Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376303
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂડીવાદ સામાજિક મુક્તિદાતા કે પછી …

બિપિન શ્રોફ|Opinion - Opinion|6 October 2015

મૂડીવાદનો જન્મ આજકાલમાં થયો નથી. અમેરિકા તેનો જન્મદાતા નથી. માનવીની સામાજિક જરૂરિયાતમાંથી તે પેદા થયેલ છે. તે કોઈ એકલદોકલ વ્યક્તિ કે ઔદ્યોગિક એકમનું સર્જન નથી. જ્યારે કૃષિ આધારિત સામાજિક જીવનની અસરો જેવી કે માનવીના વ્યક્તિગત જીવન પર ધર્મ, રાજાશાહી અને સામંતશાહીની નાગચૂડ પકડનું સંપૂર્ણ વર્ચસ્વ હતું તેની સામે બળવા (રિબેલ) કે ક્રાંતિ તરીકે મૂડીવાદનો જન્મ થયો હતો. તેણે માનવીને ચર્ચ, જમીનદાર અને રાજા જે બધા ઈશ્વરી કૃપાના કાલ્પનિક દાવાથી અમાપ સત્તા ભોગવતાં હતાં તે બધાંને પડકારીને માનવને કેન્દ્રમાં રાખીને નવી સમાજ, રાજ્ય ને અર્થવ્યવસ્થાનું સર્જન કર્યું. આ રીતે મૂડીવાદ માનવમુક્તિનું પ્રેરકબળ બન્યો. મૂડીવાદના વિકસતા જતા સર્વ પ્રકારનાં પરિબળની મદદથી ક્રમશઃ માનવીએ રૂઢિચુસ્ત કુટુંબપ્રથા, પરંપરાગત ધંધાકીય આર્થિક વ્યવસાયો અને રાજાશાહી સામે લોકશાહી રાજ્યપ્રથાને ઉત્ક્રાંત કરી, કારણ કે તેના પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને તેનો વિકાસ કરવા માટે તે પ્રથા અનિવાર્ય હતી. મૂડીવાદ અને લોકશાહી બંનેના કેન્દ્રમાં માનવી હતો. જો કે માનવસમાજના આ વિકાસના તબક્કાને કૃષિવ્યવસ્થા અને તેના આધારે પેદા થયેલી સંસ્કૃિત(કલ્ચર)ને ઝડપથી હાંસિયામાં ધકેલી દઈને ઔદ્યોગિકીકરણ આધારિત જે સમાજ બન્યો. તે મૂડીવાદી સમાજ નહીં પણ ઔદ્યોગિક સમાજ બન્યો હતો. નવા સમાજનાં બધાં જ લક્ષણો જૂના કૃષિસમાજની વિરુદ્ધ એટલા માટે હતાં કે તે રેનેસાં-યુગની જ્ઞાનઆધારિત સંશોધનો ને માહિતીની નીપજ હતાં. મૂડીવાદ એ નવા ઔદ્યોગિક સમાજનું ચાલકબળ એટલા માટે બન્યો કે તેણે વિશ્વભરના સમાજોમાં છેલ્લાં દસ હજાર વર્ષોમાં શિકારયુગ ત્યજીને પેદા થયેલ માનવને કૃષિસંસ્કૃિતનો વિકલ્પ આપ્યો છે, જેને ખૂબ જ ઝડપથી સર્વત્ર સ્વીકારવામાં આવી રહ્યો છે.

હવે મૂડીવાદી અર્થવ્યવસ્થાના વર્તમાન સ્વરૂપનું પૃથક્કરણ કરીએ તે પહેલાં ઔદ્યોગિક સમાજના ચાલકબળ તરીકે મૂડીવાદે છેલ્લાં પાંચસો વર્ષોમાં માનવજાતને કૃષિયુગનાં દસ હજાર વર્ષોના સમયગાળાની સરખામણીમાં ક્યાં લાવીને મૂકી દીધી છે, તે વાસ્તવિક રીતે જોવાની જરૂર છે.

છેલ્લાં બસો વર્ષોમાં વિશ્વમાં ગરીબી માનવજાતનાં ત્રણ હજાર વર્ષના સમગ્ર સમયગાળાની સરખામણીમાં ખનિજતેલના ઉપયોગને કારણે ઘણી ઓછી થઈ છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતીલાયક અડધી જમીનમાંથી બધી ખેતીલાયક જમીન જેટલું ખેતઉત્પાદન સહેલાઈથી લઈ શકાય છે. વિશ્વનું ૬૦ ટકા ખેતઉત્પાદન ખનિજ તેલમાંથી પેદા થતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પર બિલકુલ આધારિત છે. સને ૧૯૮૧ પછીના ત્રણ દાયકામાં જેને ‘સંપૂર્ણ ગરીબ’, જેની પ્રતિદિનની આવક ૧ ડૉલર ને ૨૫ સેન્ટ છે, તે ૫૩ ટકાથી ઘટીને ૧૭ ટકાએ પહોંચી છે. ઓછી આવકવાળા દેશોમાં જે લોકોનું સરેરાશ આયુષ્ય ૨૫થી ૩૦ વર્ષ હતું તે વધીને ૬૨ વર્ષે પહોંચ્યું છે. રાસાયણિક ખાતરોના ઉપયોગ સિવાય આજની આશરે ૬ અબજ કરતાં વધારે વસ્તીને અનાજ પૂરું પાડવા આખા દક્ષિણ અમેરિકાખંડ અને યુરોપીય યુનિયનના દેશોની તસુએ તસુ જમીનનો ઉપયોગ કરવો પડે તો પણ તેટલું અનાજ ઉત્પાદન લઈ શકાય નહીં. આ ઉપરાંત સામૂહિક શિક્ષણ, આરોગ્ય, વૈજ્ઞાનિક શોધો, વાહનવ્યવહારનાં સાધનોની વૈશ્વિક સગવડ, પ્રમાણમાં કાયદાનું શાસન આવી-ગણી ગણાય નહીં તેવી શોધો ને સગવડો મૂડીવાદે ઔદ્યોગિક સમાજના માળખામાં રહીને પૂરી પાડી છે.

મૂડીવાદના બે અગત્યના પાયાના આધારસ્તંભો છે ઉત્પાદન અને વહેંચણી (પ્રોડક્શન ઍન્ડ ડિસ્ટ્રિબ્યૂશન). માનવીય શોષણનો મુદ્દો ‘વહેંચણી’માં આવે છે. કાર્લ માર્ક્સથી માંડીને ઘણા બધાનું તારણ છે કે ઉત્પાદનની પ્રવૃત્તિ, જમીન, યંત્રો કે મૂડી કરતી નથી, પણ તે બધાં જ ઉત્પાદનનાં સાધનોનો ઉપયોગ કરતા ‘માનવશ્રમ’નું પરિણામ છે. માનવશ્રમની મદદથી જે કુલ ઉત્પાદન થાય છે તેના કરતાં ઘણું બધું ઓછું વળતર વેતન તરીકે માનવશ્રમ કરનાર મજૂરને મળે છે. આ મુદ્દા ઉપર કદાચ કાર્લ માર્ક્સ જેટલું તાર્કિક પૃથ્થકરણ ભાગ્યે જ બીજા કોઈએ કર્યું છે. પણ તેમાં આજના ઔદ્યોગિક સમાજે એકત્ર કરેલી બચત-સરપ્લસમાંથી મૂડીવાદે પેદા કરેલ ભૌતિક શ્રમ બચાવનાર સંશોધનો, રિસર્ચ અને કમ્પ્યૂટર, ઇન્ટરનેટ ને મોબાઇલ કે સેલફોન જેવી કૉમર્શિયલ ચીજવસ્તુઓનો ફાળો ફક્ત અગત્યનો અને ચાવીરૂપ છે.

માર્ક્સે પોતાના પુસ્તક ‘થિયરી ઑફ સરપ્લસ વૅલ્યુ’(દાસ-કૅપિટલના ત્રણ ભાગમાંના એક ભાગ તરીકે)માં મૂડીવાદી અર્થવ્યવસ્થા પોતાનાં આંતરિક પરિબળોની વિરોધાભાસી સક્રિય કામગીરીથી તૂટી પડશે તે સમજાવ્યું છે. તેમાં કેવી રીતે મૂડીવાદ ‘ઓછું આપવું અને વધુ એકત્ર કરવું’ તેવાં સ્વભાવગત લક્ષણોને કારણે એક એવી સ્થિતિએ (પાછા આવી ન શકાય કે વળી ન શકાય) પહોંચશે, જેમાં બેકારોની અનામત ફોજ (ઇન્ડસ્ટ્રિયલ રિઝર્વ આર્મી)ને કારણે માંગની મંદી સર્જાતાં મૂડીવાદી વ્યવસ્થા આપમેળે જ તૂટી પડશે. શોષિતો જ શોષણ કરનારાઓને પૂરા કરી દેશે.

માર્ક્સના તારણો કેમ ખોટાં પડ્યાં તેની વિગતોમાં જવા માટેનો આ લેખનો હેતુ નથી, પણ ઔદ્યોગિક સમાજવ્યવસ્થાએ પેદા કરેલ મૂડીવાદે હજુ તેની ક્રાંતિકારી ગતિશીલતા ગુમાવી દીધેલ નથી. છેલ્લાં એકસો પચાસ વર્ષોમાં માર્ક્સે જે કામદારો અને મધ્યમવર્ગની સ્થિતિનું તારણ કાઢ્યું હતું તેના કરતાં બિલકુલ વિપરીત આર્થિક અને સામાજિક સ્થિતિનું સર્જન આધુનિક મૂડીવાદની મદદથી ઔદ્યોગિક દેશોમાં અસ્તિત્વમાં આવેલા કલ્યાણરાજયના અર્થતંત્રે (વેલફેર સ્ટેટ ઇકોનોમિક્સ) કર્યું છે. આ બધા દેશોનો કામદાર અને મધ્યમવર્ગ માર્ક્સે પોતાના મૂડીવાદનાં તારણોમાંથી ઉપજાવેલો વંચિતોનો છડીદાર કે અગ્રેસર બન્યો નથી. માર્ક્સના શ્રમજીવી ક્રાંતિના સિદ્ધાંતોને પ્રમાણમાં અમલમાં મૂકવાનો પ્રયત્ન કરતાં સોવિયેટ રશિયા અને પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદી ક્રાંતિની કસુવાવડ એટલા માટે થઈ ગઈ કે તેઓએ માર્ક્સના એ તારણમાં દૃઢ વિશ્વાસ રાખ્યો કે મનુષ્ય ફક્ત ‘આર્થિક પ્રાણી છે અને તે તેના જન્મની સાથે દાતરડું અને હથોડી લઈને જન્મેલો છે.’

૨૧મી સદીનો મૂડીવાદ વૈશ્વિક છે. તેણે રાષ્ટ્ર-રાજયની રાષ્ટ્રીય અને ભૌગોલિક સીમાઓ અપ્રસ્તુત બનાવી દીધી છે. તેના આર્થિક, વહીવટી અને માળખાગત સંચાલન માટે આધુનિક શૈક્ષણિક કુશળતા કે નિપુણતા પ્રાપ્ત કરેલ વિકેન્દ્રિત, ભાગીદારીવાળી માનવીય નિર્ણયપ્રથા અનિવાર્ય બની છે. તે સર્વ પ્રકારનાં માનવીય અને કુદરતનાં ક્ષેત્રોમાં નિરંતર વિકસતા જતા જ્ઞાન-વિજ્ઞાનની નીપજ છે. આર્થિક ક્ષેત્રે ભલે તેનું સ્વરૂપ રાક્ષસી કદનું બન્યું હોય પણ તેના સંચાલનનું સત્તાકીય માળખું તો વધુ ને વધુ વિકેન્દ્રિત બન્યું છે અને હજુ બનતું રહેવાનું છે. તે અઢારમી સદીના પેલા પોલિટિકલ ઇકોનૉમિસ્ટ એડમ સ્મિથના શ્રમ – વિભાજનના (ડિવિઝન ઑફ લેબર) સિદ્ધાંતના કાર્યક્ષેત્રની બહાર ક્યારે ય જઈ શકશે નહીં. જે આર્થિક પ્રવૃત્તિ શ્રમવિભાજન સિદ્ધાંતને આધારે સર્વપ્રકારનાં શિખરોને આંબવાની નેમ રાખીને પ્રગતિ કરતી હોય તે સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં નિર્ણયો અને સત્તાનું કેન્દ્રીકરણ કે આપખુદશાહીવાળાં વ્યવસ્થાકેન્દ્રોને લાંબા સમય સુધી ચલાવી શકે જ નહીં.

ઔદ્યોગિક સમાજના ચાલકબળરૂપ મૂડીવાદ, ૧૭ અને ૧૮ સદીનાં માનવમૂલ્યો કેન્દ્રિત રેનેસાં ચળવળનું પરિણામ છે. જ્યાં સુધી તેનાથી માનવમૂલ્યો આધારિત સશક્તીકરણની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, ત્યાં સુધી તે જીવંત રહેશે. તેની અપ્રસ્તુતતા પેદા કરવા માટે આપણે ભૂતકાળનાં યશગાન ગાવાને બદલે તેનાથી વધુ શક્તિશાળી સૌપ્રથમ તો વૈચારિક રચનાત્મક ભૂમિકા તો તૈયાર કરવી પડશેને!

[16 સપ્ટેમ્બરના અંકમાં ડૉ. ભરત શાહના લેખ 'મૂડીવાદની માયાજાળ'ના પ્રતિભાવરૂપે]

e.mail :shroffbipin@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 06-07 

Loading

વિપ્રયાસ

જ્યોતિભાઈ દેસાઈ|Opinion - Opinion|6 October 2015

આયરિશ ટાપુમાં ૨૦મી સદી દરમિયાન જે રાજકીય પરિસ્થિતિ હતી અને તેને પરિણામે જે આતંકયુક્ત માહોલ સર્જાયો હતો. તે અંગેનો ટૂંકો ઇતિહાસ રજૂ કરવો જરૂરી લાગવાથી આ રજૂઆતમાં પ્રારંભે ત્યાંના પ્રાપ્ત સંઘર્ષની વિગત મૂકવી પડી છે. આશા છે, તેથી વાચકને યોગ્ય સંદર્ભ મળી જશે …

બ્રિટનની સરકારે ૧૯૨૨ની સાલમાં એક સંધિ કરીને ‘સ્વતંત્ર આયરિશ રાજ્ય’ માન્ય કર્યું, ત્યારે જ આયર્લૅન્ડના ટાપુનો ૧/૬ ભાગ ‘ઉત્તર આયર્લૅન્ડ’ના પ્રાંતને નામે, બ્રિટનની પાર્લામેન્ટને આધીન રાખ્યો હતો. તેથી જ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી પાછા ફરેલાં સૈનિકોએ અને સ્થાનિક સદ્ભાવ ધરાવનાર લોકોએ તે સંધિનો વિરોધ કર્યો હતો. આમ, ઉત્તર આયર્લૅન્ડમાં ‘વફાદાર’ [loyal] અને વિરોધીઓ એવા બે તડા પ્રજામાં ઊભા થયા. અને સંપૂર્ણ ટાપુ આયર્લૅન્ડના પ્રજાસત્તાકનો જ ગણવો જોઈએ. તેવું માનનારા વિરોધીઓએ હિંસક યુદ્ધ જ છેડ્યું હતું. તે યુદ્ધ ત્રણ દાયકાઓથી વધુ સમય સુધી ચાલતું રહ્યું હતું. તેમાં ૩,૦૦૦થી વધુ માનવોની હત્યા થઈ હતી અને પચાસ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આગળ ચાલતાં ઠેઠ ૧૯૯૮ની સાલમાં શાંતિસ્થાપનના કરાર ઉભયપક્ષે સ્વીકાર્યા. જેમાં આયર્લૅન્ડની પ્રજાસત્તાક રાષ્ટ્રે એ સ્વીકાર્યું કે જ્યારે ‘ઉત્તર આયર્લૅન્ડ’ પ્રાંતની બહુમતી પ્રજા પ્રજાસત્તાક રાજ્યમાં ભળી જવાનો નિર્ણય કરે, ત્યાં સુધી ભલે તે બ્રિટિશ પ્રાંત તરીકે યથાવત્ રહે.

ઈસુખ્રિસ્તના વધનો દિવસ ‘ઈસ્ટર’ – ગુડફ્રાઇડે અત્યંત મહત્ત્વનું દુનિયાભરમાં ઊજવાતું ખ્રિસ્તી લોકોનું પર્વ. તેમાં પણ કૅથોલિક ચુસ્તપંથી આયરિશો અને ઉત્તર આયર્લૅન્ડના પ્રોટેસ્ટન્ટ પંથીઓ પોતપોતાની સમજણોને પ્રગટ કરવાને અગ્રણી થતાં રહે. તેથી જ એ દિવસો દરમિયાન વધુ હિંસા થશે જ એવી સંભાવનાઓની શક્યતાને કારણે જ ૧૯૭૫માં બ્રિટિશ સરકારે બહુ જ કડક સુરક્ષાના પ્રબંધ કરેલા હતા. એવા એ દિવસોમાં હું ચાર અઠવાડિયાં ક્વેકરપંથી શાંતિકાર્ય કરનારા મિત્રો(Friends)ના પ્રયત્નોમા જોડાવાં અને તેમની રસમો સમજવા ‘બેલફાસ્ટ’ નામના ઉત્તર આયર્લૅન્ડના પ્રમુખ શહેરે પહોંચ્યા હતા.

‘બેલફાસ્ટ’ શહેર તો બંને પક્ષના સામસામા હલ્લાઓ કરવાના કેન્દ્રમાં જ ગણાતું. લિવરપુલ બંદરેથી રાત્રે બેસીને સવારે સાતેક વાગે બંદરે ઊતર્યો હતો. બેલફાસ્ટમાં શ્રીમતી વ્હીટલે અને મિસ્ટર વિરલે (૬૦ અને ૬૫ વર્ષની ઉંમરનાં) મારાં યજમાન હતાં. તેઓ મને લેવાં તો આવેલાં, પરંતુ અમે એકબીજાંને ઓળખી જ ના શક્યાં અને મારે ‘બેલફાસ્ટ’ શહેરનું સ્વતંત્ર રીતે દર્શન કરીને તેમને ત્યાં પહોંચવાનું થયું.

સંપૂર્ણ શાંત! સુમસામ! કહો મૃત્યુ પામેલું જ શહેર ભાગ્યે જ લગીરેક કોઈ હલનચલન. ટૅન્કો, બખ્તરગાડીઓ અને ખૂણે-ખૂણે મિલિટરીનો દોરદમામ. વાસ્તવમાં કર્ફ્યુ જ હેઠળ હોય તેવો માહોલ! કોઈ કરતાં કોઈ દુકાન ઊઘાડી નહીં. અર્ધું ખૂલેલું કાંઈક ક્યાં ય હોય બધે જ બધે પતરાં જ જડેલાં. કાર્ડબોર્ડ પર આક્રમક સૂત્રોથી ઊભરાતું. મોટા જંગી સ્ટોર ખરા, પરંતુ તે બધા પણ વાસ્તવિક સ્થિતિસમા જ. ક્યાં ય કાચના શો કેસ તો હોય જ શેના ? એક જ વ્યક્તિ પરાણે પ્રવેશ કરી શકે તેટલું જ બારણું ખૂલેલું રખાય. વળી બહાર અને અંદર સંરક્ષકો પ્રવેશ કરનારની પૂરી જડતી જ લે! વિજળીક યંત્રથી ક્યાં ય હથિયાર નથી સંતાડ્યું તેની ખાતરી કરે. પ્રવેશ મેળવ્યા પછી પણ બીજી વાર તપાસ થાય! આવું મિલટરીના સૈનિકોની મહેરબાની ઉપર શ્વાસ લઈને જીવવા મથતું બેલફાસ્ટ નગર મેં જોયું.

મારી પાસેના પ્રાપ્ત સરનામાના આધારે વ્હીટલે દ્વયના દ્વારે પહોંચ્યો તો ખરો. પણ પ્રવેશદ્વાર જ ના જડે. જૂનું ગૅરેજ હશે તેવો ભાસ થાય. વળી, ત્યાં રસ્તે તો કોઈ જનાર-અવનાર હોય નહીં. ‘ક્યારેક તો કાંઈક થશે, કોક તો આવશે !’ એમ વિચારી તો કલાકેક ત્યાં ઊભો રહ્યો. ત્યાં મારા યજમાનની ગાડી આવીને ઊભી. શ્રીમતી વ્હીટલેએ મને કહ્યું. ‘માફ કરજો ! તમે ઓળખાયાં નહીં. અમે બહુ ધ્યાનથી બંદરે તમને ઓળખવાં મથેલાં. બહુ થોભવું પડ્યુંને?’ કોઈએ પજવ્યાં નથીને ?”

‘ના, બહેન અહીં જાતે પહોંચ્યો, પણ ક્યાંથી પ્રવેશ કરાય કે કેવી રીતે સંપર્ક કરાય તેટલો જ પ્રશ્ન મને હતો.

‘ખરી વાત છે. અહીં આવું તારે ઘણું અનુભવવાનું બાકી છે.’

વ્હીટલે દ્વયે નક્કી કરેલા મારા કાર્યક્રમ મુજબ મને પહેલું અઠવાડિયું બેલફાસ્ટ વિશેષ વસતિમાં રહેવાનું યોજ્યું હતું. મને બીજે દિવસે ત્યાં પહોંચાડી દીધો. એ નિવાસ એક ખરે જ સામાન્ય પરિવારમાં હતો. વિસ્તાર આખો માનો ઝૂંપડપટ્ટી સમાન જ. આવામાં જ તો તોફાની, આતંકીઓ છુપાઈ, ગોઠવાઈ રહેતા હોય ને! અને તેથી પણ શાંતિકાર્ય પણ ત્યાં જ કેન્દ્રિત કરવું જરૂરીને! એ નિવાસે રાત્રીભોજન પછી બાર કે તેર ભાઈઓ મળવા / વિચારવા આવ્યા હતા. હું કોણ?  શું કામ આવ્યો છું આદિ-આદિ મારી પૂછતાછ, સમજણ, કચાશ બધું જાણવાનો પ્રયત્ન તે બધાએ મળીને કરી હતી. આખરે એ સાત દિવસમાં શું-શું મારાથી કરાય, તેનું તેમણે આયોજન કર્યું. મારી સંમતિ લીધી!

બીજે દિવસે સવારે નાસ્તા પછી મારા યજમાન મને લઈને નીકળ્યા. એમના ઘરેથી થોડાક પહોળા રસ્તા ઉપર અમે પગ મૂક્યો, ત્યાં મિલિટરીની ગાડી સીધી મારી ઉપર જ ચલાવી દેવા આવી હોય એમ આવી ઊભી. ક્ષણવારમાં તો બે સૈનિકોએ મારી બે પડખે ગોઠવાઈ ગયા અને મારા માર્ગદર્શક ઉપર પ્રશ્નોની ઝડી જ છોડી. મને તો ઉપાડીને લઈ જવાની તૈયારીમાં, તેમ જ ગુસ્સાપૂર્ણ કડકમાં કડક ધમકીઓ. ગાળોનો વરસાદ જ મારા ઉપર ચાલુ થઈ ગયો. ‘બહારનો કોઈ આ વિસ્તારમાં અમારી જાણબહાર હોઈ જ કેવી રીતે શકે?’ એ જ એ સૈનિકોની ભૂમિકા મારી સંપૂર્ણ જડતી લીધી.

મારા મિત્રે અત્યંત સ્વસ્થતાથી હું કોણ અને શા માટે આવ્યો છું તે સમજાવ્યું, મારો પાસપૉર્ટ તપાસાયો. મને ફરી તપાસી લીધો ને જવા દીધો. આખરે અમે જ્યાં પહોંચવા માંગતા હતા, ત્યાં પહોંચ્યા. તે ખંડ હશે ૧૨x૧૬નો અડધો પતરથી અડધો પૂંઠાથી મઢેલો. ત્યાં તો જુવાનિયાઓ હતા! યોગાસન કરતા! નવ જણાં. અને એક તેમના માર્ગદર્શક! યુદ્ધને મોરચે, બેલફાસ્ટની ઝૂંપડપટ્ટીમાં ‘યોગાસનનો વર્ગ’ ચાલતો હતો.

જે ધૈર્ય તેમ જ સૌમ્યતમ શબ્દો ઉચ્ચારીને ૩૦ એક વર્ષની ઉંમરનો માર્ગદર્શન આસનો કરાવતો હતો, તેથી હું તો જિતાઈ જ ગયો. મને તેઓએ કહ્યું, ‘ભારતીય છો, તો તમે તો આસન કરતાં જ હશોને ?’ આટલા વિધાનથી ત્યાં ઉપસ્થિત સૌએ આપી આનંદ વ્યક્ત કર્યો અને જે પ્રેમભરી આંખે આવકાર આપી નવાજ્યો, તે દૃશ્ય આ લખું છું, ત્યારેય યથાવત્ મગજમાં સંગ્રહાયેલું છે.

‘ના! ભાઈ, હું કોઈ યોગાસનનો અભ્યાસી નથી.’ ક્યારેક જ પ્રાણાયામ કરી દઉં ખરો.

“અરે! તો તો તે જ કરી બતાવોને!”

પૂર્ણ પલાઠી વાળીને બેસવાનું આપણને તો સહેલું જને! પછી ઊંડો શ્વાસ લેવો. પકડી રાખવો, ધીરે-ધીરેથી મુક્ત કરવો એમ કરવા માંડ્યું. ત્યારે તેમાં થઈ રહેલી તમામે તમામ પ્રક્રિયાની વાતો માર્ગદર્શક મિત્રે તેમના સાથીઓના ધ્યાન ઉપર મૂકી અને તે સૌએ મને ત્યાર પછી વધાવ્યો!

આમ, યુદ્ધસ્થળે શાંતિકાર્ય – શાંતિસ્થાપનનું સાધન તે જ યોગાસન!

ઝૂંપડપટ્ટીને ખૂણે, આડીઅવળી જે મળી તેવી જગ્યાએ સંપૂર્ણ સ્વસ્થતાથી સૌમ્યતમ વાતાવરણ સર્જીને આ યોગાસનો કરનારું યુવકોનું જૂથ જોવું એ રોમહર્ષણ દૃશ્ય જને!

તેની તોલે ૨૧મી જૂન ૨૦૧૫ને દિવસે સરકારી આ દેશો તેમ જ સંખ્યાકીય, અપેક્ષાઓ આધારિત ગોઠવવામાં આવેલા તમાશાને કયા ત્રાજવે તોલી શકાય?

રમત્યુ મંડાણી જીવણજૂઠડી
કાચી રે માટી કામય નીંગળતી
મટુકી કાણી રે જીવણ જૂઠડી.
(બાલજી કાનપરિયા, ૧૯૪૩)

મન અને શરીરને સ્વસ્થ કરવાના પ્રયત્ન માટે યોગાસનો જમાનાઓથી વપરાતાં રહ્યાં છે. દુનિયાભરમાં કેટકેટલી ય સંસ્થાઓ અને આરોગ્યધામોમાં યોગાસન પ્રચલિત જ છે. વ્યક્તિ યોગાસન દ્વારા પોતાના શરીરને જ નહીં, પરંતુ જીવનને યોગ્ય દિશાએ વાળવા અને સ્વસ્થજીવનનો પાયો રચવામાં ઉપયોગ કરી શકે તે શક્ય છે. એમાં મુખ્ય શરત તો સ્વનિર્ણયથી વિચારપૂર્વક તે પ્રક્રિયા દ્વારા જીવનમાં ઊંડા ઊતરવાનું નિહિત છે.

માતાપિતાના આગ્રહથી કે કોક વડીલના આદેશથી યોગાસન કરવાનું યોજાય તો તે જીવનમાં ખપ આપી શકે તે સંભવ નથી. કુદરતી ઉપચારમાં અનેક વાર જઈ આવનાર વ્યક્તિ ત્યાં દસ દિવસ કે મહિનો માસ ગાળે ત્યારે આવા યોગાસન કરવાનું સ્વીકારી લે છે. પણ ત્યાંથી નીકળ્યા પછી તો યાદે નથી રહેતું કે કોઈ આસન કરીએ!

બિહારનાં નાનાં-નાનાં ગામોમાં ‘અંતકડી’ની બેઠકો યોજાતી હોય છે. એમાં એક એવી શરત છે કે રામયાણની તુલસીકૃત ચોપાઈ કે દોહાનો જ ઉપયોગ કરવો જરૂરી છે. એ પરંપરામાં પાંચ, છ કે તેર વર્ષ સુધીની ઉંમરની બાળાઓ અને બાળકો ઠીક પાવરધાં સામે આવે છે અને તે ચોપાઈ કે દોહો સમૂહ પણ ઝીલવા લાગે છે. એ જ બિહારના મસુહરીમાં JPને ‘આમનેસામને’નો કાર્યક્રમ યોજ્વો પડ્યો. ગામનાં ગામ નક્ષલી હિંસાને આવકારી બેઠા અને સર્વોદયી મિત્રોની હત્યાઓને પણ જીરવી શક્યા??

આપણી શાળાઓમાં કે શિક્ષણના અભ્યાસક્રમમાં મુકાયેલો વિષય પછી તે ભૂગોળ હોય, બીજગણિત કે સંસ્કૃત કે યોગાસન, પોતાના જીવનમાં ઉપયોગમાં લેવાને બદલે તે તિરસ્કૃત થઈ ઉપહાસનું સાધન બનાવી દેવાય છે. સુખ્યાત જ્હૉન ડ્યૂઈ જેવા શિક્ષણશાસ્ત્રી તે વિષે કહે છે ‘હાશ! છૂટ્યા!’નો ભાવ કેળવવા આ વિષયો ગણી કાઢવામાં આવે છે.

યોગાસન કસરત નથી. શરીરનાં અંગ-ઉપાંગની લવચિકતા દર્શાવવાનો કે કુસ્તીબાજો શો ખેલ પણ નથી. યોગાસનમાં શ્રેષ્ઠતા સાથે જોડાવાનો પ્રયત્ન કરવા મથવાનો અભિગમ છે.

ઇલોરાની ગુફામાં બુદ્ધ ભગવાનની સ્વચ્છ, સૌમ્ય, આનંદથી ઊભરાતી મુદ્રાવાળી પૂર્તિ ધ્યાન પર લઈએ. બુદ્ધના એ મૌનમાં સાવ નજીવું – કહો અલ્પતમ હાસ્ય પણ દર્શાવેલું છે. કારણ તેઓએ પૂર્ણતાના દર્શન કર્યાનો પરમસંતોષ સાધ્યો છે. તેઓએ જીવનને-ભગવાનને નકારીને પણ માનવ કેટલો આત્મસ્થ અને દયાવાન તેમ જ સમાજને પણ સ્વસ્થતા પ્રાપ્ત કરાવી આપવામાં યશસ્વી થઈ શકે, તેનો અંદાજ તેઓને પ્રાપ્ત થયો હોય છે.

આવી સાધના કરાવી દેવી કે ‘મેં કર્યું!’ ભારતની ભેટ જણાવવાનું સાધન બનાવવું, એ તો વિપ્રયાસ અને વિપ્રયાસ જ!                  

(વેડછી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 07-08

Loading

ગુજરાતી સાહિત્ય પરિષદને સો વર્ષ, પછી?

રમણ સોની|Opinion - Literature|6 October 2015

આઠમા દાયકાના ઉત્તરાર્ધમાં, પરિષદના પોતાના મકાન ‘ગોવર્ધન-ભવન’નું નિર્માણ થયું. ‘નદીકિનારે’ એવું એનું સરનામું શોભતું હતું. એ જ વર્ષોમાં ગુજરાતી સાહિત્યના સંપાદિત ઇતિહાસના ચાર ખંડો (૧૯૭૩થી ૧૯૮૧) તૈયાર થઈ ચૂક્યા હતા અને ઉમાશંકર જોશીએ એમાં સીધો, સક્રિય રસ લીધો હતો. તે અગ્રણી સંપાદક હતા, એટલું જ નહીં, નરસિંહ મહેતા વિશેનું એક પ્રકરણ પણ એમણે એમાં (ખંડ-૧માં) લખેલું. એ જ અરસામાં (૧૯૮૦) ‘ગુજરાતી સાહિત્યકોશ’ની યોજના આરંભાઈ હતી. જયંત કોઠારી જેવા ઉત્તમ સંશોધક વિદ્વાનની એના મુખ્ય સંપાદક તરીકે વરણી થઈ હતી. ત્રણ ખંડમાં પ્રકાશિત આ સાહિત્યકોશને પરિષદનું કદાચ એક સૌથી વધારે મહત્ત્વનું પ્રદાન ગણવાનું થશે. ૧૯૮૨ આસપાસ પરિષદ-સંચાલિત સંશોધનની સંસ્થા તરીકે ક.લા. સ્વાધ્યાયમંદિર રચાયું ને ચંદ્રકાન્ત શેઠ એના પહેલા નિયામક થયા. ભાષાવિજ્ઞાન વિશેનું જ એક સ્વતંત્ર સામયિક ૧૯૭૮થી હરિવલ્લભ ભાયાણીના સંપાદન-માર્ગદર્શનમાં પરિષદે આરંભેલું જે ચંદ્રકાન્ત શેઠ અને પછી ચંદ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં ભાષાવિજ્ઞાન ઉપરાંત સાહિત્યવિવેચનવિચારના સામયિક તરીકે ચાલતું રહ્યું. પરિષદની આ એક ગૌરવ-પ્રતિષ્ઠ પ્રવૃત્તિ હતી. સાહિત્યકોશનો પ્રથમ ખંડ ૧૯૮૯માં પ્રગટ થયો …

ઊંચી સાહિત્યવિવેચન-સજ્જતા ઉપરાંત વહીવટી ક્ષમતા ધરાવતા ચંદ્રકાન્ત ટોપીવાળા ક.લા. સ્વાધ્યાયમંદિરના નિયામકપદે આવ્યા ને એમણે પરિષદમાં વિદ્યાપ્રવૃત્તિનો હાથ ઉપર રાખ્યો. ક.લા. સ્વાધ્યાયમંદિરના અન્ય સંશોધકોને સાથે રાખીને – ૧૯૮૬માં ‘સાહિત્યસંજ્ઞા કોશ’ અને એની પૂર્તિરૂપે, ૧૯૮૮માં ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ’ એમણે કરી આપ્યા અને સાહિત્યકોશનો બીજો(૧૯૯૦)ને ત્રીજો (૧૯૯૬) ખંડ પ્રગટ કર્યા. ક.લા. સ્વાધ્યાયમંદિરની, સાહિત્ય-સંશોધનની સંસ્થા તરીકે કાર્યક્ષમ પ્રસ્તુતતા ઊભી થતી રહી ને એણે પરિષદનું ગૌરવ વધાર્યું.

આ દાયકાઓ દરમિયાન પરિષદ મંત્રી રઘુવીર ચૌધરી એમની વહીવટી દક્ષતાથી ને વ્યવહારપટુતાથી પરિષદની લોકાભિમુખ પ્રવૃત્તિઓ તેમ જ એની વિદ્યાભિમુખ પ્રવૃત્તિઓને સંકલિત કરતા રહ્યા. પરિષદ ભવન ઊભું કરવામાં પણ એમની સક્રિયતાનો ફાળો ઘણો મહત્ત્વનો હતો. પરંતુ પછી વહીવટીતંત્ર પર વધુ ભાર મૂકાતો રહ્યો, એમાં ય એમનો ફાળો જ મહત્ત્વનો બનતો રહ્યો. ઉપર ઉલ્લેખાયેલ સમયગાળામાં પણ આ વહીવટી દાબનો અનુભવ, એમાં કાર્યરત વિદ્વાનોને પણ થતો રહેલો.

વિદ્યાપ્રવૃત્તિ મંદ કે નબળી પડતી જાય ને કેવળ તંત્ર-પરકતા વધતી જાય, ત્યારે સાહિત્યસંસ્થાને સામાજિક રાજકીય સંસ્થાથી જુદી પાડવી મુશ્કેલ બનતું જાય. સંસ્થાને એક શિખરે પહોંચાડ્યા પછી અગ્રણી પાછો વળી જાય ને બીજાઓની ક્ષમતાને માર્ગ કરી આપે એ ઇષ્ટ પરંપરા ન પળાઈ. મંત્રી રૂપે, ખજાનચી રૂપે, પ્રમુખ રૂપે, ટ્રસ્ટી રૂપે રઘુવીર કેન્દ્રમાં જ રહેતા ગયા (ટ્રસ્ટી પણ બધી જ સભા-બેઠકો-સમિતિઓમાં પોતાની સક્રિય ઉપસ્થિતિ રાખે એવી ‘પરિપાટી’ સુદ્ધાં એમણે ઊભી કરી). અર્પણને કેવળ અને કેવળ વિધાયક રહેવા દેવું જોઈએ – એ ન થયું. સંગીન વિદ્યાપ્રવૃત્તિનો અભાવ (ગયા આખા દાયકા ઉપર) વિસ્તરતો ગયો ને વહીવટકારની મુદ્રા પ્રભાવક બનતી ગઈ …

[‘પ્રત્યક્ષ’, ઑક્ટોબર – ડિસેમ્બર ૨૦૦૫]

e.mail : ramansoni46@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 12

Loading

...102030...3,5103,5113,5123,513...3,5203,5303,540...

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved