
રવીન્દ્ર પારેખ
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતી જ હતી, છતાં મુખ્ય મંત્રી રૂપાણી સહિત તમામ મંત્રીઓને સપ્ટેમ્બર, 2021માં બદલી કાઢવામાં આવ્યા ને નવા મંત્રીઓ એવા પસંદ કરવામાં આવ્યા કે રૂપાણી સરકારમાંનો એક પણ રિપીટ ન થાય. એ વખતે મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની અને શિક્ષણ મંત્રી તરીકે જિતુ વાઘાણીની વરણી થયેલી. એ પછી 2022માં નવી સરકાર આવી ને હવે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરથી શિક્ષણનો કારભાર ચાલે છે. મંત્રીઓની એકાએક છટણીને કારણે જ કદાચ જ્ઞાન સહાયકનો તુક્કો ગુજરાત સરકારને આવ્યો હોય એમ બને. અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર ફિક્સ પગારે કામચલાઉ શિક્ષકોની ભરતીને ‘જ્ઞાન સહાયક’ જેવું રૂપાળું નામ અપાયું, પણ એ સરકારની ઋગ્ણ માનસિકતાથી વિશેષ કૈં ન હતું. આ તુક્કા પહેલાં ‘પ્રવાસી શિક્ષકો’ની નિમણૂકનું ડિંડવાણું ચાલ્યું. એમાં ફાવટ ન આવી તો જ્ઞાન સહાયકનો સિક્કો સરકારે ઉછાળ્યો ને 26,500 જ્ઞાન સહાયકો નીમવાની વાત કરી, પણ ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓ આ યોજનામાં જોડાવા રાજી ન હતા, તેનું કારણ એ કે જે કાયમી નોકરી મેળવવાના હેતુસર ટેટ-ટાટની પરીક્ષાઓ એમણે પાસ કરી હતી એ હેતુ જ્ઞાન સહાયકમાં જળવાતો ન હતો ને 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી આ નોકરી પછી એ જ નોકરી ફરી મળવાની કોઈ ખાતરી ન હતી, એટલે એવી કામચલાઉ નોકરીનો વિરોધ થયો. એ કારણે નિમણૂક મળી તો પણ ઘણા નોકરીમાં હાજર ન થયા.
આમ તો કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકથી ચલાવવાની વાત હતી, પણ સરકારની દાનત કામચલાઉ શિક્ષકોથી જ ચલાવવાની હતી. કાયમી નોકરી અંગે કોઈ વિચારણા જ સરકાર પાસે કદાચ ન હતી, એટલે કાયમી શિક્ષકોની ઘટ વધીને 34,000 પર આવી ગઈ હતી. કાયમી શિક્ષકોની ભરતી કરવાની સરકારને ફુરસદ ન હતી, પણ પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, જ્ઞાન સહાયકોની ભરતી કરવાની અનુકૂળતા સરકાર પાસે ભરપૂર હતી. સાચું તો એ છે કે કાયમી નોકરીના લાભ આપવા સરકાર ઇચ્છતી નથી. શિક્ષણ મંત્રી કાયમી નોકરીનો લાભ લે, પણ તેમના શિક્ષકોને તે લાભ ન આપવો પડે એટલે કામચલાઉનો આગ્રહ રાખે છે. જો શિક્ષકો કોન્ટ્રાક્ટ પર રખાય તો મંત્રીઓ પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રખાય તો ચાલે કે કેમ એ અંગે વિચારવા જેવું છે.
ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કાયમી નોકરી મળે એ આશાએ પરીક્ષાઓ પાસ કરી હોય ને સરકાર કાયમી નિમણૂક કરવામાં ગાળિયા કાઢે એ કોઈ રીતે યોગ્ય નથી. સરકારના આ વેપલાને લીધે ઘણા ઉમેદવારોની ઉંમર પુરાઈ રહી છે, એનો વિચાર સરકારને આવતો નથી એ દુ:ખદ છે. ઉંમર પુરાતાં એમને બીજે પણ નોકરી નહીં મળે એવું લાગતાં નાછૂટકે એમણે 18 જૂનને મંગળવારે ગાંધીનગરમાં મંત્રીશ્રીને રજૂઆત કરવાની કોશિશ કરી, તો ત્યાં પોલીસોનું ધાડું તેમના પર તૂટી પડ્યું. મહિલાઓને ટીંગાટોળી કરીને લઈ જવાઈ. કોઈ ગુનેગાર સાથે ન થાય એવું વર્તન પોલીસે ભાવિ શિક્ષકો સાથે કર્યું. સરકારે એવી જડબેસલાક વ્યવસ્થાઓ ગોઠવી કે કોઈ સચિવાલય સુધી પહોંચી જ ન શકે. એ વ્યવસ્થા કરવામાં જે સમય અને નાણાંનો ખર્ચ સરકારે કર્યો એના કરતાં તો એ આંદોલનકારીઓને મળવાનું સસ્તું પડ્યું હોત, પણ સરકારનો આપવામાં હાથ તંગ રહે છે ને પોતાને માટે ખર્ચવામાં તો ક્યારે ય કૈં ખોટ પડી નથી.
એ ટીંગાટોળી પછી, કેબિનેટની બેઠક મળી ને ત્રણેક મહિનામાં ટાટ પાસ 7,500 શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી. માધ્યમિકમાં સરકારી સ્કૂલોમાં 500 અને ગ્રાન્ટ ઇન એડ સ્કૂલોમાં 3,000 કાયમી શિક્ષકોની ભરતી થશે, તો ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી સ્કૂલોમાં 750 અને ગ્રાન્ટ ઇન એડ સ્કૂલોમાં 3,250 કાયમી શિક્ષકોની ભરતી થશે. ટૂંકમાં, ટાટ-1માં 3,500 અને ટાટ-2માં 4,000 કાયમી ભરતી થશે. પ્રવક્તા મંત્રીએ 1,500 HMAT પ્રિન્સિપાલની ભરતી ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં તાજેતરમાં જ થઈ હોવાની વધામણી ખાતાં એ પણ ઉમેર્યું કે ટેટ-ટાટ પરીક્ષા નોકરી આપવા માટે નથી, પણ લાયકાત માટે છે. ટૂંકમાં ગ્રેજ્યુએશન, બી.એડ્. વગરે લાયકાત નથી, એ લાયકાત તો ટેટ-ટાટ પાસ કરવાથી જ આવે. એમ રાખીએ, પણ એ એટલે પાસ કરવાની છે કે નોકરી ન મળે ને મળે તો કાયમી ન મળતાં કામચલાઉ મળે? આટલી લાયકાત પછી આટલી તકલાદી નોકરી સરકાર આપે એ યોગ્ય છે? પ્રવક્તા મંત્રીએ એમ પણ કહ્યું કે ટેટ-1, ટેટ-2ની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. એ આંદોલનકારીઓનો આભાર માનવો જોઈએ કે વર્ષોથી બાકી કાયમી ભરતીની પ્રક્રિયા હાથ ધરવાનું સરકારને આંદોલનને નિમિત્તે યાદ આવ્યું.
આમ તો દર વર્ષે જૂનમાં નવી ટર્મ શરૂ થતી હોય છે, પણ સરકારને કાયમી ભરતીનો વિચાર જ નથી આવતો ને આવે છે તો ટર્મ અડધી થવા આવે ત્યાં સુધી કૈં ઠેકાણું નથી પડતું. સરકારની છેલ્લી જાહેરાત અનુસાર 10 વર્ષમાં 18,382 કાયમી શિક્ષકોની ભરતી થઈ છે. એટલે કે સરેરાશ 1,838.2 શિક્ષકો. એની સામે છેલ્લા આઠ જ મહિનામાં 17,500 શિક્ષકો નિવૃત્ત થયા છે. સાચું તો એ છે કે ખુદ શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાત મુજબ પણ કાયમી ભરતી થતી નથી. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 5,300 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરેલી, ત્યાં મંત્રીઓ 2021માં બદલાતા એમણે જ જવાનું થયું. એમના પછી જિતુ વાઘાણી આવ્યા ને એમણે 2022માં 2,650 ને નિમણૂક પત્રો આપ્યા, તો ય 2,650ની નિમણૂક તો રહી જ. એ પછી જિતુ વાઘાણી પણ પૂર્વ મંત્રી બન્યા ને એની સામે 31/10/2023 ને રોજ 7,500 શિક્ષકો અને 31/5/2024 ને રોજ 10,000 શિક્ષકો મળી કુલ 17,500 શિક્ષકો નિવૃત્ત થયા. એની સામે નિમણૂક તો 2,650 ને જ મળી, એટલે 14,850 જ્ગ્યાઓ તો ખાલી જ રહી. હવે પ્રવક્તા મંત્રીની 7,500ની ભરતીને બાદ કરીએ તો પણ 7,350 જ્ગ્યાઓ તો ખાલી જ રહે છે ને આ સ્થિતિ તો છેલ્લા આઠ મહિનામાં નિવૃત્ત થયેલ શિક્ષકો સંદર્ભે છે. એની પહેલાંની ને પછીની તો કલ્પના જ કરવાની રહે છે.
આ ઘટને કારણે બન્યું છે એવું કે રાજ્યની 33,510 સ્કૂલોમાંની 1,606થી વધુ સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. આ સંખ્યા અગાઉ 754ની હતી, એવું હાલના શિક્ષણ મંત્રી કહે છે ને એમના જ કહેવા પ્રમાણે જ્યાં શિક્ષકો છે તે લાયકાતવાળા જ છે એવું નથી. ફેબ્રુઆરીમાં વિધાનસભામાં સરકારે કબૂલ્યું છે કે ખાલી અમદાવાદમાં જ 348 શિક્ષકો લાયકાત વગરના છે. એક તરફ સ્કૂલોમાં શિક્ષકો નથી ને છે ત્યાં લાયકાતનો પ્રશ્ન છે ને બીજી તરફ લાયકાતવાળાએ કાયમી નોકરી માટે આંદોલન કરવું પડે એ સ્થિતિ છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં ખાનગી સ્કૂલો તરફની દોટ ઘટી છે ને સરકારી સ્કૂલો બંધ થવા છતાં, તેમાં વિદ્યાર્થીઓ વધ્યા છે. ગુજરાતમાં ત્રણેક વર્ષોમાં 2.75 લાખ વિદ્યાર્થીઓ વધ્યા છે. આ સાચું હોય તો શિક્ષકો વધવા જોઈએ, પણ તે ઓછા છે ને વર્ષો પછી પણ સરકાર એ સ્થિતિમાં નથી કે શિક્ષકોની ઘટ પૂરી કરી શકે. બીજી તરફ લાખોની સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો, નોકરી માટે વર્ષોથી ફાંફાં મારી રહ્યા છે. 7,500ની કાયમી ભરતી થાય તો પણ, 1.18 લાખ ટાટ પાસ ઉમેદવારોની સામે એ દરિયામાં ખસખસથી વધુ નહીં હોય. એમાં પણ ટેટની ભરતી પ્રક્રિયાની તો ખાલી વાત જ છે, જ્યારે ટેટ પાસ બેકારોની સંખ્યા 2.65 લાખથી વધુની છે. એમાંના કોને, કેટલી ને ક્યારે કાયમી નોકરી મળશે એ તો આવનારો સમય જ કહેશે.
પટાવાળાની, ક્લાર્કની, સૈનિકોની, ઑફિસરોની, મામલતદારોની, જજોની ભરતી થતી હોય, તો શિક્ષકોની ભરતી કરવામાં સરકારને શું નડે છે તે નથી સમજાતું ને આટલો સમય વીતવા છતાં, કાયમી ભરતી સરકાર કેમ નથી કરતી એનો ખુલાસો પણ સરકાર કરતી નથી. તેને બદલે કામચલાઉ જગ્યાઓ ભરવાનો તેને વાંધો નથી, તો નિવૃત્તિ પછીના લાભો આપવા ન પડે એટલે સરકાર કાયમી ભરતીમાં અખાડા કરે છે, એમ માનવાનું છે? એવું હોય તો તેનો ય વાંધો નથી, તો સરકાર કોર્પોરેટરોના, વિધાનસભ્યોના, સાંસદોના નિવૃત્તિ પછીના લાભો રદ્દ કેમ નથી કરતી? અત્યારે જે સરકારી અધિકારીઓ છે તે પેન્શન ને અન્ય લાભો લેવાના છે કે જતા કરવાના છે? જો, એ બધા લાભો લેવાનો સંકોચ ન થતો હોય તો, શિક્ષકોને જ એ લાભો આપવામાં હાથ કેમ પાછો ખેંચાય છે? આ કોઈ પણ રીતે યોગ્ય નથી. નથી જ –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જૂન 2024