માનવ મન અને તેની તાકાતમાંથી પેદા થયેલી, સારી અને ખરાબ, અનેક ચીજો સદીઓઓથી વિસ્મય અને અભ્યાસનો વિષય રહી છે. એવું કહેવાય છે કે મેડિકલ સાયન્સની અભૂતપૂર્વ સર્વગ્રાહી પ્રગતિ છતાં, કોઈ એક ક્ષેત્ર રહસ્યમય રહી ગયું હોય, તો તે છે માણસનું મન. પગના નખથી લઈને માથાના વાળ સુધીનું શરીરતંત્ર કેવી રીતે કામ કરે છે, તેનાં તમામ રહસ્યોનો વિજ્ઞાને તાગ મેળવી લીધો છે, પરંતુ મન-મગજ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બે વ્યક્તિ કે બે સમુદાયોનાં મન અલગ પડે છે, કેવી રીતે અમુક બાબતો પૂરી માનવજાતની માનસિકતામાં એક સરખી છે અને કેવી રીતે અમુક ચીજો અત્યંત ભિન્ન છે તે સમજવા માટે વિજ્ઞાનીઓ આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે.
જ્યારે વિજ્ઞાનનો, અને ખાસ કરીને માનસ વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો ત્યારે, માણસના વિચાર અને વ્યવહારને સમજવાનું કામ ધર્મશાસ્ત્રીઓ અને દાર્શનિકો કરતા હતા. માણસના કોઇ પણ વર્તનનું મૂળ તેના શરીરની અંતરિક રચનામાં છે, એટલે, ઋષિ-મુનિઓ અને દાર્શનિકોએ માણસના અંતરઆત્મા પર ફોકસ કર્યું હતું જેથી તેની એક પેટર્ન સમજી શકાય અને તેનું નિયંત્રણ કરી શકાય.
પશ્ચિમમાં, પૃથ્વી પરના પ્રાકૃતિક જગતને સમજવા માટે નેચરલ સાયન્સનો વિકાસ થયો ત્યારે, બાયોલોજીની સાથે સાથે સાઈકોલોજીની અલગ વિદ્યા અમલમાં આવી હતી, જે માનવીય મન અને તેના વ્યવહારોનો ફોડ ફાડી શકે. તેના કારણે જ ધર્મશાસ્ત્રીઓ અને દાર્શનિકોનું પ્રભુત્વ ઘટી ગયું.
જીવનની દરેક બાબતને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ સમજવાના આગ્રહના કારણે પશ્ચિમમાં છેલ્લાં 200 વર્ષમાં મનોવિજ્ઞાનમાં જબરદસ્ત તરક્કી થઇ છે અને અવ્વલ દરજ્જાના મનોવિજ્ઞાનીઓને જન્મ આપ્યો છે, જેમણે એકલ મનની ગહેરાઈની તલાશ કરી છે એટલું જ નહીં, સમાજ અને સંસ્કૃતિના વિકાસની વિશેષતાઓને પણ મનોવૈજ્ઞાનિક ઢબે સમજી છે.
ભારતમાં એવું કામ સુધીર કક્કડે કર્યું હતું. ગઈ 23મી એપ્રિલે, 85 વર્ષના મનોવિશ્લેષક અને લેખક સુધીર કક્કડનું નવી દિલ્હીમાં 85 વર્ષની વયે કેન્સરમાં અવસાન થયું, ત્યારે, કેનેડા સ્થિત ઈરાનિયન ફિલોસોફર અને શિક્ષણશાસ્ત્રી રમિન જહાનબેગલૂએ, તેમને શ્રદ્ધાંજલિ આપતા લેખના મથાળામાં સુધીર કક્કડને ‘ધ થિંકર ઓફ ઓલ સિઝન્સ’ (તમામ મોસમના વિચારક – સર્વકાલીન વિચારક) ગણાવ્યા હતા.
તેમાં તેઓ લખે છે, “સુધીર એક બહુઆયામી અને બહુ-દૂરદર્શી વિચારક હતા, જેમણે મિથકો, રિવાજો, મેલી વિદ્યા, ડોકટરો, સપનાં, હિંસા અને ભારતીય માનસ વિશે ઘણું લખ્યું હતું. તેમને ભારતીયોની ભારતીયતા અને તેઓ કેવી રીતે રહે છે, વિચારે છે અને એકબીજા સાથે જોડાયેલા રહે છે તેમાં વિશેષ રસ હતો.”
સુધીર માત્ર મનોવિજ્ઞાની જ નહીં, ઇજનેર અને અર્થશાસ્ત્રી પણ હતા. તેમણે સ્નાતકની પદવી અને બાદમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તેમ જ ઘણી વિદેશી કોલેજોમાં ભણાવ્યું હતું. તેમને ભારતીય સમાજનું અર્થઘટન કરવામાં રસ હતો. તેમને ધર્મ અને રાજકારણની સાથે રાજકીય સંબંધોમાં પણ રસ હતો.
કક્કડ સાંસ્કૃતિક મનોવિજ્ઞાન અને ધર્મના મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્વાન હતા. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં લેક્ચરર, હાર્વર્ડ ખાતે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ વર્લ્ડ રિલિજિયન્સમાં સિનિયર ફેલો અને શિકાગો, મેકગિલ, મેલબોર્ન, હવાઈ અને વિયેના યુનિવર્સિટીઓમાં મુલાકાતી પ્રોફેસર હતા.
કક્કડે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-દિલ્હીમાં પણ ભણાવ્યું છે. તેમણે નોન-ફિક્શનનાં 20 પુસ્તકો લખ્યાં હતાં, જેમાં જેમાં ધ ઈન્ડિયન્સઃ પોર્ટ્રેટ ઓફ અ પીપલ (વેન્ડી ડોનિગર સાથે) અને ધ ક્રિમસન થ્રોનનો સમાવેશ થાય છે, જેને 2010ના ક્રોસવર્ડ બુક એવોર્ડ ફોર ફિક્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
ભારતીયતા એટલે શું? આપણે તેને ઇતિહાસ, પરંપરા, ધર્મ અને ભૌગોલિકતાથી વ્યાખ્યાયિત કરીએ છીએ. સુધીર કક્કડે તેના કેન્દ્રમાં અનુકંપા મૂકી છે. દરેક સંસ્કૃતિ વિશ્વને અને તેમાં મનુષ્યના સ્થાનને પોતપોતાની રીતે જુએ છે. તે દૃષ્ટિ પછી જે તે સંસ્કૃતિના રહેવાસીઓના માનસને ઘડે છે. આપણી સંસ્કૃતિ દુનિયાને અનુકંપાથી જુએ છે, તેવી સુધીર કક્કડનો મત હતો.
તેમણે લખ્યું હતું કે બુદ્ધ, કબીર, નાનક, તુકારામ, બાસવા, ટાગોર અને ગાંધી જેવા અનેક યુગપુરુષોનો સૂર હતો કે આપણે માત્ર મનુષ્યો જ નહીં, તમામ જીવો સાથે અનુકંપાના ભાવથી જોડાઈએ છીએ. ટાગોર અને ગાંધી બંને આધ્યામિકતાને બંધુત્વની ભવનાથી માપતા હતા. “આપણે જો તમામ જીવો સાથે લગાવ મહેસૂસ ન કરી શકીએ તો આપણી તમામ પ્રાર્થનાઓ અને અનુસરણ નિરર્થક છે,” એમ ગાંધીજીએ લખ્યું હતું.
સુધીર કક્કડે અનુકંપાને એક પહાડ સાથે સરખાવી હતી, જેને ચડતી વખતે માણસ અનેક છાવણીઓ પાર કરે છે. જેમ કે તેના બેઝ કેમ્પમાં સહિષ્ણુતા છે, જેમાં તમારાથી ભિન્ન લાગણીઓ, માન્યતાઓ અને આદતો ધરાવતી વ્યક્તિનો સ્વીકાર કરવાનો ભાવ છે. તેનાથી ઉપર જાવ તો કરુણાની છાવણી આવે છે, જેમાં બીજાની પીડા માટે દયાનો ભાવ છે. અનુકંપાનું ત્રીજુ અને સૌથી છેલ્લું શિખર સહાનુભૂતિનું છે, જેમાં વ્યક્તિ બીજી વ્યક્તિની સંવેદનાઓને પોતીકી મહેસૂસ કરે છે. સહાનુભૂતિ આસપાસના જીવન અને પ્રકૃતિ સાથે એકાત્મનો ભાવ છે.
સુધીરે કહ્યું હતું કે એક સાધારણ ભારતીયથી લઈને એક સંત કે મહાપુરુષ અનુકંપાના આ પહાડના યાત્રીઓ છે. અમુક તળિયે છે અને અમુક ઉપર ચડી રહ્યા છે અથવા શિખર પર છે. તેમની ફરિયાદ હતી કે અનુકંપા અને પ્રેમની આ ભારતીય પરંપરા, પશ્ચિમમાંથી આપણે ઉછીના લીધેલા સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. એ મૂલ્યોમાં, બંધુત્વની ભાવનાનું સ્થાન છેલ્લે છે એટલું જ નહીં વર્તમાન સમયમાં અધિકારોની લડાઈમાં તે હાંસિયામાં પણ ધક્લાઈ ગઈ છે.
સમાનતાના અધિકારની લડાઈ દેશના કમજોર વર્ગ માટે જરૂરી છે, પરંતુ તે ન્યાયની લડાઈ બનીને સત્તાનો સંઘર્ષ બની જાય છે અને એમાં બંધુત્વની સહાનુભૂતિ ખોવાઈ જાય છે. “અમે અને તમે”નું આ વિભાજન અનુકંપાના પહાડને કમજોર બનાવે છે.
સુધીર કક્કડ કહેતા હતા કે ભારતમાં વિવિધ સમુદાયોના લોકોની ધાર્મિક ઓળખ માતા-પિતાની પેઢીમાંથી આવે છે. બાળકનો કોઈ ઇતિહાસ નથી હોતો, પણ તેનાં પેરેન્ટ્સ તેને જે વાર્તાઓ કહે છે, જે રિવાજોનું પાલન કરાવે છે, જે વિચારો અને માન્યતાઓ સમજાવે છે તેમાંથી તેની ધાર્મિક ઓળખ નક્કી થાય છે.
આ વ્યક્તિગત ધાર્મિક ઓળખની સાથે સાથે તેની બીજી એક ઓળખ પણ વિકસિત થાય છે, જે તેના સમુદાયમાંથી આવે છે અને જેને સાંપ્રદાયિક ઓળખ કહે છે. આ સામૂહિક સાંપ્રદાયિક ઓળખ તેને અન્ય કરતાં વિશિષ્ઠ, અસહિષ્ણુ અને ક્યારેક હિંસક બનાવે છે.
તેઓ કહે છે કે ધર્મ જ્યાં સુધી વ્યક્તિગત રહે છે, અથવા ઘરની ચાર દીવાલો વચ્ચે રહે ત્યાં સુધી શાંતિપૂર્ણ હોય છે, પરંતુ તે જ્યારે એક સમૂહની ઓળખ તરીકે બહાર આવે છે ત્યારે તે હિંસા અને સંઘર્ષમાં પરિણમે છે. સુધીર કક્કડ કહેતા હતા કે જ્યાં સુધી આપણાં બાળકોને માનસને શિક્ષણ અને કળા-સાહિત્ય મારફતે સાંપ્રદાયિકતાની નકારાત્મકતા પ્રત્યે જાગૃત કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય સમાજની અમુક બીમારીઓનો ઈલાજ થવાનો નથી.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 28 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર