
હેમન્તકુમાર શાહ
(૧) જ્યારે પણ પાકિસ્તાનની ધરતી પરનાં આતંકવાદી જૂથો દ્વારા ભારતમાં આતંકવાદી હુમલા થાય છે ત્યારે ભારતના મુસ્લિમો પર હિન્દુઓ દ્વારા દોષારોપણ કરવાની એક હિન્દુત્વવાદી ફેશન થઈ પડી છે.
(૨) આતંકવાદી હુમલા સાથે ભારતના મુસ્લિમોને કશો સંબંધ હોતો નથી, સિવાય કે તેમણે તેમાં કોઈ પણ રીતે સાથ આપ્યો હોય, અથવા તો તેઓ પોતે હુમલા કરતા હોય, અથવા તેઓ પોતે આતંકવાદી જૂથો સાથે ભળેલા હોય.
(૩) આતંકવાદી હુમલા સામે રક્ષણ કેવી રીતે મળે? એ હુમલા કરનારાને પકડવામાં આવે અને કાયદા મુજબ સજા થાય તેમને. એ જવાબદારી સરકારની નહીં?
(૪) પુલવામા હોય કે પહેલગામ, સવાલ એ છે કે જો પાકિસ્તાનથી આતંકીઓ આવ્યા હોય તો સરહદે આપણું લશ્કર શું કરે છે? સરહદથી ૫૦-૬૦ કિલોમિટર ભારતમાં અંદર આવે કેવી રીતે આતંકીઓ? ભારતના આશરે ૧૩ લાખના લશ્કરમાંથી લગભગ પાંચ લાખનું લશ્કર માત્ર જમ્મુ અને કાશ્મીરમાં છે એ યાદ રાખવું જોઈએ.
(૫) સરહદે તારની વાડ બનાવાઈ જેવી સલામતીની જાતજાતની જડબેસલાખ વ્યવસ્થા છતાં ઘૂસણખોરી થાય તો એ વ્યવસ્થા કેવી પોલી કહેવાય!
(૬) સરહદે થતી ઘૂસણખોરી લશ્કર અને ગુપ્તચર ખાતાની એ નિષ્ફળતા કહેવાય કે નહીં? એ બંને એટલે અત્યારે મોદી સરકાર, એટલે એ સરકારની નિષ્ફળતા કહેવાય કે નહીં? યાદ રહે કે, ૨૦૦૧માં અમેરિકા પર અલ કાયદા દ્વારા હુમલા થયા બાદ એક પણ આતંકવાદી હુમલો થયો નથી ત્યાં.
(૭) આ વર્ષના બજેટમાં ₹ ૬.૮૧ લાખ કરોડનું બજેટ સંરક્ષણ માટે છે. આટલા જંગી ખર્ચ છતાં સલામતીની ખાતરી શું? આ પૈસા તો લોકોના જ છે ને! આતંકવાદી હુમલાના લાંબા ઇતિહાસ પછી પણ સરકારો એ રોકવામાં નિષ્ફળ કેમ જાય છે? આ સવાલ પૂછવાનો નાગરિકો તરીકે આપણને સૌને અધિકાર છે. કારણ કે, આંતરિક અને બાહ્ય સલામતી એ રાજ્યનું સૌ પ્રથમ કાર્ય છે.
(૮) ભારતમાંનાં તમામ મુસ્લિમ સંગઠનોએ આતંકવાદી હુમલાને વખોડવા માટે જાહેરમાં આગળ આવવું જ જોઈએ. તો જ હિન્દુત્વવાદી સંગઠનો જે ખોટો પ્રચાર કરે છે એને ટેકો ન મળે.
(૯) પાકિસ્તાન સાથે આતંકવાદી સંગઠનોની બાબતમાં શું કરવું જોઈએ એ સરકારે નવેસરથી વિચારવાની જરૂર છે. છપ્પનની છાતી ત્યાં પણ દેખાડવાની જરૂર ના કહેવાય?
(૧૦) આતંકવાદી હુમલા એ મૂળભૂત રીતે કાયદો અને વ્યવસ્થાનો સવાલ છે તેમ જ રાજકીય પ્રશ્ન પણ છે. બંને રીતે તેનો ઉકેલ યોગ્ય ઠરે, દેશના મુસ્લિમોને તેને માટે વગર કારણે દોષી ઠેરવ્યા વિના.
અને હા,
(૧૧) ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ નોટબંદી જાહેર થયેલી ત્યારે નરેન્દ્ર મોદીએ કહેલું કે તેનાથી આતંકવાદ ખતમ થઈ જશે. આઠ વર્ષ થઈ ગયાં, ખતમ થયો આતંકવાદ? ૨૦૧૬થી અત્યાર સુધીમાં મોટા ૧૯ આતંકવાદી હુમલા થયા છે.
તા.૨૩-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર