
રવીન્દ્ર પારેખ
મહારાષ્ટ્ર અને ઝારખંડનાં ચૂંટણી પરિણામો એમ સૂચવે છે કે જ્યાં જે છે તે સત્તા પર ટકી રહે. મહારાષ્ટ્રમાં યુતિ સરકાર હતી તો તે ત્યાં જ રહે એવું પરિણામોએ સૂચવ્યું છે. એ ખરું કે ભા.જ.પ.ને સૌથી વધુ સીટો મળી છે, એટલે મુખ્ય મંત્રી ઘણું ખરું તેનો જ આવે (દેવેન્દ્ર ફડણવીસ?) એમ બને ને એમાં અજિત પાવર (એન.સી.પી.) કે એકનાથ શિંદે(શિવસેના)નું પણ બહુ ન ઊપજે એવી સ્થિતિ છે. ટૂંકમાં, મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર આવશે. એ જ રીતે ઝારખંડમાં ભા.જ.પ.નું ખાસ ઉપજ્યું નથી ને ત્યાં ‘ઇન્ડિયા’ ગઠબંધનનો પ્રભાવ રહેતા હેમંત સોરેનની સરકાર બનવાના યોગ છે. મહારાષ્ટ્રમાં ભા.જ.પ.નાં સૂત્રો – બટેંગે તો કટેંગે – કે – એક હૈ તો સેફ હૈ – હિન્દુત્વ સંદર્ભે ચાલ્યાં છે, પણ એનો પ્રભાવ ઝારખંડમાં પડ્યો નથી, ત્યાં બટેંગે તો બચેંગે-નો મહિમા હોય તો નવાઈ નહીં ! એટલે, એક જ પક્ષના સૂત્રો એક રાજ્યમાં ચાલે તે બીજા રાજ્યમાં પણ ચાલે જ એવું જરૂરી નથી. બંને રાજ્યોમાં વિપક્ષનું ખાસ ઉપજ્યું નથી, એટલું જ નહીં, સ્થિતિ વધુ દયનીય એટલે પણ છે કે કાઁગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એન.સી.પી. (શરદ પવાર) મળીને પણ કંગાળ દેખાવથી બચી શક્યા નથી, તો ભા.જ.પ.ને ઝારખંડમાં ઘૂસણખોરોનો મુદ્દો ફળ્યો નથી, તે એટલે કે કેન્દ્ર પાસે ઘૂસણખોરીનો મુદ્દો હોય, પણ ઘૂસણખોરી રોકવાનો કોઈ ઉકેલ જ ન હોય તો ન ચાલે. હવે અલ્પસંખ્યક, આરક્ષણ અને સંવિધાનના મુદ્દાઓ ધારી અસર ઉપજાવે એમ નથી, એટલે આગામી ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ જીત માટે જુદા મુદ્દા શોધવાના રહે.
લાગે છે તો એવું પણ કે હાલનું પ્રજા માનસ બહુ મોટાં રાજકીય પરિવર્તનોની તરફેણમાં નથી. પેટાચૂંટણીનાં પરિણામો પણ જે રાજ્યમાં જેની સરકાર છે એના જ સભ્યોને ઈચ્છે છે. પ્રિયંકા ગાંધીની જીત એ રીતે સૂચક છે. રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધીને વધુ સફળતા મળી છે એ પણ નોંધનીય છે. એમ પણ લાગે છે કે નેતાઓનો જેલવાસ પ્રજાને બહુ કઠતો નથી. એવું ન હોત તો હેમંત સોરેનની વાપસી જીતનું કારણ બની ન હોત. રહી વાત કાઁગ્રેસની, તો તે એવી સ્થિતિમાં નથી કે સ્વતંત્ર પક્ષ તરીકે વધુ કૌવત દાખવી શકે. અત્યારે તો ઇન્ડિયા ગઠબંધન તરીકે જ તેણે આગળ વધવાનું રહે છે. એ ખરું કે લોકસભાની ચૂંટણી પછી ભા.જ.પે. સરકાર રચવા નાયડુ અને નીતીશનો ખભો લેવો પડ્યો ને એટલો પ્રભાવ તો વિપક્ષોનો રહ્યો જ, પણ અત્યારે વિપક્ષોનો એવો પ્રભાવ નથી કે કેન્દ્રમાં કે મહારાષ્ટ્ર કે યુ.પી. જેવામાં સત્તા સુધી પહોંચી શકાય. દેખીતું છે કે મહારાષ્ટ્રમાં જેટલું મનોબળ ભા.જ.પ.નું વધ્યું છે, એટલું ઝારખંડમાં કાઁગ્રેસનું વધ્યું નથી. વિપક્ષો એટલું આશ્વાસન લઈ શકે કે ઝારખંડમાં ભા.જ.પ.ની કારી ફાવી નથી. ખરેખર તો વિપક્ષોએ આત્મચિંતન-મંથન-મનન કરવાની જરૂર છે.
લોકસભાની છેલ્લી ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને 48માંથી 30 સીટ મળી હતી, જ્યારે ભા.જ.પ.ને માત્ર 9 સીટ જ મળી હતી. એ વાતે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કાઁગ્રેસી નેતાઓ એમ ધારતા હતા કે એ જ રીતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ જીતી જવાશે. એમાં વિશ્વાસ કરતાં વધુ પડતો ‘વિશ્વાસ’ કેન્દ્રમાં હતો, બીજી બાજુએ ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મતભેદ ભૂલીને પાયાનું કામ કર્યું ને મરાઠી ઉપરાંત નાની જાતિઓને મતદાન મથક સુધી લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એથી મતદાનની 2019ની ટકાવારી 61.1 ટકાથી વધીને 2024માં 66 ટકા સુધી આવી. તેણે મહારાષ્ટ્રમાં ભા.જ.પ.ને એ સ્થિતિએ મૂક્યો કે તે મહાયુતિની સરકાર રચી શકે.
મહારાષ્ટ્ર અને ઝારખંડનાં ચૂંટણી પરિણામો કેટલીક એવી બાબતો પર પણ પ્રકાશ ફેંકે છે જે એકબીજાથી વિપરીત હોય. જેમ કે એન.સી.પી.ના શરદ પવારનો કેન્દ્ર અને રાજ્ય સુધી વ્યાપક પ્રભાવ હતો, એ હવે ઓસર્યો છે અને એમના જ સાથી-સંબંધી અજિત પવારનો પ્રભાવ મહારાષ્ટ્રમાં વધ્યો છે. એ જ રીતે શિવસેનાના બાળઠાકરેનો પ્રભાવ ઉદ્ધવ ઠાકરે જાળવી શક્યા નથી, પણ તે જ પક્ષના સાથી એકનાથ શિંદેનો પ્રભાવ મુખ્ય મંત્રી બનવા સુધી વિસ્તર્યો છે. એથી ઊલટું, ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેન ઝારખંડના મુખ્ય મંત્રી બન્યા, તો તેમના દીકરા હેમંત સોરેન જે.એમ.એમ.નો પ્રભાવ જાળવીને મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહે એવી તકો ઊભી થઈ છે.
આ વખતે મહાયુતિની શિંદે સરકારે જૂન 2024માં ‘માઝી લાડકી બહિન’ યોજના શરૂ કરી, જેમાં વાર્ષિક 2.5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારની મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે. જુલાઈથી ઓકટોબર સુધીમાં 2.34 કરોડ મહિલાઓએ એનો લાભ લીધો છે. ગરીબી રેખાની નીચે જેટલી મહિલાઓ છે, તેનાથી અઢી ગણી મહિલાઓનાં ખાતામાં 7,500 રૂપિયા જમા થઈ ગયા છે. 2.34 કરોડનો આંકડો કુલ મહિલા મતદારોથી અડધો છે. વધારામાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ એવો વાયદો પણ કર્યો છે કે મહાયુતિ સત્તામાં આવશે તો આ યોજના હેઠળ દર મહિને 2,100 રૂપિયા આપવામાં આવશે. એક તરફ 7 લાખ કરોડનું દેવું છે ને બીજી તરફ 2.34 કરોડ મહિલાઓના ખાતામાં દર મહિને 2,100 રૂપિયા ઉમેરાતા રહે તો આ કેટલું ટકશે એ સવાલ છે.
આમ તો 2019માં રાહુલ ગાંધીએ ઘોષણા પત્રમાં સૌથી વધુ ગરીબ 5 કરોડ પરિવારોનાં ખાતાંમાં વર્ષે 72,000 રૂપિયા નાખવાની વાત કરેલી. એ પછી 2024માં 72,000નો આંકડો 1,00,000 કરવાની વાત પણ મહાલક્ષ્મી યોજના હેઠળ રાહુલ ગાંધીએ કરી. આ યોજનાની ટીકા થઈ, પણ પછી ભા.જ.પે. એવી જ યોજના અમલમાં મૂકી, તો એને માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી. આ યોજનાથી કાઁગ્રેસને તો લાભ ન થયો, પણ ભા.જ.પ.ને થયો ને તે પાર્ટી ચૂંટણીમાં જીત સુધી પહોંચી. કયા દેશમાં આવી લહાણી થતી હશે તે નથી ખબર, પણ ભારતમાં તો થાય જ છે તે હકીકત છે. જતે દિવસે બેકાર યુવકો, વૃદ્ધો, ઓછું કમાતા પુરુષો કે અત્યંત ગરીબ પુરુષો અમારે માટે પણ ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરો, નહીં તો મત નહીં આપીએ, એવી હઠ પકડે તો સરકારો એવું કરી શકશે કે મહિલાઓના મતો પર જ જીત હાંસલ કરશે તે વિચારવાનું રહે.
મૂળે તો ‘માઝી લાડકી બહિન’ યોજના મધ્ય પ્રદેશની ‘લાડલી બહેન’ યોજનાનું જ મરાઠીકરણ છે. એ જ રીતે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને વિધાનસભા ચૂંટણીના ચાર મહિના પહેલાં ‘મૈયા સન્માન યોજના’ શરૂ કરી. આ યોજના અંતર્ગત દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવતા હતા. ભા.જ.પે. 2,100ની લાલચ આપી, તો હેમંત સોરેને 2,500 આપવાનો વાયદો જ ન કર્યો, પહેલો હપ્તો છૂટો પણ કરી દીધો. એ ઉપરાંત મફત વીજળી, ખેડૂતોની લોન માફી, OPS જેવી યોજનાઓએ પણ તેની અસર દેખાડી. બાકી હતું તે હેમંત સોરેનની ધરપકડે પૂરું કર્યું. ઝારખંડ આંદોલનનો હેતુ તો અલગ આદિવાસી રાજ્યનો હતો. જે.એમ.એમ.એ ચૂંટણીમાં હેમંતની ધરપકડને અસ્મિતાનો મુદ્દો બનાવ્યો. એથી હેમંત અને જે.એમ.એમ. બંને મજબૂત થયા. ED અને CBIની કાર્યવાહીની વિપરીત અસરો એ પડી કે આવી કાર્યવાહીથી, સરકાર અને આદિવાસી નેતૃત્વને નબળાં પાડવાનું કાવતરું થઈ રહ્યું છે એવી હવા બંધાઈ. આ બધું હેમંત સોરેન અને જે.એમ.એમ.ને વિજયી બનાવવામાં કારગત નીવડ્યું. એથી મહિલા મતદારો ઉપરાંત અન્ય મતદારોએ પણ જે.એમ.એમ. અને ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં મત નાખ્યા.
એ પણ છે કે પ્રજા ચતુર અને મતલબી થઈ છે. તે જાણે છે કે ચૂંટણીના વાયદાઓથી તેનો દા’ડો વળે એમ નથી. તે એ પણ જાણે છે કે વાયદાઓ તો ન પાળવા માટે જ હોય છે. મતદારો હવે તરતનો, સીધો લાભ શોધે છે. લાભ આપો ને મત લો – એ તેનું રોકડું ગણિત છે. એટલે અમે આટલા આપીશું-નો વાયદો નહીં, ખાતામાં જમા કરો, પછી મત નાખીશું – એ પ્રજાએ પક્ષોને ભણાવેલો પાઠ છે. સીધી વાત એટલી છે કે રાજકીય પક્ષોએ ખાતામાં જમા આપ્યા છે તો વોટિંગ મશીનમાં મત પડ્યા છે. પ્રજા હવે છેતરાવામાં માનતી નથી. તે છેતરી શકે, પણ છેતરાય એવી રહી નથી. મહિલાઓને દર મહિને ખાતામાં રકમ જમા થઈ છે, તો મતદાનની ટકાવારી પણ વધી છે. એવો સવાલ થાય કે 81 કરોડ લોકોને મફત અનાજની ટેવ પડે કે ખાતામાં રકમ જમા લઈને મત આપે, એમાં પ્રજા નૈતિક રીતે ઠીક કરી રહી છે? તો સામો સવાલ એ પણ થાય કે પ્રજાને મફતની ટેવ પાડીને પક્ષોએ જે રાજકીય હેતુઓ પાર પાડ્યા છે, તેમાં નૈતિકતા છે? સાચું તો એ છે કે અનૈતિકતા જ ભારતીય રાજનીતિનું વ્યાવર્તક લક્ષણ છે. નથી પક્ષોને નૈતિકતા જોડે લેવાદેવા કે નથી હક વગરનું લેવામાં પ્રજાને કોઈ સંકોચ !
હા, શુદ્ધતાના, સચ્ચાઈના, સાત્ત્વિકતાના માપદંડો જરૂર બદલાયા છે.
અત્યારે તો જેમ અગાઉનું બદલાયું છે, એમ જ ભવિષ્યમાં આજનું પણ બદલાશે એવી આશા રાખવા સિવાય બીજો ઈલાજ નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 નવેમ્બર 2024