ભાવયિત્રી પ્રતિભા અને આલોચક –
રાજશેખર મનુષ્ય-વ્યક્તિની પ્રતિભાના બે પ્રકાર દર્શાવે છે : કારયિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા. કારયિત્રી કવિને ઉપકારક નીવડે છે, ભાવયિત્રી ભાવકને. કારયિત્રી પ્રતિભાની સત્તાએ સર્જનનું કાર્ય સમ્પન્ન થાય છે. ભાવયિત્રી પ્રતિભાની સત્તાએ ભાવનનું કાર્ય સમ્પન્ન થાય છે.
એમની દૃષ્ટિએ ભાવક આલોચક છે. એમણે પ્રાચીનોનો મત ટાંકીને કહ્યું છે કે કવિ અને આલોચક જુદા નથી, એટલું જ નહીં, આલોચક પણ કવિ છે.
આપણા જમાનાની બલ્ગેરિયન-ફ્રૅન્ચ ફિલસૂફ જુલિયા ક્રિસ્તેવા કહે છે કે બધી ભાષાકૃતિઓ એકબીજા સાથે જોડાયેલી છે, ભાષાકૃતિઓની એક જાળ છે. એ જાળ રચાઈ છે, આન્તરપાઠત્વથી – ઇન્ટરટૅક્સ્ચ્યુઆલિટીથી. તાત્પર્ય એ છે કે સર્જન અને વિવેચન વગેરે લેખનો પણ આન્તરપાઠત્વથી જોડાયેલી ભાષાકૃતિઓ જ છે, તેમની વચ્ચે ઉચ્ચાવચ ભેદ ઊભા કરવાનો ખાસ કોઈ સાર નથી.
એટલે, પ્રશ્ન એ છે કે સર્જકનો કે વિવેચકનો કોનો મહિમા કરવો. ઉત્તર સ્પષ્ટ છે, બન્નેનો. કેમ કે, મનુષ્યચિત્તની બન્ને વિશેષતાઓ છે, ફૅકલ્ટીઝ છે.
રાજશેખર કારયિત્રીના ત્રણ પેટા પ્રકાર દર્શાવે છે : સહજા, આહાર્યા, ઔપદેશિકી.
૧ :
પૂર્વ જન્મના સંસ્કારબળે લાધેલી જન્મજાત પ્રતિભા સહજા છે. એ જન્મજાત છે તેથી આ જન્મના અલ્પ સંસ્કારોથી પણ ઉદ્બુદ્ધ થઈ જાય છે.
૨ :
શાસ્ત્રો અને કાવ્યોના અભ્યાસથી ઉત્પન્ન થયેલી પ્રતિભા આહાર્યા છે. આહાર્યા-પ્રતિભાને અધિક સંસ્કાર અથવા અધિક અભ્યાસની જરૂરત પડે છે.
૩ :
મન્ત્ર તન્ત્ર દેવતા ગુરુ આદિના વરદાનથી કે ઉપદેશથી પ્રાપ્ત થયેલી પ્રતિભા ઔપદેશિકી છે. આ પ્રતિભાનો જન્માન્તર સાથે કશો જ સમ્બન્ધ નથી. એને હમેશાં વરદાન અને ઉપદેશોની જરૂરત પડે છે.
આ ત્રણ કારયિત્રી પ્રતિભાના અનુલક્ષમાં કવિઓના પણ રાજશેખરે ત્રણ પ્રકાર કહ્યા છે :
૧ :
સારસ્વત – એની સરસ્વતી જન્માન્તરીય સંસ્કારોથી પ્રવૃત્ત થતી હોય છે. એવો જન સ્વાભાવિકપણે જ બુદ્ધિમાન સારસ્વત કવિ છે.
૨ :
કવિઓનો બીજો પ્રકાર, આભ્યાસિક છે. એની સરસ્વતી આ જન્મના સંસ્કારોથી ઉન્મેષિત થતી હોય છે. એવો શાસ્ત્રાભ્યાસજન્ય બુદ્ધિવાળો જન આભ્યાસિક કવિ છે.
૩ :
મન્દબુદ્ધિ હોવા છતાં મન્ત્રોપદેશ કે અનુષ્ઠાન આદિના પ્રતાપે વાણીના વૈભવનું પ્રદર્શન કરનારો જન ઔપદેશિક કવિ છે.
કવિઓમાં તારતમ્ય હોય છે. કહેવાયું છે કે કેટલાક કવિઓની રચનાઓ એમના ઘરની ચાર દીવાલોમાં વિચરણ કરતી રહી જાય છે. કેટલાકની રચનાઓ એમના મિત્રોના ભવન સુધી જ પ્હૉંચતી હોય છે. તો કેટલાકની રચનાઓ સૌના મુખ પર પદન્યાસ કરતી કરતી વિશ્વભ્રમણની ઇચ્છા પૂર્ણ કરે છે.
કયા વિચારોનો મહિમા કરવો…
Which thoughts to italicized…
Pic courtesy : Fiction University
ગુજરાતી સાહિત્યના આપણા વિવેચકો ઉક્ત પ્રતિભાભેદ અને ઉક્ત તારતમ્ય અનુસાર, આપણા સર્જકોના લેખાંજોખાં માંડે તો ખાસ્સું સ્વચ્છ ચિત્ર જોવા મળે. બાકી, ઍવૉર્ડીઓ અને ઇનામદારોથી મોટા ભાગના વિવેચકોની આંખો અંજાયેલી રહે છે, તેથી કેટલીયે વાર આંધળે બ્હૅરું કુટાય છે. સ્વીકારવું રહ્યું કે સમસામયિક સમીક્ષાદૃષ્ટિ ઠીકઠીક ધૂંધળી છે.
રાજશેખર દર્શાવે છે કે ભાવયિત્રી પ્રતિભા, ભાવક કે આલોચક માટે ઉપકારક નીવડે છે. આ પ્રતિભા, કવિ માટે પણ ઉપકારક નીવડે છે. ભાવયિત્રી પ્રતિભા ધરાવતો આલોચક કવિની કવિતા-લતાને સ-ફલ બનાવે છે. પ્રાચીન આચાર્યો કહે છે કે કવિ અને આલોચકમાં ભેદ નથી, કેમ કે બન્ને કવિ છે.
પણ કાલિદાસ કવિત્વ અને ભાવકત્વને ભિન્ન ગણે છે. કવિ શબ્દરચના કરે છે, આલોચક એનું રસાસ્વાદન કરે છે. એમ પણ કહેવાયું છે કે કેટલાક જન વાણીની કવિતા રચવામાં નિપુણ હોય છે, તો કેટલાક જન તેનું શ્રવણ કરવામાં પ્રવીણ હોય છે.
મહાકવિ ગણાતા જૈન કવિ મંગલ આલોચકોના બે પ્રકાર દર્શાવે છે : અરોચકી અને સતૃણાભ્યવહારી.
૧ :
અરોચકી આલોચકને સારામાં સારી કૃતિ પણ ઠીક નથી લાગતી.
૨:
સતૃણાભ્યવહારી આલોચકો સામાન્ય હોય છે, નવાસવા હોય છે અને કુતૂહલને કારણે બધે બધી રચનાઓ વિશે કંઈ ને કંઈ કહી બેસે છે.
જો કે, વામનના મતે અરોચકી અને સતૃણાભ્યવહારી તો કવિઓ પણ હોય છે !
રાજશેખર ભાવક કે આલોચકના ચાર પ્રકાર દર્શાવે છે : અરોચકી અને સતૃણાભ્યવહારી. ઉપરાન્ત, મત્સરી અને તત્ત્વાભિનિવેશી.
મત્સરી આલોચકો ઈર્ષાને કારણે એક પણ રચનાને પસંદ નથી કરતા, કંઈ ને કંઈ દોષ કાઢે છે.
પરન્તુ, તત્ત્વના અભિનિવેશી આલોચકો નિષ્પક્ષ અને સચ્ચાઇને વરેલા હોય છે.
રાજશેખરે અરોચકીના પણ બે પ્રકાર દર્શાવ્યા છે :
એક છે, સ્વાભાવિકી અરોચકતા. એના પર કેટલાયે સંસ્કાર કરો, નષ્ટ નથી થતી.
બીજી અરોચકી છે, જ્ઞાનયોનિ. આલોચકની અરોચકતા જો જ્ઞાનજન્ય હોય તો કશીક વિશિષ્ટ રચના પર રોચકતા ઉત્પન્ન થાય છે.
સામ્પ્રતમાં આપણા કેટલા વિવેચકોએ કેટલી સર્જનાત્મક કૃતિઓનું રસાસ્વાદન કર્યું હશે? આપણા કયા વિવેચકો શ્રવણ-પ્રવીણ છે? હિસાબ તો માંડો. નિરાશ થઈ જવાશે. વર્તમાનમાં શોધીએ તો નથી મળતો અરોચકી કે સતૃણાભ્યવહારી, મત્સરી કે તત્ત્વાભિનિવેશી.
સર્જનના તમામ સંકેતાર્થો મરણપથારીએ છે, છતાં, જ્યાં નજર પડે ત્યાં બસ સર્જકો જ સર્જકો છે ! શું કરવાનું …
= = =
(05 / 05 / 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર