૨૬મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં ઠીક સંભાર્યું કે ‘આજ કે હી દિન આપાત્કાલ લાગુ કર દેશ કો જેલખાના બના દિયા ગયા થા.’ આમ સંભારવું અલબત્ત સાચું અને સમયસરનું હતું, અને એમાં કૉંગ્રેસ પરનો પ્રહાર ને કટાક્ષ પણ સાફ હતા. ખરું જોતાં એ કૉંગ્રેસની પોતાની જ કમાણી હતી અને છે. પણ પછી નમો એમના કાર્યક્રમોની ટીકા (અને મજાક) કરનારાઓ ભણી વળ્યા : ‘યહ ઇસ લિયે મુમકિન હૈ ક્યોં કિ હમ લોકતંત્ર મેં રહ રહે હૈ.’ અને ઉમેર્યું : ‘ઐસા કરનેવાલોં કો આપાત્કાલ યાદ રખના ચાહિયે.’
મુદ્દે, આગલે દહાડે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું ટિ્વટ ગામ આખામાં વાયકની પેઠે ફરી વળ્યું હતું કે ‘ઇમરજન્સી ઇન દિલ્હી … એરેસ્ટિંગ, ટેરરાઇઝિંગ, ફાઇલિંગ ફૉલ્સ કેસીઝ -’ આપ ધારાસભ્ય મોહનિયાને પોલીસ ચાલુ પ્રેસકૉન્ફરન્સે ઊંચકી ગઈ તેની આ પ્રતિક્રિયા હતી. અહીં કેસની ચર્ચામાં જવાનો ખયાલ નથી. માત્ર, ડારો બેસાડવાની ને છાકો પાડી દેવાની પોલીસ પેરવીના રાજકારણનો સંકેત કરવા ધાર્યો છે.
આ રાજકારણ કેવું છે એનો તાજો સંકેત ગુજરાતના જાહેર જીવનમાં ભાજપ અને એકંદર સંઘ પરિવારના સૅંક્શન સાથે જે રીતે વણઝારાની વીર પ્રતિષ્ઠાનો ઉધામો મળ્યો છે તે પરથી સમજાઈ રહેવું જોઈએ. સેવાનિવૃતિ (વસ્તુતઃ સેવામુક્ત હોવા જોઈતા) પોલીસ અધિકારી વણઝારા હજી પણ ગાંધીનગરમાં સી.બી.આઈ. સમક્ષ રોજ્જે હાજરી પુરાવવા બંધાયેલા છે. જો કે, એ બેધડક કહે છે કે અમે છ અધિકારીઓ છૂટ્યા (એટલે કે જામીન પર છૂટ્યા) તે દર્શાવે છે કે અમે સાચા હતા. ગમે તેમ પણ, સંઘ શિબિરમાં પછી બૌદ્ધિક વિશેષોપસ્થિતિ સહિત પ્રાયોજિત કાર્યક્રમોમાં એમને અંગે ઉછામણી, પધરામણી, પહેરામણીનો એક દોર ચાલ્યો છે. હજી હમણેનો આવો એક કાર્યક્રમ અમરેલીનો સંભળાયો હતો જેના આયોજક અભિનવ ભારત રાષ્ટ્રવાદી હિંદુ સંગઠનના અનિલ કોરડિયાએ ગૌરવભેર કહ્યું છે કે અમે ગાંધીવાદી નથી પણ ગોડસેવાદી છીએ. હશે ભાઈ, છાણના દેવ અને કપાસિયાની આંખો, બીજું શું.
પ્રશ્ન ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનો નથી. એ તો ટીકાપાત્ર જ નહીં પ્રતિકારપાત્ર પણ હતી. અને આ નાચીજ સહિતના અનેકે ત્યારે તેમ કર્યું પણ હતું. પણ જેઓ કટોકટીવાદના વિકલ્પરૂપે પોતાનો દાવો ‘પાર્ટી ઑફ ગવર્નન્સ’ની હદે આગળ કરે છે એમને હસ્તક દેશમાં બની રહેલ માહોલ સ્વાભાવિક અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને નાગરિક મોકળાશનો નથી. અમદાવાદમાં ભા.જ.પ. પ્રેરિત લોકતંત્ર સેનાની સંઘના કાર્યક્રમમાં પૂર્વમિસાબંદી રાજ્યપાલ કોહલીએ કહ્યું હતું કે યુવા પેઢીએ કટોકટીકાળ જોયો નથી એટલે એમને એનો ખ્યાલ આપવો જોઈએ. (વાત સાચી, પણ કોઈકે તો કહેવું સંભારવું જોઈએ ને કે આ જ રાજ્યપાલ હસ્તક મહેંદી નવાજ જંગ હૉલ કેન્દ્ર કે રાજ્ય સરકારની ટીકા નહીં કરવાની શરતે જ અપાય એવુંયે વિચારાઈ શકે છે.) શહેર ભા.જ.પ.ના કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને અનુરોધ કર્યો હતો કે કટોકટીનો કૉંગ્રેસનો કલંકિત ઇતિહાસ જન જન સુધી લઈ જવો એ રાષ્ટ્રધર્મ છે. રાષ્ટ્રધર્મ, અલબત્ત, ચોક્કસ પ્રજાતિ તાબેનો ઇલાકો છે, એ વિશે આ જમાવડાને શંકા ન હોય એ દેખીતું છે. અખબારી હેવાલ પ્રમાણે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ કટોકટીકાળમાં ભા.જ.પ.ના નેતાઓએ લોકશાહી બચાવવા કરેલા પ્રયાસોથી કાર્યકરોને અવગત કર્યા હતા. કેમ કે આ બધા પ્રયાસો ભા.જ.પ.ના નેતાઓએ કર્યા હતા, એમાં જયપ્રકાશ અને મોરારજીનો પાટલો જો ‘વગેરેમાં’ પડ્યો હોય તો નવાઈ નહીં! જેણે કટોકટીકાળ નથી જોયો તે યુવાપેઢીને ઇતિહાસની ખબર આવી પક્ષીય રીતે તો નહીં આપી શકાય.
અઘોષિત કટોકટીની રીતે ખાસું કહી શકાય. ૧૯૭૭માં કટોકટી ઊઠી ગયા પછી જનતા સરકાર હસ્તક પણ નાગરિક સ્વાધીનતાના સવાલો નથી ઊઠ્યા એમ નથી. ત્યારે પણ વિરોધ કરવાનું બનેલું છે. કૉંગ્રેસના પુનરાગમન પછી આ વિરોધમુદ્દાઓ રહ્યા અને વકર્યા છે. એન.ડી.એ.-૧ (વાજપેયી) અને એન.ડી.એ.-૨ (મોદી) વખતે પણ કહેવાનુું બનતું રહ્યું છે. જે માનસિકતા સત્તા-પ્રતિષ્ઠાનની રીતે હમણાંના ગાળામાં પ્રગટ થતી રહી છે એને વિશે ઍવોર્ડ વાપસીના ઐતિહાસિક સિલસિલા પછી નવેસરથી કહેવાની જરૂર ન હોવી જોઈએ. જેમ ‘સરકારની ટીકા નહીં’ની શરતે હૉલ આપવા જેવી જોગવાઈની હમણાં જિકર કરી તેમ એક બીજો સાદો દાખલો પણ આવું સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોગ્નિઝેબલ ગુનામાં ફરિયાદ અચૂક નોંધવી એ પોલીસની ફરજ છે. પણ આજે વાસ્તવિકતા એ છે કે પોલીસ ફરિયાદ નોંધે એવી ફરજ પાડવા માટે હાઇકોર્ટ સમક્ષ અરજી કરવી પડે છે.
‘અધોગતિ કટોકટી’ તરેહની ફરિયાદ જો કૉંગ્રેસકાળમાં હતી તો આજે પણ અપ્રસ્તુત નથી. ઇશાન ભારત અને ડિસ્ટર્બ્ડ એરિયા ઍક્ટ વિશે શું કહીશું? આફસ્પા વિશે શું કહીશું? એ જ રીતે કટોકટી (ઇમરજન્સી) ગઈ, પણ કટોકટી (ક્રાઇસિસ) ચાલુ છે એ વિશે શું કહીશું? ખાસ કરીને આર્થિક-સામાજિક ન્યાયના સંદર્ભમાં જર્મનીમાં હિટલરના વારાની એક સિતમ છાવણીની મુલાકાલ લેવાનું બન્યું ત્યારે અમને એ મુલાકાતે લઈ ગયેલા યજમાનમિત્રે જે કહેલું તે હું કદાપિ ભૂલી શકતો નથી. અગાઉ પણ ટાંક્યું છે અને વારેવારે ટાંકતો રહીશ. “એક જર્મન તરીકે મારે માટે અહીં આવવું એ કોઈ સુખદ અનુભવ નથી. પણ એક પ્રજા તરીકે અમે ક્યારેેેેેેેક કેવા ભુરાયા થયા હતા અને ન કરવાનું કરી બેઠા હતા તે યાદ રહે એટલા સારુ (જેથી કરીને એવું ફરી ન થાય તે સારુ) હું, અહીં આવવું પસંદ કરું છું.” જેમ લાદનાર મંડળી(અને એમાંથી છૂટી નહીં શકેલી જમાત)ને નાતે કૉંગ્રેસે તેમ એના પ્રતિકારનો જશ લેતા ભા.જ.પે. પોતપોતાને છેડેથી આ યાદ રાખવા જેવું છે. આપણે જેની ટીકાએ કરીને તરી ગયા એના જેવું તો નથી કરતાને!
લાલકૃષ્ણ અડવાણીએ વરસેક પર એક અખબારી મુલાકાતમાં માર્કાની વાત કહી હતી કે આપણે બંધારણીય તોડમરોડમાં તો દોષદુરસ્તી જરૂર કરી છે. પણ તેથી કટોકટી ફરી નહીં જ આવે એમ હું કહી શકતો નથી. વડાપ્રધાનપદની રેસમાં જે બન્યું એને કારણે હોઈ શકતી વ્યક્તિગત ફરિયાદના ટકા બાદ કરીને તો પણ એક પીઢ રાજકારણી તરીકેની એમની આ વાતમાં હોઈ શકતું વજૂદ ગ્રાહ્ય રાખીને ચાલવું જોઈએ.
ગમે તેમ પણ, નમો સાથે આપણે જરૂર સંમત થઈશું કે ‘આપાત્કાલ કો યાદ રખના ચાહિયે.’
જૂન ૨૭, ૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 01-02