તાજેતરમાં અખબારો-ટી.વી.માં એક સમાચાર આવ્યા હતા કે ભારતની વસ્તી ચીન કરતાં વધી ગઈ છે. તેની સાથે બીજા પણ એક સમાચાર આવ્યા હતા, જે બહુ પ્રકાશિત થયા નથી; ભારતમાં રખડતાં કૂતરાંની વસ્તી વધી ગઈ છે. 9 જેટલા દેશોમાં સક્રિય એવા ધ સ્ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઇન્ડેક્ષ નામના એક સેવાભાવી સંગઠન અનુસાર, ભારતમાં 6.2 કરોડ રખડતાં કૂતરાં છે અને દેશના 77 ટકા લોકો કહે છે કે તેમને અઠવાડિયામાં એકવાર રખડતાં કૂતરાંનો ભેટો થાય છે.
એટલું જ નહીં, વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા કહે છે કે વિશ્વમાં કૂતરાં કરડવાથી જેટલાં મોત થાય છે તેમાં ભારતનો હિસ્સો 36 ટકા છે. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં કુલ જેટલાં મોત થાય છે તેમાં ભારતનું ‘યોગદાન’ 65 ટકા છે. લાન્સેટ નામના પ્રતિષ્ઠિત વિજ્ઞાન મેડિકલ સામયિક અનુસાર, 2022માં જાન્યુઆરી-ઓક્ટોબર વચ્ચે કેરળ અને પંજાબમાં 10,000થી વધુ અને ગુજરાત, મહારાષ્ટ્ર અને કાશ્મીરમાં 1,000થી 10,000 વચ્ચે કૂતરાં કરડવાના કિસ્સા નોંધાયા હતા. દિલ્હીની સફદરજંગ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં છેલ્લા છ મહિનામાં કૂતરાં કરડવાના અનુક્રમે 29,698 અને 18,183 કેસ આવ્યા હતા.
“શ્વાન માણસનો વફાદાર મિત્ર છે” – એ ઉક્તિ કિસ્સા-કહાનીઓ અને પાલતું પ્રાણીમાં સાચી હશે, પરંતુ રખડતાં કૂતરાંની વાત આવે ત્યારે તેમનો ‘સંગાથ’ દુશ્મનીથી કમ નથી. તાજેતરમાં તમે સોશિયલ મીડિયા પર એવા અનેક વાઈરલ વીડિયો જોયા હશે જેમાં રખડતાં કૂતરાં બાળકો અને સિનિયર સિટિઝન્સને ફરી વળ્યાં હોય. આ સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે અદાલતોને પણ એમાં દરમિયાનગીરી કરવી પડી છે.
નવેમ્બર 2022માં, નાગપુરની ત્રણ મહિલાઓએ બોમ્બે હાઈકોર્ટના એક ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટની નાગપુર બેન્ચે રખડતાં કૂતરાઓના ત્રાસ સામે હુકમ આપ્યો હતો કે કોઈએ રખડતાં કૂતરાંને ખાવાનું નાખવું નહીં. કોર્ટે સુધરાઈઓ અને પોલીસને પણ તેની સામે સખ્ત કરાવાઈ કરવા આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જે લોકોને રખડતાં કૂતરાંની ભૂખ ભાંગવી હોય તેમણે સૌ પહેલાં તેને પાલતું બનાવાનું અથવા તેના માટે રહેવાની વ્યવસ્થા કરવાની.
ટૂંકમાં, કોર્ટનું કહેવાનું એવું હતું કે રસ્તે રખડતાં કૂતરાંને તાજાં-માજાં કરીને લોકોને કરડવા માટે છોડી નહીં મુકવાનાં. અલબત, સુપ્રીમ કોર્ટે આ આદેશ પર કામચલાઉ મનાઈ હુકમ આપ્યો છે અને સુધરાઈઓને કહ્યું છે કે રખડતાં કૂતરાં માટે વિશેષ જગ્યા ઊભી કરવામાં આવે, જ્યાં નાગરિકો તેમને ખવડાવી શકે.
ભારતમાં રખડતાં કૂતરાંઓ પ્રત્યે લોકોમાં સહાનુભૂતિ અને કરુણાનો ભાવ હોય છે એ વાત જાણીતી છે. ભારતનું બંધારણ પણ કહે છે કે જીવિત જીવો પ્રત્યે કરુણા બતાવવી એ પ્રત્યેક નાગરિકની મૂળભૂત ફરજ છે. 1960નો પશુ અત્યાચાર નિવારણ કાનૂન પશુઓ પર અત્યાચારને અપરાધ ગણે છે. આ જ કાનૂન હેઠળ દેશમાં એનિમલ વેલ્ફેર બોર્ડ પણ ગઠિત કરવામાં આવ્યું છે જે રખડતાં જીવોની રખેવાળી કરે છે. બોમ્બે હાઈકોર્ટનો ફેંસલો એ અર્થમાં સારો હતો કે તમે કૂતરાંને ખવડાવો પણ તેની સાર-સંભાળની જવાબદારી પણ ઉઠાવો. સમસ્યા એ છે કે લોકો કૂતરાંને ખવડાવીને પુણ્ય કર્યાનો સંતોષ લઈને છૂટી જાય છે, પણ એ જ કૂતરાં જ્યારે બીજા લોકો માટે ખતરો બની જાય છે ત્યારે તે મ્યુનિસિપાલિટી વાળાનો પ્રોબ્લેમ છે કહીને ઊંઘી જાય છે.
કાનૂની અને સરકારી જોગવાઈઓ તો છે પણ તેનાથી નાગરિકોના જાનને જોખમ છે તેની સામે કોઈ વ્યવસ્થા છે? નથી. નિયમો અને ઈચ્છાઓ કાગળ પર છે અને એટલે જ દેશમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ હદ વટાવી રહ્યો છે. ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 300 લોકોનાં મોત કૂતરાં કરડવાથી થયાં છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર માત્ર 2019માં જ 4,146 લોકોને રખડતાં કૂતરાં કરડી ગયાં હતાં. આ આંકડો બહુ મોટો કહેવાય.
સમસ્યા રખડતાં કૂતરાંની નથી, તેમના વ્યવહારની છે. મોટાભાગના કિસ્સાઓમાં એકથી વધુ કૂતરાં ભેગાં થઇ જાય છે અને એકલ દોકલ નાગરિક પર હુમલો કરે છે. કૂતરાંમાં પણ એટલી બુદ્ધિ તો હોય છે કે તે હટ્ટીકટ્ટી વ્યક્તિ તરફ ફરકતાં નથી, પણ બાળક હોય, અશકત મહિલા હોય કે સિનિયર સિટિઝન હોય તો જંગલી શિયાળની જેમ ઘેરી લે છે.
દેશમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધવાનાં ત્રણ કારણો છે; એક, ભારતનાં તમામ નાના-મોટાં શહેરોમાંથી નીકળતા તોતિંગ કચરાનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા નથી. ઇન ફેક્ટ, જે વ્યવસ્થા છે તેની ક્ષમતા કરતાં વધુ કચરો પેદા થાય છે અને તે આમ તેમ ગલી-ગુંચીઓમાં પડેલો હોય છે. કૂતરાં માટે આ ‘સ્વર્ગ’ સમાન છે. બીજું, બહુ બધા લોકો અલગ-અલગ કારણોસર પાલતું કૂતરાંને રસ્તા પર છોડી દે છે અને ત્રીજું, દેશમાં કૂતરાંઓનું વ્યંધીકરણ અને રસીકરણની વ્યવસ્થા અપૂરતી છે. ભારતમાં રખડતાં પશુઓના જન્મદરને અને હડકવાના રોગને નિયંત્રિત કરવાની જોગવાઈ તો છે પણ તેનો અસરકારક અમલ થતો નથી. ધારો કે કૂતરાંને રસી મુકેલી હોય તો પણ તે લોકોને પજવતાં કે કરડતાં કેવી રીતે અટકશે?
એ પણ સમજી શકાય તેમ છે કે ભારત જેવા માણસોથી ફાટ-ફાટ થતા દેશમાં 6થી 8 કરોડની વસ્તી ધરાવતાં રખડતાં કૂતરાંનું ‘મેનેજમેન્ટ’ કરવું કેટલું અઘરું હશે. આમે ય જે દેશમાં પબ્લિક હેલ્થ સિસ્ટમમાં જ અનેક બાકોરાં હોય ત્યાં રખડતાં કૂતરાં પર કોણ ધ્યાન આપે? દાખલા તરીકે, અમેરિકા, કેનેડા, ફ્રાંસ અને જર્મની જેવા દેશોમાં કૂતરાંઓની વસ્તીને કાબૂમાં રાખવાની સખ્ત વ્યવસ્થા છે. ત્યાં સરકારી વિભાગો અને સામાજિક સંસ્થાઓ હળીમળીને રસ્તાઓને કૂતરાંથી મુક્ત રાખવા પ્રયાસો કરે છે.
આનો એક માત્ર સચોટ ઈલાજ એ છે કે સરકારે અને જનતાએ મળીને કૂતરાંઓની માલિકીને લગતા કડક કાનૂનો બનાવવા જોઈએ. અત્યારે જે પશુ અત્યાચાર નિવારણ કાનૂન છે તેમાં પશુઓ પર થતા અત્યાચાર રોકવા પર ફોકસ છે. એમાં લોકોની કઈ જવાબદારી અને ફરજ આવે છે તેની કડક જોગવાઈ નથી. મુંબઈ હાઈ કોર્ટે કહ્યું તે પ્રમાણે, કૂતરાંઓને છુટ્ટા મૂકી દેવાં અને તેમને રસ્તા પર ખવડાવવું એ સમસ્યામાં વધારો કરે છે.
આજથી 100 વર્ષ પહેલાં, મહાત્મા ગાંધીએ રખડતાં કૂતરાંઓની સાર્વજનિક દરકાર લેવાનું સૂચન કર્યું હતું. 1920ના દાયકામાં, તેમના સામયિક ‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીએ લખ્યું હતું કે, “માલિક વગરનાં રખડતાં કૂતરાં સમાજ માટે જોખમી છે. આપણે જો ગામ કે શહેરમાં કૂતરાંને સારી રીતે રાખવાં હોય તો તે રખડતાં ન હોવાં જોઈએ. આપણે આની જવાબદારી ન લઇ શકીએ? કૂતરાં માટે પાંજરાપોળ ન હોય? હું એવું દૃઢપણે માનું છું કે કૂતરાંનાં માલિકોને એવી ફરજ પાડવી જોઈએ કે તેઓ કૂતરાંને કાબૂમાં રાખે અને રખડતાં ન મૂકી દે.”
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 01 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર