સ્કોટલેન્ડ બ્રિટનથી અલગ થવું જોઇએ કે નહીં તે અંગે બી.બી.સી. પર પંડિતોની બહસ ચાલતી હતી તે જોઈને ગાર્ડિયન સમાચારપત્રના એક પત્રકારને ભારતના લેખક નિરદ ચૌધરીની ગેરહાજરી સાલી હતી. એમને ભારત કરતાં બ્રિટિશ સામ્રાજ્યમાં વધુ વિશ્વાસ હતો, અને એ કહેતા હતા કે જાહીલ ભારતીયોને સભ્ય બનાવવાનું શ્રેય બ્રિટિશરોને જાય છે.
બી.બી.સી.ની બહસ સ્વતંત્ર સ્કોટલેન્ડના હિમાયતી એલેક્સ સાલ્મન્ડ અને સત્તાધીશ લેબર પાર્ટીના એલિસ્ટર ડાર્લિંગ વચ્ચે હતી. પેલા પત્રકારને અફસોસ થયો કે 300 વર્ષના ઇતિહાસમાં બ્રિટને સ્કોટલેન્ડને સામાજિક, સાંસ્કૃિતક અને ટેક્નોલોજિકલ જે ઓળખ આપી છે તેનો સરખી રીતે બચાવ પેલા સાંસદ કરી ન શક્યા. પત્રકાર લખે છે કે મને આ વખતે નિરદ ચૌધરી યાદ આવ્યા. વિશેષ કરીને નિરદ ચૌધરીના એ શબ્દો જેના કારણે ભારતમાં એમની બદનામીને ચાર ચાંદ લાગી ગયા હતા : કિવિસ બ્રિટાનિક્સ સુમ … Civis Britannics Sum.
નિરદચંદ્ર ચૌધરીનું નામ ભારત વિરોધીઓની યાદીમાં સૌથી ઉપર, પ્રથમ નંબરે આવે છે. ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન, કોન્ટિનેંટ ઓફ સર્સે અને પેસેજ ટુ ઇન્ડિયા જેવી બહેતરીન કિતાબો બદલ પશ્ચિમમાં નિરદ ચૌધરીની ભરપૂર સરાહના થયેલી, પરંતુ એમના કથિત ભારત-વિરોધી વિચારોના કારણે ભારતમાં એમનું નામ ખોવાઈ ગયેલું.
નિરદ ચૌધરી હાલ બાંગ્લાદેશના કિશનગંજમાં જન્મેલા અને કોલકાતામાં ભણીને સામયિક સંપાદક બનેલા. રાજકીય લેખો લખવાના કારણે એ સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ સરતચંદ્ર બોઝના પરિચયમાં આવ્યા હતા અને બોઝના સચિવ હોવાના નાતે ગાંધી, નેહરુ અને સુભાષબાબુ જેવા નેતાઓ સુધી પહોંચેલા. તે સમયની ભારતીય રાજનીતિની આંતરિક ગતિવિધિઓથી માહિતગાર થયા બાદ નિરદ ચૌધરીનું ભ્રમ નિરસણ થવા લાગેલું અને એમનો બ્રિટિશ પ્રેમ વધવા લાગેલો.
આ નિરદ ચૌધરીએ 1951માં ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન નામની આત્મકથા લખી હતી. નિરદબાબુએ એમાં એમની જીવનકથા ઉપરાંત એમનો બૌદ્ધિક વિકાસ કેવી રીતે થયો તેની કહાની પણ લખેલી અને એ દરમિયાન એમણે એનું શ્રેય બ્રિટિશરોને આપેલું. તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી વિન્સન્ટ ચર્ચિલે આ કિતાબને એમના જીવનની ‘વન ઓફ ધ બેસ્ટ’ ગણાવેલી.
એ વખતે ભારતીય સમચારપત્રો સ્વદેશી ચળવળના જુસ્સામાં હતાં અને અંગ્રેજ માલિકીના ધ સ્ટેટ્સમેનને બાદ કરતાં તમામ પત્રોએ આ આત્મકથાનો ભરપૂર વિરોધ કરેલો. ભારત સ્વતંત્ર થયું તેના ચાર જ વર્ષમાં આ કિતાબ આવેલી અને ભારતને સ્વ-શાસનના પાટા પર ચઢાવવા મથી રહેલા પ્રધાનમંત્રી નેહરુ નિરદ ચૌધરી પર ભડકી ગયેલા. નેહરુએ નિરદબાબુને પત્ર લખીને સલાહ આપેલી કે અગર તેમને ભારતીય લોકો પર વિશ્વાસ ન હોય તો બીજે ક્યાંક જતા રહેવું જોઈએ. નિરદબાબુ 1970માં ભારત છોડીને બ્રિટનના ઓક્સફર્ડમાં વસી ગયેલા અને 101 વર્ષની વયે 1999માં ત્યાં જ મરી ગયેલા.
એમની આત્મકથામાં એમણે અંગ્રેજ સમાજના ભરપેટ વખાણ તો કરેલા જ, બાકી હોય તેમ પૂરી આત્મકથા ય અંગ્રેજ સામ્રાજ્યને અર્પણ કરેલી. ‘કિવિસ બ્રિટાનિક્સ સુમ’ વિધાન આ સમર્પણમાં જ આવે છે. નિરદબાબુ આત્મકથાના ઊઘડતા પાને લખે છે : ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની યાદમાં અર્પણ, જેણે પ્રતિષ્ઠા આપી પણ નાગરિત્વ ન આવ્યું અને આપણે સૌએ ચીલ્લાઈને કહ્યું, કિવિસ બ્રિટાનિક્સ સુમ. કારણ કે આપણી અંદર જે ઉચિત હતું તેને આ જ બ્રિટશ શાસને પેદા કર્યું હતું, એને આકાર અને ગતિ અાપી હતી.
કિવિસ બ્રિટાનિક્સ સુમ એટલે ‘હું બ્રિટિશ નાગરિક છું.’ મૂળ આ લેટિન વિધાન ‘કિવિસ રોમાનુસ સુમ’નું અંગ્રેજીકરણ છે, જે ઇશુપૂર્વે 106મી સદીના રોમન ચિંતક સિસરોએ ગેરરીતિઓ વિરોધી ભાષણોમાં રોમન સામ્રાજ્યના નાગરિક હોવાનો પુર્નોચ્ચાર કરતી વખતે કહ્યું હતું. ન્યુ ટેસ્ટામેન્ટમાં પોલ ધ એપોસ્ટલ સીઝરના દરબારમાં એની નિર્દોષતા પુરવાર કરવા આ વિધાન બોલે છે.
1850માં ડોન પેસિફિકો નામના બ્રિટિશ વેપારીને એથેન્સમાં રંજાડવામાં આવ્યો ત્યારે ગ્રીસને પાઠ ભણાવવા માટે બ્રિટિશ સંસદમાં અપીલ કરનાર લોર્ડ પાલ્મરસ્ટને ‘કિવિસ બ્રિટાનિક્સ સુમ’ સૂત્ર આપ્યું હતું. તેણે કહ્યું હતું કે જેમ રોમન સામ્રાજ્ય એના રોમન નાગરિકોનું સંરક્ષણ કરતું હતું તેમ વિશ્વના તમામ ‘બ્રિટિશ સબ્જેક્ટ’(બ્રિટિશ સામ્રાજ્યમાં જન્મેલા)નું રક્ષણ કરવાની ફરજ બ્રિટિશ સરકારની છે. 1963માં સોવિયત સંઘની મદદથી ઇસ્ટ જર્મનીએ બર્લિન વોલ ચણી દીધી ત્યારે વેસ્ટ જર્મનીના સમર્થનમાં આવેલા રાષ્ટ્રપ્રમુખ જ્હોન ઓફ કેનેડીએ કહેલું, ‘બે હજાર વર્ષ પહેલાં અભિમાનથી એક સૂર ગુંજ્યો હતો : કિવિસ રોમાનુસ સુમ. આજે દુનિયા આઝાદ છે અને અભિમાનનો મંત્ર છે : ઇચ બીન ઇન બર્લિન. દુનિયાના દરેક સ્વતંત્ર માણસ બર્લિનનો નાગરિક છે. મને આ કહેતાં ગૌરવ થાય છે, ઇચ બીન ઇન બર્લિન … હું બર્લિનનો નાગરિક છું.’
19મી સપ્ટેમ્બરે જ્યારે ભારતમાં સૂર્યોદય થયો ત્યારે નિરદ ચૌધરીના ‘વતન’ બ્રિટનના ટુકડા થતા રહી ગયા. એ દિવસે 55 પ્રતિશત સ્કોટિશ નાગરિકોએ સ્કોટલેન્ડને બ્રિટનથી સ્વતંત્ર થવાનો ઇન્કાર કરી દીધો. સ્કોટલેન્ડમાં જનમત સંગ્રહની બહસ ચાલતી હતી ત્યારે પેલા પત્રકારની જેમ ઘણા બ્રિટિશરોને નિરદ ચૌધરી જેવા કટ્ટર સમર્થકોની ગેરહાજરી સાલી હતી. પરંતુ બહુમતી સ્કોટિશ લોકોએ જ પુનરુચ્ચાર કર્યો, કિવિસ બ્રિટાનિક્સ સુમ.
દુનિયાના સૌથી જૂના પ્રદેશોમાં સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. 50 લાખની આબાદીવાળો આ પ્રદેશ 300 વર્ષ પહેલાં બ્રિટનનો હિસ્સો બન્યો તેના 800થી પણ વધુ વર્ષથી આઝાદ દેશ હતો. 18મી સદીમાં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે સ્કોટલેન્ડ દુશ્મન સાથે હાથ ના મિલાવી દે તે માટે બ્રિટને સ્કોટલેન્ડનો વેપાર રોકી રાખ્યો હતો અને આ રોક ત્યાં સુધી જારી રહી જ્યાં સુધી સ્કોટલેન્ડ બ્રિટનમાં ભળી જવા રાજી ન થયું.
બ્રિટિશ હકૂમત ભારતના આઝાદી આંદોલન સામે ઝૂકી રહી હતી ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે, ‘સત્તા આવારા, નીચ અને ડાકુઓના હાથમાં જતી રહેશે. ભારતના નેતા કમ ક્ષમતાવાળા નક્કામા લોકો હશે. સત્તા માટે એ આપસમાં લડશે અને ભારત રાજનૈતિક ઝઘડામાં ખોવાઈ જશે. એક દિવસ એવો આવશે જ્યારે ભારતમાં હવા અને પાણી પર પણ ટેક્સ લાગશે.’
ભારતમાં તો આવું કશું થયું નહીં પરંતુ બ્રિટનના ખુદના આંગણે કંઈક આવું જ થવાનું હતું. સ્કોટલેન્ડે આર્થિક કારણોસર બ્રિટનથી અલગ થવાનો ઇન્કાર કરી દીધો છે. હેરી પોટરની કિતાબો લખનાર જે. કે. રોલિંગ જે સ્કોટલેન્ડની છે તેણે કહ્યું હતું કે ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવા માટે સ્કોટલેન્ડે બ્રિટન સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. અર્થશાસ્ત્રના ઇતિહાસ સાથે સ્કોટલેન્ડનો સંબંધ જૂનો છે. મહાન અર્થશાસ્ત્રી ડેવિડ હ્યુમન સ્કોટિશ હતો. પ્રથમ જોઇન્ટ-સ્કોટ કોમર્શિયલ બેન્ક સ્કોટલેન્ડમાં સ્થપાઈ હતી અને તેમાંથી જ ગ્લોબલ અર્થવ્યવસ્થા આવી હતી.
નિરદબાબુ જીવતા હોત તો બ્રિટન સાથે જોડાયેલા રહેવાના સ્કોટલેન્ડના નિર્ણયની એમણે સરાહના કરી હોત? નિરદબાબુ સંસ્કૃિત અને સભ્યતાના માણસ હતા. તેમણે બ્રિટિશ શાસકોના જુલમની ટીકા કરી હતી પરંતુ એક સંસ્કૃિત તરીકે ગોરા સામ્રાજ્યનાં વખાણ કર્યાં હતાં. બ્રિટિશ સામ્રાજ્યની પડતી એમણે જોઈ હતી અને પાછલાં વર્ષોમાં એ ઇંગ્લેન્ડને ‘ફાઉલ ફ્રેન્ડ’ (દૂષિત દોસ્ત) ગણતા હતા. તેઓ કહેતા હતા કે એક જમાનાના આર્થિક અને રાજનૈતિક તાકાત ગણાતા બ્રિટનની પડતી જોઈને એમને અફસોસ થાય છે.
બે વર્ષ પહેલાં અલગ સ્કોટલેન્ડની માગણી ઊઠી ત્યારથી એક પ્રશ્ન પુછાતો હતો કે બ્રિટિશ સંસ્કૃિત એના પતનના આરે છે? એક્ચુઅલી, બ્રિટનની સાંસ્કૃિતક, આર્થિક કે રાજકીય પ્રાસંગિકતા એવી રીતે ખતમ થઈ ગઈ છે જેવી રીતે ધુંઆધાર લેખકો વચ્ચે નિરદ ચૌધરીની પ્રાસંગિકતા ખતમ થઈ ગઈ હતી. બ્રિટિશ રાજનું ભારતમાં પતન થયું ત્યારે નિરદ ચૌધરીએ કહ્યું હતું કે બ્રિટિશ લોકોને પોતાના જ સામ્રાજ્યમાંથી વિશ્વાસ ઊડી ગયો છે.
ભાંગ્યા ભાંગ્યા તો ય બ્રિટન સાથે રહેવાનો સ્કોટલેન્ડના નિર્ણયથી બ્રિટનને કોઈ તસલ્લી મળી હોય તે શક્ય નથી. ગાર્ડિયનના પેલા પત્રકારને જેને નિરદ ચૌધરીની ખોટ સાલી હતી તેણે જનમત સંગ્રહના પરિણામ પછી લખ્યું હતું, ‘મને હતું કે લોકો ‘હા’માં મત આપશે. પણ સ્કોટલેન્ડે બ્રિટનને ફાળ પડાવી દીધી એ સારું થયું.’
સૌજન્ય : ‘સન્નડે’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 28 સપ્ટેમ્બર 2014