દૃશ્ય ૧ : સામસામેની સોસાયટીમાં રહેતાં એક જ કોમનાં છોકરો-છોકરી પ્રેમમાં પડયાં. પકડાઈ ગયાં. છોકરીના બાપે છોકરાને ધમકાવ્યો. આ ધમકાવવાની ટેગલાઈન હતી, તેં મારી છોકરીને ફસાવી છે.
દૃશ્ય ૨ : સામસામેની સોસાયટીમાં રહેતાં બે અલગ-અલગ કોમનાં છોકરા-છોકરી પ્રેમમાં પડયાં. છોકરીનો બાપ કે બીજું કોઈ ક્યાં ય પિક્ચરમાં નથી, પણ છોકરીની સોસાયટીના સો-કોલ્ડ ચેરમેન ફ્રેમમાં એન્ટર થયા. એમણે છોકરાને ધમકાવ્યો. ટેગલાઈન હતી, સાલા તમારી સોસાયટીના છોકરાઓ અમારી સોસાયટીની છોકરીઓને ફોસલાવીને પટાવી જાય છે. હવે આ બીજા દૃશ્યમાં એક નવો જ ચહેરો સામેલ થયો. એને સોસાયટી સાથે કંઈ લેવાદેવા નથી પણ એ કોઈક ધાર્મિક સંગઠનનો વડો છે. એણે જાહેર કર્યું, "તમને ખબર છે, આ તમારી સામેવાળી સોસાયટીમાં રહેતા બધા તો ફલાણા ધરમના છે અને એ કોમવાળા તો બધા આવું જ કરે છે. આપણી દીકરીઓને કંઈ ને કંઈ લાલચ આપી પટાવી જાય છે, તેમનો ઉપયોગ કરે છે અને તેમને વટલાવી નાખે છે. ફલાણી જગ્યાએ પણ આવું થયેલું. એમની કોમવાળાઓ આવા જ છે બધા.”
ઉપર છે રાઈના પર્વત નામે લવ-જેહાદની શરૂઆતનો તબક્કો.
ઉપરનાં બે દૃશ્યોમાં ફરક સમજવા જેવો છે. એક વ્યક્તિગત વાત છે, જેમાં છોકરીના બાપને મારી દીકરીને ફસાવવામાં આવી રહી છે એવી લાગણી થાય છે. (જે સાહજિક ગણી શકાય.) રિપીટ. લાગણી થાય છે, ખરેખર છોકરીએ છોકરાને ફસાવ્યો હોય કે કોઈએ કોઈને ન ફસાવ્યા હોય કે બેઉ એકબીજાને પ્રેમ કરતાં હોય તેમ બની શકે છે. બીજા દૃશ્યમાં એક ઘટના વ્યક્તિમાંથી કેવી રીતે નાના સમૂહની યાને કે સો-કોલ્ડ સોસાયટીની બની જાય છે તેની વાત છે. હવે આ નાના સમૂહમાં ધરમનો મોટો સમૂહ ભળે છે અને સાદો, સરળ પ્રેમ પણ 'કોમવાલા ઇસ્ક' બની જાય છે. "ફલાણી કોમના છોકરાઓ ઢીંકણી કોમની છોકરીઓને પૂર્વયોજિત કાવતરા મુજબ ફસાવે છે, તેમનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવે છે અને તેમને રંજાડે છે" એવી વાત એક સોસાયટીથી બીજી સોસાયટી ને ગામમાંથી પરગણામાં થઈ છેવટે છાપે પહોંચે છે. એક વ્યક્તિગત વાતને આખા સમાજના ધારણાત્મક સત્ય તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ વાત જેની હવા બંધાઈ છે તે લવ-જેહાદનો મૂળ વિચાર છે.
કથિત લવ-જેહાદને હિન્દુ-મુસ્લિમ એવા કોમી ચોકઠામાંથી બહાર કાઢી જોવામાં આવે તો બેઉ પક્ષે દાવ પર તો સ્ત્રી જ લાગેલી છે. "અમારામાં (છોકરી) લેવાય પણ દેવાય નહીં" એવી પ્રચલિત સમાજોક્તિ યાદ આવે છે? 'લવ-જેહાદ' નામે તૂત ઊભું થયું છે તેની પાછળની ધાર્મિક રૂઢિચુસ્ત પુરુષવાદી માનસિકતા આ છે. આધુનિક બની રહેલી પેઢી દેશના બંધારણે આપેલા અધિકાર મુજબ ધર્મથી લઈને પસંદગી મુજબનાં લગ્ન સુધીનું સ્વાતંત્ર્ય મેળવવાની કોશિશ કરી રહી છે, પણ તમામ ધર્મો અને તેમના સેંકડો વાડાઓમાં પેઠેલો સડો તેમને ફરી એ જ કળણમાં ખૂંપવી દેવા માગે છે. આ પરિસ્થિતિનો સૌથી વધારે ફાયદો રાજકારણ મેળવે છે એટલે એક પણ પક્ષ "દેશના બંધારણ મુજબ અને મૂળભૂત માનવીય અધિકારો મુજબ તમને તમારી પસંદગીથી પ્રેમ કરવાનો, લગ્ન કરવાનો, ગમે તે વ્યયસાય કરવાનો, હરવા-ફરવાનો, અભિવ્યક્તિનો કે ધર્મ પસંદ કરવાનો અધિકાર છે" એમ કહેવાને બદલે 'લવ-જેહાદ' જેવી મોંમાથા વગરની વાતની પણ રોકડી કરી લે છે.
કોઈ પરિવારનો છોકરો બીજા ધર્મની છોકરીના પ્રેમમાં પડે અને તેને પરણે તેની સામે જે હદે વાંધો હોય તેનાથી હજાર ગણો વધારે વાંધો પોતાના પરિવારની છોકરી સામેની કોમમાં પરણે તેમાં હોય છે. અહીં સ્ત્રીની વ્યક્તિગત ઓળખ ભૂંસાઈ જાય છે. એ માત્ર ઘર-ખાનદાન-નાત-ધરમનું ગૌરવ બનીને રહી જાય છે. બીજી કોમનો છોકરો તમારી કોમની છોકરીને પરણે એવા તમામ સંબંધોની સત્યતાને તમે 'લવ-જેહાદ' ગણી નકારી કાઢો અને તેને ધર્મપરિવર્તનનું પૂર્વયોજિત ષડ્યંત્ર ગણો તો આ જ ગણિત ઊલટું પણ લાગુ ન થઈ શકે? થઈ શકે. આ વાત જો સાચી માનવામાં આવે તો બેઉ કોમના છોકરાઓ કથિત રીતે લવ-જેહાદી ઠરે અથવા તો તમામ વિધર્મી પ્રેમલગ્નનું કારણ ધર્માંતરણ જ ગણાવવામાં આવે. જે હસી કાઢવી પડે એ હદે મૂર્ખતાભરી વાત છે. અલબત્ત, આવું કરવામાં પણ આવી રહ્યું છે. લવ-જેહાદ નામના કથિત સંગઠનની હયાતી કે સત્યતા તો સાબિત થઈ શકી નથી, પણ તેની સામે એન્ટી લવ-જેહાદ નામે નવો મોરચો ઊભો થયો છે. "એ લોકો આપણી કોમની એક છોકરી લઈ જાય છે તો તમે તેમની કોમની સો છોકરીઓ લઈ આવો" એવા હોંકારા પડકારા કેટલાક કટ્ટરવાદીઓ કરી પણ રહ્યા છે. અરે! એક મિનિટ ભાઈ, સ્ત્રીઓને દાવ પર લગાવવાની કોઈ હોડ જામી છે કે શું? બે કબીલા કે બે દેશો કે પછી બે જૂથો વચ્ચે યુદ્ધ થાય અને તેઓ સ્ત્રીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવી યુદ્ધ જીતી લેવાની પરંપરા હતી પહેલા. અહીં યુદ્ધ તો નથી, પણ લોકશાહી પ્રણાલીમાં ચૂંટણીઓ જ યુદ્ધ ગણાતી હોય છે એ કોણ નથી જાણતું?
તો આ આખી લવ-જેહાદની વાતમાં તથ્ય શું નીકળે? ૨૦૦૭થી ગુજરાતમાં અને કર્ણાટક, કેરળમાં ગૂંજી રહેલો આ મુદ્દો ખરેખર છે શું? કોઈ કોમના લોકો આવું પૂર્વનિયોજિત ષડ્યંત્ર રચીને કામ કરી રહ્યા છે એ દાવો કેટલો સાચો ઠરે? આપણે સમજવી પડે એવી ઘણી બાબતો છે. એક, દરેકને પોતાની પસંદગી મુજબ પ્રેમ અને લગ્ન કરવાનો અધિકાર છે. બે, બે અલગ કોમ વચ્ચે પ્રેમલગ્ન હોય તો એમાં બળજબરી ધર્મપરિવર્તન એ જ એજન્ડા ન હોઈ શકે. ત્રણ, ધર્મપરિવર્તન પણ જો લોભલાલચ વગર કરવામાં આવ્યું હોય તો એ કાયદેસર છે અને બંધારણીય અધિકાર છે. ચાર, લોભ કે લાલચની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ જુદી હોઈ શકે છે. પ્રેમ કરનાર માણસ માટે પોતાના પ્રેમને પામવાથી મોટી કોઈ લાલચ ન હોઈ શકે અને તે માટે જો એ ઘર છોડી શકે તો ધર્મ શું કામ ન છોડી શકે? પાંચ, અનેક હજાર કેસના દાવા ભૂતકાળમાં કરવામાં આવ્યા છે અને હજી પણ થઈ રહ્યા છે, પણ બહુ જ જૂજ કેસમાં બળજબરી કરવામાં આવી હોય તેવું પ્રતિપાદિત થયું છે અને મોટા ભાગના કેસમાં બે નોખી કોમના લોકો પોતાની મરજીથી પરણ્યા હોવાની વાત બહાર આવી છે. છ, રાજકીય તત્ત્વો કે કટ્ટરવાદીઓને ઇશારે પ્રેમની કે લોભ-લાલચની વ્યાખ્યા નક્કી કરવી બેવકૂફી છે. સાત, જેમ અન્ય સામાન્ય લગ્નો નિષ્ફળ જાય છે અને તેવા લગ્નસંબંધમાં બંધાયેલી છોકરી અનેક યાતનાઓનો ભોગ બનતી હોય છે તેમ જ બે નોખી કોમ વચ્ચેનાં લગ્ન પણ નિષ્ફળ જઈ શકે, પણ તેને લીધે જે તે ધર્મના તમામ લોકોને ખોટા ન ઠેરવી શકાય. આઠ, આ પ્રકારની રાજકીય અને કટ્ટરવાદી પેંતરાબાજીથી સમાજમાં સદ્દભાવનું અને એખલાસનું જે વાતાવરણ હોય છે તે ડહોળાય છે એટલે તમામ સત્યોને જનરલાઇઝ ન કરી તેને કેસ ટુ કેસ જોવા જોઈએ અને જો કોઈ દબાણ કે બળજબરી હોય તો તેની કાયદેસર તપાસ થવી જોઈએ. નવ, પ્રેમલગ્ન જો સ્પેિશયલ મેરેજ એક્ટ મુજબ કરવામાં આવે તો એવાં લગ્નની નોટિસ એક મહિના સુધી લાગતી હોય છે. આની સામે ધર્માંતરણ બતાવીને તરત લગ્ન થઈ શકે તેમ હોય છે, તેથી પણ અનેક યુગલો કટોકટીની સ્થિતિમાં સરળ રસ્તા તરીકે આને પસંદ કરે છે જે બીજા લોકો માટે નવો મુદ્દો બની જાય છે. આપણા લગ્ન અંગેના કાયદાઓ પણ આ સ્થિતિ ઊભી થવા માટે જવાબદાર છે. દસ, લવ-જેહાદ જેવી થિયરી સ્ત્રીની નિર્ણયની સ્વતંત્રતાની સ્વાયત્તતા સામે પ્રશ્નાર્થ ખડો કરે છે અને સમાજમાં પુરુષવાદી રૂઢિચુસ્ત ધાર્મિક વિભાવનાઓ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરે છે. હકીકતમાં લવ-જેહાદ જેવું કોઈ સંગઠન છે એવું સાબિત થઈ શકયું નથી.
છેલ્લે, પ્રેમ નાતજાત-કોમ-ધરમ જોતો નથી તેના અનેક કિસ્સાઓ આપણી સામે છે. આધુનિક વિચારોથી ઊછરી રહેલી આજની પેઢી પોતાના નિર્ણયોની પસંદગી પોતે કરવામાં માને છે એટલે બેશક ઇન્ટર-કાસ્ટ કે ઇન્ટર-ફેઇથ લગ્નો વધતાં જ જવાનાં છે. અલબત્ત, એ વધે તે સમાજના હિતમાં છે તેમ ડો. ભીમરાવ આંબેડકરથી લઈને ભારતની સર્વોચ્ચ અદાલત સુધી અનેક કહી ગયા છે, પણ તો ય આપણો પરંપરાવાદી મોહ છૂટતો નથી.
e.mail : mmehul.sandesh@gmail.com
સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 03 સપ્ટેમ્બર 2014