Opinion Magazine
Number of visits: 9968469
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નવજીવન’ થકી કેદીઓને જનજીવનમાં આવી રહ્યાં છે : તેમનાં ભજનો, ચિત્રો, તેમની સાથે સેલ્ફી …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|12 July 2019

જેલવાસીની એક કેદી તરીકેની નહીં, પણ એક ઇન્સાન તરીકે હસ્તીને સ્વીકૃતિ અપાવીને ‘નવજીવન’ ગાંધીજીનું કામ કરી રહ્યું છે.

ગાંધી સાહિત્યના પ્રકાશન અને પ્રચાર-પ્રસારને વરેલાં ‘નવજીવન ટ્રસ્ટ’ના ઉપક્રમે રવિવારે સાંજે  ટ્રસ્ટના જ પરિસરમાં આવેલાં જિતેન્દ્ર દેસાઈ સભાગૃહમાં એક હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. તેમાં અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓએ ભજન રજૂ કર્યાં. ત્યાર બાદ, કેદમાંથી તાજેતરમાં મુક્ત થયેલા ચિત્રકાર નરેન્દ્રસિંહ રાઠોડનું તેમ જ તેમનાં પત્ની ગીતાબહેનનું સન્માન કરવામાં આવ્યું. નરેન્દ્રસિંહે ચૌદ વર્ષની સજા દરમિયાન જેલમાં દોરેલાં  દેશભક્તિનાં અને કુદરતી દૃશ્યોનાં ચિત્રો જેલની કૅન્ટિનની બહારની દિવાલોને આજે પણ શોભાવી રહ્યાં છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ જેલ સાથે ચિતારા તરીકેનું તેમનું જોડાણ ચાલુ રહ્યું છે. બંદીવાનોના જીવનમાં પણ કંઈક રંગ-ઉમંગ આવે તેવા ઉમદા વિચાર સાથે તેમણે પોતાની કળાનો ઉપયોગ કર્યો છે. તેમણે હમણાં ધોમધખતા એપ્રિલ-મે દરમિયાન જેલની એક દિવાલના સોએક મીટર હિસ્સાને સાઠ ચિત્રોથી ચમકાવ્યો છે. જેલના મુલાકાતીઓ જે ગાંધી-ખોલી અને સરદાર-ખોલી જોવા માટે અચૂક આવતા હોય છે, તે રસ્તાના કોટની દિવાલની અંદરની બાજુ નરેન્દ્રસિંહે તેમના ગામ ધોળકાની ફાઇન આર્ટસના કેટલાક વિદ્યાર્થીઓની મદદથી ચિત્રો દોર્યાં છે. આ ચિત્રોમાં ગાંધી, સરદાર અને વિવેકાનંદનાં પોર્ટ્રેઇટ્સ્, કોમી એખલાસ, બાપુના ત્રણ વાંદરા, ધ્વજવંદના જેવાં વિષયો પરનાં ચિત્રો ઉપરાંત ચાવીઓ, સાંકળો, આકાશ તરફ ઊડાન ભરી રહેલાં પંખીઓ જેવાં પ્રતીકાત્મક ચિત્રો પણ છે. ‘નવજીવને’  પ્રશસ્તિપત્ર અને ત્રીસ હજાર રૂપિયા આપીને ચિત્રકારનું સન્માન કર્યું.

સન્માન પહેલાંના ભજન કાર્યક્રમના ભજનિકો ભરત મારુ, ઘનશ્યામસિંહ રાઠોડ, ભંવરલાલ કલાલ, શાંતિલાલ લુહાર અને પ્રવીણ બારોટ સરેરાશ દસ વર્ષથી જેલમાં છે. તેમણે બધાએ તેમની હક-રજાઓ દરમિયાન આ કાર્યક્રમ આપ્યો હતો. જેલવાસીને માટે દર વર્ષે મળતી ચૌદ રજાઓ ખૂબ મૂલ્યવાન હોય છે, કારણ કે વર્ષમાં એટલા જ દિવસ તેમને પરિવાર સાથે વીતાવવા મળતા હોય છે. પરિવાર જેલવાસી માટે કેવો અદકેરો હોય છે તેની ઝલક ઝવેરચંદ મેઘાણીનાં ‘જેલ-ઑફિસની બારી’ નામના અસ્વસ્થકારક વાર્તાસંગ્રહમાં મળે છે. એ પુસ્તકની ભાવભૂમિ મેઘાણીભાઈએ 1930-31ના અગિયાર મહિના દરમિયાન સાબરમતી જેલમાં વેઠેલા કારાવાસ પરથી રચાઈ છે.

ભજનમાં આવેલા કારાવાસીઓ રજા પર હોવાને કારણે તેમની સાથે પોલીસ ન હતી. કાર્યક્રમના સંચાલક અને બાહોશ પત્રકાર પ્રશાંત દયાળે કહ્યું તેમ ખરેખર તો એમાંથી કોઈ પણ ભાગી જઈ શકે એમ હતા. આપણે પણ કલ્પી શકીએ કે એને પકડવાનું આટલા મોટા દેશમાં અઘરું પડે. પણ પ્રશાંતભાઈએ બહુ વિશ્વાસ સાથે ઉમેર્યું કે આ બધા ભજનિકોને હમણાં કહ્યું હોય કે તમે પાછા જેલમાં જતા રહો, તો રિક્સા કરીને રજા પરના આ કેદીઓ ત્યાં પહોંચી જાય ! રજા પર ન હોય એટલે કે અત્યારે જેલમાં જ હોય તેવા કેદીઓનાં ભજનોનો એક કલાકનો કાર્યક્રમ એપ્રિલ મહિનાથી દર શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે સાત વાગ્યે ‘નવજીવન’ના ઉપક્રમે યોજાય છે. તેના ‘કર્મ કાફે’ના ઓટલે બિલકુલ ખુલ્લામાં મંડળી ભજનો ગાય છે. સેંકડો ભજનોની જાણકાર આ મંડળી જેલના સંગીતશિક્ષક વિભાકર ભટ્ટ પાસેથી તાલીમ મેળવે છે. મંડળીના શ્રોતાઓમાં ગાંધી-થાળી કે પુસ્તકો માટે આવનારા મુલાકાતીઓ ઉપરાંત આઠ-દસ પરિવારો નિયમિતપણે માત્ર આ બંદીવાનોને સાંભળવા આવે છે. તેમાંથી કેટલાંક તેમની સાથે ગાવા ય બેસી જાય છે, મોકળાશથી વાતો પણ કરે છે. જેલવાસીઓ સાથે સેલ્ફી પડાવનારાની સંખ્યા વધી રહી છે ! કેદી સાથે લોકો સેલ્ફી પડાવે એ કેદી માટે અસાધારણ વાત છે. જેલવાસીની તેની કેદી તરીકેની નહીં પણ એક અચ્છા ઇન્સાન તરીકે હસ્તીને મળેલી એ મંજૂરી છે. એ સ્વીકૃતિ અપાવીને ‘નવજીવન’ ગાંધીજીનું કામ કરી રહ્યું છે.

ગાંધીજીના કારાવાસ તેમના જીવનનું રસપ્રદ પાસું છે. ‘યેરવડાના અનુભવો’ પુસ્તકમાં તેમણે ‘હું રીઢો થયેલો ગુનેગાર છું’ એમ નોંધ્યું છે. બાપુએ કુલ ઓગણીસ વખત જેલવાસ વેઠ્યો છે. દક્ષિણ આફ્રિકામાં 1908થી પાંચ વર્ષ દરમિયાન નવ વખત, અને ત્યાર પછી ભારતમાં 1944 સુધીમાં સુધીમાં દસ વખત. આમાંથી કેટલાક વિશે તેમણે વિગતવાર લખ્યું છે. ગાંધીજી માનતા કે વ્યક્તિ ‘ક્ષણિક ઘેલછા અને સાચા માર્ગદર્શનને અભાવે’ ગુનો કરે છે. તેમની સાફ હિમાયત હતી કે ‘જેલો સ્વાશ્રયી સુધારગૃહો બની જાય’, ‘કેદીઓને જેટલું આપી શકાય તેટલું અનુકૂળ વાતાવરણ મળી રહે’, ‘કેદીને એક એવા ઉદ્યોગનું જ્ઞાન મળી રહે કે જે એને જેલમાંથી છૂટ્યા પછી સ્વતંત્ર ધંધો કરવામાં મદદરૂપ થઈ પડે અને આબરુદાર નાગરિકનું જીવન ગાળવા તરફ તેમને ઉત્તેજન મળે’, ‘કેદીઓને વિશે જે અવિશ્વાસ રાખવામાં આવે છે તેને બદલે વિશ્વાસ સ્થપાય’.

ગાંધીને અપેક્ષિત અભિગમ સાથે ‘નવજીવન’ ગયાં ત્રણ વર્ષથી સાબરમતી જેલ સત્તાવાળાઓ સાથે કાર્યરત છે. શરૂઆત તો ગાંધી-વિચારનાં પુસ્તકોનાં વાચન પર આધારિત ‘ગાંધી-પરીક્ષા’થી થઈ જે દર વર્ષે સોએક જેલવાસીઓ આપે છે. ચાળીસેકની ઉંમરના શમ્સુદ્દીનભાઈ તેમાં હંમેશાં પહેલા નંબરે આવે છે. તેઓ અંગ્રેજીમાં પરીક્ષા આપે છે, એટલું જ નહીં વાંચવા આપેલાં પુસ્તકોમાંની ભૂલો તરફ ધ્યાન પણ દોરે છે. ‘કર્મા ફાઉન્ડેશન’નાં પ્રિયાંશી પટેલ થકી મહિલા જેલમાં ગોઠવવામાં આવેલ સેનેટરિ પૅડ બનાવવાના યુનિટમાં ઘણી બહેનો તાલીમ અને રોજગારી મેળવે છે.

‘નવજીવન’ ભજનિકોને ભજન ગાવા માટે મહેનતાણું આપે છે. તેણે યોજેલાં બંદીવાન ચિત્રકારોનાં ચિત્રોનાં પ્રદર્શનમાં થયેલી કૃતિઓનાં વેચાણમાંથી કલાકારોને આવક થઈ હતી. તે જેલવાસીઓને તેમણે બનાવેલી ગણપતિની મૂર્તિઓને વેચાણ માટેની વ્યવસ્થા દ્વારા આવકનો રસ્તો ઊભો કરે છે. ગુજરાત ભરની જેલોના કેદીઓની લેખનકળાની અભિવ્યક્તિ માટે બહાર પાડવામાં આવતા ‘સાદ’ ત્રૈમાસિક લેખકોને ‘નવજીવન’ પુરસ્કાર પણ આપે છે. ટ્રસ્ટ દ્વારા કેદીઓ માટે ચલાવવામાં આવતાં પ્રૂફ-રીડિંગ અને પત્રકારત્વનાં પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં અત્યારે વીસેક વિદ્યાર્થીઓ છે. અહીં જ પ્રૂફ-રીડિંગ શીખેલા મિલનભાઈએ એટલી બધી આવડત કેળવી કે તેમની પાંચ વર્ષની સજા પૂરી થયાં બાદ ‘નવજીવને’ તેમને પોતાને ત્યાં પ્રૂફરીડર તરીકે નિમણૂક કરી. ‘નવજીવન’ ઉપરાંત પણ સરકાર પોતે અને કેટલીક સંસ્થાઓ સમયાંતરે જેલ-સુધારાનું કામ કરતી રહે છે. જેમ કે, અમદાવાદનાં ‘અંધજન મંડળ’ માટે સાત જેલવાસીઓનાં જૂથે અત્યાર સુધીમાં સાતસો જેટલાં પુસ્તકોનું ઑડિયો રેકૉર્ડિંગ કર્યું છે. મેઘાણીભાઈના પૌત્ર પિનાકીભાઈની પહેલથી મેઘાણી-ખોલી અને તેની બાજુમાં પુણ્યશ્લોક રવિશંકર મહારાજ તેમ જ અબ્બાસ તૈયબજીની ખોલીઓને પણ તાજેતરમાં સ્મારક તરીકે વિકસાવવામાં આવી છે. તેમાં મદદરૂપ થનાર નાયબ જેલ અધિક્ષક પી.બી. સાપરાએ આ સ્મારકો લાગણીપૂર્વક બતાવ્યાં.

કેદીઓ પ્રત્યે જેલ અધિકારીઓની લાગણીએ સાબરમતી જેલ સુધારણામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતની જેલોના સર્વોચ્ચ વડા મોહન ઝાની સક્રિય હકારાત્મકતા અને અનેક અધિકારીઓના વિધેયાત્મક અભિગમથી ‘નવજીવન’નું કામ શક્ય બન્યું છે. ‘નવજીવન’ના મૅનેજિન્ગ ટ્રસ્ટી વિવેક દેસાઈની ગાંધીવિચારની સમજનું નક્કર રૂપ જેલનાં કામમાં જોવા મળે છે. ‘નવજીવનનો અક્ષરદેહ’ માસિકના અભ્યાસી સંપાદક કિરણ કાપુરે જેલસુધારાને લગતાં ઉપક્રમોનું નિષ્ઠાપૂર્વક સંકલન કરે છે. અલબત્ત, ‘નવજીવન’નું આ કામ સુપેરે પાર પડી રહ્યું છે તેની પાછળ પ્રશાંત દયાળની પત્રકાર તરીકેની શાખ અને માણસ તરીકેની કરુણા છે. વિવેકભાઈ અને પ્રશાન્તભાઈ ગાંધીનું આ કામ ‘ગાંધી દોઢસો’ પછી પણ ચલાવશે એવી આશા અસ્થાને ન હોય.

********

10 જુલાઈ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”; 12 જુલાઈ 2019

પ્રશાન્ત દયાળની ફેઇસબુક દિવાલેથી સાભાર મેળવી આ લિંક ક્લીક કરવી અને ભજનો સાંભળવા :

dwhttps://gujarati.news18.com/videos/gujarat/video-listen-to-the-inmates-of-gandhijis-favorite-devotees-887466.html?fbclid=IwAR0XqEAm-G_Nsl7USqXG9Zj-_bs5lMXVYMJ46cbIGI1d5dKTgD5cZTWic

Loading

દુર્ઘટના પછી મળતી રાહત, શાસનની નિષ્ફળતાને ઢાંકવા માટે હોય છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|11 July 2019

તમે એક વાત નોંધી? આજકાલ ભારતભરમાં કોઈ પણ જગ્યાએ દુર્ઘટના ઘટે એટલે શાસકો વિના વિલંબે મોટી રકમ રાહત તરીકે જાહેર કરી દે છે. મલાડમાં ભીંત તૂટવાની ઘટના ઘટવાની હોય, રત્નાગિરીમાં બંધ તૂટવાની ઘટના હોય, બિહારમાં મસ્તિષ્ક જ્વરમાં બાળકોનાં મરવાની ઘટના હોય કે એવી બીજી કોઈ પણ ઘટના હોય; શાસકો ઘટના બનતાની સાથે જ મોટી રકમની રાહતની જાહેરાત કરી દે છે. સરકાર ગમે તેની હોય, આ તત્પરતા તમને દેશભરમાં જોવા મળશે. તમને એમ લાગતું હોય કે શાસકો કૃપાળુ છે, દુર્ઘટના જોઈને તેમની આંતરડી કકળે છે, દુ:ખી પરિવારજનોને તાત્કાલિક મદદરૂપ થવા તેઓ દોડી જાય છે, તો તમે ખોટા છો.

આ રાહત દુર્ઘટનાગ્રસ્તોને મદદરૂપ થવા માટેની નથી, પરંતુ શાસનની નિષ્ફળતાનું વળતર છે. છે તો આ વળતર, જેને રાહત તરીકે જાહેર કરવામાં આવે છે અને ખરું પૂછો તો એ નથી વળતર કે નથી રાહત; પણ મૂંગા રહીને દુ:ખ સહન કરી લેવાની કિંમત છે. શાસનની નિષ્ફળતા સ્વીકારી લો અને પૈસા લઈને મૂંગા રહો. એક રીતે જુઓ તો ઘૂસ છે. પ્રજાને આ વાતની જાણ પણ નથી કે તેમની શાંતિ અને અપમાન પૈસા આપીને ખરીદવામાં આવે છે.

પહેલાં આવું નહોતું બનતું. પહેલાં દુર્ઘટનાની તપાસ કરવામાં આવતી હતી, બીજીવાર આવી ઘટના ન બને એ માટે ઉપાયો સૂચવવામાં આવતા હતા. જવાબદારોની સામે ખટલા માંડવામાં આવતા હતા અને સજા થતી હતી. અમલદારોની સર્વિસ બુકમાં શેરો મૂકવામાં આવતો હતો જેને કારણે બઢતીમાં મુશ્કેલી પડતી હતી. ઘટના જો કોઈ મોટી હોય તો તપાસપંચ બેસાડવામાં આવતાં. શાસનની નિષ્ફળતા એ શાસકો માટે ચિંતા ઉપજાવવનારી ઘટના હતી અને વિરોધ પક્ષો સક્રિયપણે શાસકોના કાન આમળતા હતા. સ્મરણને બે-ત્રણ દાયકા પાછળ લઈ જાઓ, આવા પણ દિવસો હતા એની યાદ આવશે. ઘણીવાર તો સગાંઓએ વળતર માટે અદાલતમાં જવું પડતું. સામેથી પહેલી તકે વળતર આપવામાં નહોતું આવતું.

એ દિવસોમાં રામરાજ્ય હતું એવું નથી. ભ્રષ્ટાચાર અને શાસનની નિષ્ફળતાની સમસ્યા ત્યારે પણ હતી. ફરક એ છે કે ત્યારે આવું અપવાદરૂપે બનતું હતું, અત્યારની જેમ છાશવારે નહોતું બનતું. આજે શાસકોને સમજાઈ ગયું છે કે શાસન તળિયે ગયું છે અને હવે તેની ગુણવત્તા સુધારવાનો કોઈ માર્ગ જ નથી બચ્યો. જ્યારે કાંઈ થઈ શકે એમ જ નથી ત્યારે ખોટાં નાટક કરવાની જગ્યાએ અને એ રીતે વધારે ઊંડા વમળમાં ફસાવાની જગ્યાએ દુર્ઘટનાગ્રસ્તોને પૈસા આપીને શાંતિ ખરીદવી શું ખોટી? બીજા શબ્દોમાં કહીએ તો શાસકોએ હાથ ઊંચા કરી દીધા છે. જે છે એ આવું શાસન છે, જો તેની તમારે કિંમત ચુકવવાની આવે તો પૈસા લઈ જાવ. આનાથી વધારે અમે કાંઈ કરી શકીએ એમ નથી.

મુંબઈની સડકો પર જેટલા પેવરબ્લોક બેસાડવામાં આવે છે એનો એક હિસ્સો મંત્રાલય સુધી જાય છે. જે તે કમિટીઓ ટેન્ડર પાસ કરે છે અને તેમાં વિરોધ પક્ષના સભ્યો પણ હોય છે. કેન્દ્ર સરકાર જેટલા મોટા પ્રોજેક્ટ હાથ ધરે છે તેમાં એક હિસ્સો દિલ્હી સુધી જાય છે. ત્યાં પણ પ્રોજેક્ટોને મંજૂર કરનારી અને ટેન્ડર પાસ કરનારી કમિટીઓમાં વિરોધ પક્ષો હોય છે. કામનું નિરીક્ષણ કરનારી સમિતિઓ એમ દરેક જગ્યાએ શાસક પક્ષ અને વિરોધ પક્ષના સભ્યો હોય છે અને તેઓ મળીને પૈસા ખાય છે. કોણ કોનો કાન આમળે જ્યારે બધા જ મળેલા હોય! એટલે તો વિધાનસભામાં કે સંસદમાં ઝીરો અવરમાં કોઈ દુર્ઘટનાની ભાગ્યે જ ચર્ચા થાય છે. તમને નજીકના ભવિષ્યમાં થયેલી કોઈ ચર્ચા યાદ છે? રાહત આપી દો એટલે પ્રજા ચૂપ રહેશે અને આપણે કમાતા રહીશું.

એક બીજું પરિવર્તન પણ નોંધવું રહ્યું. આજકાલ મોટાભાગના પ્રોજેક્ટો પ્રજાકીય જરૂરિયાતના ભાગરૂપે હાથ ધરવામાં નથી આવતા પણ કોન્ટ્રાક્ટરોના કહેવાથી તેમના તેમ જ શાસકવર્ગના લાભાર્થે હાથ ધરવામાં આવે છે. કોન્ટ્રક્ટરો પ્રોજેક્ટો શોધી કાઢે છે. જેમ કે બી.આર.ટી. (બસ રેપીડ ટ્રાન્ઝીટ) પ્રોજેક્ટ. ભારતનાં કેટલાંક શહેરોમાં સડકની વચ્ચોવચ્ચ સરકારી બસો માટે રીઝર્વ કૉરીડૉર રાખવામાં આવી છે. એ રીઝર્વ કૉરીડૉરમાં બીજાં વાહન ચાલી ન શકે. માત્ર બસ જ ચાલી શકે કે જેથી જાહેર પરિવહનનો ઉપયોગ કરનારાઓ વહેલાસર તેમના નિર્ધારિત સ્થળે પહોંચી શકે. દરેકને ઉપાય સરસ લાગ્યો અને મંજૂરી મળવા લાગી. એક પછી એક શહેરમાં બી.આર.ટી. કૉરીડૉર આવવા લાગી એ પછી ધ્યાનમાં આવ્યું છે કે કૉરીડૉર અંદરના ભાગમાં હોવાથી વૃદ્ધોને પહેલી કૉરીડૉર ઓળંગીને બસ સ્ટોપ સુધી જવામાં મુશ્કેલી પડે છે. 

આ અડચણ પહેલાં ધ્યાનમાં ન આવી હોય એવું બને? ન જ બને. માની લો કે ધ્યાનમાં નહોતું આવ્યું તો કોઈ એક સ્થળે પ્રયોગ કરીને પરિણામ જોઈ લેવું જોઈતું હતું. શા માટે ભારતનાં અનેક શહેરોમાં અને શહેર આખામાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે? પૈસા કમાવા. કોન્ટ્રાક્ટરોએ આઈડિયા આપ્યો, શાસકોએ મંજૂર રાખ્યો, બધા પક્ષોએ મળીને પોતાનો હિસ્સો રાખીને કોન્ટ્રાક્ટરના ટેન્ડરને મંજૂરી આપી. યોજના વ્યવહારુ છે કે નહીં તેની ચકાસણી નહીં કરવામાં બીજો એક લાભ છે. અનુભવે અડચણ ધ્યાનમાં આવી એમ કહીને સડકને કિનારે બીજી કૉરીડૉરનો કોન્ટ્રાક્ટ આપી શકાય અને એ રીતે ફરી વાર કમાઈ શકાય. મુંબઈમાં બાંધવામાં આવેલા સ્કાય-વોક આવું બીજું ઉદાહરણ છે. લોકો-સ્કાય વોકનો ધારણા મુજબ ઉપયોગ કરતા નથી અને સ્ટેશનની નજીકના ભીડવાળા વિસ્તારોમાં ટ્રાફિકમાં અવરોધ પેદા કરે છે એટલે તેને તોડી નાખવામાં આવે. એક વાર બાંધીને કમાવાનું અને બીજી વાર તોડીને કમાવાનું.

દરેકે દરેક સેવા તૂટી પડી છે. શાસકો આ જાણે છે એટલે પહેલી તકે અને બને એટલી મોટી રકમ રાહત તરીકે આપી દેવામાં આવે છે. હકીકતમાં આ શાસનની નિષ્ફળતાનું વળતર છે. દેશમાં જે દુર્ઘટનાઓ બની રહી છે એ દુર્ઘટના કહેતા અકસ્માત નથી, પણ ખૂન છે. દર વર્ષે શાસકો અને કોન્ટ્રાક્ટરો મળીને વીસેક હજાર ભારતીય નાગરિકોનાં ખૂન કરે છે.

આપણને કોઈ ફરક પડતો નથી. ભારત વર્લ્ડ કપ જીતશે એટલે ભારત દેશ મુઠ્ઠી ઊંચેરો સાબિત થઈ જશે!

09 જુલાઈ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 જુલાઈ 2019

Loading

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને આ હાથ આખેઆખો બળે એમ પણ બને

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|11 July 2019

હૈયાને દરબાર

છે અજબ વાતાવરણ અને ગઝલની કુમાશ ઘેરી વળી છે. ગત છઠ્ઠી જુલાઈએ જેમનો જન્મદિવસ ગયો, એ મનોજ ખંડેરિયાનું સ્મરણ ઘેરાયેલાં વાદળોની વચ્ચે સહજ થઈ આવ્યું છે. કેટકેટલી સુંદર, અર્થગહન ગઝલો એમણે આપી છે! આધુનિક ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનું નામ બહુ જ આદરપૂર્વક લેવાય છે. એ ઋજુ અને કમનીય ગઝલકાર કહેવાયા છે. ‘પીછું’, ‘ક્ષણોને તોડવા બેસું’ તથા ‘રસ્તા વસંતના’ જેવી નખશિખ ગઝલો આ કવિને ગુજરાતી ભાષાના ઋજુ કવિઓમાં અગ્રિમ સ્થાને બેસાડે છે. મનોજ ખંડેરિયાને મુશાયરાઓમાં સાંભળવા એક લ્હાવો છે. જો કે એ પોતે મુશાયરાના માણસ નહોતા. સ્વસ્થપણે ગઝલ રજૂ કરતા મનોજ ખંડેરિયા લોકોની વાહ વાહ અને તાળીઓથી સહેલાઈથી દોરવાઈ જાય એવા નહોતા. એમણે પોતે જ ગઝલ વિશે જે લખ્યું છે એમાં વિશ્વ પ્રત્યેની પ્રીતિનો સંકેત છે.

જેને તું મારી ગઝલો માને છે
વિશ્વ પ્રત્યેનું વહાલ છે આ તો!

મનોજ ખંડેરિયાની ગઝલો માત્ર મનોરંજન માટે નથી. અપાર મનોમંથન પછી એમણે કાવ્યસંગ્રહ આપ્યાં છે. ગઝલ એ એવું સ્વરૂપ છે કે એને અનુભૂતિનો સ્પર્શ ન મળે તો ગઝલનું પોત પાતળું પડે છે. આવી અનુભૂતિ મનોજભાઈની ગઝલોમાં અનુભવાય છે. જેમ કે;

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

છઠ્ઠી જુલાઈએ, મનોજ ખંડેરિયાના જન્મદિવસે એ શાયર સાંભરે છે એટલે એમનાં ચિત્રકાર પત્ની પૂર્ણિમાબહેનને સીધો રાજકોટ ફોન જોડું છું.

"તમે નહીં માનો પણ આજે હજ્જાર વોટ્સ એપ મેસેજ અને ફોનકોલ્સ મને આવ્યા છે. લોકો, ખાસ કરીને યુવા પેઢી મનોજને એમનાં મૃત્યુના પંદર વર્ષ પછી ય યાદ કરે છે એ અમારા પરિવાર માટે બહુ મોટી ભાવનાત્મક મૂડી છે. પૂર્ણિમાબહેન વાતનો આરંભ કરે છે. "મનોજની પ્રકૃતિ પ્રમાણમાં શરમાળ અને અંતર્મુખી. પિતાજી જૂનાગઢમાં મહેસૂલી અધિકારી હોવાને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી. તેથી મનોજની મૈત્રી કોઈ સાથે લાંબી ટકે નહીં. પરિણામે પગ લાઈબ્રેરી તરફ મંડાય. એમ કરતાં વાચન અને કવિતાલેખનનો રસ કેળવાયો. પંદર વર્ષની વયથી જ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી, પરંતુ, છપાવી ત્રીસમાં વર્ષે. કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની એમના ગુરુજી તખ્તસિંહજી પરમાર સાહેબની સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઈ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર ૧૯૬૫માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દીવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી ૧૯૬૬ના ‘કુમાર’માં પ્રકાશન પામી. સાતત્યપૂર્ણ કાવ્યસર્જનના ફળરૂપે એમણે પછીથી અન્ય કાવ્યસંગ્રહો આપ્યા હતા.

એમના ગુરુએ છેવટે કહ્યું કે ભવિષ્યમાં મારે મનોજ અને રાજેન્દ્ર શુક્લની કવિતાઓ ભણાવવી પડશે એવું લાગે છે. ગિરનાર અને જૂનાગઢ પ્રત્યે અપાર લગાવ હોવાથી એમની ઘણી કવિતાઓમાં આ બંનેનો ઉલ્લેખ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આવે. પકડો કલમ પણ એ જ પ્રકારની ગઝલ હતી જેમાં વાત એવી છે કે નરસિંહ મહેતાએ રાસ જોતી વખતે હાથમાં મશાલ પકડી હતી. રાસમાં એ એવા તલ્લીન થઇ ગયા હતા કે મશાલ સળગતી સળગતી છેક નીચે હાથ સુધી આવી ગઈ તો ય એમને ભાન નહોતું રહ્યું. એ જ કલ્પનાને એમણે જુદી રીતે આ ગઝલમાં પ્રતિબિંબિત કરી છે. કાવ્યસર્જન અથવા તો કોઈપણ સર્જન, સર્જક માટે ઘણીવાર અત્યંત વ્યગ્રતાપૂર્ણ, પીડાજનક હોય છે, જે કરતાં હાથ આખેઆખો બળે એમ પણ બને. એ જ વાતને મનોજે જુદા જુદા શેરમાં ખૂબ સરસ રીતે વણી લીધી છે. જગજિત સિંહ અને અટલ બિહારી વાજપેયીજીએ પણ એમની ગઝલની સરાહના કરી હતી. છેલ્લે છેલ્લે તો માંદગીના બિછાનેથી એમણે સર્વોત્કૃષ્ટ ગઝલો લખી હતી. એમને શ્રમ ન પડે એટલે મારી બંને દીકરીઓ રૂચા અને વાણી એમના તકિયાની બાજુમાં કલમ, કાગળ અને ટોર્ચ મૂકી રાખતાં જેથી અડધી રાત્રે ઊંઘ ઊડે તો ય તેઓ શેર ટપકાવી શકે.

આવી શબ્દસમૃદ્ધ ગઝલ રાસબિહારી દેસાઈ, અમર ભટ્ટ તથા સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી છે. જેમની ગઝલગાયકીને ગુલામ અલી જેવા શ્રેષ્ઠ ગઝલગાયકે બિરદાવી છે એવા હિન્દી, ગુજરાતી અને ઉર્દૂ ગઝલોમાં નીવડેલા કલાકાર સોલી કાપડિયાએ શાસ્ત્રીય સંગીતની બારીકીઓથી લઈને સુગમ સંગીતની ઋજુતા અને પ્રાચીન ભક્તિગીતોની સુમધુર સરવાણી સુધીની યાત્રા ખેડી છે. તેઓ માને છે કે હૃદયમાંથી નીકળીને શ્રોતાઓના આત્માને સ્પર્શતું સંગીત એ જ સાચું અને સારું સંગીત કહેવાય. સ્પષ્ટ ઉચ્ચારોની પણ ઊંડી અસર પડે છે. એમની રચનાઓમાં ભાવનું પ્રાધાન્ય સૌથી વધારે હોય છે. સોલી કાપડિયા પકડો કલમ … ગઝલની સર્જન કથા આલેખતા કહે છે,

"સાલ ૧૯૮૯. ગુજરાતી સુગમસંગીત-સાહિત્યનું સંમેલન મુંબઈમાં યોજાયું હતું. આ અંગે જુલાઈ મહિનામાં ગ્રાન્ટ રોડની એક હોટલમાં ઊતારો મળ્યો હતો. હું અને મનોજ ખંડેરિયા એ જ હોટલમાં ભેગાં થઇ ગયા. હું એમને પહેલી વાર મળી રહ્યો હતો. સંમેલન સફળતાપૂર્વક પૂરું થયું એ જ રાત્રે મૂશળધાર વરસાદ! એટલો બધો કે હોટલની બહાર પગ ન મુકાય. આખા મુંબઈમાં પાણી ભરાઈ ગયાં’તાં. બે દિવસ સુધી આયોજકો જમવાનું હોટલ પહોંચાડે એની રાહ જોતાં અમે બેઠા હોઈએ. બીજું કોઈ કામ જ નહિ. મનોજભાઈ સાથે ખૂબ વાતો કરીએ. તેઓ એમનાં ગઝલ ગીત શેર કરે અને હું સાંભળતો જ રહું! બે દિવસો અત્યંત સુંદર કવિતામય અને સંગીતમય ગયા. વરસાદનું જોર ઓછું થયું એટલે છૂટા પડવાના દિવસે આ ગઝલ મને આપીને એ કહે: "સોલી, આ ગઝલ ખૂબ ચોટદાર છે. એને સ્વરબદ્ધ કરી ગાજે. મઝા આવશે. એમના અક્ષરે લખેલી એ ગઝલ ત્યારે તો મેં મારી ડાયરીમાં મૂકી દીધી. એક વર્ષ પછી મારું ‘પ્રેમ એટલે કે’ આલ્બમનું રેકોર્ડિંગ હતું ત્યારે એ ડાયરીમાંથી આલ્બમ માટે ગીતો નક્કી કરતો હતો ત્યાં એમના હાથે લખેલી એ ગઝલ જડી આવી.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
કે હાથ આખેઆખો બળે એમ પણ બને

સવાર ઉપરાંત રાત્રે પણ રોજ મોડે સુધી હું રિયાઝ કરતો. એ વખતે રાગ વાચસ્પતિએ મગજમાં જમાવટ કરેલી. રાત્રે બે વાગ્યે તીવ્ર, મધ્યમ અને કોમળ નિષાદ સાથે ઓડવ – સંપૂર્ણ જાતિમાં સ્વરાવલિઓ વહેતી હતી. એમાં આ ગઝલનો મત્લા સ્મરે છે અને ગઝલનું મુખડું કમ્પોઝ થઇ જાય છે. બાકાયદા શાસ્ત્રીય રાગની સીમાઓમાં બંધાયેલી આ બંદિશ બે ત્રણ દિવસ સુધી મગજમાં ચાલતી રહી. ત્રીજે દિવસે એનો પહેલો શેર અને પછી બીજા શેરો પણ સ્વરબદ્ધ થયા. અઠવાડિયામાં આ ગઝલનાં ચાર શેરોના ચારે અલગ અલગ મૂડ બન્યા. ગઝલમાં સામાન્ય રીતે બધા શેરોની સરખી જ ધૂન હોય પણ આ ગઝલમાં દરેક શેર અલગ મૂડમાં કમ્પોઝ થયા છે. ત્યાં એ શુદ્ધ વાચસ્પતિ ન રહે એ સ્વાભાવિક છે. દિવસો સુધી આ ગઝલ મઠારતો રહ્યો.

મુંબઈમાં એક કાર્યક્રમમાં આ ગઝલ પહેલી વાર ગાઈ ત્યારે સામે શ્રોતાગણમાં મનોજભાઈ પણ હતા. એમની ગઝલ એ દિવસે હિટ ગઈ. કવિની ખુશીનો પાર નહોતો. એ દિવસે મેં નક્કી કર્યું કે મારા આલ્બમ ‘પ્રેમ એટલે કે’માં આ રચના ચોક્કસ લઈશ. એટલું જ નહિ, આલ્બમ જ્યારે બહાર પડ્યું ત્યારે એની રચનાઓમાંથી આ અઘરામાં અઘરી રચના યુવાનવર્ગને ખૂબ પસંદ આવી! પેચીદા ચીજને સરળ રીતે પેશ કરી હતી એટલે એ કદાચ એમના હૃદય સુધી આસાનીથી પહોંચી પણ. દરેક કાર્યક્રમમાં ‘પકડો કલમ’ની ફરમાઈશ તો આવે જ. સ્વ. અજિત મર્ચન્ટની હાજરીમાં સ્વ. ઝરીન દારૂવાલા (સરોદ), પં. બાબુલાલ ગંધર્વ (બેલાબહાર), સ્વ. વિક્રમ પાટિલ (તબલા) અને ટોની વાઝ (બેઝ ગિટાર) સાથે આ ગઝલ સ્ટુડિયોમાં રેકોર્ડ થયેલી એ પળો હજુ અકબંધ યાદ છે. એચ.એમ.વી. દ્વારા રિલીઝ થયેલી આ કેસેટ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ, સાથે આ મારી પ્રિય રચના પણ બધેબધ પ્રસરી એનો વિશેષ આનંદ છે!

મનોજ ખંડેરિયા ગુજરાતી પ્રયોગશીલ કવિતાના અગ્રણી સર્જક હતા. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ નોંધપાત્ર છે.

મનોજ ખંડેરિયા વ્યવસાયે વકીલ. ૧૯૬૭માં એલ.એલ.બી. થયા અને ૧૯૬૮થી જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો હતો. ૧૯૮૪થી તેઓ પથ્થરની ખાણના ઉદ્યોગક્ષેત્રે સંકળાયા હતા. કવિ વિશેની સામાન્ય છાપ ફકીરીની હોય પરંતુ, મનોજ ખંડેરિયા ‘સમૃદ્ધ’ કવિ કહેવાતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક-પ્રમુખપદની જવાબદારી પણ બજાવી હતી. સાયન્સના વિદ્યાર્થી હોવા છતાં એમનો જીવ તો કવિતાનો જ. ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં જેની ગણના થાય છે એ;

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

તથા,

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

એ બન્ને મારી પર્સનલ ફેવરિટ ગઝલો છે. શું અદ્ભુત શબ્દો છે આ બન્ને ગઝલના!

સુરેશ દલાલે ‘મશાલ અને દીવો’ શીર્ષક હેઠળ પકડો કલમ ગઝલનો સુંદર રસાસ્વાદ કરાવ્યો છે. તેઓ લખે છે, "કોરા કાગળનો મુકાબલો કરીએ અને કવિતા આવે જ એની બાંયધરી તો કોણ આપે? હાથમાં કલમ લઈએ અને કવિતાનો ઇલમ થાય એવું તો બને, અર્થાત્, ક્યારેક, ન પણ બને. કાગળ અને કલમની વચ્ચે કવિનો અશબ્દ શબ્દ છે. અથવા કવિનું મૌન છે. આ મૌન મૂર્ત પણ થાય અને એમાંથી કવિતાની મૂર્તિ પણ ઘડાય.

મનોજ ખંડેરિયા આપણા ઉત્તમ ગઝલકાર છે. એ લખે છે ઓછું, પણ લખે છે ત્યારે કશુંક નીપજે છે. પ્રારંભના શેરમાં એમણે કાવ્ય-સર્જન પ્રક્રિયાની વાત છેડી છે. કવિતા એમ ને એમ નથી લખાતી. નરસિંહ મહેતાના ગામ જૂનાગઢમાં રહેતો આ શાયર એમ કહે છે કે કલમ ને કાગળની વચ્ચે આખો હાથ નરસિંહની મશાલ થઈને બળવો જોઈએ. ગઝલના સ્વરૂપની મજા એ છે કે આપણે એક બાગમાં હોઈએ ને બાગમાં જુદાં જુદાં ઝાડ હોય ને પ્રત્યેક વૃક્ષને પોતીકું વ્યક્તિત્વ અને સૌંદર્ય હોય અને વળી પછી પ્રત્યેક વૃક્ષની છટાઘટા અને છાયામાયા જુદી હોય. બીજા શેરમાં કવિએ વેદનાની વાત છેડી છે. ક્યાંક પહોંચવાની ઝંખના વર્ષોથી હોય અને માનો કે આપણે ત્યાં પહોંચી પણ ગયા ને પહોંચ્યા પછી મનને પાછા વળવાનું મન થાય એવું પણ બને.

જરાક જુદા સંદર્ભમાં એક મરાઠી કવિના બાળગીતના ભાવની યાદ આવે છે. બનતા લગી આ બાળગીત વિંદા કરંદીકરનું છે. માએ છોકરાને એક દિવસ કહ્યું છે કે હું તને પૂના લઈ જઈશ. મુંબઈથી એક દિવસ મા ને દીકરો પૂના જવા માટે ટ્રેનમાં બેસે છે. થોડી વાર થાય છે. સ્ટેશન પર સ્ટેશન આવતાં જાય છે. પ્રત્યેક સ્ટેશને બાળક પૂછે છે, મા પૂના આવ્યું ? અને જ્યારે પૂના આવે છે ત્યારે મા કહે છે કે બેટા પૂના આવ્યું ને બાળક કહે છે કે હવે મુંબઈ ક્યારે જઈશું? ગઝલમાં આપણે ત્યાં આત્મનિરીક્ષણ અને એને પરિણામે ચિંતન કાવ્યમય રીતે પ્રગટે છે એટલે એનો ભાર લાગતો નથી. મનોજની ગઝલની આ લાક્ષણિકતા છે. મનુષ્યમાત્રનો સ્વભાવ છે કે પોતાનો દોષ બીજા પર ઢોળવો. આપણે ક્યાંક ખોટે રસ્તે વળી ગયા હોઈએ તો રસ્તાનો કે ભોમિયાનો વાંક કાઢીએ, પણ આપણને છળનારાં તત્ત્વો કેવળ બાહ્ય નથી, આપણું મન જ આપણા મનને છળતું હોય છે; પણ કવિએ આ વાતને બહુ સરસ રીતે મૂકી છે. આપણો એક પગ બીજા પગને છળતો જાય છે. કશું અશક્ય નથી. આપણી સ્થિતિ પણ કસ્તૂરીમૃગ જેવી છે. કેડે છોકરું ને ગામમાં શોધીએ એમ જે આપણા પગની તળે હોય એની જ આપણે તલાશ કરતા હોઈએ છીએ, અંતે મક્તામાં ગઝલનો મહિમા અને પ્રણયનો મહિમા બંનેને ગાયા છે. તાળીઓની વચ્ચે ગઝલ ભીંસાઈ જતી હતી ત્યારે મનોજ જેવા કવિએ ગઝલના દીવા પ્રગટાવ્યા છે.

કવિ સુરેશ દલાલના આ રસપ્રદ આસ્વાદ પછી કશું કહેવાનું રહેતું નથી. માત્ર આ પંક્તિઓ જ મનમાં રૂડો રાસ રમી રહી છે;

તું ઢાળ ઢોલિયો; હું ગઝલનો દીવો કરું!

——————————

એમ પણ બને!

પકડો  કલમ  ને  કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા  જ પાછું વળે, એમ પણ બને

એવું   છે  થોડું  છેતરે  રસ્તા   કે  ભોમિયા
એક પગ  બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં  જિંદગી  આખી  પસાર થાય
ને  એ જ  હોય  પગની તળે, એમ ૫ણ બને

તું  ઢાળ  ઢોલિયો,  હું  ગઝલનો  દીવો  કરું
અંધારું   ઘરને    ઘેરી   વળે, એમ પણ બને

                                      — મનોજ ખંડેરિયા

https://www.youtube.com/watch?v=tt0dclqKpu8

—————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 11 જુલાઈ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=532253

Loading

...102030...2,8622,8632,8642,865...2,8702,8802,890...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved