળકાય કંપની પ્રવેશી જ ન શકે. જો અન્ય કંપનીઓ સાથે તીવ્ર હરીફાઈ થાય તો આટલું બધું મૂડીરોકાણ ધોવાઈ જાય. તેને કરજ આપનારી બૅંકો કે શૅર ખરીદનારા રોકાણકારોએ રોવાનો વારો આવે. કંપનીની શાખ ડૂબે અને ભવિષ્યમાં પણ તેને મુશ્કેલી પડે.

આ લેખના પ્રારંભે ગ્રાહકની જે ‘સ્વાર્થબુદ્ધિ’(રેશનલ બિહેવિયર)ની વાત કરી તે ઉત્પાદક કંપની કે વેચાણકાર પેઢીને પણ લાગુ પડે છે. આ દાએવુ કંપની પણ રેશનલ બિહેવિયર ધરાવે છે અને તેથી નફો કમાવા વાસ્તે જોખમ ઉઠાવવાને બદલે રાજકારણીઓ અને સત્તાધીશોને રાજી રાખવામાં તેમને સહેલો, સારો અને ભરોસાપાત્ર માર્ગ મળી આવે છે.

આથી આ દાએવુ કંપનીએ જાતજાતના કીમિયા અજમાવ્યા. આપણે ત્યાં પણ એક શબ્દપ્રયોગ ઘણો ફેશનેબલ છે, અને તે છે ‘લાએઝાં’. આને સહેજ બદલીને પી.આર. (પ્યાર ?) કહેવાય છે. લગભગ દરેક મોટા કોર્પોરેટ હાઉસમાં આ પી.આર. અને લાઍઝાં ચાલતા હોય છે. (રાજદ્વારી ક્ષેત્રમાં લાએઝાં વધુ પ્રચલિત છે) આપણે ત્યાં તાતા નેનોના પ્રારંભકાળમાં એક નામ-નીરા રાડીઅા-ખાસ્સું જાણીતું બનેલું.)

દાએવુ કંપનીના આવા લાએઝાં વિભાગના માણસો સરકારી તંત્ર સાથે ખાસ્સો ઘરોબો ધરાવતા હતા. આ માટે કંપની પોલેન્ડના અધિકારીઓ તથા રાજકારણીઓ સાથે એટલી નિકટ સરકી આવી હતી કે સરકારી નિર્ણયો ઉપર પણ તેમનો પ્રભાવ હતો. દા.ત. મોટરકારમાં વપરાતી સામગ્રી પૈકી એકેયની ઉપર જો બજેટ દ્વારા કરબોજ વધારાય તો કંપનીની નફાકારકતા ઉપર અસર પડે. આથી લાએઝાં, દ્વારા સરકારી બજેટ જાતિ ઉપર માફકસરનો પ્રભાવ પડતો રહેતો.

વળી, આ કંપનીએ પૉલેન્ડને ‘હબ’ બનાવી યુરોપના અન્ય દેશોમાં પણ પોતાનો નિકાસ વેપાર વધારવાનો હતો. સવાસો અબજ રૂપિયા ખર્ચીને જે જથ્થાબંધ ઉત્પાદન થાય તે વેચાઈ તો જવું જોઈએ ને ! આથી આ કંપની સરકારના નીતિનિયમોમાં થતા ફેરફારોની કોઈ અવળી અસર પોતાની ઉપર ન પડે તે વાસ્તે સાવધ હતી.

ઉત્પાદનનો પ્લાન્ટ નાંખવો (જમીન સંપાદન !) ઉપરાંત પાણી, વીજળી, રસ્તા વગેરે જેવી આંતર માળખાકીય સુવિધા તો રાજ્ય પેલા મેળાપીપણાના કારણે ગોઠવી આપે. આ પ્રકારના સંબંધોને કારણે ઉત્પાદન ખર્ચ નીચું રહે. ઉપરાંત, સરકારી નીતિઓને કારણે ઉદ્દભવવાપાત્ર જોખમોની સામે આ કંપનીને રક્ષણ પણ મળે. જો કંપની, સરકાર અને તેના તંત્રની વધુ નજીક હોય તો અન્ય કંપનીઓનો પ્રવેશને પણ તે અવરોધી શકે. જરૂર પડે ત્યારે હરીફ કંપનીઓને નુકસાન થાય તેવી નીતિઓ ઘડવાનું સરકારને ‘સમજાવી’ શકાય.

આ બધું કરવા છતાં બીજા બે પાસાં એવાં છે કે જેને વિશે કંપનીએ અલગ પ્રકારના પ્રયાસો કરવાના રહે છે. પહેલું તો એ કે નૂતન ટેક્‌નોલૉજીમાં શ્રમનો ઉપયોગ ગમે તેટલો ઘટે પણ તેને સાવ બંધ કરી શકાતો નથી. વળી પૉલેન્ડ તો અગાઉનો સામ્યવાદી દેશ હતો. આથી ત્યાં મજૂર મંડળોનું ‘જોર’ હોય તે સ્વાભાવિક જ ગણાય. આપણે ત્યાં પણ પાનેસરમાં કામદાર મંડળોની માંગણીઓથી ભાગી છૂટીને મારુતિ-સુઝુકીએ પોતાનો પ્લાન્ટ ગુજરાતમાં બહેચરાજી નજીક ખસેડ્યો છે. આ બાબતે આપણા દેશબંધુઓ એવા કામદારોના હિતને લક્ષમાં લઈને તેની તરફ સહાનુભૂતિ દર્શાવવાને બદલે સરકાર જુદી જ વાત કરે છે. આ બાબતને રાજ્યના ‘ગૌરવ’માં ખપાવી દેવાય છે; આપણે કોઈ મહાન સિદ્ધિ હાંસલ કરી છે અને આપણા ધનભાગ્ય કે મારુતિ જેવા મહેમાન આપણા જેવાના આંગણે પધાર્યા; હવે આપણે વિકાસની હરણફાળ ભરી છે અને હવે રાજ્ય ઓટો હબ બન્યું છે તેવી વાતોને આગળ કરવામાં આવે છે. આમાં મલ્ટીનેશનલ કોર્પોરેશનની ગઠિયાગીરી છે તે આપણી નજરે પણ ચઢતું નથી.

પણ દાએવુ કંપનીએ આ મુશ્કેલીનો એક આગવો રસ્તો શોધી કાઢ્યો છે. કંપની પોતાના કર્મચારીઓની ગતિવિધિ, પ્રભાવકતા વગેરેનો ખ્યાલ રાખે છે. ખાસ પ્રકારના કર્મચારીઓને પસંદ કરીને કોરીઅામાં ‘વધુ તાલીમ અર્થે’ મોકલીને ખુશ રખાય છે. કામદારોને પૂરતા વેતન આપવા કે તેમનો ગુસ્સો વહોરી લેવો તેના કરતાં આ ચાલાકી સસ્તી અને વધુ કારગત નીવડે છે.

પોતાના સંપૂર્ણ કાબૂમાં ન હોય તેવો બીજો મુદ્દો ગ્રાહકો દ્વારા થતી માંગનો છે. કંપની એક ઉત્પાદક તરીકે પોતાની પ્રોડક્ટ રજૂ કરે અને ઉત્પાદન સાથે સંકળાયેલાં જોખમોને મેનેજ કરી લે તે સમગ્ર વ્યવહારનું એક પાસું થયું. સામે છેડે, બીજું પાસું ગ્રાહકોના હાથમાં રહે છે. યાદ રાખવાનું છે કે એક અતિ વિશાળ કંપની દર વર્ષે પુષ્કળ ઉત્પાદન કરે તો જ ટકી શકે તેમ હોય છે. આથી તેનું માર્કેટિંગ પણ જબરદસ્ત રહેવું જોઈએ.

આપણે ત્યાં જેમ થાય છે તેમ પોલેન્ડમાં પણ કાર લોન, સરળ હપતા વગેરેના પેંતરા તો રચાય જ છે. પણ આ કંપની તો તેથી પણ સવિશેષ સક્રિય છે.

પોલૅન્ડમાં ખ્રિસ્તી ધર્મ પળાય છે. આથી ત્યાં દેવળોમાં લગ્ન થાય છે. આ લગ્ન વાસ્તે વર-વધૂ પોતપોતાના નિવાસસ્થાનેથી નીકળીને ચર્ચ સુધી કોઈ પગપાળા જવાના નથી. તેમને મોટરગાડીઓ તો જોઈશે જ ને ! કંપનીના ડીલરો પોતપોતાના વિસ્તારોમાં થનારા લગ્નોની માહિતી મેળવી વર-વધૂનો સંપર્ક કરી તેમને ગાડીની સગવડ ઓફર કરે છે. આ માટે પહેલાં તેમને પોતાના શો-રૂમમાં બોલાવી ગાડીઓની ખૂબીઓ અને વિશેષતાઓ સમજાવે છે. આમ કરીને નવાં પરણેલાંના મગજમાં એટલાં સ્વપ્નાં ભરી દેવાય છે કે તે પૈકી ઘણાં, નવા લગ્નના નશામાં, ગાડી ખરીદી જ લે છે. તેમાં પેલા કાર લોનવાળા પણ એટલા જ ઉત્કટ રીતે ભળેલા હોય છે તે ઉમેરવાની જરૂર પણ નથી.

હવે આપણી વાત :

આ કિસ્સો બતાવે છે કે વિશાળ કોર્પોરેટ હસ્તીઓ ઉત્પાદન કે વેચાણ અંગેના નિર્ણયો કરે ત્યારે શિષ્ટ અર્થશાસ્ત્રીની પોથી ખોલીને બેસતા હોતા નથી. ઉત્પાદન શરૂ કરવામાં કે તે પછી સરકારી નીતિઓ, અન્ય ઉત્પાદકોની હરીફાઈ, મજૂરોનાં આંદોલનો કે ગ્રાહકોની પસંદ કે નાપસંદ જેવા કાબૂ બહારના બનાવો તેમને નડે તેમ હોતા નથી.

આપણા વડા પ્રધાન વિદેશોમાં ‘મેક ઈન ઇન્ડિયા’ વિશે પ્રચાર કરે છે પરંતુ વિદેશી રોકાણકારો જોખમો ઉઠાવીને રોકાણ કરવા તૈયાર ન જ થાય. આથી ક્રોની કેપિટાલિઝમ, મેળાપીપણાવાળો – ગઠિયાગીરીનો મૂડીવાદ અનિવાર્ય બને છે.

વિકાસના નવા મોડલની તથા ગઠિયાગીરીવાળા મૂડીવાદની ચાવી આ બાબતમાં છુપાયેલી છે :

• સરકાર જો મફતના ભાવે જમીન ન આપે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?

• સરકાર જો મફતના ભાવે પાણી ન આપે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?

• સરકાર જો તેમને માટેના કરવેરા નીચા (કે શૂન્ય ?) ન રાખે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?

જંગલ, શ્રમ, વ્યાજના દર વગેરે અનેક મુદ્દાઓની બાબતે પણ આ જ પ્રશ્નો વારંવાર ઊભા થાય છે. જો આટલી બાબતોની તાર્કિકતા સમજી લઈએ તો સાથોસાથ એ પણ સ્પષ્ટ થશે કે :

સામંતશાહીના જમાનાના દરબારો ભરવાથી મૂડીરોકાણ સંભવી ન શકે.

ઠાઠમાઠ કે દબદબા ઊભા કરવાથી અબજો રૂપિયા લઈને કોઈ દોડી ન આવે.

આ અર્થમાં (ક્યારેક ભારતમાં પણ રહેતા !) આપણા વડાપ્રધાનશ્રીના વિદેશ પ્રવાસોના કારણે કશું વિશેષ નીપજી ન શકે.

છતાં, જો વિદેશ પ્રવાસ દરમિયામ, કોર્પોરેટ હાઉસિઝને જોખમ સામે રક્ષણ પૂરું પડાય અને કુદરતી સંસાધનો તેમ જ માનવશ્રમ સસ્તા ભાવે પૂરો પાડવાની, પ્રત્યક્ષ કે પરોક્ષ આશા / ખાતરી અપાય તો આ મૂડીરોરાણ આવી શકે. અલબત્ત, આવી ખાતરી અન્ય દેશોની સગવડો કરતાં વિશિષ્ટ હોવી ઘટે.

આ સમગ્ર તર્કનો એક નવો ફાંટો પણ ફૂટવા માંડ્યો છે અને તે છે જાસૂસીનો. કોર્પોરેટ જગત એકબીજા ઉપર તેમ જ સરકારી તંત્ર અને વજનદાર વ્યક્તિઓની જાસૂસી કરે છે. તેના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જુલિયન અસાંજેનું ‘વિકીલિક્સ’, એડવર્ડ સ્નૉડનનો પર્દાફાસ તથા અનેક પ્રકારના સ્ટિંગ ઓપરેશનો આનાં ઉદાહરણો છે. એડવર્ડ સ્નોડને જે પર્દાફાસ કર્યો તેનાથી અમેરિકન સરકારનો પણ ગઠિયાગીરીનો ચહેરો ખુલ્લો થયો. અમેરિકન સરકાર, જર્મનીના ચાન્સેલરના મોબાઇલ ફોનની વાતચીત ઉપર જાસૂસી કરતી હતી. તથ્ય એવું બહાર આવ્યું કે અમેરિકન સરકારે, જર્મની દ્વારા થનારા વિદેશી મૂડીરોકાણની માહિતી મેળવી પોતાના ઉદ્યોગપતિઓ માટે જે તે દેશમાં મૂડીરોકાણની તકો ખોલી આપી હતી. જર્મન ઉદ્યોગપતિના સોદાની વિગતો જાણી અમેરિકન ઉદ્યોપગતિને અપાય તો પેલાને સોદા કરવામાં અનુકૂળતા ઊભી થાય. એડવર્ડ સ્નોડનના આ પર્દાફાસમાં દક્ષિણ અમેરિકાના એક દેશના પ્રમુખ એવા એક બહેનના પણ મોબાઈલ ફોનની જાસૂસી અમેરિકા કરતું એવું બહાર આવ્યું. તે અરસામાં તે બહેન અમેરિકા રાષ્ટ્રપતિ સાથે ડીનર લેવાના હતાં. આ પ્રોગ્રામ તે બહેને તાત્કાલિક રદ કર્યો.

આધુનિક મૂડીવાદ, લોકશાહી, હરીફાઈ, કાર્યક્ષમતા, બજાર, ગ્રાહક વગેરે અંગે અલગ પ્રકારનાં સમીકરણો ધરાવે છે. આથી, આર્થિક વૃદ્ધિ થવાથી વિકાસ થશે કે અદૃશ્ય હાથ બધું બરાબર કરી દેશે તેવી ભ્રમણામાંથી સવેળા બહાર આવવું રહ્યું.

લેખમાં ઉલ્લેખિત કેસસ્ટડીની વિગત : “The Socio-Political Behaviour of Multi-National Corporations in the Context of Business Networks – The case study of the Korean MNC in a European country”. Amjad Hadjikhani Pervez Ghauri and Joongwoo Lee. Department of Business Studies, Upsala University, School of Business Administration, Manchester University and Inje University, Korea.

‘નયા માર્ગ’, ૧૬-૬-૨૦૧૫

Loading

Greeceni Behaali : Aarthik-Rajkiya SammishranonuM Du:swapna

રોહિત શુક્લ|Opinion - Opinion|25 August 2015

ગ્રીસની બેહાલી : આર્થિક-રાજકીય સંમિશ્રણોનું દુઃસ્વપ્ન

——————————————————————————

પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ, સિકંદર વગેરે જેવાં કેટકેટલાં ભવ્ય નામો, વિચારો અને કર્મો ગ્રીસ સાથે સંકળાયેલા છે! ઈ.સ. પૂર્વે ચારેક હજાર વર્ષના કાળથી એથેન્સ, જગતના પ્રવાહોને ઓળખી અને નાણી રહ્યું છે. આ દેશના પાટનગર એથેન્સમાં ઈ.સ. પૂર્વે પાંચમા સૈકાનાં સ્થાપત્યો આજે પણ ઊભાં છે. ભારતની જેમ ગ્રીસમાં પણ અનેક દેવી-દેવતાને પૂજવામાં આવતા અને તેમનાં ચમત્કારોથી ભરપૂર અનેક કહાનીઓ છે. પરંતુ આ ગ્રીસ અકલ્પ્ય એવી આર્થિક તાણમાંથી ગુજરી રહ્યું છે. જ્યાં આર્થિક તાણ હોય ત્યાં રાજકીય અને સામાજિક પ્રતિભાવો જન્મે એ સાવ સ્વાભાવિક જ ગણાય.

૧૯૭૪માં ગ્રીસ લશ્કરી શાસનમાંથી મુક્ત બન્યું તે પછી તેનો આર્થિક વૃદ્ધિનો દર સારો એવો ઊંચો રહ્યો. ૧૯૯૯માં તે યુરોપિય સંઘનું સભ્ય બન્યું. તે પછી લગભગ એક દાયકા સુધી તેનો આર્થિક વૃદ્ધિનો દર ઊંચો જ રહ્યો.  છેક ૨૦૦૯ સુધી તે લગભગ ૪.૨ ટકાના દરે વધતું રહ્યું. યુરોઝોનના અન્ય સાથી દેશોની વૃદ્ધિ આટલી ઊંચી ન હતી.

આવા ગ્રીસમાં આજે અકલ્પ્ય હાલાકી પ્રવર્તે છે. તેના યુવાધનના લગભગ ૬૦ ટકા લોકો બેકાર છે. એથેન્સ જેવા ભવ્ય અને પૌરાણિક શહેરમાં દર અગિયારે એક વ્યક્તિ સદાવ્રત ઉપર નભે છે. બે લાખ લોકોના માથે છાપરું નથી. ૨૦૦૯થી ૨૦૧૫ સુધીમાં એઈડ્‌ઝના દરદીઓની સંખ્યામાં બસો ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ લગભગ ભાંગી પડી છે. ગ્રીસ જેવા યુરોપના એક વિકસિત દેશની આવી હાલત કેમ થઈ ? ૨૦૦૯ સુધી ઝડપથી વધતું અર્થતંત્ર આટલું બધું અને આટલી ઝડપથી કેમ કથળી ગયું તે પ્રશ્ન વિચારવાનો થાય છે.

છેક ૧૯૮૯માં મિલ્ટન ફ્રીડમેન અને પોલ ક્રુગમાન જેવા અર્થશાસ્ત્રીઓએ યુરોઝોનની રચના સામે ચેતવણી ઉચ્ચારી હતી. તેમનો મુદ્દો એ હતો કે વિવિધતા ધરાવતા યુરોપીય દેશોને યુરો જેવા એક જ ચલણમાં, સાંકળવાની નીતિ ભૂલભરેલી છે. મિલ્ટન ફ્રિડમેન તો તેમની શિકાગો સ્કૂલ દ્વારા નવ્ય મૂડીવાદના મુખ્ય મઠાધીશ તરીકે જાણીતા હતા. આમ છતાં, યુરોપમાં ઉભરેલા નવ્ય મૂડીવાદમાં પણ એક જ ચલણના વિચારનો તેમણે વિરોધ કર્યો હતો.

તાજેતરનાં કેટલાક બનાવો અંગે ઉપર ટપકે વિચાર કરવા જઈએ તો ગ્રીસની આ કમનસીબી નવ્યમૂડીવાદ – ખાસ કરીને વૈશ્વિકીકરણ સંદર્ભમાં એક જ ચલણ લાગુ કરવાના સંમિશ્રણનો એક બનાવ જણાય છે. આ બનાવને કારણે મૂડીવાદની ભવ્યતા ઝાંખી પડતી નથી એમ દલીલ થઈ શકે. પરંતુ આ તાત્ત્વિક ચર્ચા ઉપર આવતા પહેલા ગ્રીસમાં કટોકટી ઊભી કરનારા કેટલાક બનાવો ભણી નજર નાંખીએ :

ગોલ્ડનમેન સાખ્સ અમેરિકાના નાણાં વર્તુળોનું એક પ્રચંડ નામ છે. ૨૦૦૮ની અમેરિકન મંદીમાં આ કંપની તો ડૂબી જ પણ તેણે અન્ય અનેકને ડૂબાડ્યા પણ ખરા. પણ ગ્રીસ અને યુરોપના અન્ય કેટલાક દેશો જેવા કે સ્પેન, ઈટાલી, લેટીવિયા વગેરેમાં આ નામ એક જુદા જ કારણસર કુખ્યાત બન્યું છે. ગ્રીસને તેણે ખોટા હિસાબો કેવી રીતે રજૂ કરાય તે શીખવ્યું. (અન્ય કેટલા દેશોને આવું શીખવ્યું છે તે હજુ બહાર આવ્યું નથી.) આવા ખોટા હિસાબોને કારણે નાણાવર્તુળોમાં શરૂઆતમાં ગ્રીસની શાખ જળવાયેલી રહી. આ શાખને કારણે તે ઓછા વ્યાજે ધિરાણ પણ મેળવતું રહ્યું. યુરોપના અન્ય દેશોની તુલનાએ ગ્રીસમાં વ્યાજ વધારે હોવાથી યુરોપની અનેક નાણાં સંસ્થાઓએ ગ્રીસમાં પૈસા રોક્યા.

બીજી તરફ ગ્રીસમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક છે, જેને કારણે સરકારને કરવેરા દ્વારા જે આવક થવી જોઈતી હતી તે થતી નથી. ગ્રીસના ધનવાનોના સ્વીસ બૅંકોના ખાતાઓમાં કદાચ ૮૦ અબજ યુરો કે તેથી વધુ રકમ ધરબાયેલી પડી છે. (જો આ રકમ પાછી આવે તો દરેકના ખાતામાં પંદર લાખ યુરો જમા થાય કે નહીં તેની કોઈ ચર્ચા ત્યાં, ચૂંટણીઓમાં પણ થતી નથી. ગ્રીસની ‘બ્લેક ઇકોનામી’ – કાળાંનાણાંનું સમાંતર અર્થકારણ તેની જી.ડી.પી.ના ૨૪.૩ ટકા હોવાનો અંદાજ છે.) સરકારને કરવેરા દ્વારા પૂરતી આવક થતી ન હોવાથી બજેટમાં ખાધ રહે છે. આ ખાધનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. ૧૯૯૯માં ગ્રીસની બજેટ ખાધ તેની જી.ડી.પી.ના પાંચ ટકા હતી તે ૨૦૦૮-૦૯માં વધીને પંદર ટકા થઈ.

ત્રીજી બાબત એ બની કે યુરો જર્મની કે ફ્રાંસ જેવા દેશો માટે કદાચ ઉચિત આંતરરાષ્ટ્રીય મૂલ્ય ધરાવનારું ચલણ હશે પણ ગ્રીસ માટે તે અધિમૂલ્યિત છે. અર્થશાસ્ત્રના નિયમાનુસાર જ્યારે ચલણનું અવમૂલ્યન થાય ત્યારે નિકાસો વધતી હોય છે અને આયાતો ઘટતી હોય છે. ચીન જાણી જોઈને પોતાના ચલણનું મૂલ્ય નીચું રાખે છે જેથી તે વિદેશોમાં સસ્તા ભાવે વધુ નિકાસ કરી શકે. પણ ગ્રીસ માટે યુરો અધિમૂલ્યિત હોવાથી તેની નિકાસો ઓછી અને આયાતો વધુ રહેતી. આ વેપાર ખાધને પહોંચી વળવા વાસ્તે પણ ગ્રીસે દેવું કરવું પડ્યું. વિદેશી બૅંકોએ શરૂમાં આ નાણાં ધીર્યા.

ચોથું, ૨૦૦૭-૦૯ દરમિયાન અમેરિકામાં અને તેને પગલે યુરોપમાં પણ મંદી પ્રસરી. આ સંજોગોમાં ગ્રીસની નિકાસો વધે નહીં અને વેપારના ચાલુ ખાતાની ખાધ વધે તેવી સ્થિતિ સર્જાઈ. જો ગ્રીસ યુરો ચલણ સાથે સંકળાયેલું ન હોત તો તેની પાસે પોતાના ચલણના અવમૂલ્યનનો રસ્તો હતો. ગ્રીસે અવમૂલ્યન કર્યું હોય તો તેની નિકાસો વધી હોત અને એટલા પ્રમાણમાં દેવું ઘટ્યું હોત.

૨૦૦૯માં ગ્રીસના હિસાબોના ગોટાળા બહાર પડ્યા તેની સાથે જ તેની શાખ ઘટી ગઈ. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ગ્રીસના બોન્ડના રેટીંગનું ‘જન્ક’ – કચરો નામ પાડ્યું. આની સાથે જ લોકો બોન્ડ વેચવા દોડ્યા. ૨૦૦૭માં બોન્ડ ઉપરનું વ્યાજ ૪.૫૩ ટકા હતું તે ૨૦૦૯ સુધીમાં ૧.૭૮ ટકા થયું હતું. પરંતુ તે પછી શાખ ગુમાવવાને કારણે જાન્યુઆરી ૨૦૧૨માં ૧૨૯.૯૭ ટકા અને જુલાઈ, ૨૦૧૨માં ૧૭૭.૩૭ ટકાએ પહોંચ્યું. બોન્ડની કિંમત જેમ ઘટે તેમ વ્યાજનો દર વધારે થતો જાય છે. બોન્ડ એક કાગળ છે. દા.ત. ભારતમાં સો રૂપિયાનો બોન્ડ વર્ષે છ રૂપિયા વ્યાજ આપે તો તે છ ટકા વ્યાજ થયું. હવે જો આ જ કાગળિયું રૂ. ૧૦૦ને બદલે માત્ર રૂ. ૧૦માં મળતું થાય તો હવે દસ રૂપિયા ઉપર છ રૂપિયા એટલે કે સાઠ ટકા વ્યાજ બેસશે.

યુરોઝોનના આર્થિક ક્ષેમકુશળની ચિંતા કરનારી ત્રણ ત્રણ સંસ્થાઓ છે. તે છે યુરોપિયન સહિયારી બૅંક (ઈ.સી.બી.), યુરોપિયન કમિશન (ઈ.સી.) અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈ.એમ.એફ.). આ ત્રણે – ટ્રોઈકા કે ત્રેખડ – ગ્રીસની વહારે દોડી આવ્યા. તેમણે બેઈલ આઉટ પેકેજ જાહેર કર્યા. મે, ૨૦૧૦માં આ ત્રેખડે ૧૧૦ અબજ યુરોની લોન આપી. જો કે આ માટેનો વ્યાજનો દર, યુરોપના પ્રવર્તમાન દરોના પ્રમાણમાં ઘણો ઊંચો-સાડા પાંચ ટકા-રખાયો. આ ધિરાણની સાથે આ ત્રેખડે શરત મૂકી કે ગ્રીસે હવે કસર કરવી. આ કસરનો અર્થ પેન્શનમાં કાપ, વેતનમાં કાપ, સરકારી ખર્ચામાં કાપ ઉપરાંત જાહેર સંપત્તિનું ખાનગીકરણ કરવું એવો થતો હતો. આ તમામ પગલાં લોકવિરોધ હતા અને તેની સામે સમગ્ર દેશમાં વ્યાપક અને સજ્જડ હડતાળો પડી.

આ કરકસરના સખત પગલાંને લીધે વેતનોમાં ૨૦ ટકા સુધીનો કાપ આવ્યો. બજેટ ખાધ, જે ૨૦૦૯માં જી.ડી.પી.ના ૧૧ ટકાએ પહોંચી હતી તે ૨૦૧૧માં ઘટીને માત્ર ૨.૪ ટકાએ આવી ગઈ. પણ આટલી ઝડપથી આટલાં કડક પગલાં ભરાયાં તેથી મંદી ફરી વળી. ૨૦૧૧માં જી.ડી.પી. ૭.૧ ટકા ઘટી ગઈ. બે લાખ કારખાના બંધ થઈ ગયા. ૨૦૦૫ની તુલનાએ ઔદ્યોગિક ઉત્પાદન ૨૮.૪ ટકા ઘટી ગયું. ૧,૧૧,૦૦૦ કંપનીઓ નાદાર થઈ ગઈ. જે ૨૦૧૦ની તુલનાએ ૨૭ ટકા વધુ હતી.

આ મંદીમાં બેકારી પણ વધે જ. ૨૦૦૮ના સપ્ટેમ્બરમાં બેકારીનો દર ૭.૫ ટકા હતો; તે મે, ૨૦૧૨માં ૨૩.૧ ટકા થયો. યુવા બેકારીનો દર ૫૪.૯ ટકા થયો. ૨૦૧૫માં એકંદર બેકારીનો દર ૨૫ ટકાથી વધુ છે. અમેરિકામાં ૧૯૨૯માં શરૂ થયેલી વિશ્વમંદી વખતે પણ આવી જ બેકારી હતી. આજે એથેન્સ જેવાં શહેરોમાં ૨૦ ટકા દુકાનો ખાલી છે. બૅંકો બંધ છે અને એ.ટી.એમ.માંથી પણ માત્ર પેન્શનધારકોને દૈનિક ૬૦ યુરો જેટલી જ રકમ ઉપાડવાની છૂટ છે.

આ સ્થિતિમાં લોકજુવાળ ફાટી ન નીકળે તો જ નવાઈ કહેવાય. પરિણામે ૨૦૧૪ની આખરે ફરીથી ચૂંટણીઓ થઈ. ૨૦૧૫ના જાન્યુઆરીમાં ત્યાં સીરીઝા નામનો સામ્યવાદી પક્ષ સારી એવી બેઠકો મેળવી ગયો. તેના નેજા હેઠળની સંવિદ સરકાર હાલ ત્યાં સત્તા ઉપર છે.

આ ગાળા દરમિયાન પેલા ત્રેખડે ગ્રીસને બીજી ત્રણ વાર મોટી મોટી રકમોની લોનો આપી. આનું પરિણામ એ આવ્યું કે ગ્રીસની કથળતી હાલત જોઈ ચૂકેલી યુરોપિયન બૅંકોએ પોતાનાં ધિરાણો પાછાં મેળવી લીધાં. આમ ત્રેખડની લોન જાણે કે આ બૅંકો તથા અન્ય માલેતુજારોને બચાવી લેવા વાસ્તે અપાઈ હોય તેવું બન્યું. ત્યાંના સામાન્ય માણસના ભાગે તો બેકારી, વેતનકાપ, ભૂખમરો અને એઈડ્‌ઝ જ આવ્યા. બે લાખ લોકો ઘરવિહોણાં બન્યા અને માત્ર એથેન્સ શહેરમાં જ દસ ટકા વસતી અન્નક્ષેત્રો ઉપર ગુજારો કરનારી બની. આર્થિક નીતિની અસરો કોઈક યુદ્ધ કરતાં ઓછી ભયાનક નથી. આ પગલાંને લીધે ગ્રીસની જી.ડી.પી. ૨૫ ટકા ઘટી ગઈ છે.

૨૫મી જૂને જે હપતો પાકતો હતો તે ગ્રીસ ભરી શક્યું નહીં. પણ સામે તેણે એક રાજકીય પગલું ભર્યું. તેણે લોકો સમક્ષ આ મુદ્દો એક જનમત – રેફરન્ડમ – તરીકે રજૂ કર્યો. ગ્રીસની ૨૦૧૪ની આખરની ચૂંટણી પછી વડા પ્રધાન બનેલા સામ્યવાદી પક્ષના સિપ્રાઝ કહે છે કે યુરોપીય સંઘ અમને વારેવારે હલકા પાડે છે અને બ્લેકમેલ કરે છે. તે અમને વારેવારે ‘હજુ કસર કરો – હજુ કસર કરો’ એમ કહ્યા કરે છે. અમે જાણે કે યુરોપનું કોઈ ગુલામ રાજ્ય હોઈએ તેવો વર્તાવ કરે છે. આ યુરોપિય સંઘ કહે છે, હજુ વધુ કસર કરો તો વધુ ધિરાણ આપીએ. જનમત સંગ્રહમાં ૬૧ ટકા લોકોએ યુરોપિયન સંઘની આ માંગણીઓ વિરુદ્ધ મત આપ્યો. આટલા મોટા પ્રમાણમાં જનમત વિરુદ્ધમાં જશે તેવું  યુરોપે ધાર્યું ન હતું.

સવાલ એ છે કે હવે શું ? ૩૦મી જૂન ૨૦૧૫ સુધીમાં ગ્રીસનું દેવું ૩૨૩ અબજ યુરોએ પહોંચ્યું છે. ૨૦૦૮માં દેવા : જી.ડી.પી. ગુણોત્તર ૧૦૯ હતો તે ૨૦૧૦માં ૧૪૬ થયો છે. અત્યાર સુધી લીધેલા ધિરાણના વ્યાજ સહિતના હપતા પણ નજીકના ભવિષ્યમાં ભરતા જવાનું છે.

સમસ્યા એ પણ છે કે ગ્રીસના ભારે જનમતે વધુ કરકસરને જાકારો તો આપ્યો પણ હવે બધો વ્યવહાર ચાલશે કઈ રીતે? ભારત સહિતના અનેક દેશો નવું દેવું કરીને જૂનું ચૂકવતા હોય છે. પણ ગ્રીસ માટે આ માર્ગ હવે બંધ થાય છે. હપતા ભરી ન શકવાને કારણે તે નાદાર પણ જાહેર થશે. સંભવ છે કે તેને યુરોપીય સંઘમાંથી હાંકી પણ કઢાય. આમે ય તે નવ્ય મૂડીવાદના ગઢ સમાન યુરોપમાં ઉગ્ર ડાબેરી એવા સીરીઝા પક્ષનો ઉદય વેઠાતો નથી. આમ છતાં ગ્રીસે ત્રેખડની શરતો સ્વીકારી હજુ વધુ કરકસર કરવાનું કબુલ્યું છે. સિપ્રાઝને પોતાના સામ્યવાદી સાંસદોનો પણ પૂરતો ટેકો ન મળતા વિપક્ષોનો ટેકો મેળવ્યો. ગ્રીસને લગભગ ૯૮ અબજ ડોલરની સહાય ત્રણ હપ્તામાં આપવાનું નક્કી થયું. આ રકમનો પ્રથમ હપ્તો ૧૩ બિલિયન યુરોનો આપવામાં આવ્યો છે. તેમાંથી ૩.૨ અબજ યુરો તો ઈ.સી.બી.એ દેવા પેટે મેળવી લીધા છે. બાકીની રકમો પણ લેણદારો લઈ જશે અને નવા રોકાણ વાસ્તે કશું જ બચશે નહીં!

સિપ્રોઝે નવેસરથી ચૂંટણીની માગ કરી છે. એક મૂડીવાદી રચનાએ દેશના આમ આદમીનું જીવન તોફાનોથી ભરી દીધું છે.

• ગ્રીસની આ ટ્રેજડીમાંથી જગત માટે કોઈ બોધપાઠ ખરા ?

• ગ્રીસના જ્યારે ‘અચ્છે દિન’ હતા ત્યારે આ જ ફ્રાંસે તેને લલચાવીને શસ્ત્રો વેચ્યાં. (ભારતના વડાપ્રધાનશ્રીએ પણ તાજેતરના ફ્રાંસ પ્રવાસ દરમિયાન લડાકુ વિમાનોની ફોજ ખરીદીને પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો છે.) જર્મનીએ બિનજરૂરી સબમરિનો પધરાવી ગ્રીસ પાસેથી નાણાં ખંખેરી લીધા.

• નવ્ય મૂડીવાદને દેશોની અંદરના ‘નાના’ ભ્રષ્ટાચાર નહીં પણ ગોલ્ડમેન શાખ્સ જેવા દેશાંતરી ભ્રષ્ટાચારો ચાલે તેની ખબર રહેતી નથી.

• ગ્રીસને જો પોતાનું અલગ ચલણ મળે તો તે અવમૂલ્યન કરીને નિકાસો વધારવા પ્રયાસ કરશે.

• ગ્રીસની યુરોપીય સંઘમાંથી હાંકી કઢાયા બાદ અન્ય નબળાં અને દેવાદાર દેશો, જેવા કે ઇટલી, આયર્લૅન્ડ, પોર્તુગાલ, લેતવિયા વગેરે પણ ભાગ્યે જ ટકી શકે.

• ગ્રીસ આખરે અસ્થિર બનશે અને તેનું ભાવિ ધૂંધળું છે તેવો મત ઈકોનોમિસ્ટે વ્યક્ત કર્યો છે.

ભારતે આ ટ્રેજડીમાંથી ઘણું શીખવાનું છે. ફ્રાંસ, જર્મની વગેરે દેશો શસ્ત્ર સરંજામ, વિમાનો વગેરેની નિકાસ કરીને આપણા જેવા ગરીબ દેશોમાંથી અબજો ડૉલર પડાવી જવા આતુર છે. ફ્રાંસ પાસેથી લેવાયેલા વિમાનો તેનું તાજું ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે ભારતના એન્જિનિયરિંગ સામાન અને સોફ્ટવેરની નિકાસો ઉપર અસર પડશે. અલબત્ત ગ્રીસનું પતન અન્યત્ર કેટલું ફેલાય છે તેની ઉપર તેનો આધાર છે.

નવ્ય મૂડીવાદના વિમર્શમાં ઊતરીએ તો જણાય છે કે આ વિચાર કોઈક સૈદ્ધાંતિક અને પાઠ્યપુસ્તકો પ્રમાણે ચાલનારો નથી. મુક્ત વેપાર અને બજારવાદ કે હરીફાઈ અને કાર્યક્ષમતા જેવા શબ્દોને પૂરી શંકા સાથે એને ગ્રીસ જેવા દેશોના અનુભવોના સંદર્ભે જોવા જોઈએ. નવ્ય મૂડીવાદના પાઠ્ય પુસ્તકોમાં વર્ણવાએલી આ સ્પર્ધાત્મકતામાં તમામ દેશો એક સમાન શક્તિથી ભાગ ન લઈ શકે. રમતના બધા ખેલાડીઓને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ મળતું નથી. આથી દરેક દેશે પોતાના હિત સમજીને મેદાનમાં ઉતરવું રહ્યું. આ મુદ્દો જ બતાવે છે કે ‘બજાર’ની કામગીરી નિર્દોષ હોતી નથી. તેની અસરો કેવી વિઘાતક હોઈ શકે તેનો એક નમૂનો ગ્રીસે રજૂ કર્યો છે.

ગ્રીસના આ અનુભવથી વૈચારિક જગતમાં ખાસ કરીને નવ્ય મૂડીવાદની આગેકૂચ ઉપર કેવી અસરો પડશે તે વિચારવું રહ્યું :

• યુરોપિયન સંઘ વિવિધ દેશોમાં વડા પ્રધાનો અને ચૂંટાયેલી સરકારોના મતોને લક્ષમાં લીધા વગર સૈદ્ધાંતિક મૂડીવાદમાં શ્રદ્ધા ધરાવતા બાબુઓ દ્વારા ચાલે છે તે સાબિત થયું છે. મૂડીવાદ લોકશાહીથી વિખૂટો પડી ચૂક્યો છે.

• ગ્રીસના બનાવમાં જગતના માલેતુજારો, જેમ કે ગોલ્ડમેન સાખ્સ, લેહમાન બ્રધર્સ વગેરેના પણ મોટા કારસા ચાલ્યા છે. આ ગઠિયા મૂડીવાદને કારણે અતિ ધનિકો તથા ભ્રષ્ટાચારીઓ સિવાયનો સમગ્ર સમાજ ભારે હાલાકીમાં મુકાઈ ગયો છે.

• વૈશ્વિકીકરણને બદલે દેશના આંતરિક અર્થકારણનું અને તેમાં ય નાના અને લઘુ ઉદ્યોગો તથા ખેતીનું મહત્ત્વ વિશેષ છે. નિકાસો પાછળ દોડનારા દેશો પાયમાલી નોંતરી રહ્યાં છે.

નયા માર્ગ’, ૧૬-૭-૨૦૧૫

Loading

Navi Sarkaar : Navaa Raajkiya-Aarthik Pravaaho


રોહિત શુક્લ|Opinion - Opinion|25 August 2015

નવી સરકાર : નવા રાજકીય-આર્થિક પ્રવાહો

——————————————————————————

૨૬મી મે ૨૦૧૪ના દિવસે નવી સરકારે એક વર્ષ પૂરું કર્યું. દરેક બાબતને પોતાની ‘સિદ્ધિ’ ગણાવવા આતુર એવી આ સરકારે પોતાની દૃષ્ટિએ પોતે જે મહાન કાર્યો કર્યાં છે તેને વર્ણવતી અગિયાર કરોડ પુસ્તિકાઓ છપાવી છે. વળી ૨૬-૩૧ મે દરમિયાન સંખ્યાબંધ પ્રધાનો તથા અન્ય નેતાઓની ફોજ ઠેર ઠેર મોકલી પોતાની સિદ્ધિઓના વારંવાર વખાણ કરવા માટે ઘણી પત્રકાર પરિષદો પણ યોજી. પોતાના જ સમર્થકો એવા મીડિયા અને પ્રચારતંત્રના ભૂંગળ અને બુંગિયા વચ્ચે નાનકડા પણ મહત્ત્વના સત્યને પણ બહાર લાવવું એક કપરું અને પડકારરૂપ કામ છે. આ અંગે ૨૮-૨૯ મેનો, આઈ.આઈ.ટી. મદ્રાસનો બનાવ દાખલારૂપ છે.

દેશની આઈ.આઈ.ટી.માં પ્રવેશતા વિદ્યાર્થીઓ અત્યંત તેજસ્વી હોય છે. આ વિદ્યાર્થીઓ પૈકી દલિત વિદ્યાર્થીઓ એક મંડળ ચલાવે છે, જેનું નામ ‘આંબેડકર પેરીઆર સ્ટુડન્ટ્‌સ સર્કલ’ (એ.પી.એસ.સી.) છે. આ વિદ્યાર્થીઓ ચર્ચાઓ અને ગોષ્ઠિઓ દ્વારા દેશના પ્રવાહો વિશે જરૂરી ચિંતન કરતા રહે છે. તાજેતરની આવી એક ચર્ચામાં ગૌમાંસ બાબતની તથા દક્ષિણ ભારતમાં પણ હિંદી ભાષા ઉપર વધુ ભાર મૂકવાની નીતિઓની ટીકા કરાઈ. આ વિગતોનો આધાર લઈને કોઈકે એક નનામો પત્ર કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ વિભાગને લખ્યો. કહેવામાં આવ્યું કે આ મંડળ તિરસ્કાર ફેલાવી રહ્યું છે. પરિણામે આઈ.આઈ.ટી.ના ડીને આ પ્રવૃત્તિ જ બંધ કરાવી દીધી. દેખીતી રીતે વાણી સ્વાતંત્ર્યની આ ઘટનામાં સરકારને કાંઈક અજુગતું જણાયું હોય તો સામે તે મંડળનો ખુલાસો માંગી શકાયો હોત. આ સરકાર, વિરોધી મતને સહન કરી શકતી નથી તેનું આ એક ઑર ઉદાહરણ એ છે તેણે જાણીતા નાટ્યકાર ગિરીશ કર્નાર્ડનાં નાટકોનું મંચન પણ રોક્યું છે.

સરકાર ગૌમાંસના મુદ્દે ઘણી સંવેદનશીલ હોય તેમ જણાય છે. એક બાજુ ૨૦૧૪ની ચૂંટણીની પ્રચારવેળાએ યુ.પી.એ. સરકારના ‘પીન્ક ટ્રેડ’(ગૌમાંસના વેપાર)ની વાતો ચલાવીને હિન્દુત્વને આગળ કરાતું રહ્યું. હવે વર્ષાન્તે પણ આ વેપાર બંધ થયો નથી. સરકારની કામગીરીની વિચિત્રતા જુઓ : મુખ્તાર અબ્બાસ નકવીએ એટલે સુધી કહી નાંખ્યું કે જે ગૌમાંસ ખાય તે પાકિસ્તાન ચાલ્યા જાય ! અને વિદેશ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાને કહ્યું, ‘હા, હું ગૌમાંસ ખાઉં છું, મને કોણ રોકવા માગે છે ?’

ગૌમાંસનો મુદ્દો ભા.જ.પ. સાથેના હિંદુત્વવાદીઓ માટે મહત્ત્વનો ખરો પણ બંધારણ, માનવ અધિકારો, જીવન જીવવાની વિવિધતા વગેરે મુદ્દાઓ પણ છે જ. પેલા વિદ્યાર્થીઓની વિચાર અભિવ્યક્તિની, નકવીનું વિધાન અને સરકારી ઔપચારિક કક્ષાએ ચૂપકીદી – આ બધું આ સરકારની કાર્યશૈલી અને શાસનની તરેહ વિશે ઘણું કહી જાય છે. ઘર વાપસી, વધુ બાળકો પેદા કરવા, બહુ લાવો – બેટી બચાવો વગેરે પ્રકારનાં ઉચ્ચારણો ભા.જ.પ.ના નેતાઓ કે ભગિની સંસ્થાઓના નેતાઓ કરે જાય છે અને સરકાર તે પૈકી કોઈનીય સામે નમૂનારૂપ પગલાં ભરતી નથી.

સરકારના સરવૈયાનો હિસાબ વિદેશી પત્રોએ પણ મૂક્યો છે. ૨૩મી મેના (લંડન) ઇકોનોમિસ્ટના જેકેટ ઉપર વડા પ્રધાનનું એક કાર્ટૂન ચિતરવામાં આવ્યું છે. તેનું મથાળું છે ‘વન મેન બેન્ડ.’ એક જ માણસ – સીતાર, બેન્ગો, ડ્ર્‌મ, તબલાં, ફલ્યૂટ વગેરે તમામ વાજીંત્રો વગાડે છે. ઇકોનોમિસ્ટે બે લેખ દ્વારા આ ઢબની પણ ખાસી વિગતવાર ચર્ચા કરી છે. (પરદેશી સામયિકો જો વખાણ કરે તો પોરસાઈ જતા ભા.જ.પ.ના નેતાઓના કોઈ પ્રત્યાઘાત આ અંકના લેખો બાબતે સાંપડ્યા નથી.) તેના કેટલાક મુખ્ય મુદ્દા નોંધીએ :

(૧) ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના પ્રયાસોમાં મુખ્યત્વે ઇવેન્ટ મેનેજમેન્ટ હતું. આવા પ્રયાસો, નીતિઓ કે અભિગમ વડે આવડા મોટા દેશનું ટ્રાન્સફર્મેશન રૂપાંતરણ થઈ જ ન શકે. (સરકારે આયોજન પંચ બંધ કરીને ‘નીતિ આયોગ’ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ ભારતના રૂપાંતરણનો છે તે નોંધીએ.)

(૨) સરકારે સત્તા લેતાની સાથે જ ગૃહ, નાણાં વગેરે જેવા મહત્ત્વના વિભાગોના અનુભવી અધિકારીઓને તાત્કાલિક બદલી કાઢ્યા. આ અધિકારીઓના હાથમાં દેશના અત્યંત મહત્ત્વના ખાતા હતા. તેમના કારણે દેશનો વહીવટા સારી રીતે ચાલતો હતો. આવી જ રીતે યુ.પી.એ. સરકાર દ્વારા નિયુક્ત સંખ્યાબંધ ગવર્નરોને પણ હટાવાયા. આ દાખલામાં કમલા બેનીવાલ જેવાને પાઠ ભણાવવાનો અને અન્યોને કાઢીને પોતાના માણસોને ગોઠવવાનો ઉપક્રમ હતો.

વિરોધી તો ઠીક પણ સાવચેતીના સુરને પણ કાને નહીં ધરવાની આ ઢબને કારણે ગુજરાતમાં ‘ગુજટીકોક’ જેવો ધારો રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયો છે.

(૩) લંડન ઇકોનોમિસ્ટના આ લેખોમાં તટસ્થભાવે કહેવાયું છે કે ભારતના વિકાસની ક્ષમતા છે પરંતુ તે માટે યોગ્ય વાતાવરણ અને ભૂમિકા ઊભા કરવા પડે. હાલની સરકારના આ એક વર્ષમાં આવા કોઈ પ્રયાસો થયા નથી.

શાસનની આ ઢબ અંગે તાજેતરમાં ઇકોનોમિક ટાઇમ્સે એક આગવી ઢબે લેખ કર્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ તા. ૨૬-૫-૧૫ના દિવસે મથુરાના ભાષણમાં જે કહ્યું તેમાંથી તથ્યો તારવવાનું કામ તેણે કર્યું છે. આ અંગેની વિગતો ટૂંકમાં આ પ્રકારે છે.

વિધાન (૧) : આ એક વર્ષના શાસનમાં મોટા ભ્રષ્ટાચારી કૌભાંડનો એક પણ બનાવ બન્યો નથી.

પ્રતિભાવ : સાચું. આમ છતાં એન.ડી.એ.ના કેટલાક પ્રધાનો સામે આપેક્ષો તો થયા જ છે. તાજેતરમાં નીતિન ગડકરીના ‘પૂર્તિ ગોટાળા’ બાબતે કેગે ટીકા કરી જ છે. વળી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને અચાનક કેમ હટાવાયા તે બાબતે પણ પૂરતી વિગતો બહાર આવી નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના ખર્ચા, ટોળા ભેગાં કરવા, તેમને જમાડવા, હેલિકોપ્ટરો અને વિમાનોનો ઉપયોગ કરવો વગેરે જેવી અનેક બાબતો વિષે હજુ દેશ પૂરતી સફાઈની રાહ જોઈ રહ્યો છે.

વિધાન (૨) : મનરેગાના મહેનતાણાનું ડાયરેક્ટ પેમેન્ટ અમે શરૂ કર્યું.

પ્રતિભાવ : આ વિધાન સાચું નથી. મનમોહનસિંગે તા. ૨૧મી ઑક્ટોબર, ૨૦૧૨ના દિવસે રાજસ્થાનના ડુડુ (DUDU)થી આ રીતના ચુકવણાનો પ્રારંભ કરેલો. મનરેગા ઉપરાંત પેન્શન અને સ્વાસ્થ્ય વીમા યોજનાના ચૂકવણાં પણ આ રીતે શરૂ કરાયેલા.

વિધાન (૩) : યુરિયા ખાતરમાં થતી કાળાબજારી રોકવા વાસ્તે તેની ઉપર લીમડાનો પુટ ચઢાવવાનું અમે શરૂ કર્યું.

પ્રતિભાવ : આ બાબત સાચી નથી. આગલી સરકારે ૨૦૧૧-૧૨થી આ કામ આરંભેલું અને ૩૬.૩૩ લાખ ટન ખાતર વેચેલું. તે પછીના વર્ષ ૨૦૧૩-૧૪માં ૬૩.૪૧ લાખ ટન ખાતર આ રીતે વેચેલું.

વિધાન ૪ : આગલી સરકારના ગેરવહીવટના કારણે લોકોના રૂ. ૨૭,૦૦૦ કરોડ પી.એફ.ના ખાતાઓમાં પડી રહ્યા હતા, જેને અમે બહાર લાવ્યા.

પ્રતિભાવ : આ સાચું નથી. આગલી સરકારે યુનિક આઇડેન્ટરી નંબરની યોજના દાખલ કરી ત્યારથી આ વ્યવસ્થા સુધરવા લાગી હતી.

એક અલગ દૃષ્ટિકોણથી ઇન્ડિયન એક્સપ્રેસના તવલીન સિંઘ, ‘ફીફ્થ કોલમ’માં જણાવે છે કે આ સરકારની મોટામાં મોટી નિષ્ફળતા શિક્ષણ અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રોની છે. આપણે ગુજરાતના અનુભવ દ્વારા પણ જાણીએ છીએ કે શિક્ષણની એટલી બધી અવનતિ થઈ છે કે રાજ્યની એક આખી યુવા પેઢી નાસીપાસ થઈ ગઈ છે. શિક્ષક-અધ્યાપકોની ભરતી કરાતી નથી, તેમને પૂરતા પગાર અપાતાં નથી, ખાનગી નફાખોરો ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ નથી અને આ બધાને હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મોડલના નામે પહોંચાડાશે !

તવલીન સિંઘ જણાવે છે કે સરકાર હજુ નોકરશાહી ઉપર કાબૂ મેળવી શકી નથી અને તેથી વિદેશી રોકાણકારો અહીં આવતા ખચકાય છે. આ બાબતનો એક આધાર એ છે કે ડૉલર સામે ૫૮ રૂપિયાથી ગગડતો ગગડતો રૂપિયો હવે ૬૩ રૂપિયે પહોંચ્યો છે. યાદ કરીએ : ૨૦૧૪ની ચૂંટણીની ગરમીમાં વડા પ્રધાનપદના દાવેદાર તરફથી એક વિધાન થયેલું. ‘મનમોહનસિંઘ ડૉક્ટર છે પણ રૂપિયો બીમાર થઈ ગયો છે’. ઠીક, હવે ડૉક્ટરની ગેરહાજરીમાં પણ રૂપિયો બીમાર છે!

તવલીન સિંઘ તો સરકારના કાળા નાણાં અંગેના પગલાંની પણ ટીકા કરે છે. તે કહે છે આ કાયદાથી કરવેરાનું ખાતું, જે સૌથી ભ્રષ્ટ છે તેની પાસે વધારે સત્તાઓ પહોંચશે.

સરકારે આ વર્ષને ‘ઉજવવાનું’ ઠરાવ્યું તો છે પણ તેને ‘સંવાદ’ એવું નામ આપ્યું છે. આ સંવાદનો ખાસ અર્થ છે, તે કેટલાક અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરોમાંથી નીપજે છે. ‘સેલ્ફ એસેસમેન્ટ ઓફ મોદી ગવર્નમેન્ટ ઓન વેરિયસ ડિલિવરેબલ્સ’ – SAMVAD – દ્વારા આ શબ્દ રચાયો છે. પણ સરકાર ખરેખર પોતાનું સ્વ-મૂલ્યાંકન કરવા જેટલી અગ્રતા અને ખુલ્લાપણું ધરાવે છે ખરી ? કેટલાક લોકો એટલા ‘સ્વાશ્રયી’ સ્વભાવના હોય છે કે પોતાના વખાણ જાતે જ કરી લેવાનું રાખતા હોય છે!

પેલી અગિયાર કરોડ પુસ્તિકાઓના વજન હેઠળ પિલાઈ જતી બાબતો ઘણી છે. જમીન સંપાદન, ખેડૂતોની આત્મહત્યા, વ્યાપક બેકારી, ક્રૂડ ઓઈલના ભાવઘટાડાનો પૂરતો લાભ ઉઠાવવાની અસમર્થતા વગેરેની એક ખૂબ લાંબી યાદી છે. હવે તેમાં આઈ.આઈ.ટી. મદ્રાસના કિસ્સામાં બન્યું તેમ અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ, ગુજટીકોકમાં સૂચવાયું છે તેમ વ્યક્તિસ્વાતંત્ર્ય સામે જોખમ, લંડન ઇકોનોમિસ્ટ સૂચવે છે તેમ સત્તાનું કેન્દ્રીકરણ, જુદા જુદા નેતાઓના હિન્દુત્વવાદી વિધાનો અને કામગીરીઓ વગેરે જેવી અનેક બાબતો દેશ માટે એક વિમાસણ પેદા કરે છે.

એક વર્ષ દરમિયાન સાચી દિશાનું ખાસ કશું થયું નહીં અને ઉપરથી સમાજના વિવિધ ધર્મો-સંપ્રદાયો વચ્ચેના સૌહાર્દને હાનિ પણ પહોંચી.

આર્થિક ક્ષેત્રે પણ ૧લી જૂનથી અમલમાં આવેલા વેટના નવા દરોથી ‘अच्छे दिन’ તો ઠીક, ગઈકાલને આજ કરતાં વધુ સારી ગણવી પડશે. મોબાઈલ ફોનનો વપરાશ, રેસ્ટોરાનું જમણ, મુસાફરી સહિતની અનેક સેવાઓ મોંઘી થઈ છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે સરકારે ધનવાનો ઉપરના સંપત્તિવેરાને નાબૂદ કરી ગરીબ અને મધ્યમ વર્ગ ઉપરના વેરા વધાર્યા છે.

ચૂંટણી સમયના કાશ્મીર, ચીન, પાકિસ્તાન વગેરે અંગેનાં વિધાનો અને વલણોને, સત્તા પામ્યા પછીની કામગીરી સાથે પણ સરખાવવાં જોઈએ.

આમ એક વર્ષ તો સરકારની કામગીરીના મૂલ્યાંકન માટે ખૂબ નાનો ગાળો જ ગણાય પણ જ્યારે સરકાર પોતાની પીઠ જાતે જ થાબડવાનો સ્વાશ્રય કરવા માંગતી હોય ત્યારે તેને ધ્યાનથી નીરખવાનો મોકો પણ આપોઆપ જ ઊભો થાય છે.

“નયા માર્ગ” ૧-૭-૨૦૧૫

Loading

...102030...3,5093,5103,5113,512...3,5203,5303,540...

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved