તાજેતરમાં અવસાન પામેલા ગઝલ ગાયક પંકજ ઉધાસ જે ફિલ્મની ગઝલ ‘ચિઠ્ઠી આઈ હૈ, વતન સે ચિઠ્ઠી આઈ હૈ’થી મશહૂર થયા, તે ‘નામ’ બહુ બધા લોકો માટે એક વિશેષ ફિલ્મ છે. ‘નામ’ 1986ની સાલની બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ટોચની દસ ફિલ્મોમાં સાતમા સ્થાને હતી (દિલીપ કુમારની ‘કર્મા, ‘શ્રીદેવીની ‘નગિના’ અને અમિતાભ બચ્ચનની ‘આખરી રાસ્તા’ પ્રથમ ત્રણમાં હતી).
એક તો આ સુપરહિટ ગઝલથી, પંકજ ઉધાસ તેમના જ્યેષ્ઠ ગાયક બંધુ, મનહર ઉધાસના પડછાયામાંથી બહાર નીકળીને એક આગવી ઓળખ સાથે ફિલ્મ ગાયિકીમાં છવાઈ ગયા. એ પહેલાં તેમણે, એક દાયકા સુધી સ્ટેજ શો અને મહેફિલો કરીને તેમણે ગઝલ ગાયિકીમાં તેમનું નામ મજબૂત કર્યું હતું.
વાસ્તવમાં, ફિલ્મમાં પંકજ ઉધાસ પાસે ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગવાડવાનો વિચાર ફિલ્મના લેખક સલીમ ખાનનો જ હતો. ફિલ્મમાં આ ગઝલ એવા તબક્કે આવે છે, જ્યારે સંજય દત્તને ભાન થયું હોય છે કે તે દુબઈમાં ગેરકાયદે ઘૂસીને પરેશ રાવલની અપરાધની દુનિયામાં વિચિત્ર રીતે ફસાઈ ગયો છે અને તે પાછા ભારત જવા માટે તડપી રહ્યો છે.
મહેશ ભટ્ટ એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, “અમારે એ તબક્કે એક ગીતની જરૂર હતી, અને શું ગીત હતું આ! 80ના દાયકાની ફિલ્મોમાં ગઝલોની ફેશન હતી. એ સલીમ ખાનનું જ સૂચન હતું કે આપણે જો અસલી ગઝલ ગાયકને ફિલ્મમાં લઇ આવીએ તો મજા પડી જાય. અમે પંકજ ઉધાસ પર પસંદગી ઉતારી હતી. એ વહેલી સવારે સેટ પર આવતા અને બપોર પછી નીકળી જતા. એ બહુ મોટા સ્ટાર હતા. સાંજે અને રાત્રે તેમના શો રહેતા હતા. મને ખબર નથી કે આ બધું કેવી રીતે મેનેજ કરતા હતા!”
પંકજ ઉધાસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને એ લોકો ગઝલ ગાયક તરીકે ફિલ્મમાં લેવા માંગે છે એવું નહોતું કહ્યું. રાજેન્દ્ર કુમારે મને એટલું જ કહ્યું હતું કે મારે તેમની ફિલ્મમાં કામ કરવાનું છે. હું ગભરાઈ ગયો. મને ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા નહોતી. હું તો ગાવા માટે મુંબઈ આવ્યો હતો.”
તેમણે રાજેન્દ્ર કુમારને વળતો ફોન જ ના કર્યો. એમાં કુમાર ભડક્યા અને તેમણે મોટાભાઈ મનહર ઉધાસને ફરિયાદ કરી કે, “તમારો ભાઈ કેટલો બદતમીઝ છે કે જવાબી ફોન પણ કરતો નથી!” મનહરભાઈએ પંકજને પૂછ્યું કે મામલો શું છે, તો તેમણે કહ્યું કે મારી પાસે એ લોકો એક્ટિંગ કરાવવા માંગે છે અને મારે એ ગાળિયામાં ફસાવું નથી.
મનહરભાઈએ કહ્યું કે જે હોય તે પણ તારે સીધી વાત કરીને ચોખવટ કરવી જોઇએ ને! એટલે પંકજભાઈએ રાજેન્દ્ર કુમારને ફોન કરીને માફી માંગી અને કહ્યું કે મારે ફિલ્મમાં એક્ટિંગ નથી કરવી. રાજેન્દ્ર કુમારે વળતું પૂછ્યું, “પણ તમને કોણે એક્ટિંગ કરવાનું કહ્યું છે? તમારે તો પંકજ ઉધાસ તરીકે એક ગઝલ ગાવાની છે!”
અને એ રીતે પંકજ ઉધાસ ‘નામ’માં દેખાયા. એ ગીતે ઇતિહાસ રચ્યો.
એ ‘ઇતિહાસ’નો એક કિસ્સો છે. આ ગઝલ અત્યંત લોકોપ્રિય થઇ તેનું કારણ એ હતું કે તે વખતે ખાડી દેશોમાં રોજગારી માટે જવાનું બહુ ચલણ હતું એટલે ત્યાં (અને યુ.કે. – અમેરિકામાં) એન.આર.આઈ.નો એક મોટો વર્ગ હતો. ફિલ્મમાં પણ એવા જ એક યુવાનની વાત હતી અને તેની મજબૂરી અને પીડાનો પડઘો આ ગઝલમાં હતો.
પંકજભાઈ એકવાર જયપુરમાં એક શો કરી રહ્યા હતા, ત્યાં એક ભાઈ આવ્યા અને તેમને એક પુસ્તક આપીને કહ્યું, ‘સા’બ. મેં આ પુસ્તક લખ્યું છે અને તમારે તે વાંચવું જ જોઈએ. મેં આ પુસ્તક તમને સમર્પિત કર્યું છે.”
પંકજભાઈએ કહ્યું હતું, “તે ભાઈ તેઓ સિલિકોન વેલીમાં આઇ.ટી. ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. તે દરરોજ 1.500 ડોલર કમાતા હતા, પરંતુ જ્યારે તેણે મારું ગીત ‘ચિઠ્ઠી આઈ હૈ’ સાંભળ્યું, ત્યારે ખબર નહીં તેમને શું પ્રેરણા મળી પણ સિલિકોન વેલીની ઉત્તમ નોકરી છોડીને ભારત પાછા આવીને આઇ.ટી. ઉદ્યોગમાં પોતાનું કામ કરવા લાગ્યા હતા. આજે તે અબજોપતિ છે અને જ્યારે પણ મને મળે છે ત્યારે કહે છે કે જો હું ‘ચિઠ્ઠી આઈ હૈ’ ના સાંભળત તો ક્યારે ય ભારત પાછો આવ્યો નહોત.”
પંકજ ઉધાસના મખમલી અવાજમાં કેવો જાદૂ છે, તેનો સૌથી પહેલો પરિચય બે જણને હતો; એક, શોમેન રાજ કપૂરને અને બીજો ખુદ પંકજ ઉધાસને.
ફિલ્મ તૈયાર થઇ ગઈ હતી, પણ હજુ રિલીઝ થઇ નહોતી. પંકજ ઉધાસ એક કાર્યક્રમ માટે જયપુર જઈ રહ્યા હતા. ફ્લાઈટમાં તેમની આગળ જ સીટમાં રાજ કપૂર હતા. પંકજભાઈ તેમની પાસે ગયા અને તેમનો ચરણસ્પર્શ કર્યો.
રાજ કપૂર તો રાજ કપૂર હતા. તેમણે નિરાળા અંદાજમાં આશીર્વાદ આપ્યા;
“પંકજ ઉધાસ અમર હો ગયા.”
પંકજભાઈએ આશ્ચર્યથી રાજજી સામે જોયું. રાજજી હસ્યા અને બોલ્યા,
“ચિઠ્ઠી આઈ હૈ.”
‘નામ’ ફિલ્મના નિર્માતા, અભિનેતા રાજેન્દ્ર કુમાર રાજજીના સમકાલીન અને ખાસ દોસ્ત હતા. ચાર દિવસ પહેલાં તેમણે તેમના ઘરે રાજ કપૂરને ડિનર પર બોલાવ્યા હતા, અને તેમના હોમ થિયેટર ‘ડિમ્પલ’માં તેમને ‘નામ’ ફિલ્મનું “ચિઠ્ઠી આઈ હૈ” ગીત બતાવ્યું હતું. ગીત જોઈ /સાંભળીને રાજ કપૂરની આંખો છલકાઈ ગઈ હતી. રાજજીનું હૃદય ભરાયેલું જોઈને રાજેન્દ્ર કુમારને અહેસાસ થઇ ગયો કે આ ગઝલ કેટલી લોકપ્રિય થવાની છે!
પંકજ ઉધાસને તેમની કારકિર્દીનું ટેઈક ઓફ એ ગઝલથી થશે તેની પહેલી નિશાની જયપુર માટે ટેઈક ઓફ થયેલી એ ફ્લાઈટમાં મળી હતી, પણ તેમના અવાજમાં દમ છે એવો અહેસાસ તેમને બાળપણથી હતો.
1994માં, રાજ્યસભા ટી.વી. પર ‘ગુફતેગૂ’ નામના કાર્યક્રમમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેઓ મશહૂર ઇંગ્લિશ રોક બેન્ડ ‘ધ બીટલ્સ’ના બાળપણથી જ ચાહક હતા. જોહ્ન લેનોન, પોલ મેકાર્થી, જ્યોર્જ હેરિસન અને રિંગો સ્ટારના બનેલું આ બેન્ડ ‘એપલ’ નામની તેમની ખુદની એક સંગીત કંપનીના લેબલ હેઠળ એલ.પી. (લોંગ પ્લ્યેઇંગ રેકોર્ડ) બનાવતા હતા.
તેમની એ રેકોર્ડમાં બરાબર વચ્ચે લીલા રંગનો ‘એપલ’ લોગો આવતો હતો. પંકજ કહે છે, “હું મારા સ્કૂલના દિવસોમાં એ રેકોર્ડ્સ ખરીદી લાવતો હતો, અને એ એપલ જોઇને મને થતું હતું કે મારું પણ આવું જ એક લેબલ હોવું જોઈએ.”
પછી તો મોટા થયા પછી, મોટાભાગ મનહર ઉધાસના નકશે-કદમ પર તે મુંબઈ આવ્યા અને ગઝલ ગાયિકાના કાર્યક્રમો કરવા લાગ્યા. તે દરમિયાન તે અલગ અલગ સંગીત કંપનીઓ સાથે પણ કામ કરતા હતા, અને તેમની કારકિર્દી પાટે ચઢી, પછી 1990માં તેમણે ‘વેલ્વેટ વોઈસ’ (મખમલી અવાજ) નામની એક લેબલ બનાવ્યું અને પછી રેકોર્ડ્સ બનાવાનું શરૂ કર્યું.
અલબત્ત, એમાં ધક્કો વાગ્યો હતો ‘નામ’ ફિલ્મની ગઝલથી.
(સુપરહિટ, સંદેશ, 06-03-2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર