ભારતનું બંધારણ બહુ અભ્યાસપૂર્વક, વિચારપૂર્વક તૈયાર થયેલું આદર્શ કહી શકાય એવું બંધારણ છે. તેમાં લોકશાહી મૂલ્યો અને માનવજીવનના ઉચ્ચ આદર્શો રજૂ થયાં છે. આમ છતાં ભારતમાં આટલાં વર્ષ પછી પણ તમામ નાગરિકોને અપેક્ષિત સામાજિક ન્યાય મળતો નથી એ વાસ્તવિકતા છે. સુંદર અને ભવ્ય સિદ્ધાંત વ્યવહારમાં ચરિતાર્થ ન થાય ત્યારે સર્જાતી વિષમ પરિસ્થિતિમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છીએ
![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2024/07/Mildred_Jeter_and_Richard_Loving-300x201.jpeg)
રિચાર્ડ લવિંગ અને મિલડ્રેડ જેટર
અમેરિકાના એક મોલમાં એક યુવાન અને યુવતી ઊભાં છે. ‘હું પ્રેગ્નન્ટ છું.’ યુવતી કહે છે. લાંબા મૌન પછી યુવાન કહે છે, ‘સરસ. તો પછી ચાલ, પરણી જઈએ.’ એનું મૌન અકારણ નથી. વાત છે અમેરિકાના વર્જિનિયા સ્ટેટની કેરોલીન કાઉન્ટીની. સમય 1950 આસપાસ. રિચાર્ડ લવિંગ નામનો શ્વેત યુવાન અને મિલડ્રેડ જેટર નામની અશ્વેત યુવતી પ્રેમમાં છે. મિલડ્રેડ પ્રેગ્નન્ટ થતાં બંને પરણવાનું નક્કી કરે છે. વર્જિનિયાના કાયદા પ્રમાણે વ્હાઇટ અને કલર્ડ એટલે કે શ્વેત અને અશ્વેતનાં લગ્ન થઈ શકે નહીં એટલે બંને વોશિંગ્ટન જઈને લગ્ન કરી આવે છે. રિચર્ડ એનાં માતાપિતાના ઘરની નજીક મિલડ્રેડ માટે ઘર બાંધવાનું શરૂ કરે છે, ત્યાં શેરીફના માણસો છાપો મારે છે. રિચર્ડ લગ્નનું સર્ટિફિકેટ બતાવે છે ત્યારે ‘આ વર્જિનિયામાં વેલિડ નથી’ કહી બંનેને એક વર્ષ માટે જેલની સજા થાય છે. જો તેઓ વર્જિનિયા છોડી જાય અને 25 વર્ષ સુધી પાછા ન ફરે તો જેલમાં જવું ન પડે. બંને ફરી વોશિંગ્ટન ચાલ્યાં જાય છે, પણ પ્રસૂતિ માટે રિચર્ડ મિલડ્રેડને વર્જિનિયા પોતાની મા પાસે લાવે છે, ત્યારે ફરી ધરપકડ થાય છે અને બંનેને ફરી વતનમાંથી કાઢી મુકાય છે.
ત્યાર પછી રિચર્ડ-મિલડ્રેડને બીજાં બે સંતાન થાય છે. કુટુંબ સુખી છે, પણ વતનનો ઝુરાપો મિલડ્રેડને કોરી ખાય છે. એ એટલી અકળાય છે કે એટર્ની જનરલ રોબર્ટ કેનેડીને પત્ર લખી મદદ માગે છે. કેનેડી અંગત રસ લે છે અને એમની સલાહથી યુગલ અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયન પાસે જઈ વકીલ મેળવે છે ને કોર્ટમાં ધા નાખે છે. વર્જિનિયા લગ્નને માન્ય ગણવા કબૂલ નથી અને રિચર્ડ-મિલડ્રેડનાં સંતાનોને ‘બાસ્ટર્ડસ’ જાહેર કરે છે. વકીલો કેસને સુપ્રિમ કોર્ટમાં લઈ જાય છે. રિચર્ડને પૂછવામાં આવે છે, ‘તારે જજને કઈં કહેવું છે?’ રિચર્ડ કહે છે, ‘ટેલ ધ જજ આઈ લવ માય વાઈફ.’
અનેક અઠવાડિયા પછી સુપ્રિમ કોર્ટ વ્હાઇટ અને કલર્ડ વચ્ચેનાં લગ્ન પરના પ્રતિબંધને ગેરબંધારણીય જાહેર કરે છે. લવિંગ દંપતી વર્જિનિયા પાછું ફરે છે અને ઘરનું અધૂરું રહેલું બાંધકામ પૂરું કરે છે. સાત વર્ષ પછી રિચર્ડ એક અકસ્માતમાં મૃત્યુ પામે છે. મિલડ્રેડ રિચર્ડે બાંધેલા ઘરમાં જ બાકીની જિંદગી વિતાવે છે.
આ સત્યઘટના પરથી અમેરિકન બાયોગ્રાફિલકલ રોમેન્ટિક ફિલ્મ ‘લવિંગ’ બની છે, જેમાં રિચર્ડ અને મિલડ્રેડ લવિંગ દ્વારા કરાયેલા કેસની અને અમેરિકાની સુપ્રિમ કોર્ટે 1967માં આપેલા શ્વેત-અશ્વેત વચ્ચેનાં લગ્ન પરના પ્રતિબંધને નાબૂદ કરતાં ઐતિહાસિક ચુકાદાનું ફિલ્માંકન છે. 2011માં આ ચુકાદા પરથી દસ્તાવેજી ફિલ્મ પણ બની હતી. ‘લવિંગ’ વિશ્વમાં બનેલાં શ્રેષ્ઠ ‘સોશ્યલ જસ્ટિસ મૂવીઝ’માંનું એક છે. આજે એની વાત કરવાનું કારણ એ છે કે 20 ફેબ્રુઆરી સોશ્યલ જસ્ટિસ ડે છે. તો સામાજિક ન્યાય કોને કહે છે, એનું મહત્ત્વ શું છે અને ભારતમાં સામાજિક ન્યાય સંદર્ભે શી સ્થિતિ છે એ તરફ એક નજર નાખીશું?
સામાજિક ન્યાય લોકશાહીના હાર્દરૂપ ખયાલ છે. સામાજિક ન્યાય એટલે સમાજમાં રહેતા દરેક નાગરિકને રાજકીય અધિકારો ઉપરાંત આર્થિક અને સામાજિક અધિકારો પણ પ્રાપ્ત થવા જોઈએ એ સિદ્ધાંત. સામાજિક ન્યાય એ તંદુરસ્ત સામાજિક વિકાસની પૂર્વશરત છે. સમાજમાં અનેક વર્ગો અને જૂથો અસ્તિત્વ ધરાવતાં હોય છે. આ તમામને સમાન ધોરણે જીવવાની અને પોતાનો વિકાસ કરવાની તક મળવી જોઈએ. તો જ સમાજમાં શાંતિ અને સંવાદિતા રહે અને તો જ સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ થાય.
ભારતના બંધારણમાં આમુખમાં ‘તમામ નાગરિકો માટે – સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેમનામાં વ્યક્તિ તરીકેનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતાની ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક નિર્ણય કરીએ.’ આવા શબ્દો છે. બંધારણમાં નાગરિકોને અપાયેલા મૂળભૂત અધિકારો અને દરેક પ્રકારના ભેદભાવ અને શોષણ પર પ્રતિબંધ એ સામાજિક ન્યાયનો સિદ્ધાંત જ સૂચવે છે. નબળા વર્ગોના કલ્યાણ માટેની જોગવાઇઓ કરવામાં આવી છે.
ભારતનું બંધારણ બહુ અભ્યાસપૂર્વક, વિચારપૂર્વક તૈયાર થયેલું આદર્શ કહી શકાય એવું બંધારણ છે. તેમાં લોકશાહી મૂલ્યો અને માનવજીવનના ઉચ્ચ આદર્શો રજૂ થયાં છે. આમ છતાં ભારતમાં આટલાં વર્ષ પછી પણ તમામ નાગરિકોને અપેક્ષિત સામાજિક ન્યાય મળતો નથી એ વાસ્તવિકતા છે. સુંદર અને ભવ્ય સિદ્ધાંત વ્યવહારમાં ચરિતાર્થ ન થાય ત્યારે સર્જાતી વિષમ પરિસ્થિતિમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છીએ. કેરળના એક ગામમાં એક દલિત કન્યા પર બળાત્કાર થયો. બળાત્કારીઓ ગામના જ મોટાં માથાં હતાં. કન્યાનો પિતા એમને સજા કરાવવા તત્પર થાય છે ત્યારે એના દલિત સમાજના લોકો જ વિરોધ કરે છે, ‘આનું પરિણામ સારું નહીં આવે. તારે લીધે અમારે પણ સહન કરવું પડશે.’ તો પણ પિતા મક્કમ રહ્યો ત્યારે એનો બહિષ્કાર કરવામાં આવ્યો. ગુનો કરનાર વટથી ફરે અને ભોગ બનનારને સહન કરવું પડે એવા દાખલા રોજ નજર સામે બનતા રહે છે. આજે પણ અનેક સ્થળે દલિતોને મંદિરોમાં પ્રવેશ મળતો નથી. સદીઓથી શોષણનો શિકાર બનતા વર્ગોને માટે અનામતની વ્યવસ્થા રાખવામાં આવી તેનો રાજકીય દુરુપયોગ થવામાં કઈં બાકી રહ્યું નથી. ‘ભાગલા પાડો ને રાજ કરો’ની અંગ્રેજ નીતિને સુધારીને આપણે ‘ભાગલા પાડો અને તારાજ કરો’ની નીતિ અપનાવી ધિક્કાર અને ઘૃણાનાં બીજ વાવી રહ્યા છીએ.
ભારતમાં આર્થિક વિકાસ ઠીક ઠીક પ્રમાણમાં થયો હોવા છતાં 35થી 40 ટકા લોકો ગરીબીરેખા નીચે જીવી રહ્યા છે. નિરક્ષરતા અને શિક્ષિત બેરોજગારી બંને ચિંતા કરાવે એટલા પ્રમાણમાં પ્રવર્તે છે. બે ટંક ભોજનની ચિંતામાં રહેવું પડતું હોય એવો વર્ગ હતાશા અનુભવે છે અને આ હતાશા ભારતમાં વધુ ને વધુ પ્રમાણમાં ફેલાતી જાય છે. લોકો આર્થિક અને સામાજિક અસલામતીથી પીડાઈ રહ્યા છે.
બંધારણમાં શોષણ વિરોધી કાયદાઓ હોવા છતાં દેશમાં સ્ત્રીઓ અને બાળકોનું શોષણ અટક્યું નથી. બાળમજૂરીનું પ્રમાણ વધી રહ્યું છે. બાળકોમાં કુપોષણની સમસ્યા ચિંતાજનક છે. આર્થિક વૃદ્ધિનો લાભ સમાજના બધા વર્ગોને મળતો નથી. સંપત્તિની ન્યાયી વહેંચણી બહુ દૂરની વાત બની ગઈ છે. મુઠ્ઠીભર લોકો ભૌતિક અને રાજકીય સ્રોતો પર ઇજારો ધરાવે છે જ્યારે બીજી તરફ વિશાળ વર્ગની પાયાની જીવનજરૂરિયાતો પણ સંતોષાતી નથી. આપણે સમતોલ ભૌતિક અને આર્થિક વિકાસ સાધી શક્યા નથી એ હકીકત છે અને આ વાત પર વિચારવાની તાતી જરૂર છે. વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકેલા નક્સલવાદની પાછળ પણ અન્યાય, શોષણ અને દમનનો લાંબો ઇતિહાસ છે. સામાજિક ન્યાયની અવગણના, ઉપેક્ષા અને અભાવ ભારતની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સામે મોટો પડકાર બની શકે તેમ છે. આથી સામાજિક ન્યાયના સિદ્ધાંત અંગે ગંભીરતાથી વિચારણા કરી, યોગ્ય નીતિ અને કાર્યક્રમો ઘડી તેનું અસરકારક રીતે પાલન થાય એ આપણા સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના હિતમાં છે.
ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, ‘હું દરેકના હૃદયમાં વસેલો છું’ અને ‘દરેક જીવ મારો અંશ છે’. જ્યારે ઈશ્વર ભેદભાવ નથી કરતો તો આપણે શા માટે અનેક પ્રકારના ભેદભાવમાં રાચી પરસ્પરને સંતાપી રહ્યા છીએ?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 ફેબ્રુઆરી 2024