આજે, રાજશેખર —
એમનો સમય છે, ઇ.સ. ૮૮૦-૯૨૦. એમના ગ્રન્થનું શીર્ષક છે, ‘કાવ્યમીમાંસા’. રાજશેખર યાયાવરી કહેવાયા છે કેમ કે જ્ઞાનસમ્પાદન માટે અહીંથી તહીં ભટકતા રહેતા’તા, જેમ યાયાવરી પક્ષીઓ સ્થાનાન્તર કરતાં રહે છે. એટલે, એમની વાતમાં અનેકોના મત જાણવા મળે છે; અવનવાં પણ ઉપકારક ઉદાહરણો જોવા મળે છે. તેઓ એ શાસ્ત્રીય પદ્ધતિએ પોતાના મત-મન્તવ્યોનું સમર્થન કરે છે.
‘કાવ્યની રચના અને સ્વરૂપ’-થી એમણે પ્રારમ્ભ કર્યો છે.
આજે, ‘કાવ્યવિદ્યા’ —
કાવ્યરચનાને તેઓ કાવ્યવિદ્યા કહે છે.
એમણે કાવ્યવિદ્યાની રસપ્રદ અને બહુ મજાની જાણે વંશાવળી આપી છે.
કહે છે, ભગવાન્ શ્રીકણ્ઠે એટલે કે શિવે કાવ્યવિદ્યાનો ઉપદેશ સૌ પ્રથમ પરમશ્રેષ્ઠિ, વૈકુણ્ઠ વગેરે ૬૪ શિષ્યોને કર્યો.
એમાં પ્રથમ શિષ્ય હતા, સ્વયંભૂ – બ્રહ્મદેવ. એમણે એ કાવ્યવિદ્યાનો ઉપદેશ પોતાની ઇચ્છાથી ઉત્પન્ન – અયોનિજ – શિષ્યોને એટલે કે ઋષિઓને કર્યો.
એ શિષ્યોમાં સરસ્વતીનો પુત્ર નામે કાવ્યપુરુષ પણ હતો, જેની જગદ્વન્દ્ય દેવતાઓ પણ વન્દના કરતા’તા.
એ કાવ્યપુરુષ ત્રિકાલજ્ઞ હતો, દિવ્ય દૃષ્ટિથી ભવિષ્યની કલ્પના કરી આપી શકતો’તો. બ્રહ્મદેવે એને આજ્ઞા કરી કે તું ભૂ ભુવ: અને સ્વર્ગ – ત્રણેય લોકમાં વસતી પ્રજામાં કાવ્યવિદ્યાનો પ્રચાર કર.
કાવ્યપુરુષે કાવ્યવિદ્યાનું ૧૮ ભાગમાં – અધિકરણોમાં – વિભાજન કર્યું. એનો ઉપદેશ સૌ પ્રથમ એણે સહસ્ત્રાક્ષ ઇન્દ્ર વગેરે દિવ્ય – સ્વર્ગીય – સ્નાતકોને કર્યો.
એ દરેક સ્નાતકે ૧૮ ભાગમાં વિભાજિત કાવ્યવિદ્યાના એક એક અધિકરણ વિશે વિશેષતા પ્રાપ્ત કરી અને પોતપોતાના વિષય અંગે જુદા જુદા ગ્રન્થની રચના કરી.
એ દરેક ગ્રન્થનું શીર્ષક કાવ્યવિદ્યાના આપણને વિદિત અંગનો નિર્દેશ કરે છે; એ પ્રકારે જોઈ શકાય છે કે એમાં લગભગ બધાં જ અંગોનો સમાવેશ થયો છે.
જેમ કે –
સહસ્ત્રાક્ષ ઇન્દ્રે કવિરહસ્ય-વિષયક ગ્રન્થ રચ્યો. ઉક્તિગર્ભ નામના સ્નાતકે ઉક્તિ-વિષયક ગ્રન્થ રચ્યો. સુવર્ણનાભે રીતિ-વિષયક. પ્રચેતાએ અનુપ્રાસ-સમ્બન્ધી. યમે યમક-સમ્બન્ધી. ચિત્રાંગદે ચિત્ર-કાવ્યવિષયક. શેષે શબ્દશ્લેષ વિશે. પુલત્સ્યે સ્વાભાવોક્તિ વિશે. ઔપકાયને ઉપમા-અંલકાર સમ્બન્ધી. પારાશરે અતિશયોક્તિ સમ્બન્ધી. ઉત્તથ્યે અર્થ-શ્લેષ વિશે. કુબેરે શબ્દ અને અર્થ બન્ને પ્રકારના અલંકારો વિશે. કામદેવે વિનોદ-સમ્બન્ધી. ભરતે નાટ્ય-વિષય વિશે. નન્દિકેશ્વરે રસ વિષય વિશે. ધિષણે દોષ વિશે. ઉપમન્યુએ ગુણ વિશે. અને, કુચમારે ઔપનિષદિક વિષયો વિશે.
પરન્તુ, આ ૧૮ ભાગોમાં – અધિકરણોમાં – વિભક્ત કાવ્યવિદ્યા ખરેખર તો વેરવિખેર થઈ ગઈ ! રાજશેખર જણાવે છે કે એટલા માટે કાવ્યવિદ્યાના બધા જ અતિ આવશ્યક વિષયોને સંક્ષેપમાં રજૂ કરી અમે ૧૮ અધિકરણોમાં ‘કાવ્યમીમાંસા’ ગ્રન્થની રચના કરી. અને, રાજશેખર ‘કવિરહસ્ય’ નામના અધિકરણથી પ્રારમ્ભ કરે છે.
પણ હું ‘કાવ્યમીમાંસા’-ના આપણને સીધા ઉપયોગી કેટલાક જ અંશને આગળ કરીશ.
હવે પછી, કવિ-પ્રતિભા અને આલોચક વિશે.
નૉંધ : આ લેખન પણ્ડિત કેદારનાથ શર્મા સારસ્વતના હિન્દી અનુવાદને અનુસરે છે.
સંદર્ભ : રાજશેખર-રચિત કાવ્યમીમાંસા : બિહાર-રાષ્ટ્રભાષા-પરિષદ, પટના દ્વારા પ્રકાશિત, ૧૯૫૪. ડૉ. નગેન્દ્ર-સમ્પાદિત ‘ભારતીય કાવ્યશાસ્ત્ર કી પરમ્પરા’, નેશનલ પબ્લિશિન્ગ હાઉસ, દિલ્લી, ૧૯૬૪.
= = =
(04/25/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર