75 વર્ષ પછી યોજાનારા કાશ્મિરનાં મહાકુંભનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે એટલું જ રાજકીય મહત્ત્વ પણ છે, જોવાનું છે કે આ મેળાની ડૂબકી ભાજપાને કેટલો લાભ કરાવશે
ઇતિહાસમાં ઘણી એવી ઘટનાઓ બને છે જે સદીઓ કે દાયકાઓ પછી ફરી એક વાર ઘટતી હોય. તેનું મહાત્મ્ય ઘણી બધી રીતે હોઈ શકે છે, જેમ કે ધાર્મિક, સામાજિક અને આજના સંજોગોમાં આવી ઘટનાઓનું રાજકીય મહત્ત્વ પણ હોય છે. કાશ્મીર એક એવી ભૂમિ છે જ્યાં ઘટતી કોઈ પણ ઘટનાનો પ્રભાવ ધાર્યાં કરતાં ઊંડો અને વિસ્તૃત હોઈ શકે છે. કાશ્મીરનાં ગંદેરબાલ જિલ્લામાં સિંધુ અને વિતાસ્તા નદીઓનાં પવિત્ર સંગમ જે સ્થળે થાય છે ત્યાં 14મી જૂને 75 વર્ષનાં લાંબા ગાળા પછી દશર મહાકુંભ યોજાઈ રહ્યો છે. આ મેળાનું મહત્ત્વ કાશ્મીરી પંડિતો માટે એટલું જ છે જેટલું બાવા યોગીઓ માટે બનારસમાં થતા મહાકુંભનું હોય છે. કુંભનું આયોજન ગંદેરબાલ જિલ્લાનાં વસ્કુલા તેહસીલમાં થશે. એવી ધારણા છે કે આ મેળામાં ઓછામાં ઓછાં 20 હજાર કાશ્મીરી પંડિતો વિવિધ સ્થળેથી ભાગ લેવા આવશે.
વિતસ્તા (ઝેલમ), ક્રિશન ગંગા અને સિંધુ નદીનો જ્યાં સંગમ થાય છે, ત્યાં એક નાનકડો ટાપુ છે. એ ટાપુ પર ચિનારનું એક વૃક્ષ છે. સંગમ સ્થાન પર એક શિવ લિંગ છે અને આસપાસ શાદીપોરા ઘાટ અને નારાયણ બાગ જેવાં અન્ય ધાર્મિક સ્થળો પણ છે. ચિનારનાં આ વૃક્ષની ચારેય બાજુ પાણી છે અને આ વૃક્ષને પ્રયાગ ચિનાર તરીકે ઓળખવામાં આવે છે. હોડીમાં બેસીને અહીં સુધી પહોંચી શકાય છે પછી થોડાં પગથિયાં ચઢીને સંગમનો ભવ્ય અને રમણીય નજારો નિહાળી શકાય છે. વૃક્ષની છાયામાં સ્થપાયેલ શિવલિંગની પણ પૂજા થાય છે. પ્રયાગ ચિનારને ચમત્કારી અને પવિત્ર માનવામાં આવે છે. કાશ્મીરી પંડિતો માટે આ સ્થળનું ખૂબ જ મહાત્મ્ય છે. શ્રદ્ધાળુઓ માને છે કે નદીમાં પૂર આવે તો પણ આ વૃક્ષ કોઈ પણ સંજોગોમાં ડૂબતું નથી.
આ સ્થળે હિંદુઓ પોતાનાં પિતૃઓનાં અસ્થિ વિસર્જન માટે આવે છે. પહેલાં વડા પ્રધાન અને કાશ્મીરી પંડિત જવાહરલાલ નહેરુનાં અસ્થિનું વિસર્જન પ્રયાગમાં અને દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં બિજબેહરામાં કરવામાં આવ્યું હતું. મહાકુંભ દસ દૈવી તત્ત્વોનાં મિલનનું પરિણામ છે જેમાં સૂર્યનો પણ સમાવેશ થાય છે. હિંદુ શાસ્ત્રો પ્રમાણે તેની ધાર્મિક અગત્યતા ખૂબ છે.
સાડા સાત દાયકા પછી થઈ રહેલા આ કુંભને લઈને કાશ્મીરી પંડિતોમાં ખૂબ ઉત્સાહ છે. દશર મહા કુંભ વિષે વધારે માહિતી મેળવવા માટે કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરવી જરૂરી હતી જે શ્રીનગરમાં હોય અને કાશ્મીરનાં સંજોગો, આ કુંભના પ્રસંગે અને કાશ્મીરી પંડિતોની સ્થિતિ અંગે વિગતવાર વાત કરી શકે. મેં શ્રીનગરમાં રહેતા એક પત્રકાર અને કાશ્મીરી પંડિત અનિલ રૈના સાથે લાંબી ટેલિફોનિક વાતચીત કરી. તેમની વાત પરથી સ્પષ્ટ થાય છે કે કાશ્મીરી પંડિતો માટે આ ખૂબ જ મહત્ત્વનો અને પવિત્ર પ્રસંગ છે. કુંભનું આયોજન કરનાર કમિટીનાં સભ્યોએ કાશ્મીરનાં ઉપ મુખ્ય મંત્રી નિર્મલ સિંઘને અરજ કરી છે કે શ્રદ્ધાળુઓ માટે બધા જ પ્રકારની સવલતો ખડી કરાય અને તેમની સલામતીની પૂરી તકેદારી રાખવામાં આવે. વળી આ વખતે મહાકુંભના બે દિવસ પહેલાં જ ખિરવાણી મેળો પણ થઈ રહ્યો છે એટલે કાશ્મીરી પંડિતો માટે આ બમણો ઉત્સવ સાબિત થશે. જે પંડિતો ખિરવાણી મેળામાં આવશે એ તમામ મહાકુંભનો લાભ પણ લેશે.
ત્યાં રહી રહેલાં કાશ્મીરી પંડિતોને આશા અને ઉત્સાહ છે કે દશર કુંભના મેળાને પગલે પોતાનાં મૂળિયાં છોડીને ચાલ્યાં ગયેલાં કાશ્મીર પંડિતો ભલેને ગણતરીનાં દિવસો માટે તો એમ પણ પોતાના વતનની માટીની સુગંધ પોતાનાં શ્વાસમાં ભરી શકશે. સગાંઓ અને મિત્રો વચ્ચે વર્ષો પછીની મુલાકાતો કરાવવા માટે પણ આ ધાર્મિક પ્રસંગ અગત્યની કડી બની રહશે. આવો જ એક પ્રસંગ વર્ણવતાં અનિલ રૈનાએ પોતાનાં એક સહપાઠીની વાત કરી જે કુંભ મેળાને બહાને 26 વર્ષે પોતાનાં વતનમાં પાછાં ફરવાનાં છે. લાગણીઓનું જે ભાથું અડધું છૂટી ગયું છે એનો સ્વાદ આ કોળિયે જેટલો મળે એટલો મેળવી લેવાં માટે કેટલાં ય કાશ્મીરી પંડિતનાં પરિવારો અહીં આવશે.
ધાર્મિક કારણો ઉપરાંત રાજકીય કારણોને પગલે પણ દશર કુંભની આસપાસ ઉત્સુકતા વધારે છે. અનીલ રૈનાએ જણાવ્યા અનુસાર કેન્દ્રમાં ભાજપાની સરકાર હોવાને કારણે કાશ્મીરી પંડિતોને માટે લાભદાયી સ્થિતિ છે. મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે કાશ્મીરી પંડિતો માટે રિટર્ન અને રિહેબિલીટેશન પેકેજ શરૂ થયું હતું અને ત્રણેક હજાર કુટુંબોનું પુનઃસ્થાપન થઈ શક્યું, પણ કાશ્મીરી પંડિતો માટે ભાજપા સરકારે આ કામની ઝડપ વધારી છે. રાજકીય દ્રષ્ટિએ આ ધાર્મિક પ્રસંગ મોદી માટે એટલો જ અગત્યનો છે, જેટલો કોઈ કાશ્મીરી પંડિત માટે, હા એક માટે રાજકીય લાભ છે તો બીજા માટે એ શ્રદ્ધાનો વિષય છે. કાશ્મીરમાં પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી-પી.ડી.પી.ની સરકારને ભાજપાનો ટેકો મળ્યો છે, અને આ સ્થિતિમાં જે રીતે સરકાર તરફથી કામગીરી થઈ રહી છે તે કાશ્મીરી પંડિતો માટે કાળાં વાદળમાં સોનેરી કોરની ગરજ સારી રહી છે.
મોદીની સરકાર બની ત્યારે મોદીએ કાશ્મીરી પંડિતોનાં પુનઃસ્થાપન અંગે વચન આપ્યું હતું અને હવે ભાજપા માટે આ ખૂબ જ અગત્યનો મુદ્દો બની ચુક્યો છે. આ સ્થિતિમાં દશર મહાકુંભ એ મૌકે પર ચૌકા મારવા જેવી સ્થિતિ પૂરી પાડશે. હા જો કે માત્ર દશર કુંભનાં સુઆયોજનથી આ હેતુ સિદ્ધ નહીં થાય. મોદી સરકારે કાશ્મીરી પંડિતોનો વિશ્વાસ જીતવો હોય તો આ તો પાશેરામાં પહેલી પૂણી છે. એક પ્રસંગ સાંગોપાંગ પાર પડે એને પગલે આત્મવિશ્વાસનું અફીણ માણવાની ભૂલ મોદી સરકાર ન કરે તો જ ઠીક રહેશે. કાશ્મીરી પંડિતોનાં એક સમૂહે છેલ્લાં દસ વર્ષથી અનંતનાગમાં દર વર્ષે એક વાર થતો હવન શરૂ કરવાની જ્યારે વાત છેડી હતી ત્યારે તેમને પોલિસ સત્તાવાળા તરફથી પણ ના પાડવામાં આવી હતી કારણ કે સલામતીનો પ્રશ્ન બહુ મોટો હતો. આજે પરિસ્થિતિ પહેલાં કરતાં બહેતર છે અને કાશ્મીરી પંડિતો નિરાંતનો શ્વાસ લઈ શકે છે. હા આજે પણ કાશ્મીરમાં બધું બરાબર છે એમ કહેવાવાળાંઓને કદાચ ત્યાં પાકી રહેલા લાવાનો ખ્યાલ નથી, પણ પહેલાંની માફક ત્યાં બેફામ હિંસા પણ નથી ફાટી નીકળતી. પરિસ્થિતિ તંગ નથી પણ નાજૂક તો છે જ. આવા સંજોગોમાં દશર મહાકુંભનો પ્રસંગ આવવો અને કેન્દ્ર સરકારનો આખી વ્યવસ્થાને પૂરો ટેકો આપવો બહુ મોટો રાજકીય ફાયદો બની રહેશે.
મોટા ભાગનાં કાશ્મીરી પંડિતો ભાજપ તરફી છે અને તેમને આ સરકાર તરફી ખૂબ અપેક્ષાઓ છે. જોવાનું એ છે કે સરકાર તેમની અપેક્ષાઓ પૂરી કરવામાં કેટલી હદે સફળ થાય છે. દશર મહાકુંભ એ હજી શરૂઆત છે, એક મેળાનું સફળ આયોજન કાશ્મીરી પંડિતોની વર્ષોથી વિખેરાયેલી લાગણીઓને પખાળી શકશે પણ એમના વિશ્વાસને તરબોળ નહીં કરી શકે. હજી તો મોદી સરકારે ઘણું કરવું પડશે.
સ્વતંત્રતાની તરફેણ કરનાર હુર્રિયત કોન્ફરન્સે આ આયોજન તરફ શંકાની સોય ફેરવી છે. તેમને લાગે છે કે જ્યારે સરકાર કાશ્મીરી પંડિતોનાં પુનઃસ્થાપનનું રાજકારણ ખેલી રહી છે ત્યારે આ પ્રકારનું આયોજન અહીંના સમાજમાં વધારે વર્ગવિગ્રહ કરાવનારું સાબિત થાય તેવી વકી છે.
બાય ધી વેઃ
કાશ્મીરી પંડિતોને ભાજપા સરકાર પર બહુ વિશ્વાસ છે. મોદી ખરા અર્થમાં તેમનાં પુનઃસ્થાપન માટે કંઈ કરી છૂટે તો તેમને માટે પ્રસંશાની ધજા ફરકાવવી પડે એ ચોક્કસ. હા પણ પછી કાશ્મીરી પંડિતોને નામે અનુપમ ખેર જેવાં અભિનેતાઓને સ્ટેજ પૂરું પાડવાની ભૂલ પણ ભાજપ સરકારને લાંબે ગાળે નડી શકે છે. અનુપમ ખેર એક્ટર બહુ સારા છે પણ રાજકારણમાં છબછબિયાં કરી લેવાની એમની દાનત અથવા ઘણીવાર એમને એવી સ્થિતિમાં મૂકી દે છે જ્યાં ડાયલોગ વિલનનો બોલવાનો હોય અને સ્ક્રિપ્ટ કોમેડિયનની આવી ગઈ હોય એવો ઘાટ થાય છે. સુંદર સાડીઓમાં ટેલેન્ટ શો જજ કરનારાં તેમના ભાજપાનાં એમપી એટલે કે તેમનાં પત્ની એમનાં બકવાસ પર પણ લાલ ચોકડીનું બટન દબાવતાં જાય તો ખેર સાહેબ પોતાની લાઇન્સ સાચા સંદર્ભે બોલતાં વહેલાં મોડાં શીખી શકે એવી આશા રાખી શકાય. બાકી તો પડદો પાડવા કે ઉપાડવાનું કામ તો સાહેબનાં હાથમાં જ છે.
https://www.facebook.com/chirantana.bhatt/posts/1014365348618474