સાધુઓ અને ગુરુઓના દેશ ભારતમાં આજકાલ એક નવા બાબા, ધીરેન્દ્ર ક્રિષ્ણ શાસ્ત્રી, સમાચારોમાં છે. તેઓ બાઘેશ્વર બાબાના નામથી પ્રચલિત છે. મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લામાં ‘બાગેશ્વર ધામ’ના તે પીઠાધિપતિ છે. તેઓ તેમની ચમત્કારિક શક્તિને લઈને ચર્ચામાં છે. અલગ-અલગ લોકોએ તેમને પડકાર્યા છે. તેમનું કહેવું છે કે બાબા અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે. બાબા અને તેમના અનુયાયીઓ આવા લોકોને સનાતન ધર્મ વિરોધી ગણાવે છે. બાબા જ્યાં જાય છે ત્યાં અસંખ્ય લોકો આવે છે. બાબાનાં એ ‘દર્શન’ દિવ્ય દરબાર તરીકે ઓળખાય છે. આજકાલ તેઓ ગુજરાતના પ્રવાસે છે.
હિન્દુ ધર્મમાં મોક્ષનો અર્થ જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનો છે. એના માટે ત્રણ માર્ગ છે: જ્ઞાન, ભક્તિ અને કર્મ. આ ત્રણેય માર્ગ પર જવા માટે શુદ્ધતા, સંયમ, સત્યતા, અહિંસા અને કરુણા પૂર્વશરત છે. કોઇપણ વ્યક્તિ આ ત્રણેમાંથી કોઇ એક માર્ગ પર પૂર્વશરત પ્રમાણે ચાલીને પરમ તત્ત્વમાં ભળી જઇ શકે છે, અને પુનર્જન્મના ક્રમમાંથી છૂટી શકે છે.
આધ્યાત્મિક જીવન એ વ્યક્તિગત પુરુષાર્થનું પરિણામ છે. એના માટે કોઇ તારણહારની ન તો જરૂર છે કે ન તો એવો કોઇ તારણહાર છે. આત્મબળ વગર ઉદ્ધાર શક્ય નથી એ હિન્દુ ધર્મનો કેન્દ્રવર્તી વિચાર છે. હિન્દુ ધર્મ માને છે કે માનવ આત્મા પ્રકૃતિના લૌકિક અસ્તિત્વમાં ફસાયેલો છે, અને એ અસ્તિત્વમાં એ તેનાં કર્મોનું નિર્માણ કરે છે. જ્યાં સુધી એ કર્મબદ્ધ છે ત્યાં સુધી એ પુનર્જન્મ લેતો રહે છે. સુખ-દુ:ખ અને સારાં-નરસાં કર્મોની આ નહીં અટકતા ચક્રમાંથી મુક્ત થવાનો જે માર્ગ બતાવે તે ધર્મ.
એ અર્થમાં આપણે ત્યાં ધર્મનો શબ્દશ: અર્થ થાય છે ‘પથ’. ત્યાં કોઇ મદદગાર નથી, કોઇ સંગાથ નથી. એ એક એકલવાયી યાત્રા છે. જે. કૃષ્ણમૂર્તિ નામના પ્રખર વિચારકે, તેમના નામની આસપાસ ઊભા થયેલા ઓર્ડર ઑફ ધ સ્ટાર નામના સોનાની ખાણ સમાન સંગઠનને રાતોરાત વિખેરી નાખતી વખતે કહ્યું હતું, “સત્ય એક દુર્ગમ ભૂમિ છે. કોઇપણ રસ્તેથી, કોઇપણ ધર્મથી, કોઇપણ સંપ્રદાયથી એ ભૂમિ પર જઇ શકાતું નથી.” કૃષ્ણમૂર્તિને થિયોસોફિકલ સોસાયટી ઑફ ઇન્ડિયાએ ક્રાઇસ્ટ અને મૈત્રેયી(બુદ્ધ)ના અવતાર તરીકે ઘોષિત કરેલા. આ અવતારની ભૂમિકાને કાયમ માટે ફગાવી દેતી વખતે તેમણે ઉપરની વાતમાં કહેલું, “ટ્રુથ ઇઝ અ પાથલેસ લેન્ડ.” સત્ય માર્ગ રહિત છે.
તો પછી, ભારતમાં લાખો-કરોડો લોકો બાબાઓમાં કેમ એક તારણહારને જુવે છે અને તેમના અનુયાયી બની જાય છે? કારણ કે તેમને મોક્ષ નથી જોઈતો, તેમને રોજીંદા જીવનમાં આવતી મુસીબતોનો ઉકેલ જોઈએ છીએ.
આપણે લોકોના વિશ્વાસને ભલે અંધશ્રદ્ધા ગણીને હસી કાઢીએ, પરંતુ ભારતના લોકોમાં અનેક પ્રકારની આર્થિક, સામાજિક, પારિવારિક, માનસિક અને શારીરિક સમસ્યાઓ હોય છે. આપણી સરકારો અને આપણી સામાજિક વ્યવસ્થાઓ અમુક સમસ્યાઓનો ઉપાય કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે એટલે લોકો ન છુટકે ચમત્કારો અને ચમત્કારીઓના શરણે જાય છે.
2016માં, મથુરામાં રામ વૃક્ષ યાદવ નામના એક બાબાના અનુયાયીઓ પોલીસ સાથે અથડામણમાં ઉતરી પડ્યા એમાં 27 લોકોનાં મોત થયાં હતાં. 2014માં, હરિયાણા પોલીસ સામે અથડામણમાં ઊતરેલા સતલોક આશ્રમના સ્થાપક બાબા રામપાલે, પોતાને કબીરના અવતાર ગણાવીને જાહેર કરેલું કે હિન્દુ ત્રિમૂર્તિ શિવ, વિષ્ણુ અને બ્રહ્મા મિથ્યા-દેવ છે, અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને સાચા-ઈશ્વરનો (સત્પુરુષનો) રસ્તો પોતે રામપાલ છે. હજારો ભક્તોને એમાં વિશ્વાસ પડી ગયેલો, અને રામપાલ જે દૂધમાં નહાતા હતા એમાંથી બનેલી ખીરને ચમત્કારી માની પી જતા હતા. આ લોકો જ મરવા અને મારવા પણ તૈયાર થયા હતા.
2011માં, પંજાબના નિર્મલ બાબા તેમના ટેલિવિઝન સંગમ મારફતે લોકપ્રિય થયા હતા. એ સંગમનું 50 જેટલી ચેનલો પર પ્રસારણ થતું હતું અને બાબાના ઓનલાઈન અનુયાયીઓની સંખ્યા 5 લાખ હતી. તેમના સંગમમાં હજારો લોકો તેમનાં દુઃખ-દર્દ લઈને આવતા હતા. 2017માં, સાધુઓની શીર્ષ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદે 17 નકલી બાબાઓની યાદી જાહેર કરી હતી. આ તમામ બાબાઓના અનુયાયીઓની સંખ્યા હજારોથી લઈને લાખોમાં હતી. આ બધા તેમની ચમત્કારિક શક્તિથી તેમના શ્રદ્ધાળુઓનાં દુઃખ-દર્દ દૂર કરતા હોવાનો દાવો કરતાં હતા.
ભારતના લોકોને, પારંપારિક કારણોસર, ચમત્કારોમાં ઘણો વિશ્વાસ હોય છે. તેમને લાગે છે કે જેની પાસે ચમત્કારની શક્તિ હશે તે તેમને દુઃખમાંથી બહાર કાઢશે. આધ્યાત્મિકતા અથવા ધર્મ અને ચમત્કારને કોઈ સંબંધ નથી એ સૌને ખબર છે, તેમ છતાં એ પણ એક હકીકત છે કે આઝાદીનાં 70 વર્ષ પછી પણ ભારતના કરોડો લોકોની બુનિયાદી સમસ્યાઓ ઉકેલાઈ નથી એટલે લોકો ચમત્કારના દરબારોમાં માથું નમાવા જાય છે.
પંજાબમાં રામ રહીમ સિંહ ઇન્સાનની લોકપ્રિયતા ચરમસીમા પર હતી, ત્યારે સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથને એકવાર કહ્યું હતું કે, “સિંહ જેવા ગુરુઓનો ઉદય એ વાતની સાબિતી છે કે પરંપરાગત રાજકારણ અને ધર્મ મોટી સંખ્યાના લોકોને સંતોષ આપવામાં નિષ્ફળ ગયા છે. પરિણામે લોકો બિનપરંપરાગત ધર્મ પાસે જઈને સન્માન અને સમાનતા ઈચ્છે છે. આવું આધુનિક વિશ્વના ઘણા લોકતાંત્રિક દેશોમાં થયું છે.”
ભારતમાં કરોડો લોકોને તેમના રાજકારણી, ડોક્ટર, શિક્ષક કે પરિવારના વડીલમાં જેટલો વિશ્વાસ નહીં હોય તેના કરતાં વધુ વિશ્વાસ નજીકમાં આવેલા બાબામાં હશે. એમ તો ઘરમાં ઈશ્વરની મૂર્તિ સામે પણ પ્રાર્થના કરી શકાય છે, પરંતુ ત્યાં સામે ઈશ્વરનો કોઈ પ્રતિભાવ નથી આવતો, એ એકતરફી સંવાદ છે. ગુરુના દરબારમાં ગુરુ તાબડતોબ જવાબ આપે છે એટલે તેની પ્રાર્થના વધુ ‘ફળદાયી’ લાગે છે. આમ પણ, ગુરુઓ એ જ ઈશ્વરના પ્રતિનિધિ બનીને આવ્યા હોય છે, જેની સાથે ઘરમાં એકતરફી સંવાદ થાય છે.
ઇશ્વર મનુષ્યની પાપમુક્તિ માટે પ્રત્યક્ષ (કે સંદેશવાહક મારફતે) વ્યવહાર કરતા નથી, એવું કૃષ્ણમૂર્તિ જેવા અનેક આધ્યામિક પુરુષો કહી ગયા છે, પણ એ તો ભણેલા-ગણેલા, બુદ્ધિશાળી અને વૈજ્ઞાનિક અભિગમવાળા માણસોને ગળે ઉતરે એવી વાત છે. પામર માણસોને એવું નોંધારાપણું પોષાતું નથી. તેમને તો એક એવા નેતાની (પછી તે રાજકારણનો હોય કે કોઈ સંપ્રદાયનો) જરૂર હોય છે જે તેમને આશ્વાસન આપે કે, “બેટા, ચિંતા મત કરો, સબ ઠીક હો જાયેગા.”
બાવાઓ-ગુરુઓ-સંતો-મહારાજોની આવી એક સામાજિક ભૂમિકા હોય છે. સામાન્ય માણસો એમની સામાજિક-પારિવારિક જરૂરિયાતો અને મજબૂરીઓના પહાડ નીચે એવા દટાયેલા છે કે એમનામાં ‘પાપ’ની જિંદગી ત્યજીને પ્રાયશ્ચિત્ત કે તપશ્ચર્યા કરવાની ધીરજ નથી હોતી. એમને રક્ષણ જોઇએ છે, એમને ‘પુણ્ય’ જોઇએ છે, એમને સ્વર્ગ જોઇએ છે, એમને કરેલાં કર્મોમાં માફી જોઇએ છે, એમને પૃથ્વી પર જ ભગવાનનાં દર્શન અને ભગવાનની કૃપા જોઇએ છે.
નિર્મલબાબાઓ આવી રીતે જ સમોસા અને ચાની સાથે ‘સ્વર્ગ’ અને ‘સુખ’ વહેંચતા હોય છે.
પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 28 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર