‘દિલ્હી દરબાર’ના બે ભાગ અને ‘એક પત્રકારની વ્યવસાયકથા’. નવભારત પ્રકાશને પ્રગટ કરેલાં આ ત્રણે પુસ્તકો કુન્દનભાઈ વ્યાસની પત્રકાર તરીકેની કારકિર્દી અને બહોળા અનુભવોના નિચોડ તરીકે તો મહત્ત્વના છે જ, સાથે સ્વતંત્ર ભારતની શરૂઆતથી આજ સુધીની રાજકીય ઘટનાઓનો જે કડીબદ્ધ ઇતિહાસ એમાં આલેખાયેલો છે તેની જાણકારી જાગૃત નાગરિકોને, ખાસ કરીને યુવાપેઢીને હોવી જોઈએ.
132 પદ્મ એવોર્ડની જાહેરાત અને એમાં સમાવિષ્ટ આઠ ગૌરવવંતા ગુજરાતીઓનાં નામ આપણા હોઠે અને હૈયે રમે છે. વરિષ્ઠ પત્રકાર, 1996થી ‘જન્મભૂમિ’ના તંત્રીપદે વિરાજતા અને અઢી દાયકાથી ‘જન્મભૂમિ’નાં મેનેજિંગ એડિટર અને સી.ઇ.ઓ. તરીકે કાર્યરત કુન્દનભાઈ વ્યાસને પત્રકારત્વ માટે પદ્મભૂષણ એનાયત થયું છે, એ સમગ્ર અખબારી જગત માટે આનંદ અને ગૌરવની વાત છે.
‘જન્મભૂમિ’ની શરૂઆત 1934માં સૌરાષ્ટ્રના સિંહ ગણાતા અમૃતલાલ શેઠે કરી હતી. પ્રખર રાષ્ટ્રવાદી, નીડર, પ્રજાભિમુખ અને ગાંધીવિચારના સમર્થક અને સ્વસ્થ વાંચન પીરસતા ‘જન્મભૂમિ’ અને એના સાપ્તાહિક ‘જન્મભૂમિ પ્રવાસી’નું રાષ્ટ્રીય પત્રકારત્વની તવારીખમાં ગૌરવપ્રદ સ્થાન છે.
કુન્દનભાઈ વ્યાસની કલમે લખાયેલા તંત્રીલેખો અને એની રાજકીય સમીક્ષામાં પોલિટિકલ એનલિસ્ટથી માંડી રાજકારણની આંટીઘૂંટીઓ જેના પલ્લે પડતી ન હોય એવા સમાન્યજન સુધીના સર્વને રસ પડે અને જાણકારી મળે. ઇમેજ પ્રકાશન તેમ જ ઉમંગ પબ્લિકેશને એમના તંત્રીલેખોનાં પુસ્તકો કર્યાં છે. ગયા વર્ષે એમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં – પંડિત નહેરુથી નરેન્દ્ર મોદી સુધીનો ભારતનો રાજકીય ઇતિહાસ વર્ણવતા ‘દિલ્હી દરબાર’ના બે ભાગ અને ‘એક પત્રકારની વ્યવસાયકથા’. નવભારત પ્રકાશને પ્રગટ કરેલાં આ ત્રણે પુસ્તકો એમની પત્રકાર તરીકેની કારકિર્દી અને બહોળા અનુભવોના નિચોડ તરીકે તો મહત્ત્વના છે જ, સાથે સ્વતંત્ર ભારતની શરૂઆતથી આજ સુધીની રાજકીય ઘટનાઓનો જે કડીબદ્ધ ઇતિહાસ એમાં આલેખાયેલો છે તેની જાણકારી જાગૃત નાગરિકો માટે, ખાસ કરીને યુવાપેઢી માટે અગત્યની જ નહીં, અનિવાર્ય પણ લાગે.
છ દાયકાથી વધુ સમય વિસ્તરેલી કુન્દનભાઈની પત્રકારત્વ-કારકિર્દીને એક લેખમાં વર્ણવવી શક્ય નથી. 1961માં પત્રકારત્વમાં પ્રવેશ, પ્રવેશતાં જ ચીની આક્રમણ અને ભરતચીન યુદ્ધનું રિપોર્ટિંગ, 1964માં ‘વ્યાપાર’માં જોડાયા, 1967માં ‘જન્મભૂમિ’ ગ્રૂપના નવી દિલ્હી ન્યૂઝ બ્યુરોમાં નિમણૂક, રાજકીય ઊથલપાથલનાં વર્ષોના સાક્ષી બનવા સાથે 1971માં વૉર કોરસપોન્ડન્ટ તરીકે ભારત-પાક યુદ્ધનું કવરેજ, 1976માં યુનાઈટેડ નેશન્સની ફેલોશિપ અને વિશ્વપ્રવાસ, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માટે અનેક દેશોની મુલાકાત, બે ટર્મ માટે ઇન્ડિયન લેન્ગ્વેજિસ ન્યૂઝપેપર્સ એસોસિયેશનના પ્રમુખ, ઇન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટીના પ્રમુખ, પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયામાં ત્રણ ટર્મ, એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા અને ઑલ ઇન્ડિયા ન્યૂઝપેપર્સ એડિટર્સ કોન્ફરન્સના સભ્ય આ બધી સિદ્ધિઓ-પદો; ‘આશીર્વાદ’ – ડૉ. હરિવંશરાય બચ્ચન પત્રકારત્વ પુરસ્કાર, લોકમાન્ય તિલક ઍવોર્ડ, પ્રિયદર્શિની ઍવોર્ડ, નચિકેતા ઍવોર્ડ અને હવે પદ્મભૂષણ જેવાં અનેક સન્માનો એમના નામે બોલે છે.
કુન્દનભાઈ એવા નખશિખ પત્રકાર છે કે એમનું વ્યક્તિત્વ અને જીવન એમના પત્રકારત્વનો જ પર્યાય છે. અવિનાશભાઈ પારેખે કરેલી ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ સિરીઝમાં 19મું પ્રવચન કુન્દનભાઈનું હતું. અંતિમ પ્રવચનની કલ્પના કરતી વખતે મોટેભાગે વક્તાઓ પોતાના આખા જીવન પર એક નજર ફેરવી લે અને અસ્તિત્વને સ્પર્શી ગઈ હોય એવી અંગત જીવન, સંબંધો, સમાજ, વ્યવસાય વગેરેની વાત કરે. કુન્દનભાઈએ કહ્યું, ‘અંતિમ પ્રવચન? અંત કોણ જાણી શકે? વિચારોનું વસિયતનામું કોઈ કેવી રીતે લખે? કદાચ બેલેન્સશીટ જેવુ કઈંક આપી શકે. એની કોશિશ કરું.’ અને પછી માત્ર અને માત્ર પોતાના પત્રકારજીવનના પડાવોની સુંદર વાતો કરી – ‘પત્રકારના જીવનમાં રાષ્ટ્રનો ઇતિહાસ વણાઈ જાય છે એટલે મેં આ કર્યું, મને આ મળ્યું એમ કહેવાને બદલે મેં આ જોયું અને આવું બતાવ્યું એવું કહેવું વધારે યોગ્ય થાય.’ – આ સ્પષ્ટતા સાથે. એમના જ શબ્દોમાંથી થોડું આચમન કરીએ :
‘જયંતીભાઈ શુક્લ, હરજીભાઈ ગિલાણી અને મનુભાઈ મહેતા જેવા ગુરુઓ પાસેથી મને તાલીમ અને સંસ્કાર બંને મળ્યા. હું પત્રકાર બન્યો ત્યારે પત્રકારોનો એક પરિવાર હતો. સિનિયર પત્રકારો યુવાન પત્રકારોને ઘડતા, કેળવતા, દૃષ્ટિ આપતા. મોડે સુધી બેસાડે, મહેનત કરાવે, પીઠ પણ થાબડે. શાસ્ત્રીજીના અવસાનનો ઈન્ટ્રો “આજનો મંગળવાર ભારત માટે અમંગળ નીવડ્યો” શીર્ષકથી લખ્યો, શાબાશી મળી. “નિઝામના હીરા સુપ્રીમ કોર્ટ જઈ આવ્યા” એવા મથાળા માટે હરકિસનભાઈએ એ જમાનામાં 500 રૂપિયાનું ઈનામ આપેલું.
‘1967માં કાઁગ્રેસનાં વળતાં પાણી થયાં. 1969માં કાઁગ્રેસમાં ભાગલા પડ્યા. કાવાદાવા અને રાજરામતો ચાલ્યાં. ઇન્દિરાજી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવા માગતાં હતાં, મોરારજીભાઈ કહે, બેન્કોનું સામાજિકરણ કરો. મુદ્દો અર્થકારણનો નહીં, રાજકારણનો હતો. મોરારજીભાઈને વડા પ્રધાન બનવું હતું, કામરાજ “ગૂંગી ગુડિયા” ઇન્દિરા ગાંધીને આગળ કરી ધાર્યું કરવા માંગતા હતાં. કઈંક થયું ને મેં મોરારજીભાઈને પૂછ્યું, “તમે સમાધાન કરવાના નહોતા, કેમ કર્યું?” ત્યારે તેઓ કહે, “માય ડિયર યંગ બૉય, યસ્ટરડે વૉઝ યસ્ટરડે, ટુડે ઈઝ ટુડે.’ આર્મીવાળાના જવાબ પાછા જુદા હોય. 71ની વૉર વખતે એન્ટરપ્રાઇઝ નામની અમેરિકન શીપ આવવાની હતી. સમાચાર સનસનાટીભર્યા હતા – શીપ મદદ માટે આવવાની છે કે લડવા માટે? મેં જનરલ માણેકશાને પૂછ્યું. માણેકશા ઠંડકથી કહે, “યંગ બૉય, ધેર આર ટુ થિંગ્સ ઇન લાઈફ. ઈફ ધે વૉન્ટ ટુ ફાઇટ, વી વિલ ફાઇટ. ઇફ ધે વૉન્ટ ટુ ફ્રાઈટન અસ, વી વિલ નોટ બી ફ્રાઈટન્ડ. સમજ્યો?” એ વખતે સિયલકોટ ફ્રન્ટ પર દસ-વાર દિવસ રહેવાનું થયું. જમીન પર એક ચોરસની આસપાસ બે-બે ફૂટના ખાડા કરેલા હોય – આ ડાઈનિંગ ટેબલ પર જમવાનું. જવાનો ગમે તેટલા ટેન્શન વચ્ચે પણ હસીમજાક કરી લે. એક વાર એક પાણીમાં ચાલી શકે એવી જીપમાં રઝળતી લાશો વચ્ચે પાકિસ્તાન જઈ આવ્યા. પછી સિમલા મંત્રણા થઈ. યુદ્ધ પછી શાંતિ કવર કરી. મનુભાઈ રોજ ફોન પર ઝડપથી બધું સમજી લે અને છાપામાં પોતે જોયું હોય એવી તાદૃશ રીતે બધું મૂકે. કહે, “પત્રકારે તો અંગૂઠા પરથી રાવણને ચીતરવાનો હોય.”
‘કટોકટી પહેલા મોરારજીભાઈ ઉપવાસ પર ઊતર્યા. પ્રાર્થનામાં હું જાઉં. સી.આઇ.ડી.ના માણસો મારો પીછો કરે. “કયા હુઆ? વો કયા બોલા?” હું કહું, “નહીં બતાઉંગા. કલ અખબારમેં આયેગા, દેખ લેના.” યુવાનીની એ હિંમત પાછળ લોકશાહીની તાકાત હતી. ‘મોરારજીભાઈ પારણા કરશે, ઇન્દિરા ઝૂકશે’ લખીને હું તો સૂઈ ગયેલો. સવારે અંગ્રેજી છાપાંઓએ જુદું જ લખેલું. પણ રાષ્ટ્રીયકરણની જેમ આ વખતે પણ મારી વાત સાચી પડી. નવનિર્માણ વખતે બિહારમાં ટ્રેનિંગ ચાલે. અમે – ગિલાણીભાઈ, શુક્લભાઈ અને હું – પાંચ દિવસ ત્યાં રહ્યા. જયપ્રકાશ નારાયણની ખરી મુવમેન્ટ જોવા મળી. આજના યુવાનોએ આ ઇતિહાસ જાણવો જોઈએ. ભવિષ્ય બનાવવું હોય તો ઇતિહાસ સમજવો પડે.
‘કટોકટી વખતે અખબારો અને પત્રકારોની બૂરી હાલત થઈ. મને યુ.એન. ફેલોશિપ મળી, પણ સરકાર અમેરિકા જવા પરવાનગી ન આપે. એક મિત્ર કહે, “સંજય ગાંધી સાથે મારી ઓળખાણ છે. એ કહે તો તારું થઈ જાય.” મેં ના પાડી. આખરે યુ.એન.વાળાએ કહ્યું, તમારા પત્રકારને નહિ મોકલો તો ફેલોશિપ પાકિસ્તાનને આપીશું, ત્યારે સરકારે જવા દીધો.
‘આજકાલ મીડિયાની ફ્રીડમની ખૂબ ચર્ચા થાય છે, પણ મીડિયાનો ધર્મ – પહેલા એની ચર્ચા થવી જોઈએ. સ્વયંશિસ્ત જોઈએ. પણ આમાં પણ રાજકારણીઓ અને રાજકારણ જ નડે છે. રાજકારણ અને મનોરંજન ઈન્ડસ્ટ્રી ખૂબ પૈસા આપીને આગળનાં પાનાંનો કબજો કરી લે છે અને પબ્લિક ઇસ્યુઝ પાછળ ધકેલાઇ જાય છે. કોમનવેલ્થ ગેમ વખતે ખૂબ વિવાદો થયાં, ચગ્યા. આવે વખતે માધ્યમો ભૂલી જાય છે કે આપણે ભારતના છીએ, ભારત માટે કામ કરીએ છીએ. ધર્મના નામે મત માગવા જેમ ખોટું છે તેમ સેક્યુલરીઝમને નામે મત માગવા એ પણ ખોટું છે. ગ્લોબલાઈઝેશન પછી ભારતની અને વિશ્વની અન્ય ભાષાઓ પર અંગ્રેજી હાવી થઈ ગયું છે તેથી અંગ્રેજી મીડિયા પોતાને ઊંચું માને છે; પણ આપણે ગમે તેટલું જાણીએ, માતૃભૂમિ અને માતૃભાષા ભુલાવી જોઈએ નહીં. સત્ય અને પ્રામાણિકતા એ જ પત્રકારની મૂડી છે અને તાકાત પણ.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 જાન્યુઆરી 2024