
રવીન્દ્ર પારેખ
આ દેશમાં અનેક કામો વિકાસના થયા છે ને વિશ્વમાં તે ચોથી ઈકોનોમી તરીકે પંકાઈ રહ્યો હોય તો તેની પણ ના નથી. ભલે 81.5 કરોડ લોકોને મફત અનાજ અપાઈ રહ્યું હોય ને છતાં, દેશમાં અત્યંત ગરીબોની ટકાવારી ઘટી હોય, તો તેનોય વાંધો નથી. દુશ્મન દેશને થોડી મિનિટોમાં જ આ દેશનાં સૈન્યે ધોળે દિવસે તારા દેખાડી દીધા હોય તો તે પણ કબૂલ, પણ દેશ ધાર્મિક, સામાજિક અંધશ્રદ્ધાનો વધુ ને વધુ શિકાર થઈ રહ્યો છે તે અંગે વિચારવાનું રહે જ છે. લગ્ન અને લગ્નેતર સંબંધોને કારણે આત્મહત્યા ને હત્યાનું પ્રમાણ જે રીતે વકરતું આવે છે, તે સામાજિક સ્વાસ્થ્ય અંગે ચિંતા ઉપજાવનારું છે. આખો દેશ પરસ્પર હિંસક આક્રમણની છૂપી તૈયારીમાં લાગ્યો હોય એવું પણ લાગે છે. એ ઓછું હોય તેમ દેશમાં, રાજ્યમાં અનેક સ્તરે ચાલતો ભ્રષ્ટાચાર નફફટાઈ અને નિર્લજ્જતાને આંટી જાય એવો છે.
24 ઓકટોબર, 2024ને રોજ વેરાવળ-પાટણની સંયુક્ત મ્યુનિસિપાલિટીના પૂર્વ પ્રમુખે, વર્તમાન ચીફ ઓફિસરને લખેલ પત્રમાં થોડી આવી લાઈનો લખેલી, ‘… સાથે સાથે જે ગત વર્ષે 1 કરોડના કામો મંજૂર થયેલ હતા તેમ 4 કરોડ 25 લાખના કરી નાખવામાં આવેલ હતા. જેમાં કોઈ પણ જાતના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવેલ હતી નહીં. આ 4 કરોડ 25 લાખના કામો માં જે જે રસ્તા રીપેર કરવામાં આવ્યા હતા તે રસ્તા પણ હાલ તૂટી ગયા છે જે ખૂબ ગંભીર બાબત કહેવાય જે રસ્તાના ગત વર્ષે કામો કરવામાં આવ્યાં હતા તે કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે. ગત વર્ષે થયેલ રસ્તાના કામો તપાસી તે કોન્ટ્રાકટર પાસે તાત્કાલિક તે રસ્તા રીપેર કરાવવામાં આવે અને તે કોન્ટ્રાકટર ને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેની માંગણી મૂકી રહ્યો છું.’
પત્રની લખાવટમાં ન પડીએ કે તે લખવાનાં કારણોમાં ન પડીએ તો પણ, વેરાવળ-પાટણ ઉપરાંત રાજ્યમાં અને દેશમાં રસ્તાઓ તૂટવાના ને બંધાઈ રહેલા પુલો તૂટવાના અનેક કિસ્સાઓ મીડિયામાં આવી ચૂક્યા છે ને તે આખરી નથી. બહુ દૂર ન જવું હોય તો બે’ક વર્ષ પર મોરબીનો ખુલ્લો મુકાયેલ પુલ જળાશાયી થયો તે ઘટનાને પણ ભ્રષ્ટાચાર સંદર્ભે યાદ કરી શકાય અને પૂર્ણ વિરામ તો ત્યાં પણ આવતું નથી. ક્યાંક ને ક્યાંક એ ઘટમાળ ન જ ચાલતી હોય એમ માનવાને કોઈ કારણ નથી.
CJI ભલે કહે કે ન્યાયપાલિકા ન્યાયિક આતંકવાદથી બચે, પણ ન્યાયતંત્ર સામે પણ ઘણા સવાલો છે તે ભૂલવા જેવુ નથી. એ ખરું કે ન્યાયિક સક્રિયતા અનિવાર્ય છે, પણ તે એ હદે ન વધવી જોઈએ કે ન્યાયિક આતંકવાદનું રૂપ લઈ લે. એ સાચું છે, પણ ન્યાયતંત્ર સામે આંગળી ચીંધાય એવું પણ થયું જ છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વર્માના લુટિયન્સ દિલ્હી સ્થિત ઘરમાં 14 માર્ચની રાત્રે આગ લાગી ને તેમના સ્ટોર રૂમમાંથી 500-500ની નોટોનાં સળગતાં બંડલો મળી આવ્યાં. તેમની સામે તત્કાલીન CJIએ તપાસ સમિતિ મૂકી. સમિતિને જસ્ટિસ વર્મા સામેના આક્ષેપો સાચા લાગ્યા ને તેમને દોષી ઠેરવવામાં આવ્યા. તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું જેનો તેમણે ઇનકાર કર્યો ને હવે તેમને મહાભિયોગથી દૂર કરવા સુધી વાત આવી છે. એ પણ છે કે મહાભિયોગના નિર્ણય સુધી આવ્યા પછી પણ નથી તો જસ્ટિસ વર્માએ ફોડ પાડ્યો કે નથી તો તપાસ સમિતિએ ખુલાસો કર્યો કે કરોડોનાં બંડલો સ્ટોરરૂમ સુધી પહોંચ્યા કઈ રીતે? જસ્ટિસ વર્મા તો કહે છે કે એ બંડલો તેમને ફસાવવા કોઈકે મૂક્યા છે. જો એવું હોય તો તપાસ સમિતિએ એ વાત ધ્યાને લીધી હતી કે કેમ? લાગે છે તો એવું કે સમિતિએ એ માની લીધું છે કે એ બંડલો જસ્ટિસ વર્માના જ હતા. એમ ન હોય તો સમિતિ પાસે જસ્ટિસ વર્માને દોષી ઠેરવવાનું કારણ જ કયું છે? એનું પણ આશ્ચર્ય જ છે કે પોતે મહાભિયોગ સુધી પહોંચવા તૈયાર છે, પણ એ બંડલો અંગે જસ્ટિસ વર્મા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એ પણ છે કે જો બંડલો જસ્ટિસ વર્માનાં જ હોય તો તે તેમની પાસે ભ્રષ્ટાચાર વગર આવ્યાં હોવાનું મુશ્કેલ છે.
લાગે છે તો એવું કે ભ્રષ્ટાચાર ને લાંચ રૂશ્વત કેટલાક સરકારી અધિકારીઓનાં લોહીમાં ઊતરી ગયાં છે. રાજસ્થાનનાં ઝુનઝુનુનો 11 જૂન, 2025નો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દોડતા સરકારી અધિકારી નરેન્દ્ર સિંહની પાછળ ACBનો અધિકારી પડ્યો છે ને સરકારી અધિકારીને ઝડપી લે છે. તે એટલે ઝડપે છે કે નરેન્દ્ર સિંહ 30,000ની લાંચ લેતા પકડાયો, તો ચકમો આપીને ભાગી છૂટ્યો હતો. ACB અધિકારી પાછળ પડ્યો છે, એવું લાગતાં સરકારી અધિકારીએ હાથમાં પકડેલું લાંચનું બંડલ ખાલી પ્લોટમાં ફેંકી દીધું. જો કે, ACB અધિકારીએ તેને પકડી પાડ્યો હતો ને આ આખી ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ચૂકી હતી.
સરકારી ઓફિસોમાં લાંચ એ જાણે ફેશન બની ગઈ છે. ઓડિસા વિજિલન્સ ડિરેક્ટોરેટે કાલાહાંડી જિલ્લામાં તૈનાત 2021 બેચના એક આઇ.એ.એસ. અધિકારી ધીમન ચકમાને 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. ધીમન ચકમા ધરમગઢના નાયબ કલેકટર તરીકે કાર્યરત છે. ચકમાએ એક વેપારી પાસેથી 20 લાખની લાંચ માંગી હતી. તેનો 10 લાખનો પહેલો હપ્તો તો ચૂકવાઈ ગયો હતો. બીજા હપ્તા માટે ધમકી અપાઈ હતી કે તે નહીં ચૂકવાય તો કાર્યવાહી થશે. આથી ત્રાસીને ઉદ્યોગપતિએ વિજિલન્સ ડિરેક્ટોરેટમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. ચકમાના ઘરે 8 જૂનને રવિવારે સઘન તપાસ કરતાં બીજી 47 લાખ જેટલી રોકડ મળી આવી હતી.
આ એક જ દાખલો છે. એવું નથી. ગયા એપ્રિલમાં અમદાવાદના આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમારને, એન્ટિ કરપ્શન બ્યૂરો(ACB)એ છટકું ગોઠવીને 15 લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા. વિગતો એવી છે કે ફરિયાદીની ફેવરમાં કામ કરવા માટે ફરિયાદી અને તેમના ડૉક્ટર મિત્ર પાસેથી 30 લાખની લાંચ માંગવામાં આવી હતી. માર્ચ, 2025માં સુરતમાં રાજ્ય વેરા વિભાગમાં નીલેશ પટેલ નામના એક અધિકારી, એક વેપારીને મળવા પાત્ર રિફંડની રકમની કાર્યવાહી કરવાના બદલામાં, 15,000ની લાંચ લેતાં ACBએ પકડ્યા હતા.
આવા એકલદોકલ કિસ્સાઓ પૂરતી આ વાત નથી. ACBના 9 એકમનાં 76 સફળ ટ્રેપને લીધે છેલ્લા 4 મહિનામાં 109 સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. આ તો ગુજરાતનો જ ચાર મહિનાનો હિસાબ છે. સૌથી વધુ અધિકારીઓ, કર્મીઓ ગાંધીનગર અને અમદાવાદથી ઝડપાયા છે. આ ઉપરાંત નેતાઓ, મંત્રીઓનો ભ્રષ્ટાચાર છૂપો હોય છે, તે એકાએક ધ્યાને આવતો નથી. ગમે ત્યારે પગાર, ભથ્થાં વધારીને મબલખ આવક મેળવતા સાંસદો, મંત્રીઓ ડાબે હાથે પણ ઘણું ગજવે ઘાલતાં હોય છે. એવું નથી કે બધાં જ લાંચિયાંને ભ્રષ્ટાચારી છે. કોઈ કોઈ આ બધાંથી બચીને પણ ચાલે છે, પણ ઘણા વિકાસ પછી પણ આ દેશમાં લાંચરૂશ્વત, ભ્રષ્ટાચારે માઝા મૂકી છે એ હકીકત છે.
અહીં જે ઉદાહરણો લીધાં છે, એમાં જસ્ટિસથી લઈને નાના મોટા સરકારી અધિકારીઓ છે. તેમને સારાં એવાં પગાર-ભથ્થાં મળે છે, જેનો આંકડો લાખોમાં પડે છે. એમને મહિનાનો જેટલો પગાર મળે છે, એટલો તો ઘણાનો વાર્ષિક પગાર પણ નહીં હોય ! કોઈ ગરીબ માણસ પેટ પૂરવા થોડું ઘણું ખોટું કરે ને તે છીંડે ચડે તો સહેલાઈથી ચોર પુરવાર થઈ શકે છે, પણ લાખોમાં આળોટતા આ સરકારી માણસો લાંચ લેવામાં કે ભ્રષ્ટાચાર કરવામાં પૂરા નિર્લજ્જ ને નિષ્ઠુર થઈ શકે છે. એમનાં બેશરમ મોઢાં લાખોનો કોળિયો કરી જાય છે ને ઓડકાર પણ નથી ખાતા. એને લીધે જે કામ થાય છે તેમાં જરા જેટલો પણ ભલીવાર હોતો નથી. તેમને પકડીને જેર કરનાર તંત્રોને સલામ કરવાની રહે. એનો આનદ છે કે ACB તેનું કાર્ય વફાદારીથી કરે છે, પણ કેટલા ય કિસ્સા એવા પણ હશે જે તેમની નજરે ન ચડાય તેની કાળજી રાખતા હશે ને એ સંખ્યા પણ નાનીસૂની નહીં જ હોય. ખરું તો એ છે કે સારો પગાર મેળવનાર અધિકારીઓ પોતે જ સમજીને લાંચ લેવાથી કે ભ્રષ્ટાચાર કરવાથી દૂર રહે, પણ તેવું થતું નથી ને એટલે જ તો ACBએ ફરજ બજાવવી પડે છે.
સાંભળ્યું તો એવું પણ છે કે ACB કે CBI પણ દૂધે ધોયેલ નથી, છતાં આટલા કેસ કરે છે ને લાંચ રૂશ્વત રોકવાની કોશિશ કરે છે તેની અવગણના થઈ શકે નહીં. એટલું સ્પષ્ટ છે કે આપણે તો આશ્વાસનોથી જ રાજી રહેવાનું છે. આવનારો સમય આશ્વસ્ત પણ ન થવા દે એમ બને –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જૂન 2025