નહીં કે એથી ચૂંટણી પરિણામો પર કોઈ ખાસ અસર પડશે; પણ બોફોર્સ-ખ્યાત ક્વાત્રોચી સામેની રેડ કૉર્નર નોટિસ પડતી મૂકવાના સીબીઆઈના નિર્ણય સાથે કૉંગ્રેસની મેલી મથરાવટી વળી એક વાર ઉજાગર થશે એ નિર્વિવાદ છે. એથી ઊલટું, આ જ દિવસોમાં સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે મોદી અને મંત્રીઓની તપાસ હાથ ધરાઈ રહી છે એ સમાચારમાં વૈખરીછૂટા મોદીને પ્રચારનો મોકો વરતાય છે. સર્વોચ્ચ અદાલતના આદેશમાં કૉંગ્રેસનું કાવતરું જોવામાં એમને કોઈ મુશ્કેલી પડતી નથી !
જ્યાં સુધી સીબીઆઈની કાર્યપદ્ધતિનો અને એના રાજકીય-સત્તાકીય ઉપયોગ એટલે કે દુરુપયોગનો સવાલ છે, દેશમાં જે એક વ્યાપક આકલન પ્રવર્તે છે એ જાણીતું છે અને વખતોવખત અંકે પણ થતું રહેતું છે. પ્રતીતિકર બોફોર્સ-ખુલાસા વગરની કૉંગ્રેસ અગર તો રાજકીય રીતે ખપ આવી શકતું સીબીઆઈ તંત્ર એ જો આ સિક્કાની એક બાજુ છે તો બીજી બાજુ પ્રશાસન પોતે મૂળગત રીતે કેવું ને કેટલું ઢીલું ચાલે છે તે આ સિક્કાની બીજી બાજુ છે.
જેમ બોફોર્સમાં ક્વોત્રોચીને સગવડ કરી આપવાની તેમ વિવિધ કેસોમાં મુલાયમ અને માયાવતીને વારાફરતી રાહત અને સાણસાનો અનુભવ (જે તે વખતની સત્તાપક્ષી જરૂરત મુજબ) કરાવવાની સીબીઆઈની ભૂમિકા પૂરતી જાણીતી અને બાગે બહાર ગવાયેલી છે. જે ચુકાતી વિગત છે તે સત્તાપક્ષથી નિરપેક્ષપણે સીબીઆઈનું ખુદનું કામકાજ કેવું બાદલું છે તે છે. 1997માં આંતરરાષ્ટ્રીય વૉરંટ મેળવાયેલું (જ્યારે સંયુક્ત મોરચાની સરકાર હતી); 1999માં તે વૉરંટ વળી તાજું કરાયેલું (જ્યારે ભાજપના વડપણ હેઠળની સરકાર હતી); પણ ત્યાર પછી (2004ના પહેલા ચાર મહિના લગી આ જ એનડીએ સરકાર છતાં) સીબીઆઈને વૉરંટ તાજું રાખવાનું સૂઝ્યું જ નહીં. ન તો ગૃહપ્રધાન (‘મજબૂત નેતા’) સહિત કોઈએ એ બાબતે સીબીઆઈની કશી પડપૂછ પણ કરી. આ જ વાજપેયી-અડવાણી સરકાર સત્તા પર હતી અને ફેબ્રુઆરી 2004માં હાઈકોર્ટે બોફોર્સ મુદ્દે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળના કેસો ખારિજ કર્યા હતા. મતલબ, સરકાર કોઈ કેસ ઊભો કરી શકી નહોતી. તે પછી, કૉંગ્રેસના વડપણ હેઠળની નવી સરકાર તો અમથી પણ ક્વાત્રોચીને છાવરવા રાજી જ હોય.
અહીં જે ખરો મુદ્દો બને છે તે સીબીઆઈની પોતાની (સત્તાપક્ષથી નિરપેક્ષપણે ) છતી થતી નબળાઈનો અને પ્રકારાંતરે આપણી એક પાયાની સંસ્થાના ધોવાણનો છે. લાંબો વખત કૉંગ્રેસ અને એથી ઓછો વખત ભાજપ, સત્તાસુવિધાપૂર્વક સીબીઆઈ સાથે તોડમરોડનો વહેવાર કરતાં રહ્યાં છે પણ એથી એક જરૂરી સત્તાસંસ્થા નબળી પડતાં દેશને જે હાણ પહોંચી છે એનો એમને ખયાલ જ નથી. કદાચ, ખયાલ એ ખોટો નહીં તો પણ મોળો પ્રયોગ છે. એમને વાસ્તવમાં તમા જ નથી.
સર્વોચ્ચ અદાલતના તાજા તપાસ આદેશમાં મોદીને ‘કાવતરું’ જોવું ગમે છે, પણ આ પ્રકારની પ્રતિક્રિયા સાથે તે એક બુનિયાદી સંસ્થાને નબળી પાડી રહ્યા છે એ એમને સમજાતું નથી. પૂર્વે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને ચૂંટણી પંચ સાથે પણ એમનો આવો જ વ્યવહાર એટલે કે દુર્વ્યવહાર જાણીતો છે.
વાત સમેટતાં બે નિરીક્ષણો અને નિસબતો ઘૂંટવાં જરૂરી છે. એક તો, સંસ્થાઓનું નબળું પડવું એ પ્રજાકીય ચિંતાનો મામલો છે. બીજું એ કે આ ધોવાણ-પ્રક્રિયામાં પક્ષનિરપેક્ષપણે આપણો રાજકીય-શાસકીય અગ્રવર્ગ સમસ્ત બહુધા સહભાગી છે .
સહિતો-સ્થાપિતો સામે રહિતોની એકતા અને ઉદ્યુક્તિનું સૂત્ર આપણને સમજાય છે; પણ રાજકીય-શાસકીય અગ્રવર્ગ સામે નાગરિક ઉદ્યુક્તિનો મુદ્દો પમાતો પકડાતો નથી. પક્ષો અને પક્ષજોડાણો આસપાસ તેમ વૈકલ્પિક નેતાઓની ફરતે આપણો ચૂંટણીવિમર્શ ચાલે છે અને ચાલવો પણ જોઈએ. પણ સમગ્ર રાજકીય-શાસકીય વર્ગ વિ. નાગરિકને ધોરણે તો પૂરાં પાંચે વરસ, પ્રતિપળ વિમર્શ જરૂરી છે, અને તે પણ ઊહાપોહભેર.