સાહિરમાં બે અગન જલતી – એની કલમમાંથી બે અદમ્ય પોકાર ઊઠતા – શોષિત માનવતાનો અને બળકટ પ્રેમનો. આ બંને સાથે ઉમેરાતું જિંદગી જોઈ ચૂકેલા ફિલસૂફનું ગાંભીર્ય. સાહિરનાં ગીતોએ સામાન્ય દર્શકોને જોઈતું મનોરંજન તો પૂરું પાડ્યું; સાથે વિશિષ્ટ ચિંતકવર્ગને પણ ઉત્સાહિત કર્યો …
યશ ચોપરા નવા નવા મુંબઈ આવ્યા ત્યારની વાત. મોટા ભાઈ બી.આર. ચોપરા ફિલ્મોમાં જામી ગયા હતા. બે ભાઈઓ વચ્ચે ઉંમરનું ખાસ્સું અંતર. તેમણે લાડથી યશને પૂછ્યું, ‘બોલ, કોને મળવું છે? રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ – તું કહે તેની સાથે મુલાકાત ગોઠવી આપું.’ યશ બોલ્યા, ‘તો મારે એક કવિને મળવું છે. નામ સાહિર લુધિયાનવી.’ યશ લુધિયાણા અને લાહોરમાં રહેલા, સાહિરની આગઝરતી કલમની ત્યાં જબરદસ્ત લોકપ્રિયતા હતી. એક રચનાએ તો એવો ઝંઝાવાત સર્જેલો કે યુવાન યશ બીજી કોઈ સેલિબ્રિટીને નહીં, સાહિરને મળવા માગતા હતા. આ સાહિરનો જન્મદિન 8 માર્ચના ગયો. આ જ દિવસે મહિલા દિન પણ હતો. સ્ત્રીના મનને અને એની પીડાને સાહિર જેટલું ભાગ્યે જ કોઈ સમજી શક્યું છે.
જે રચનાએ લાહોરમાં ઝંઝાવાત સરજેલો તેમાં સાહિરે શાસનની ક્રૂરતા અને કઠોરતા માણસને ક્યાં સુધી દબાવી શકશે એવો સવાલ ઉઠાવેલો : દબેગી કબ તલક આવાઝ-એ-આદમ હમ ભી દેખેંગે, રુકેંગે કબ તલક જઝબત-એ-બરહમ હમ ભી દેખેંગે, ચલો યું હી સહી યે ઝોર-એ-પયામ હમ ભી દેખેંગે, દર-એ-ઝિંદાન સે દેખેં યા ઉરુઝ-એ-દર સે દેખેંગે, તુમ્હેં રુસવા સર-એ-બાઝાર-એ-આલમ હમ ભી દેખેંગે …’ સત્તા અને દમનને સરેઆમ બદનામ કરવાનો પડકાર આપનાર 22-23 વર્ષના સાહિરના કોમ્યુનિઝમે 49માં તેને લાહોર છોડાવ્યું. સાહિર મુંબઈ આવી ગયા અને ફિલ્મી ગીતોના માધ્યમથી લોકો સુધી પોતાના દિલની અગન પહોંચાડતા રહ્યા.
આ અગનનો બીજો ચહેરો પણ હતો – શોષિત માનવતાના પોકાર જેવો જ અદમ્ય પ્રેમનો પોકાર પણ સાહિરની કલમમાંથી ઊઠતો. જેટલી સહજતાથી ‘વો સુબહ કભી તો આયેગી’ લખે એટલી જ સહજતાથી ‘દેખિયે આપને ફિર પ્યારસે દેખા મુઝકો’ લખી શકે. આ બંને સાથે સાહિરમાં એક ફિલસૂફનું ગાંભીર્ય પણ હતું. એમનું મૂળ નામ અબ્દુલ હાયી. જમીનદાર પિતા ફઝલ મોહંમદે બીજી સ્ત્રીને માટે સાહિરની મા સરદાર બેગમને છોડી. મા-દીકરો રઝળતાં થઈ ગયાં. એકલી માની વેદના અને મક્કમતા એમણે ‘મૈં તુઝે રહમ કે સાયે મેં ન પલને દૂંગી, જિંદગાની કી કડી ધૂપ મેં જલને દૂંગી, તાકિ તપ-તપ કે તૂ ફૌલાદ બને, માં કી ઔલાદ બને … તૂ મેરે સાથ રહેગા મુન્ને’ ગીતમાં વર્ણવી છે. અને સ્ત્રીની વેદના એમની આ રચનામાં વર્ણવાઈ છે, ‘લોગ ઔરત કો ફકત જિસ્મ સમઝ લેતે હૈં, રૂહ ભી હોતી હૈ ઉસમેં વો કહાં સોચતે હૈં’
એમના પ્રથમ સંગ્રહનું નામ હતું ‘તલ્ખિયાં’ હતું. બીજા સંગ્રહનું નામ ‘ગાતા જાયે બનજારા’. બંને નામ સૂચક છે. વિદ્રોહ અને રોમાન્સ એમની જિંદગીમાં સમાંતર ચાલ્યા છે અને એમની કલમમાંથી સમાંતરે નીતર્યાં છે. વિદ્યાર્થી અવસ્થામાં જ તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ યુનિયનના સભ્ય બન્યા. પછીથી ‘અદબે લતીફ’, ‘પ્રીતલેરી’ અને ‘શહરબ’ સામયિકોનું સંપાદન કર્યું.
મુંબઈ આવ્યા બાદ ‘આઝાદી કી રાહ મેં’, ‘નૌજવાન’ વગેરે માટે ગીતો લખ્યાં, પણ ગુરુદત્તની ફિલ્મ ‘બાઝી’નાં ગીતોને ખૂબ સફળતા મળી. ત્યારથી 1957ની ‘પ્યાસા’ સુધી સાહિર અને સચિન દેવ બર્મને સાથે અદ્દભુત કામ કર્યું. આ જોડી દેવ આનંદના નવકેતન પરિવારનો પણ હિસ્સો હતી. એ સમયે ફિલ્મ ઉદ્યોગમાં પ્રગતિશીલોની બોલબાલા હતી. સાહિરે કવિ ફૈઝ મહમ્મદ ફૈઝની જેમ પ્રગતિશીલ કવિતાનો માર્ગ અપનાવ્યો. સમાજનાં દૂષણો (જિન્હે નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ), ધાર્મિક ભેદનો વિરોધ (તૂ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા), શ્રીમંતોનો દંભ (યે મહલોં, યે તખ્તોં, યે તાજોં કી દુનિયા), દેશપ્રેમ (અબ કોઈ ગુલશન ન ઉજડે અબ વતન આઝાદ હૈ), વંચિતો માટેની નિસબત (મૈંને તુમસે હી નહીં સબસે મુહબ્બત કી હૈ), પિતૃસત્તાકતા ( ઔરતને જનમ દિયા મર્દો કો, મર્દો ને ઉસે બાઝાર દિયા), એકતાનું મહત્ત્વ (સાથી હાથ બઢાના), આશા (વો સુબહા કભી તો આયેગી), યુદ્ધવિરોધ (ખુદા-એ-બરતર તેરી જમીં પર જમીં કી ખાતિર યે જંગ ક્યોં હૈ) જેવા ભાવો એમણે કવિત્વની સુગંધ સાથે વ્યક્ત કર્યાં. સામાન્ય દર્શકોને જોઈતું મનોરંજન તો પૂરું પાડ્યું; સાથે વિશિષ્ટ ચિંતકવર્ગને પણ ઉત્સાહિત કર્યો. ફિલ્મી ગીતો લખે તેને સ્વતંત્રતા ઓછી હોય છે – સિચ્યુએશન મુજબ લખવાનું અને સંગીત બની ગયાં પછી લખવાનું. પણ સાહિર આ બંનેથી મુક્ત રહી પોતાની શરતે લખતા રહ્યા.
અમૃતા પ્રીતમના ઉલ્લેખ વિના સાહિરની કહાણી અધૂરી રહે. આ બંનેની પહેલી મુલાકાત 1944માં એક મુશાયરમાં થઈ હતી. સાહિરનો ઓટોગ્રાફ લેવા અમૃતાએ હથેળી લંબાવી અને સાહિરે પોતાની કલમની શાહી અંગૂઠા પર લગાડી અંગૂઠો અમૃતાની હથેળી પર છાપી દીધો. વરસતા વરસાદમાં સાથે ભરાયેલાં થોડાં પગલાં બંનેને નજીક લાવી ગયાં. પંજાબીમાં કાવ્યો લખતી અમૃતા પરિણીત હતી. પ્રીતમસિંહ સાથેનું લગ્નજીવન સુખી નહોતું. મુલાકાતો થતી રહી, પણ બંને વચ્ચે એક અકળ મૌન છવાયેલું રહેતું. સાહિરના ગયા પછી અમૃતા તેની અર્ધી પીધેલી સિગારેટને ફરી પી લેતી અને સાહિરનો સ્પર્શ અનુભવતી. અમૃતા સગર્ભા થઈ ત્યારે બાળક સાહિર જેવું હોય એમ ઇચ્છતી. સાહિરે જાણ્યું ત્યારે હસી પડ્યા, ‘વેરી પુઅર ચોઈસ’. આ દીકરો મોટો થયો ત્યારે પૂછ્યું, ‘મા, હું સાહિર અંકલનો દીકરો છું?’ અમૃતાએ કહ્યું, ‘એવું હોત તો મને ખૂબ ગમત, બેટા! પણ એમ નથી.’
આત્યંતિક માતૃભક્તિ અને અનિર્ણયાત્મકતાએ સાહિરને એકલા જ રાખ્યા. પાકિસ્તાનના કવિ અહમદ રાહી કહે છે કે સાહિરનો બધો પ્રેમ એક જ વ્યક્તિમાં સમાઈ ગયો અને એ એની મા હતી. ખુશવંત સિંહે સાહિરમાં કમિટમેન્ટ ફોબિયા જોયો હતો. 1960માં અમૃતા મુંબઈ આવી ત્યારે સાહિરનું નામ સુધા મલ્હોત્રા સાથે જોડાયું હતું. અમૃતા ભયંકર ઘવાઈ અને પછી ફરી ગઈ. એ વર્ષે તેણે જિંદગીનાં કરુણતમ કાવ્યો લખ્યાં. ત્યાર પછી તે ઈમરોઝ સાથે જોડાઈ, પણ સાહિરને કદી ભૂલી ન શકી.
સાહિરના વ્યક્તિત્વમાં એક તીવ્રતા હતી. વિસંગતતાઓ પણ ખરી. લાગણીશીલ, માનવતાવાદી, પ્રકૃતિપ્રેમી, મૂર્તિભંજક, સુધારાવાદી, વિદ્રોહી સાહિર મિત્રો પ્રત્યે અત્યંત પ્રેમાળ અને ઉદાર, પણ નશામાં એમનું અપમાન કરી બેસતા. કોઇની સર્વોપરિતા સ્વીકારી શકતા નહીં. પૈસા કરતાં પ્રતિષ્ઠા અને અહમ્ને વધુ મહત્ત્વ આપતા. ખુદ્દાર, સમાધાન ન કરે એવા, અભિમાની અને ફક્કડ સ્વભાવના સાહિર લિફ્ટ અને હવાઈ મુસાફરી ટાળતા. તીવ્ર યાદદાસ્ત છતાં ભૂલો કરતા. ગીતકારોનું મહત્ત્વ વધે તે માટે ત્યારના માહિતીપ્રધાન કેસ્કર પાસે નિર્ણય લેવડાવ્યો કે રેડિયો પર સંગીતકાર સાથે ગીતકારનું નામ પણ એનાઉન્સ થાય. 1963માં સાહિર ફિલ્મ રાઇટર્સ એસોસીએશનના પ્રમુખ હતા. લુધિયાણામાં એમના નામનું ઓડિટોરિયમ છે.
મા અને મિત્રો જાંનિસાર અખ્તર અને કૃષ્ણ ચંદરની વિદાય પછી સાહિર સાવ એકલા પડી ગયા. ચિંતા, ડર અને એકલવાયાપણું એમને ઘેરી વળ્યાં. કલાકો સુધી ચૂપચાપ આકાશ સામે જોતા રહેતા. 25 ઑક્ટોબર 1980ના દિવસે ડૉક્ટર મિત્ર સાથે પત્તાં રમતાં સાહિરે છેલ્લા શ્વાસ લીધા. જૂહુના કબ્રસ્તાનમાં એમની પ્રિય અમ્મીજાનની કબરની લગોલગ સાહિરની કબર બની.
‘કભી કભી’ની યાદગાર નઝમે એંગ્રી યંગ મેનને રોમેન્ટિક બનાવ્યો હતો. સાહિરના રોમેન્ટિક ગીતોની વાત તો આખો લેખ માગે; પણ સાહિરનું સત્ય શું હતું એ સવાલનું પગેરું પ્રેમમાં મળે અને પ્રેમનું પગેરું વિદ્રોહમાં મળે. સમાજથી અસંતુષ્ટ સાહિરને માણસમાં, તેના સંઘર્ષ અને મહેનતમાં અખૂટ શ્રદ્ધા હતી – ‘સંસાર કે સારે મહેનતકશ ખેતોં સે મિલોં સે નિકલેંગે, બેઘર બેદર બેબસ ઇન્સાં તારીક બિલોં સે નિકલેંગે, દુનિયા અમ્ન ઔર ખુશહાલી કે રંગો સે સજાઈ જાયેગી, વો સુબહા હમીંસે આયેગી’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 માર્ચ 2024