તમે પ્લેટફોર્મ પર ઊભાં હો ને ટ્રેનને આવતી જુઓ તો કહેશો કે ટ્રેન આવી રહી છે. એ જ વખતે કોઈ ટ્રેનમાંથી બહાર જોશે તો કહેશે કે પ્લેટફોર્મ આવી રહ્યું છે, તો પ્રશ્ન થાય કે સાચું શું? ટ્રેન આવી રહી છે એ કે પ્લેટફોર્મ આવી રહ્યું છે એ? કે બંને વાત સાચી છે? સત્ય સાપેક્ષ છે. પ્લેટફોર્મ પર ઊભેલાં માટે ટ્રેન આવી રહી છે એ સાચું છે, તો, ટ્રેનમાં છે તેને માટે પ્લેટફોર્મ આવી રહ્યું છે એ સાચું છે. જો કે, છેલ્લાં થોડાં વર્ષોમાં એવું બન્યું છે કે એટલાં બધાં સત્યો એક સાથે પ્રગટ થવાં લાગ્યાં છે કે સત્ય સુધી પહોંચવાનું મુશ્કેલ થઈ ગયું છે. બધાં એટલું બધું સાચું બોલી રહ્યાં છે કે ખોટું પણ, ખરું હોય એમ એનો પ્રચાર થાય છે. પ્રચાર આજનો રાજરોગ છે. સત્ય હવે નિર્ભેળ નથી. એક જ વાત એકને સાચી તો બીજાને ખોટી લાગે છે. તેમાં સ્વાર્થ હોય તો સાચી વાતને ખોટી અને ખોટી વાતને સાચી ઠેરવવાનો પ્રયત્ન પણ થાય છે. ઘણાંને તો પોતાની માન્યતા જ સાચી લાગે છે. માન્યતા ખોટી હોઈ શકે, પણ હવે તેને જ સાચી ઠેરવવાની કોશિશો થાય છે. પોતે માને છે તે જ સાચું છે ને સામેવાળો માને છે તે ખોટું છે, એ વાત હવે ઝનૂનની હદે સક્રિય છે, તે પણ કોઈ ઘટના સંદર્ભે નહીં, પણ એકાદ ફિલ્મ સંદર્ભે ! થોડા વખત પર ‘કાશ્મીર ફાઇલ્સ’, કાશ્મીરી પંડિતોને થયેલા અન્યાયની વાતો લઈને આવી હતી. એ ગમે એટલી સત્ય ઘટના પર આધારિત હોય તો પણ તે એક સારી કે નબળી ફિલ્મ હતી ને તેને તે જ રીતે જોવી જોઈએ, પણ એ રીતે જોવાતી નથી, તેમાં ય તે કોઈ કોમની તરફેણ કે ટીકા, કોઈ ગણતરીથી કરે ત્યારે ફિલ્મનો હેતુ બદલાઈને રાજકારણમાં ફેરવાય છે.
સેન્સર બોર્ડે મંજૂરી આપ્યા પછી ફિલ્મ જોવી કે ન જોવી એ વ્યક્તિ પોતે નક્કી કરતી હોય છે, પણ હવે એવું થયું છે કે કોઈ ચોક્કસ ફિલ્મ બાન કરવી કે તેને કરમુક્ત કરવી એ રાજકીય પ્રભાવો નક્કી કરે છે. અત્યારે તો આખો દેશ પક્ષ અને વિપક્ષ એમ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કોઈ પક્ષ કે વિપક્ષમાં ન હોય તો તેને માટે કોઈ જગ્યા જ નથી જાણે ! ’કાશ્મીર ફાઇલ્સ’ પછી એવા જ હેતુ માટે ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ 5 મેએ થિયેટરોમાં રિલીઝ થઈ ને તેણે હિન્દુ અને ખ્રિસ્તી સ્ત્રીઓની આતંકવાદી પ્રવૃત્તિઓમાં, કેવી રીતે ISIS નામક આતંકી સંસ્થા દ્વારા સંડોવણી થઈ તેની વાત કરી છે. કોઈ પણ સ્ત્રીને આતંકવાદી સંગઠન દ્વારા વિદેશમાં આત્મઘાતી બોમ્બ બનાવવા સુધી ઇરાદાપૂર્વક ખેંચવામાં આવે તો તેનો ફિલ્મમાં તો શું, દેશભરમાં વિરોધ થવો ઘટે, પણ આપણે ફિલ્મો પૂરતો વિરોધ કરીને રહી જઈએ છીએ, બાકી, આતંકી સંગઠનો હુમલાઓ તો વર્ષોથી કરે છે, પણ આપણે અફસોસ કરવાથી બહુ આગળ જતાં નથી.
‘ધ કેરળ સ્ટોરી’ ચોક્કસ હેતુથી બની છે, પણ હેતુ પાર પાડવા બનાવટ કરવામાં આવે તો તે યોગ્ય નથી. એમાં 32,000 મહિલાઓની આતંકી સંસ્થા સુધી પહોંચવાની વાતે ફિલ્મ પહેલાં જ લોકોની આંખો પહોળી કરી નાખી. ફિલ્મ તો ત્રણચાર મહિલાની આસપાસ વિકસે છે, તેમાં હજારો મહિલાઓ ફસાયાનો ઉલ્લેખ છે, પણ 32,000નો આંકડો એવો ફેલાવાયો કે એ જ સર્વોપરિ થઈને રહ્યો. બાકી હતું તે એમાં રાજકારણ પ્રવેશ્યું એટલે પક્ષ-વિપક્ષ સામસામે ખડકાઈ ગયા. ફિલ્મ મેકર્સના 32,000ના દાવાએ લક્ષ્ય તો પાર પાડી દીધું હતું ને એને સાચું માનીને બધા પોતપોતાનો રોટલો ય શેકવા લાગ્યા હતા. ફિલ્મ મેકર્સનો હેતુ શુદ્ધ હશે, પણ ખુદ નિર્માતા વિપુલ શાહે પછી કબૂલ કર્યું કે 32,000નો આંકડો બનાવટી છે. 32 કે 32,000 મહિલાઓ ધાર્મિક પરિવર્તનમાં ફસાઈ એનાથી કોઈ ફરક પડતો નથી, મહત્ત્વની બાબત એ છે કે ધર્મ પરિવર્તન થયું અને આ વાતને પબ્લિક ડોમેઇનમાં લાવવાની હતી. વિપુલ શાહની આ વાત સાથે સંમત થવાનો વાંધો નથી, પણ 32,000ના આંકડાએ જે ખોરાક પક્ષને અને વિપક્ષને પૂરો પાડ્યો ને એણે દેશ આખામાં જે હલચલ મચાવી એની જવાબદારી કોને માથે નાખવી તે એ કહી શકે એમ છે? એમને ખબર છે કે જે વાસ્તવિકતાનો દાવો કરાયો એ જ વાસ્તવિકતા પશ્ચિમ બંગાળને કાલ્પનિક લાગી ને ફિલ્મને બાન કરવામાં આવી. બીજી તરફ એ જ આંકડો સાચો માનીને ગુજરાતમાં મહિલાઓને મફત ફિલ્મ બતાવીને લવ જેહાદ સામે જાગૃત કરવાની કોશિશો ચાલી, કેમ જાણે મહિલાઓને પોતાને તો જાગૃત થવાનું સૂઝતું જ નહીં હોય !
આખા દેશમાં આ ફિલ્મ બાન થવી જોઈએ એ માટે કેરળ હાઇકોર્ટે નન્નો ભણ્યો છે, એટલે અરજી હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે ને તેની સુનાવણી 15 મેએ થવાની છે. એનો તો જે નિકાલ લાગે તે ખરો, પણ તે પહેલાં લોકોમાં જે સામસામે કડવાશ અને તીવ્રતા વધી છે તે દુ:ખદ છે. કોર્ટના નિર્ણય પહેલાં પરસ્પર આક્ષેપોની જે ઝડી વરસે છે તે જોખમી છે. જવાબદાર કોઈ પણ હોય, પણ જનતા જે રીતે વિભાજિત થઈ રહી છે, રાધર, વિભાજિત કરવામાં આવી રહી છે તેનો અર્થ કોઈ કાળે એકતા થાય એમ નથી. ફિલ્મ કોઈ કોમની વિરુદ્ધ નથી. તે આતંકી પ્રવૃત્તિની સામે પડી છે, તેવું કહેવાય છે. એ સાચું હોય તો પણ, તેની જે આડઅસર થઈ છે એનો ખ્યાલ ફિલ્મ મેકર્સને ન જ હતો એવું તેઓ પ્રમાણિકપણે કહી શકે એમ છે? આનો વળી રાજકીય પક્ષો પોતાની વોટ બેન્ક માટે ઉપયોગ કરે છે ને વિરોધ કે તરફેણનું વાતાવરણ મજબૂત કરતા જાય છે. એ કેવી કમનસીબી છે કે કોઈ ફિલ્મ આ દેશમાં સ્પષ્ટ બે ભાગ પાડી શકે છે ! આ દેશની અખંડિતતા એટલી તકલાદી છે કે તે એકબે ફિલ્મથી ખંડિત થઈ શકે? એનો અર્થ તો એ થયો કે આ દેશને શિક્ષણ, રાજકારણ, ધર્મનું કોઈ કવચ જ નથી જે દેશને એક રાખી શકે.
ખુદ વડા પ્રધાન ફિલ્મના પ્રચારમાં અને એ દ્વારા કાઁગ્રેસ વિરોધી વાતાવરણ સર્જવામાં પ્રવૃત્ત થાય તેનું આશ્ચર્ય છે. એમણે કોઈ ફિલ્મના પક્ષકાર થવું પડે એ, કેવું? ફિલ્મ સત્યઘટના પર આધારિત હોય તો પણ તે સત્યઘટના નથી જ ! ફિલ્મને અનુરૂપ જે ફેરફારો કરવા પડે તે પેલી સત્યઘટનાને પૂરેપૂરી સત્ય ન રહેવા દે એ સ્પષ્ટ છે. એ જાણીને કે જાણ્યા વગર પક્ષ અને વિપક્ષના સમર્થકો સામસામે આવી ગયા. પક્ષના કે વિપક્ષના નેતાઓને તો ખબર પણ નહીં હોય કે એમના સમર્થકો એમની ભક્તિ કરવામાં જરા ય પાછીપાની કરે એવા નથી. ફિલ્મને પશ્ચિમ બંગાળે ને તમિલનાડુએ બાન કરી છે, તો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશે કરમુક્ત કરી છે. કેરળ મુસ્લિમ રાજ્ય થવાનો ભય ફિલ્મમાં બતાવાય છે, તો કેરળના મુખ્ય મંત્રી આ ફિલ્મને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી રહ્યા છે. સામસામે ચાલતી આવી અનેક ચર્ચાઓનો છેડો દેખાતો નથી.
એક તરફ 32,000ના આંકડાથી ખેલ ખેલાયો તો એને નાનો પાડવા 41,621નો આંકડો ગુજરાતને નામે રમતો મુકાયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના આંકડા પ્રમાણે 2016થી 2020 સુધીમાં 41,621 મહિલાઓ ગુજરાતમાંથી ગુમ થઈ છે. 32,000નો આંકડો તો ફિલ્મનો હતો ને તે ઘટીને 3 પર આવી ગયો, પણ 41,621ના આંકડાનું શું કરીશું? એ તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોનો છે. 32,000ના આંકડા પરથી ફિલ્મને બાન કરવાની કે કરમુક્ત કરવાની વાત આવી, તો 41,621ના આંકડા પરથી હવે ગુજરાતને બાન કરીશું કે કરમુક્ત કરીશું? કેરળની મહિલાઓની ચિંતા થાય છે તો ગુજરાતની મહિલાઓનો પત્તો નથી તેની ચિંતા કરવાની છે કે કેમ? કે એ ફિલ્મ નથી એટલે ચાલે? ગુજરાતમાં સ્ત્રીઓ સંદર્ભે થતા અપરાધોની જે સ્થિતિ છે તે જોતાં આ ચાળીસ હજારથી વધુ સ્ત્રીઓની શી દશા થઈ હશે તેની કલ્પના કરવાનું બહુ મુશ્કેલ નથી. આમ તો આ આંકડા 2020 સુધીના છે, તે 2023માં ને તે પણ હમણાં જ બહાર પાડવામાં આવ્યા. કેમ? સિમ્પલ ! પેલો 32,000નો આંકડો નાનો લાગે એટલે. આંકડા સાચા છે, 32,000નું તો પાકું નથી, પણ ગુજરાતના આંકડા તો સરકારી છે. ટૂંકમાં, કેરળની પાઘડી હવે ગુજરાતને માથે ફિટ થઈ રહી છે. આ બધું કુદરતી લાગે છે?
કુદરતી હોય કે કરામતી, વાત એ નથી. વાત એ છે કે પ્રજા તરીકે આપણા ભાગ પડી રહ્યા છે. એ ભાગ એકબીજા સામે દાંતિયા કરતા રહે એવી વ્યવસ્થા છે. એનો આપણે ભાગ અને ભોગ બની રહ્યા છીએ. એક ફિલ્મ 32,000નો આંકડો પાડે છે ને આપણે બે ભાગમાં કામે લાગી જઇએ છીએ. એક ભાગ તેને સાચો સાબિત કરવા ને બીજો તેને ખોટો સાબિત કરવા ધંધે લાગી જાય છે, તેને લગતા પુરાવાઓ ને પ્રમાણો રજૂ કરવા લાગે છે. આવું બીજાં કારણોસર પણ થાય છે. એ કરવાનું સીધી રીતે તો કોઈ કહેતું નથી, પણ આપણને જ આપણા પક્ષની કે વિપક્ષની ભક્તિ કરવાનું ગમે છે અથવા તો પક્ષ કે વિપક્ષ એવું કરવા પ્રેરે છે. જેથી એ બંને મજબૂત થાય. આ કેવળ મત આધારિત છે. આવું કઈં ન કરીએ તો પણ જીવી શકાય. ઘણાં એ રીતે જીવે પણ છે, એ બધાં દેશદ્રોહી છે એવું નથી ને જે આવું કરી રહ્યાં છે તે બધાં જ શુદ્ધ દેશપ્રેમથી કરે છે એવું ય નથી. એમને ય એમની ગણતરીઓ છે. જે એમાં જાણીને પડે છે એમને તો જાણ છે, પોતે શું કરી રહ્યાં છે એની, પણ જે નથી જાણતા એમણે ચેતવાની જરૂર છે. બધાં સત્ય પોતાને પક્ષે જ છે એમ માનીને વર્તે છે ને સ્થિતિ ટ્રેન જેવી થાય છે. સ્ટેશન પર છે તેને ટ્રેન આવતી દેખાય છે ને ટ્રેનમાં છે તેમને સ્ટેશન આવતું દેખાય છે. આમાં તો બંને સાચાં છે, પણ હવેનું સત્ય એટલું બધું વિખેરી નંખાયું છે કે અનેક સત્યોમાં સત્ય એક જ હોય એ વાતનો જાણે કે છેદ જ ઊડી ગયો છે ને રડવાનું હોય તો એનું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 મે 2023