ચૂંટણીનાં પરિણામોને હાર-જીતથી આગળ જઈને સમજવા માટે, બ્રેકિંગ ન્યૂઝ અને ભાવનાઓના પૂરને ઓસરવાની રાહ જોવી પડે. આ વખતે નાની-મોટ ચાર ચૂંટણીઓ, પેટા-ચૂંટણીઓ હતી. તેની મોટી-મોટી હેડલાઈન આ પ્રમાણે છે; ભા.જ.પે. ગુજરાતમાં રેકોર્ડ તોડ બેઠકો સાથે સત્તા જાળવી રાખી છે. હિમાચલ પ્રદેશમાં ભા.જ.પ.ની હાર થઇ છે અને કાઁગ્રેસને બહુમતી મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી(એમ.સી.ડી.)માં ભા.જ.પ.નું શાસન સમાપ્ત થયું છે અને દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને મત આપ્યો છે.
એ સિવાય, વિધાન સભાની પેટા ચૂંટણીઓમાં બિહારમાં ભા.જ.પ., છતીસગઢમાં કાઁગ્રેસ, ઓડીસામાં બીજુ જનતા દળ, રાજસ્થાનમાં કાઁગ્રેસ અને ભા.જ.પ. અને રાષ્ટ્રીય લોક દળને એક-એક બેઠકો મળી છે. લોકસભાની પેટાચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને જીત મળી છે.
આ ચૂંટણીઓમાં બે મહત્ત્વની બાબત ઊડીને આંખે વળગે તેવી છે. ગુજરાતમાં ભા.જ.પ.નો દેખાવ સારો હશે તે પાર્ટીને ખુદને અપેક્ષિત હતું (અને કાઁગ્રેસ જોર નહીં મારે તેનો કાઁગ્રેસને ‘વિશ્વાસ’ હતો), પરંતુ ભા.જ.પ.ને 2017નું અધૂરું રહી ગયેલું સ્વપ્ન પૂરું કરવું હતું. તે વખતે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સાબરમતી નદીના કિનારે કાર્યકરો પાસે 150 બેઠકો મેળવવાના શપથ લેવડાવ્યા હતા, પણ પાર્ટી 99 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. તે સ્વપ્ન 2022માં પૂરું થયું છે. તે સાથે, 2024ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીના જોશમાં ઉમરો થયો છે.
કાઁગ્રેસ ગુજરાતમાં લગાતાર ધોવાતી રહી છે અને આ વખતે પણ એમાં કોઈ ચમત્કાર થવાની આશા નહોતી. એટલા માટે જ પક્ષની કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાતમાં પ્રચાર કર્યો નહતો. આંતરિક વ્યૂહરચના એવી હતી કે ગાંધી પરિવાર ગુજરાતમાં લો પ્રોફાઈલ રહે, જેથી પ્રધાન મંત્રીને એ મોકો ન મળે કે તેઓ પરિવારને નિશાન બનાવે. અત્યાર સુધી તેમણે દરેક ચૂંટણી પ્રચારમાં ગાંધી પરિવારને ગુજરાતના દુ:શ્મન તરીકે ચીતર્યા છે અને એ યોજના કારગત પણ નીવડી છે. એટલા માટે રાહુલ ગાંધીએ માત્ર બે જ પ્રચાર સભાઓ કરી હતી અને તેમાં પણ કોઈ એવું નિવેદન ટાળ્યું હતું જેનો ભા.જ.પ. હથિયાર તરીકે ઉપયોગ કરી શકે. તેમાં છતાં, કાઁગ્રેસના નવનિર્વાચિત અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ‘રાવણ’વાળી ટીકા મોદી સહિત તમામ નેતાઓએ પકડી લીધી હતી.
કાઁગ્રેસ 17 બેઠકો પર આવી ગઈ તેમાં એ વ્યૂહરચનાની નિષ્ફળતા છે કે બીજાં કારણો તે તો વિગતવાર અભ્યાસનો વિષય છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં ભા.જ.પ.ની સરકારને હરાવીને કાઁગ્રેસે એ હકીકત તો સાબિત કરી છે કે ‘કાઁગ્રેસ મુક્ત ભારત’નું સ્વપ્ન એટલું જલદી સાકાર થતું દેખાતું નથી. ગુજરાતની જીત પછી, દિલ્હીમાં ભા.જ.પ.ના કાર્યકરોને સંબોધતાં પ્રધાન મંત્રીએ તેનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, “હિમાચલની અપેક્ષાઓ પૂરી કરવા માટે ભા.જ.પ. હજુ વધુ મહેનત કરતી રહેશે. હિમાચલમાં વિજેતા પાર્ટી (કાઁગ્રેસ) કરતાં અમારો વોટ શેર એક ટકો જ ઓછો છે તે માટે હું મતદારોનો આભારી છું.”
બીજી મહત્ત્વની બાબત આમ આદમી પાર્ટીને લગતી છે. એક તરફ તેણે દિલ્હી કોર્પોરેશન કબજે કર્યું છે, ત્યારે બીજી તરફ તેણે ગુજરાતમાં 5 બેઠકોથી ખાતું ખોલાવ્યું છે. ગુજરાતમાં આપનો વોટ શેર 12.9 ટકા છે અને કાઁગ્રેસનો 27. 3 ટકા છે (ભા.જ.પ.નો 52.9 ટકા છે). 2017માં કાઁગ્રેસનો વોટ શેર 41. 4 ટકા (તેની બેઠકો 77 હતી). સ્પષ્ટ રૂપે, આપે કાઁગ્રેસના વોટ શેરમાં ભાગ પડાવ્યો છે. ધારો કે, આપ ગુજરાતની ચૂંટણીમાં ન હોત તો પરિણામ કેવું રહ્યું હોત? કાઁગ્રેસના ઉમેદવારો જ્યાં હાર્યા છે તે બેઠકો પર આપને (અને ઓવેસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીનને) કેટલા વોટ મળ્યા છે તેનું વિશ્લેષણ રસપ્રદ બની રહેશે.
આપ અને ઓવેસી ભા.જ.પ.ની ‘બી’ ટીમ તરીકે કામ કરે છે તેઓ આરોપ દરેક ચૂંટણીમાં થતો રહે છે. તેમનું કામ કાઁગ્રેસના વોટ કાપવાનું (અને એ રીતે ભા.જ.પ.ને જીતાડવાનું હોય છે) તેવો વ્યાપક પ્રચાર વિરોધ પક્ષો કરી રહ્યા છે. ઇન ફેક્ટ, ગુજરાતનાં પરિણામો પછી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે આ જીત માટે હું ભા.જ.પ.ને અભિનંદન આપું છું, પણ અમારા આટલા ખરાબ દેખાવની આશા નહોતી, અમે તેનું ચિંતન કરીશું પણ આપ અને ઓવેસીને અમારા વોટ કાપવા માટે જ ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા.
કાઁગ્રેસે જો કે આ ‘મત કાપ્યા’ની માનસિકતામાંથી બહાર આવી જવું જોઈએ અને એ વિચારવું જોઈએ કે મતદારો બીજા પક્ષોને કેમ મત આપે છે. લોકશાહીમાં દરેક પક્ષને મોટા થવાનો અધિકાર છે અને એ અંતે તો કોઈક પક્ષના ભોગે જ મોટો થાય છે. એવું તો છે નહીં કે તેના માટે એક્સ્ટ્રા મત ઊભા કરવામાં આવે.
ગુજરાતનાં પરિણામ આવ્યાં તેની સાથે જ, ભા.જ..પે મુંબઈ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં આપને મુખ્ય પ્રતિદ્વંદ્વી ઘોષિત કરી દીધી છે. મુંબઈ ભા.જ.પ.ના અધ્યક્ષ એડવોકેટ આશિષ શેલારે એક નિવેદનમાં કહ્યું હતું કે આપે જે ગુજરાત અને હિમાચલમાં લડત આપી છે તે જોતાં લાગે છે કે બી.એમ.સી.માં ભા.જ.પ.ની સીધી લડાઈ આપ સાથે હશે, બીજી પાર્ટીઓનું કોઈ મહત્ત્વ નથી.
એક વાત તો છે કે પહેલાં દિલ્હી, પછી પંજાબ અને હવે ગુજરાતમાં લડાઈ લડીને આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય પાર્ટી બનવાનો રસ્તો ખુલ્યો છે. કદાચ એ રસ્તા પર જ ભા.જ.પ.નું ‘કાઁગ્રેસ મુક્ત ભારત’નું સ્વપ્ન સાકાર થાય તો નવાઈ નહીં. કાઁગ્રેસ પૂરા દેશમાં નબળી પડેલી છે અને મુખ્ય વિરોધ પક્ષની ખાલી પડેલી જે જગ્યાને ભરવાના આપના મનોરથ છે.
ચૂંટણી પ્રચારમાં દાવા ભલે ગમે તે કર્યા હોય, આપ ગુજરાતમાં સત્તા કબજે કરવા નહીં, પણ તેની હાજરી સાબિત કરવા આવી હતી. ગુજરાતનાં પરિણામ આવ્યાં તે સાંજે પક્ષના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ખુશ મિજાજ સાથે કહ્યું હતું, “આજે આપ રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. 10 વર્ષ પહેલાં આપ એક નાનકડી પાર્ટી હતી, આજે 10 વર્ષ પછી બે રાજ્યોમાં તેની સરકાર અને ગુજરાતમાં 5 વિધાનસભ્યો છે.” ગુજરાતને કાઁગ્રેસ મુક્ત કરવામાં આપનું જે યોગદાન છે તેના માટે કેજેરીવાલ અભિનંદનને પાત્ર છે.
આપ માટે ખુશીનું બેવડું કારણ છે. દેશમાં, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને બાદ કરતાં, બીજી કોઇ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં બાકી દેશના લોકોને રસ પડ્યો નથી, પરંતુ આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી(એમ.સી.ડી.)ની ચૂંટણી પર સૌની નજર હતી, તેનું કારણ જ એ હતું કે તેની ચૂંટણી ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓની સાથે યોજાઈ હતી અને એમાં આમ આદમી પાર્ટી (આપ) એક મુખ્ય ખેલાડી તરીકે હિસ્સો લઇ રહી હતી. દિલ્હી પછી પંજાબ વિધાનસભાને કબજે કરનાર આપ, રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પક્ષ તરીકે કાઁગ્રેસનો વિકલ્પ બનવા માટે સક્ષમ છે કે નહીં તે આ ત્રણે ચૂંટણીઓ પરથી નક્કી થવાનું હતું.
એમ.સી.ડી.નું પરિણામ આપ માટે નૈતિક જુસ્સો વધારનારું છે. આપ માટે આ ડબલ ધમાકા જેવું છે. 2013માં, આપે દિલ્હી વિધાનસભામાં 15 વર્ષ જૂના કાઁગ્રેસના શાસનને સમાપ્ત કર્યું હતું. 2022માં, તેણે એમ.સી.ડી.માં ભા.જ.પ.ના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. મહત્ત્વની વાત એ છે આપે પહેલીવાર ભા.જ.પ.ને કોઈ ચૂંટણીમાં હાર આપી છે.
250ની સભ્ય સંખ્યાવાળા કોર્પોરેશનમાં આપને 134 બેઠકો (બહુમતી કરતાં 8 વધુ) મળી છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડનાર ભા.જ.પ.ને 104 બેઠકો મળી છે, જે 15 વર્ષની શાસન-વિરોધી ભાવના વચ્ચે પણ ખરાબ દેખાવ ન કહેવાય. કાઁગ્રેસ 7 પર આવીને સમેટાઈ ગઈ છે, જે તેના પૂરા દેશમાં ઓલ-રાઉન્ડ પતનના ટ્રેન્ડ પ્રમાણે જ છે. 2017ની ચૂટણીમાં ભા.જ.પ.ને 272 વોર્ડમાંથી 181 પર જીત મળી હતી, આપને માત્ર 48 મળી હતી, જ્યારે કાઁગ્રેસે 30 બેઠકો જાળવી રાખી હતી.
આમાં સૌથી રસપ્રદ હિમાચલ છે. કાઁગ્રેસે તાજેતરમાં જ તેના નવા અધ્યક્ષ (મલ્લિકાર્જુન ખડગે) ચૂંટ્યા છે. રાહુલ ગાંધી મહિનાઓથી ‘ભારત જોડો’ યાત્રામાં વ્યસ્ત છે. હિમાચલનું સઘળું સંચાલન પ્રિયંકા ગાંધીના હાથમાં હતું. તે અને હિમાચલ ભા.જ.પ.માં ચાલતા ડખાનો ફાયદો કાઁગ્રેસને મળ્યો છે. કાઁગ્રેસને ગુજરાતમાં તો બહુ આશા નહોતી (ગુજરાત તેના સપૂત નરેન્દ્ર મોદીના નામે વોટ આપશે તેવું સૌને અપેક્ષિત હતું. મોદીએ એટલા માટે જ ‘ઇન્દ્ર’નો પ્રાસ મેળવીને એક રેલીમાં કહ્યું હતું કે ‘ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડશે).
હિમાચલમાં તેનો આત્મવિશ્વાસ હાલકડોલક હતો, પરંતુ પ્રિયંકાના કુનેહપૂર્વકના પ્રચાર મેનેજમેન્ટનો તેનો ફાયદો થયો છે અને ગુજરાતનું નુકશાન ભરપાઈ કરી આપ્યું છે. હિમાચલ માટે કહેવાય છે તેના મતદારો ક્યારે ય એક પાર્ટીને પાંચ વર્ષ પછી રિપીટ નથી કરતાં (તેનાં શું કારણો છે તે વિગતવાર અભ્યાસનો વિષય છે) અને તે પરંપરા પ્રમાણે તેમણે પહેલીવાર મુખ્ય મંત્રી બનેલા ભા.જ.પ.ના જય રામ ઠાકુરની સરકારને ગડગડિયું આપ્યું છે. એ રીતે કાઁગ્રેસ અને આપ બંનેને આ ચૂંટણીઓમાં સંતોષ થયો છે.
પણ એક વાત સાફ છે. ભા.જ.પ.ની જીતમાં નરેન્દ્ર મોદી અનિવાર્ય પરિબળ છે. જ્યાં સુધી મતદારોને આકર્ષવાની વાત છે ત્યાં સુધી બીજો કોઈ નેતા તેમની આસપાસ પણ આવે તેવું નિકટના ભવિષ્યમાં દેખાતું નથી. ભા.જ.પ.ને આજે ‘ઈલેકશન-મશીન’ કહેવામાં આવે છે અને પાર્ટીના હાથમાં એ જાદુઈ છડી પકડાવાનું શ્રેય મોદીને જાય છે. ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો અને જીત કેવી રીતે હાંસલ કરવી એ તેમની પાસેથી શીખવા જેવું છે. ભા.જ.પ.ની તોતિંગ તાકાતને કેવી રીતે પહોંચી વળવું તેના માટે વિપક્ષોએ નવેસરથી ચિંતન કરવું પડશે.
લાસ્ટ લાઈન:
“વોટ બંધૂક જેવો છે. તેની ઉપયોગિતા મતદારના ચારિત્ર્ય પર નિર્ભર કરે છે.”
— થિયોડોર રૂઝવેલ્ટ, અમેરિકાના 26માં પ્રેસિડેન્ટ
પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 11 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર