અનુવાદકની નોંધ : ‘નિરીક્ષક’ના ૧૬મી જૂન, ૨૦૧૬ના અંકમાં રમેશ બી. શાહે ‘‘તંત્રીની વાત’ અંગે થોડી ચર્ચા’ શીર્ષક હેઠળ આપેલા પ્રતિભાવના મોટા ભાગના મુદ્દાઓ સાથે સહમત છું, છતાં તેમના એક મુદ્દા, કે ‘નાગરિકોએ સન્માનિત કે અને પ્રસિદ્ધ સાહિત્યકારોના જાહેર પ્રશ્નો પરત્વેના અભિપ્રાયો જાણવાનો આગ્રહ રાખવા માટે કોઈ કારણ નથી’ અંગે એટલું જ કહેવાનું છે કે પ્રસિદ્ધ સાહિત્યકાર બીજું કોઈ નહીં પણ નર્યા સાહિત્યકાર જ નથી એવા રઘુવીર ચૌધરી, જેવા જાહેરજીવનના જાણતલ હોય ત્યારે જાહેર પ્રશ્નો પરત્વેના તેમના અભિપ્રાયો જાણવાનો આગ્રહ કોઈ રાખે તો તેના માટે એક નહીં, સો વાજબી કારણો ગણાવી શકાય. લાંબી વાત નહીં કરતાં સાહિત્યકારો અને કલાકારોની સામાજિક નિસબત અંગે તાજેતરમાં જ અશોક વાજપેયીએ લખેલા એક લેખના અંશોનો અનુવાદ રજૂ કરું છું.
— દિવ્યેશ વ્યાસ
કોઈ પણ સમયે સાહિત્ય અને કળાઓ પર જે-તે સમયનાં અનેક દબાણો આવે છે, એ વાત જાહેર કરવા માટે હવે કોઈ વિશેષ વિશ્લેષણાત્મક કે વૈચારિક પ્રયત્નની જરૂર રહી નથી. આ દબાણોની ભૂગોળ સીધીસપાટ નથી હોતી અને સર્જકોની ગ્રહણશીલતા પણ એકસમાન નથી હોતી. જાતભાતનાં દબાણ જાતભાતના સર્જનાત્મક અને વૈચારિક તણાવ પેદા કરે છે, પોષે છે. પોતાના સમયની ઉપેક્ષા કરવી કોઈ કલાકાર માટે શક્ય તો છે, પરંતુ કોઈ જીનિયસના અપવાદને છોડીને બાકી કિસ્સાઓમાં તેને ઇચ્છનીય ગણી શકાય નહીં.
આ દબાણોને પારખવા-ઓળખવા માટે થોડી સૂક્ષ્મતાની જરૂર પડે છે. તેનાં સ્થૂળ લક્ષણ પારખવામાં કોઈ વિશ્લેષણ-બુદ્ધિ સક્રિય નથી હોતી. ઓળખ ત્યારે તીક્ષ્ણ બને છે, જ્યારે તેને અમુક ઝીણા તાંતણાઓથી અલગ કરીને જોઈ શકીએ. કમનસીબી એ છે કે આપણે ત્યાં ઝીણવટ અને ઉદ્યમ ઓછો છે. મોટા ભાગની ટીકાઓ પિષ્ટપેષણ (ઘસાયેલી-ચવાયેલી વાતો) કે એકબીજાની પ્રશંસા કે નિંદામાં સરી પડીને વ્યર્થ અને અપ્રાસંગિક તેમ જ કંટાળાજનક બની જતી હોય છે.
પાબ્લો પિકાસોએ ૧૯૩૭માં પોતાની વિખ્યાત કલાકૃતિ ‘ગુએર્નિકા’ના સર્જનના ગાળામાં કહેલું, ‘આધ્યાત્મિક મૂલ્યોની સાથે રહે છે અને કામ કરે છે, એવા કલાકારો માનવતા અને સભ્યતાનાં શ્રેષ્ઠ મૂલ્યો દાવ પર લાગ્યાં હોય એવા સંઘર્ષ પ્રત્યે ન ઉદાસીન રહી શકે છે, ન રહેવું જોઈએ.’ પિકાસોનું ચિત્ર ‘ગુએર્નિકા’ એક વિચિત્ર અને મોટા ભાગે સમજમાં ન આવે એવી કલાકૃતિ છે, જેમાં ક્ષોભ, દહેશત, ચિત્કાર અને વિરોધ, બધું સેળભેળ થયેલું છે. તેમાં જીવનની હિંસા અને ક્રૂરતા એક રીતે કળાત્મક રીતે, એક રીતે અત્યાચારપૂર્વક દર્શાવાયેલી છે. મને યાદ છે કે સ્પેનના પ્રવાસ વખતે અમે પહેલી વાર આ કળાકૃતિને જોઈ ત્યારે તેની સઘનતા અને સુચિંતિત રચનામાં એક રીતે ઠાંસીઠાંસીને ભરેલી વિચિત્રતા ચકિત અને બેચેન એકસાથે કરી રહી હતી.
આ ચિત્રનો એક કિસ્સો જાણીતો છે કે જર્મન સૈનિકોએ આ કળાકૃતિ જોઈને આશ્ચર્ય સાથે પૂછેલું કે શું આ ચિત્ર તમે બનાવ્યું છે, ત્યારે પિકાસોએ એવો જવાબ આપેલો કે આ મારી નહીં તમારી કરતૂત છે! આજે પણ આપણે જો આ કૃતિને જોઈએ-સમજીએ તો એવું જ સમજાય છે કે આપણે આ હિંસક માહોલ ઊભો કર્યો છે, આપણી ચારેકોર આટલી ઝડપભેર ધોળા દિવસે થઈ રહેલા સમગ્ર વિદ્વંસ માટે આપણે જ જવાબદાર અને ગુનેગાર છીએ. તરત માલૂમ પડે છે કે આપણી પોતાની ‘ગુએર્નિકા’ મુક્તિબોધની લાંબી કવિતા ‘અંધારામાં’ છે, જે વિગતવાર, બહુ બધાં ચિત્રિત-બિંબિત વર્ણનોમાં, અંધારામાં, આપણી ભાગીદારીની ક્રૂર કથા કહે છે.
સાહિત્ય અને કળાઓ અંધારિયા સમયમાં આ જ કામ કરે છે કે કરી શકે છે. તે આપણને આપણી દબાયેલી-છુપાયેલી ભાગીદારીથી વાકેફ કરે છે. તે આપણને આપણે પવિત્ર-નિષ્કલંક હોવાની ગળચટ્ટી માન્યતાઓમાંથી મુક્ત કરે છે. તે આપણને અંધારા, આત્મામાં મચેલા રક્તપાત સામે ટક્કર લેવા માટે ઉત્તેજિત કરે છે. તે આપણને આપણા અંતઃકરણની વિશાળતાને સંકોચાતી અટકાવવાની શક્તિ પૂરી પાડે છે. ઘણી વાર તો આપણને તેના થકી જ ખ્યાલ આવે છે કે આપણું પણ અંતઃકરણ છે, જે પૂરેપૂરું સંવેદનહીન બનતાં-બનતાં બચી ગયું છે. સમયનાં તમામ દબાણોની સામે આવી કળાકૃતિ આપણી આત્મા અને અંતઃકરણની ગાથાઓ બની જાય છે. સમયનાં દબાણો વચ્ચે રચાયેલી હોવા છતાં પણ આવી કૃતિઓ સમય-મુક્ત કાલજયી બની જાય છે.
(સૌજન્ય : www.satyagrah.scroll.in, ‘કભી-કભાર’ કૉલમ, ૧૯-૬- ૨૦૧૬નો એક અંશ)
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 14