Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું તો ક્યારનો તેના પ્રેમમાં હતો…….

પ્રશાન્ત દયાળ|Gandhiana|1 July 2016

1990ના દસકમાં જ્યારે હું પત્રકાત્વમાં પ્રવેશ્યો, ત્યારના દિવસો યાદ કરતા મને કેટલાક મિત્રો આજે પણ કહે છે અમને તે દિવસનો પ્રશાંત બરાબર યાદ છે. ખાદીનાં કપડાં, એક થેલો અને પગમાં કોલ્હાપુરી ચપ્પલ પહેરી રિપોર્ટીંગમાં નીકળતો હતો .. પણ પછી મેં ખાદી ક્યારે છોડી તેને યાદ કરું છું ત્યારે મને તે દિવસો બરાબર યાદ આવે છે. ગાંધી સાથે મને લગાવ ક્યારે થયો તેની મને આજે પણ ખબર નથી. મે ગાંધીને ખાસ વાંચ્યા પણ નથી, છતાં કયા કારણસર હું ગાંધીના પ્રેમમાં પડયો, તે ચોક્કસ રીતે કહી શકું તેમ નથી. આમ પણ પ્રેમને કોઈ કારણ હોતું નથી; છતાં તમે જેને પ્રેમ કરો તેની બધી જ વસ્તુઓ તમને ગમવા લાગે તેમ ગાંધીને ખાદી ગમતી એટલે હું તે પહેરવા લાગ્યો હતો.

પત્રકારત્વમાં રહ્યા પછી મને સતત એવું લાગતું કે ગાંધીનું પત્રકારત્વ અને અને હું જે પત્રકારત્વ કરી રહ્યો છું, તેમાં મોટું અંતર છે. વાસ્તવિકતા એવી પણ હતી કે ગાંધીજીના પત્રકારત્વ અને આજના પત્રકારત્વનો મેળ પડી શકે તેમ નહોતો, કારણ જ્યારે હું પત્રકાર થયો ત્યારે જે પત્રકારત્વને માલિકો અને પત્રકારોના મિશન સમજતા હતા, તે યુગનો અંત આવવાની તૈયારી હતી. હવે સમાચાર વંચિતો-શોષિતો માટે નહીં, પણ કોલમ સેન્ટી-મિટરના ભાવના આધારે નક્કી થવાના હતા. હું એક સામાન્ય માણસ, મને ખબર હતી કે હું કઈ તેમાં મોટો ફેરફાર કરી શકવાનો નહોતો, છતાં આતંરિક સંઘર્ષ બહુ થયો. નેતાઓ અને તંત્રીઓની સાથે ઝઘડતો રહ્યો. હવે શું થઈ શકે તેવો એક પ્રશ્ન ઊભો થયો.

સૌથી પહેલાં મેં નક્કી કર્યુ કે હું જાતને છેતરીશ નહીં, હું ખાદી પહેરું અને મારા વ્યવહાર અને કામમાં ગાંધી ના હોય, તો તેવી ખાદી પહેરવાનો કોઈ અર્થ નહોતો. હું ખાદી પહેરું અથવા ના પહેરું તેનાથી મારી ગાંધી તરફની શ્રદ્ધા-પ્રેમમાં કોઈ ઘટાડો થવાનો નહોતો. પણ મને ખબર હતી કે હવે વ્યવસાયનાં નામે મારે જે વ્યવહાર અને કામ કરવાનું છે, તેમાં એક ખાદીધારી વ્યકિત પાસે જે અપેક્ષા ના હોય તેવું બધું જ થશે. ગાંધીને મેં કરેલો પ્રેમ એક અત્યંત વ્યકિતગત બાબત હતી. કોઈ પણ માણસ પોતાના ઈશ્વરમાં શ્રદ્ધા રાખે એટલી જ. મને ગાંધી ગમે છે તેવું મારે કોઈને કહેવાની જરૂર નહોતી; અને મેં ખાદીનો ત્યાગ કર્યો.

સમય બદલાયો … વ્યવહાર પણ બદલાયો .. પોલિટીક્સ અને ક્રાઈમ રિપોર્ટીંગ કરતાં દેખાવ અને વ્યવહારમાં પણ હું તેમના જેવો જ રૂક્ષ થવા લાગ્યો … છતાં મારી અંદરના ગાંધીએ મારામાં રહેલા માણસ અને પત્રકારને મરવા દીધો નહીં, તેવું આજે ચોક્કસ કહી શકું. પત્રકારત્વના અઢી દાયકાઓમાં અનેક ઉથલપાથલો થઈ, દેખાવ બદલાયો હોવા છતાં હું મારી અંદરના માંહ્યલાને ખાસ બદલી શકયો નહીં. ક્યારેક સમાધાનો પણ કર્યાં, છતાં પોતાની જાત સાથે અને બીજા માટે તો લડતો રહ્યો, … ત્યાં સુધી લડ્યો કે નોકરી ગુમાવી, કિંમત ચુકવી.

પચાસ વટાવી ગયા પછી કોઈને કામ જોઈએ છે, તેવું કહેવા માટે પહેલાં પોતાનાં ફેફસાંમાં શ્વાસ ભરી લેવો પડે. હૃદયના વધી રહેલા ધબકારાને નિયંત્રણમાં લાવવા પડે; પણ કદાચ હવે હૃદય અને ફેફસાં બે વર્ષથી ટેવાઈ ગયાં છે તેવું લાગે છે ..

હમણાં બી.બી.સી. હિન્દી માટે તો કામ કરું છું, પણ કામનો સરવાળો રૂપિયામાં મહિનાના હિસાબ સાથે મેળ ખાતો નથી. વિવેક દેસાઈ મારો જૂનો મિત્ર પત્રકાર થયો તે પહેલાંનો. પછી અમે “દિવ્ય ભાસ્કર”માં સાથે નોકરી પણ કરી. તેની પત્ની શિલ્પા મારી સાથે સ્કૂલમાં ભણતી હતી. હવે વિવેક ‘નવજીવન ટ્રસ્ટ’નો મેનેજિંગ ટ્રસ્ટી છે. તેણે મને એક દિવસ બોલાવીને પૂછ્યું, તું મારી સાથે ‘નવજીવન પ્રેસ’માં કામ કરીશ. તારું પત્રકાર તરીકેનું કામ ચાલુ રાખ, તેમાં પણ મને વાંધો નથી ….

મને વિચાર આવ્યો, આખી જિંદગી લૂંટ-બળાત્કાર પોલિસના સાચા ખોટા એન્કાઉન્ટરો અને નેતાઓના ભ્રષ્ટાચાર લખ્યા પછી ગાંધીજીએ શરૂ કરેલા ‘નવજીવન’ના પ્રેસમાં હું શું કામ કરી શકું ? .. તેણે કહ્યું આપણે પોલિસ અને જેલમાં રહેલા કેદીઓ વચ્ચે ગાંધીજીને લઈ જવાના છે .. હું વિચારતો રહ્યો, મને કામ ફાવશે કે નહીં. વિવેકે મને સધિયારો આપી કહ્યું, આમ ખાસ કરી કરવાનું નથી, કારણ આપણી પ્રોડકટ ગાંધી છે અને પ્રોડકટનો બ્રાન્ડ એમ્બેસેડર પણ ગાંધી જ છે, એટલે ત્યાં સુધી જવામાં ખુદ ગાંધીજી જ આપણને મદદ કરશે.

મેં મારા મનમાં રહેલી અનેક શંકાઓ સાથે હા પાડી. વિવેકે એક સ્પષ્ટતા કરી, તને કામ આપીને હું કોઈ ઉપકાર કરતો નથી. અમારે તારા જેવા માણસની જરૂર છે. તેની સાથે વળી તું એક સારો માણસ પણ છે. મેં પહેલી વખત માણસ, સારા માણસનું રોકડમાં રૂપાંતરણ થતાં જોયું. બાકી તમે બહુ સારા, તમે બહુ બહાદુર, કોઈની પણ સાડાબારી રાખો નહીં, તેવું અનેક વખત સાંભળ્યું; પણ કદાચ તેના કારણે જ મને કોઈ કામ આપતું નથી તેનું જ્ઞાન બહુ મોડે થયું.

અને મેં ‘નવજીવન પ્રેસ’માં જવાની શરૂઆત કરી દીધી છે. …. ખબર નહીં પણ ‘નવજીવન’માં જઉં ત્યારે મનને સારું લાગે છે. …. કદાચ મંદિરમાં ગયા પછી ઈશ્વર હોવાનો અહેસાસ અથવા તેનો ભ્રમ હોવાના ભાસના કારણ જેવું લાગે કદાચ તેવુ જ. મંદિરમાં ઈશ્વર હતો કે નહીં તેની ખબર નથી, પણ 'નવજીવન’માં ગાંધી હતા અને છે, તેની મને ચોક્કસ ખબર છે. હું ‘નવજીવન’માં જોડાયો તેની બહુ ઓછાને ખબર છે. .. પણ જેમને ખબર પડી, તેમના ચહેરા ઉપર, ‘હેં, શું વાત કરો છો ?’ તેવો ભાવ હતો. તેઓ કંઈ બોલતા નહીં. પણ એક ક્રાઈમ રિપોર્ટર ગાંધી અને ‘નવજીવન પ્રેસ’ −  કઈ રીતે શકય છે, કંઈક મીસમેચ થઈ રહ્યું હોય, તેવું તેમનો ચહેરો વાંચીને લાગતું હતું. મેં આ અંગે મારા મિત્ર ઉર્વીશ કોઠારીને વાત કરી, અને કહ્યું હું ગાંધીના પ્રેમમાં છું, તે મારે કોઈને કહેવાની જરૂર નથી. પણ હું ‘નવજીવન’માં છું, તે વાત કોઈને હજમ થતી નથી. નોકરી તો બાજુ ઉપર રાખો, પણ કઈ રીતે મારા જીવનમાં ગાંધી કેટલો મહત્ત્વનો છે, તે સમજાવી પણ શકતો નથી !

તેણે કહ્યું, તારી પાસે ભલે તેનો ઉત્તર ના હોય, પણ મને ખબર છે કે તારી અંદર ગાંધી જીવે છે અને એટલે જ મજેઠિયા પગાર પંચના મુદ્દે તારે કોઈ લેવા-દેવા નહીં હોવા છતાં તું બીજા માટે ઊભો થયો અને લડ્યો, તે તારી અંદરનો ગાંધી જ હતો.

ભાજપના મારા મિત્ર નિમેષ જોષીને બે દિવસ પહેલાં હું ‘નવજીવન’માં જોડાયો તેના ખબર આપ્યા, ત્યારે તેણે એક મઝાની વાત કરી કે એક કમનસીબ બાબત એવી છે કે ગાંધીને સમજવા માટે આપણને ‘લગે રહો, મુન્નાભાઈ’ ફિલ્મ જોવી પડે; અને સદ્દનસીબ બાબત એવી છે કે હવે મુન્નાભાઈઓમાં જ ગાંધી જીવી ગયો છે.

https://www.facebook.com/prashant.dayal.75/posts/1383437401671443

Loading

1 July 2016 પ્રશાન્ત દયાળ
← રાષ્ટ્રભાષાવિહોણો દેશ આપણો, અંગ્રેજીનું ચલણ યથાવત્‌ રહ્યું છે
અસલિયત ખુલ્લી પડ્યાની અકળામણ →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved