તમને 'ચેલેન્જર' અવકાશ યાનની દુર્ઘટના યાદ છે? ૨૮ જાન્યુઆરી, ૧૯૮૬ના રોજ અમેરિકાના ફલોરિડા રાજ્યમાં, એટલાન્ટીક મહાસાગર પાસેની સાઈટ પરથી, 'ચેલેન્જર'ને છોડવામાં આવ્યું હતું, અને ૭૨ સેકંડમાં તે નજીકના એટલાન્ટીક મહાસાગરમાં તૂટી પડ્યું. તેમાં ૭ અવકાશ યાત્રીઓ માર્યા ગયા. ૧૯૮૩માં, અવકાશમાં જનારું 'ચેલેન્જર' બીજું યાન હતું અને તે પછી તે નવ વખત સફળ રીતે અવકાશમાં જઈ આવ્યું હતું. આ એની દસમી યાત્રા હતી. તેના મિશનમાં ક્રીસ્ટા નામની એક હાઈ સ્કૂલ શિક્ષિકા પણ હતી, જે પહેલીવાર અવકાશમાં ક્લાસ લેવાની હતી. અવકાશમાં ક્લાસ લેવાની નવીનતાના કારણે, 'ચેલેન્જર'ની આ દસમી યાત્રામાં લોકોનું બહુ ઉત્સુકતા હતી. તેને છોડવામાં આવ્યું, ત્યારે તેનું જીવંત પ્રસરણ થઇ રહ્યું હતું, અને લાખો અમેરિકનોએ 'ચેલેન્જર'ને વિખરાઈને સમુદ્રમાં તૂટી પડતું જોયું હતું.
શું થયું હતું? નાસાએ પાછળથી જે તપાસ બેસાડી હતી, તેમાં ખબર પડી કે ઉડ્ડયન સમયે 'ચેલેન્જર'ના રાઈટ સોલીડ બૂસ્ટરના એક જોઈન્ટમાં ચૂક ઊભી થઇ હતી. આ ચૂક ઊભી થવાનું કારણ તે જોઈન્ટમાં એક નાનકડી ગોળાકાર રિંગ હતી, જેને ઓ-રિંગ કહે છે, તે ચોંટી ગઈ હતી. ઓ-રિંગને તમે ગાસ્કેટ પણ કહી શકો, જે એકબીજા સાથે ઘસાતા પાર્ટ્સ વચ્ચેની જગ્યામાં પેકિંગનું કામ કરે છે. ઓ-રિંગ છેલ્લાં ૧૫૦ વર્ષથી નાના-મોટાં મશીનો અને એન્જીનોમાં વપરાય છે. 'ચેલેન્જર'ના ઉડ્ડયન વખતે ત્યાનું તાપમાન અત્યંત ઠંડું હતું, એમાં રબરની આ ઓ-રિંગ ચોંટી ગઈ, અને એમાંથી ઇંધણ લીક થયું, જેથી ૧૪. ૫ કિલોમીટર પર બૂસ્ટરમાં આગ લાગી અને અબજો રૂપિયાનું મિશન સ્વાહા થઇ ગયું. ૩૨ મહિના સુધી નાસાનો અવકાશ યાન પ્રોગ્રામ ઠપ્પ થઇ ગયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦મી ડિસેમ્બરે દિલ્હીમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરતી વખતે કહ્યું હતું કે, “જૂના સંસદ ભવને આઝાદ ભારતને દિશા આપી હતી, તો નવું ભવન આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે.” મોદી જે આત્મનિર્ભર ભારતને બનાવવા માંગે છે, તેની ચાવી આ 'ચેલેન્જર' દુર્ઘટના અને ઓ-રિંગમાં છે. દેશ આત્મનિર્ભર ત્યારે બને જ્યારે તેની અર્થવ્યવસ્થા ઉત્પાદન અને નિકાસ કેન્દ્રિત હોય. ૨૧મી સદીમાં સુખ અને સુવિધાથી જીવવા માટેની જરૂરી તમામ ચીજવસ્તુઓ અને સેવાઓ ભારતમાં જ બને અને આપણા ઉપભોગ પછી ફાજલ હોય, તો બીજા દેશોમાં તેની નિકાસ થાય.
આત્મનિર્ભરતાની આ સાદી સમજ છે. એને ઓ-રિંગ સાથે શું સંબંધ?
૨૦૧૯માં, ભારતના અર્થશાસ્ત્રી અભિજિત ભટ્ટાચાર્યની સાથે જેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું, તે અમેરિકન ડેવલપમેન્ટ અર્થશાસ્ત્રી માઈકલ ક્રેમરે, 'ચેલેન્જર'ની આ દુર્ઘટના પરથી 'ઓ-રિંગ ડેવલોપમેન્ટ થિયરી' વિકસાવી હતી. ક્રેમરે આ દુર્ઘટના પરથી તારણ કાઢ્યું કે ઉત્પાદનની દરેક પ્રક્રિયામાં અનેક સાંકળો હોય છે, જે તમામ સફળ રીતે કામ કરે, ત્યારે ઉત્તમ ચીજવસ્તુ તૈયાર થઈને બહાર પડે.
એમાં કોઈ પણ એક કડીમાં જો ચૂક રહી જાય, તો ફાઈનલ ચીજવસ્તુની ગુણવતા કે મૂલ્યમાં ઘટાડો થાય. મોટા ભાગની નોકરીઓ ઓ-રિંગ હોય છે; દરેક નોકરિયાત તેમને ભાગે આવેલું કામ શ્રેષ્ઠ રીતે કરે, એટલે શ્રેષ્ઠતાની એક આખી સાંકળ બને, જે અંતિમ ચીજ કે સેવાની ઉત્કૃષ્ટતામાં પરિણામે. આ જે અંતિમ વસ્તુ કે સેવાની જે ગુણવત્તા છે, તે તમને વર્લ્ડ-ક્લાસ બનાવે છે.
હું જે એપલ કોમ્પ્યુટર કે આઈ-ફોન પર ‘સંદેશ’ માટે આ લેખ ટાઈપ કરું છું, તેની વર્લ્ડ-ક્લાસ ગુણવત્તાનું મૂળ ઓ-રિંગ થિયરીમાં છે. આઈ-ફોન આવ્યા પછી તેણે તમામ મોબાઈલ ફોનની ડિઝાઇન અને બનાવટ બદલી નાખી. બીજા ફોન સસ્તા છે, એટલા માટે વધુ વેચાય છે એમ નહીં, પણ લોકોને બીજા ફોન વાપરીને આઈ-ફોન વાપરતા હોય, તેવો અનુભવ મળે છે, એટલા માટે વધુ વેચાય છે. ચાઇનીઝ માલ સસ્તો છે, માત્ર એટલા માટે નહીં (એ તો છે જ), પણ એ માલની ગુણવત્તા પણ એટલી જ સંતોષજનક છે. પતંગો એ ભારતનો, અથવા ગુજરાતનો, તહેવાર છે, પણ એમાં ય ચાઇનીઝ પતંગો અને દોરાઓ કેમ લોકપ્રિય છે? કારણ કે એમાં પતંગ-રસિયાઓને વધારે મઝા આવે છે. કોઈ ચીજ-વસ્તુ વાપરવાની મઝા તેને લોકપ્રિય બનાવે છે.
ભારતની આત્મનિર્ભરતા એવા ઉત્પાદનમાં છે, જેની ગુણવત્તા એટલી સારી હોય કે લોકો બહારની ચીજો છોડીને સ્વદેશી વાપરવા લાગે. આપણે વિદેશી ચીજો એટલા માટે નથી વાપરતા કે આપણે બધા ‘દેશદ્રોહી’ છીએ, પણ એટલા માટે કે બીજા દેશોની ચીજવસ્તુઓની ગુણવત્તામાં આપણને વિશ્વાસ છે. ભારતનું પ્રોડક્શન જ્યાં સુધી વૈશ્વિક સ્તરની ગુણવતા સિદ્ધ ના કરે, ત્યાં સુધી એ ખતરો રહેવાનો કે આપણે ‘આપણી’ નબળી ચીજ છોડીને ‘પારકા’ની સબળી ચીજને ખરીદીશું, અને આ ગુણવત્તા સિદ્ધ કરવાનું ત્યારે શક્ય છે, જયારે એમાં ઓ-રિંગ થિયરીનો અમલ થાય.
ઓ-રિંગના રચિયતા માઈકલ ક્રેમરના કહ્યા મુજબ, ગરીબ દેશોની સરખામણીમાં સમૃદ્ધ દેશોમાં અટપટી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે, ત્યાં વિશાળ કંપનીઓ હોય છે અને કામદારોની ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે, કારણ કે ઊંચી ક્ષમતાની સામે ઊંચું વળતર મળે છે. ગરીબ દેશમાં મૂડી ઓછી છે એટલે તે સસ્તા અને અકુશળ કામદાર રાખે છે, જેથી પ્રોડક્ટની ગુણવતા જોખમાય છે. કોઈ પણ દેશના પ્રોડક્શન અથવા મેન્યુફેક્ચરિંગની સફળતા (કે નિષ્ફળતા) ત્રણ બાબતો પર આધાર રાખે છે : કુશળતા, ઉત્પાદકતા અને વેતન. કામદારોની કુશળતામાં નાનો સરખો ફેરફાર હોય (ઓ-રિંગ), તો ઉત્પાદકતા અને વેતનમાં તેની મોટી અસર પડશે. મોટી કંપનીઓ કે સમૃદ્ધ દેશો અત્યંત સ્પર્ધાત્મક ઉત્પાદનો બહાર પાડે છે, કારણ કે તેઓ કુશળતા, ઉત્પાદકતા અને વેતનની ત્રણ ઓ-રિંગને બરાબર કામ કરતી રાખે છે.
જેમ બે ખરાબ લેખકો ભેગા થઈને એક બહેતર નવલકથા લખી ના શકે, તેવી રીતે વિશાળ સંખ્યામાં ઓછા કુશળ કામદારો ભેગા થઈને વર્લ્ડ-ક્લાસ પ્રોડકટ બનાવી ના શકે. બલકે, તમે જેટલી અટપટી વસ્તુ બનાવવા માંગતા હોય, તેની કડીઓમાં એટલા જ ગુણવત્તાવાળા માણસો જોઈએ અને ગુણવત્તા માટે વેતન ચુકવવું પડે. ગૂગલ કંપનીની દુનિયાભરમાં પથરાયેલી ઓફિસોમાં નાનામાં નાનો કર્મચારી પણ અત્યંત કુશળ અને તગડું વેતન મેળવતો હોય છે, તેની પાછળ આ ઓ-રિંગ થિયરી કામ કરે છે. ભારતમાં લઘુ અને માધ્યમ કક્ષાના ઉધોગો સ્થાનિક બજારોની માંગને સંતોષવાનું કામ તો કરે છે, પરંતુ તે વૈશ્વિક બજારોમાં સ્પર્ધા કરી શકે તેમ છે?
ભારતે ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો, તે પછી ચીનના સરકારી વાજિંત્ર સમા સમાચારપત્ર ‘ગ્લોબલ ટાઈમ્સ’ના એડિટરે શ્લેષ કર્યો હતો કે, “ઠીક છે, પણ ચાઇનીઝ લોકોને ય જો ભારતીય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો હોય, તો એ ચાઇનીઝ બજારમાં હોવી તો જોઈએ ને.”
ભારત આત્મનિર્ભર કેવી રીતે બની શકે છે, તેનો જવાબ આ શ્લેષમાં છુપાયેલો છે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 10 જાન્યુઆરી 2021