Opinion Magazine
Number of visits: 9968176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્યાગ્રહીનું સાધના સ્થળ – કારાવાસ

મહાદેવ દેસાઈ|Gandhiana|21 June 2019

૧૯૨૧માં મોતીલાલ નેહરુના इन्डिपेन्डन्ट અખબારના તંત્રી પદનો કાર્યભાર મહાદેવ દેસાઈએ સંભાળ્યો હતો. આ દરમિયાન અખબારમાં પ્રકાશિત થયેલાં લખાણો માટે તેઓને ગિરફ્તાર કરવામાં આવ્યા અને નૈની જેલમાં લઈ જવામાં આવ્યા હતા. નૈની જેલમાંથી તેમણે ગાંધીજીને લખેલાં પત્રોમાંના એક પત્રનો સંપાદિત ભાગ અહીં મૂક્યો છે.

મારા પરમ પ્રિય અને અતિ આદરણીય બાપુજી,

… હું અહીં મજામાં છું. હું ખરેખર એમ માનું છું કે મારું જેલ જવાનું વખતસર જ આવ્યું છે. આપ તો જાણો છો કે મને કેટલી દોડાદોડ હતી અને મને આરામની ખાસ આવશ્યકતા હતી. આરામ મને અહીં પુષ્કળ પ્રમાણમાં મળે છે. અહીં હરવાફરવા માટે પણ ખૂબ જગ્યા છે — કાંઈ નહીં તો એક છેડેથી બીજે છેડે જઈ મારા રોજના દસ માઈલ પૂરા કરવા જેટલી જગ્યા તો છે જ. ચોપડીઓ પણ પુષ્કળ છે; પણ તે ફક્ત ધાર્મિક જ. (રાજકારણ તો અલબત્ત, નિષિદ્ધ છે, પણ સુપરિન્ટેન્ડેન્ટને મારા રસ-વૈવિધ્યની ખબર નથી.) અહીં પુષ્કળ ખાવાનું અને ચોખ્ખી હવા મળે છે અને કોઈ લમણાફોડ નથી એટલે ઊંઘ પણ પુષ્કળ મળે છે. આમ એકધાર્યો સમય જતો હતો તેની મજામાં અણગમતા અનુભવોનો વિક્ષેપ નહોતો એમ નહીં, પણ હવે એ બધા વેઠી લેવા જેટલી તાકાત મારામાં આવી છે.

પણ અહીંના જીવનનો ખ્યાલ હું આપને આપી શકું નહીં. તેનાં ઘણાં કારણો છે. એક તો, સાચા ખયાલને સેન્સર કરવામાં આવે, વળી ગુજરાતીમાં હું જેટલું લખ્યે રાખું તેટલું એક પરદેશી ભાષામાં ન કરી શકું. મશ્કરો થવાના પ્રલોભનને હું ભાગ્યે જ રોકી શકું અને કોઈને ય સપાટામાં લીધા વિના અગર કોઈને ખોટું લગાડ્યા વિના મશ્કરી કરવાની કળા મેં હજી સિદ્ધ કરી નથી. અને દેવદાસ [ગાંધીજીના પુત્ર] મને ત્રણ વખત મળી ગયા છે એટલે હું ધારું છું કે એમણે આપને મારા વિશે ઘણું લખ્યું હશે. એક અઠવાડિયા સુધી હું એક સામાન્ય કેદી હતો; કેદીના સામાન્ય વેશમાં હતો — મને ખાતરી છે દેવદાસે આપને એનું વર્ણન કર્યું હશે. પણ મારે માથે કેદીનું કાંઈ કામ નહોતું. ભારે કે હળવું કાંઈ કામ મારા ઉપર નાખવામાં આવ્યું નહોતું. બીજા અઠવાડિયે રાજકીય કેદીઓના વૉર્ડમાં મારી બદલી કરવામાં આવી અને મને મારી ચોપડીઓ, પથારી અને કપડાં આપવામાં આવ્યાં. અલબત્ત, એક અપવાદ હતો — ‘ગાંધીટોપી’નો. એ પહેરવા સામે સુપરિન્ટેન્ડેન્ટે વાંધો લીધો, કારણ કે ‘ગાંધીટોપી’ એટલે શું એની એની પાસે કોઈ વ્યાખ્યા નહોતી.

મને રોજના ૫૦૦ પરબીડિયાં બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કામ ખૂબ હળવું હતું. જો કે ગમે એવું જરા ય નહોતું. પણ આ પણ લાંબો વખત ન ચાલ્યું. જ્યાં મને ખબર પડી કે એમ કરવાથી મને થોડોક વધુ ખોરાક મળશે ત્યાં તો મેં એ કંટાળાભરેલું કામ છોડી દીધું. વધુ ખોરાક મારા માટે વધુ પડતો હતો, કારણ, નક્કી કરેલા પ્રમાણમાં મને જે ખોરાક મળે છે તે મારા માટે પૂરતો છે. પણ બદલામાં, કાંતવા દેવાની મેં પરવાનગી માગી. જે દિવસે મને અહીં લાવવામાં આવ્યો તે જ દિવસે મેં એની માગણી કરી હતી પણ ‘એમાંથી પૂરતી કમાણી ન થઈ શકે’ એમ કહી એ નકારવામાં આવી. દરેક કેદી પાસે દસ રૂપિયા પેદા થાય એટલું કામ કરાવવાની અપેક્ષા હોય છે, કારણ, કેદી દીઠ જેલને એટલું ખરચ આવે છે. હું તો રાજદ્વારી કેદી રહ્યો એટલે ‘ઊંચા પ્રકારનું મોભાદાર’ કામ મને સોંપવામાં આવ્યું હતું. મેં મારી માગણી ફરીથી રજૂ કરી. આ વખતે કાંઈક સમજી શકાય એવા કારણે તે નામંજૂર કરવામાં આવી. કહે, ‘ચરખાનું રાજકીય મહત્ત્વ છે એ તો તમે જાણો જ છો.’

એટલે બધા દિવસો મારે કાંઈ કામ નહોતું. મને લાગે છે કે મેં એનો ઠીક ઠીક સદુપયોગ કર્યો છે. મેં ખૂબ વાંચ્યું છે, મેં ગ્લેવોરનું जिसस ऑफ हिस्टरी વાંચ્યું છે. એમાં મને ખૂબ રસ પડ્યો; અને એની દૃષ્ટિએ બાઇબલ પણ પૂરતા પ્રમાણમાં વાંચ્યું છે. તુલસીકૃત રામાયણ પણ મેં ગંભીરતાપૂર્વક વાંચવું શરૂ કર્યું છે અને મારા સવારસાંજના ફરવા ટાણે, કબીરનાં ભજનો અને ભગવદ્ગીતાના શ્લોકો ગોખવાથી મારી યાદશક્તિને કસવાનું શક્ય બને છે. આપ કલ્પના કરી શકશો કે હું નિયમિત પ્રાર્થના કરું છું. આપે નિશ્ચિત કરેલા સમયે સૂઈ જાઉં છું અને નાનક કહે છે તેવા ‘જ્યારે સ્વર્ગમાંથી અમૃત વરસે છે’ તેવા પવિત્ર સમયે હું ઊઠું છું. મને તદ્દન મનગમતું જીવન મળ્યું છે — નિયમસરનું પથ્ય, ખાનપાનનું, ધાર્મિક અધ્યયનનું અને ધ્યાનનું, અને છતાં અહીંના જીવનમાં, મારો ખોરાક મેળવવા માટે કરવો પડે એવો શારીરિક શ્રમ નથી — સિવાય કે હું મારાં કપડાં ધોઉં છું અને વાસણ માંજું છું. હાથે રાંધવા દેવાની મને છૂટ આપવામાં આવી નથી. મહાત્મા ગાંધી જેવા મહાન માણસ પાસેથી પણ રાંધણકળા માટે મને એક વખત પ્રમાણપત્ર મળ્યું હતું એટલે હું કેવો પાવરધો રસોઇયો છું એ સુપરિન્ટેન્ડેન્ટ જાણતા હોત તો કેવું સારું? અહીંના બધા જ રાજદ્વારી કેદીઓનો ખોરાક પકવવા માટે હું તદ્દન તૈયાર હતો. પણ ‘આગ ચાંપનારાઓને’ (incendiaries) અગ્નિ કેવી રીતે સોંપાય! જો કે ગોવિંદ અને કૃષ્ણકાંત જેઓ પેલે દિવસે આવ્યા તેમને જાતે રાંધી લેવાની છૂટ આપવામાં આવી છે. પણ એ તો એઓ રૂઢિચુસ્ત હિંદુઓ છે માટે. એટલે મારે તો મોજ છે અને કામ કાંઈ નથી. અને આને માટે કોઈને દોષ દેવા જેવું નથી. અમારે, ખાસ કરીને દુનિયાના બીજા બધામાં કેદીઓએ તો, કાલની શું ફિકર કરવી? અને મને ચરખો ન આપ્યો તે માટે મારે ફરિયાદ ન કરવી જોઈએ. જેલ અધિકારીઓને ખબર હતી કે હું બાઇબલ વાંચું છું અને હું ધારું છું, એ લોકો એવી આશા રાખતા હશે કે મારે તો ‘વગડાના પોયણાને નિહાળવાં, તે કેવાં ખીલે છે! નથી મહેનત કરતાં કે નથી એ કાંતતાં’ હું જરૂર એવી આશા રાખું છું કે એ સુખી ફૂલોની માફક હું પણ વિકાસ પામું છું.

પણ એમ લાગે છે કે આ આરામની રાહત અને શાંતિ મને વધુ ન મળે એવું કોઈ કાવતરું મારા નસીબે ઘડ્યું છે. મને અહીં ગોઠતું જતું હતું; મારી અને જેલ અધિકારીઓ વચ્ચે હું પૂરી સમજૂતી સાધી શક્યો હતો, એમ પણ કહેવાની હિંમત કરી શકું કે એમના તરફથી સહાનુભૂતિ અને આદર મેળવવાની શરૂઆત થઈ હતી. મારું દૃષ્ટિબિન્દુ અને મારા જીવનનો ક્રમ એમને સમજાવવાનો અને એની કદર કરાવવાનો પ્રયત્ન હું કરી રહ્યો હતો, પણ ત્યાં તો એકદમ વાદળમાંથી વજ્ર પડે છે! સુપરિન્ટેન્ડેન્ટે આજે સવારે અમને કહ્યું કે આવતી કાલે બધા જ રાજદ્વારી કેદીઓને — જેમાં મારો અને કૃષ્ણકાંત તથા ગોવિંદનો પણ સમાવેશ થાય છે તેમને — આગ્રાની જેલમાં મોકલી દેવાના છે, (અહીં કહી દઉં કે કૃષ્ણકાંત અને ગોવિંદની સજા ઘટાડીને છ માસની કરીને સરકારે એમને શરમિંદા બનાવ્યા છે.) મેં આને ‘વજ્રનો ધડાકો’ કહ્યું છે. ત્યાં, અમારે માટે કેવું જીવન હશે એની મને ખબર નથી. મને કહેવામાં આવ્યું હતું કે બધા જ રાજદ્વારી કેદીઓને એક જ સ્થળે ભેગા કરવામાં આવે છે. મને લાગે છે એ હેતુ હશે કે અમને જેટલાં કાવતરાં રચવાં હોય તેટલાં પેટ ભરીને રચવા દેવાં, પણ આમ એમને છૂટા પાડીને, સામાન્ય કેદીઓને એઓ ન બગાડે એટલા દૂર તો રાખવા જ. સંસ્થાનોમાં, આપણને છૂટા પાડવામાં થતી આપણી માનહાનિ અને શિક્ષા કરતાં આ છૂટા પાડવામાં મને એ [માનહાનિ અને શિક્ષા] જરા ય ઓછી લાગતી નથી. આ કિસ્સાની, આ એક બાજુ છે, અને એ વધુ ઉચ્ચ કક્ષાની છે, ઐહિક બાજુ એ છે કે એ મારી અંગત સુખસગવડને સ્પર્શે છે. અહીં મારો બધો સમય મારા માટે ફાજલ હતો; એ, ત્યાં મળશે એવી આશા હું રાખતો નથી. અહીં દુર્ગા [મહાદેવ દેસાઈનાં પત્ની] અને દેવદાસ મને અવારનવાર મળવા આવી શકતાં હતાં, હવે એ લોકો એમ કરી શકશે નહીં. દુર્ગાને એટલું આશ્વાસન હતું કે હું મળી શકું એટલા અંતરે છું, પણ હવે એટલો નજીક નહીં હોઉં.

પણ આવા વિચારો મનમાં આણીને હું પાપમાં પડું છું. આપણે અહીં લહેર કરવા આવ્યા નથી. આપણે સઘળાં દુ:ખો સહન કરવાનું માથે લીધું છે અને અહીં તો કાંઈ દુ:ખ નથી. (કેટલાક નસીબવંતાઓને એનો લાભ અહીં મળ્યો હતો અને તેથી એમનો ત્યાગ એટલા ઊંચા પ્રકારનો અને શુદ્ધ હતો.) મારા મનમાં એમ થઈ આવે છે કે લડતમાં હજી પણ વધુ સાચા અને ઉમદા ત્યાગની જરૂર છે. મારો ત્યાગ તો — જો એને ‘ત્યાગ’નું મોટું નામ આપી શકાય તો — બહુ સહેલો હતો. આ અંગે હું આપને કહી દઉં કે મારી ધરપકડ પછી આપને કરેલા તારમાં મેં પેલું વાક્ય બેદરકારીથી લખી કાઢ્યું તેનાથી મને બહુ દુ:ખ થયું છે અને મેં ઉજાગરા વેઠ્યા છે, ‘હું આશા રાખું છું, હવે હું આપને લાયક ઠર્યો’ એ શેખીખોર વાક્ય મારી છાતીમાં હજી સાલ્યા કરે છે. મને એમ નથી થતું કે આપે એ માફ કર્યું હોય. એ વાક્યમાં જ મારી બિનલાયકાતનો પુરાવો છે. તાર મેં ફરીથી વાંચ્યો હોત તો મને લાગે છે કે વધુમાં વધુ હું એટલું જ લખત કે, ‘માનું છું કે આપને લાયક બનવા તરફ હું ઠીક ઠીક વધ્યો છું.’ એ બાલિશ શેખીની યાદ કેમ કરીને ભૂંસાય? પણ મને ખબર છે કે એ ન બની શકે. ઉમર ખયામે કહ્યું છે કે, ‘હાથની આંગળી લખે છે, અને એક વખત લખ્યા પછી એ લખતી જ રહે છે. તારી બધી ધાર્મિકતામાં, ઇચ્છામાં અને તારાં બધાં અશ્રુમાં એમાંની એક લીટીને રદ કરવાની કે એક શબ્દ ભૂંસવાની શક્તિ નથી.’ આપને લાયક થવા માટે મારે ઘણા જન્મો નહીં તો છેવટે ઘણાં વર્ષો વિતાવવાં પડશે. તોયે હું એટલો તો આશાવાદી છું કે મને લાગે છે કે હું ઠીક ઠીક આગળ વધું છું. એની ક્રિયા શરૂ થઈ ગઈ છે. મેલું સાફ કરવાની જે શરૂઆત આપે કરી હતી તે મેં ચાલુ રાખી છે. રોજ મને એવું લાગે છે તે હું પ્રગતિ — ભલે થોડી પણ — કરી રહ્યો છું. પ્રેમભાવની મારી શક્તિમાં હું રોજ કાંઈક ઉમેરો કરી રહ્યો છું. મને આશા છે કે મારા ધાર્મિક શિક્ષણમાં રહેલી ક્ષતિઓ(નું ભાન) જે ચાલુ રહેશે તો વિકાસની આ પ્રક્રિયામાં એનાથી ઘણી મદદ થશે.

કૃપા કરીને આપ સરલાદેવીને કહેશો કે હવે, હું એમનો ભાઈ થાઉં એવો ભાવ એટલો બધો અનુભવું છું કે, એમની સમક્ષ હું એક વિનંતી કરી શકું — બ્રાઉનિંગની કૃતિઓનો એમની પાસે જે સરસ સેટ છે તે જો એમને કાંઈ મુશ્કેલી ન હોય તો થોડા વખત માટે આગ્રાની ડિસ્ટ્રિક્ટ જેલના સુપરિન્ટેન્ડેન્ટના સરનામે મોકલે. આપને પણ વિનંતી કરું છું કે फ्रॉम एन अननॉन डिसाइपल નામનું પુસ્તક જે આપ આપની પાસે રાખો છો તે, અને પ્રોફેસર મેકેન્ઝીએ लाइफ ऑफ सेंट फ्रांसिस નામનું જે પુસ્તક આપને ભેટ આપ્યું હતું તે, મને મોકલી આપો. હું આશા રાખું છું કે આગ્રામાં પણ મને ચોપડીઓ વધુ પ્રમાણમાં રાખવા દેવામાં આવશે. આજકાલ તો મારા દિવસો ભક્તચરિત્રો વાંચવામાં જાય છે અને બની શકે એટલા પ્રમાણમાં બાઇબલ, ભક્તો (અલબત્ત, ખિસ્તી ભક્તો સુધ્ધાં) રામાયણ અને મહાભારત (અલબત્ત, ભગવદ્ગીતા સુધ્ધાં) વિશેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું મને ગમશે. મારી પાસે કેટલુંક ધર્મેતર સાહિત્ય તો છે જ પણ સાચું પૂછો તો એનું સ્થાન ગૌણ છે. ભજનો અને શ્લોકો મોઢે કરવા એ એક મહાન બાબત છે જ. એથી એ મહાન યુગોનું સમરણ થાય છે કે જેમાં આપણાં સ્ત્રીપુરુષો જીવતાં હતાં અને (ખરાં) સ્ત્રીપુરુષો તરીકે જીવન ગાળતાં હતાં અને તેમની સ્મૃતિઓના અભેદ્ય દુર્ગોમાં ધાર્મિક અને તાત્ત્વિક જ્ઞાનના ખજાના ધારણ કરતાં હતાં. આ વખતે વિનોબા અને એમના જુવાનિયાનું જૂથ મને યાદ આવે છે, અને મને થાય છે કે મને પણ એવા વાતાવરણમાં ઊછરવાનો અને મોટા થવાનો લાભ મળ્યો હોત તો કેવું સારું? આવા આવા યાદ કરેલા ખજાના જો અમને એકાંતવાસમાં ગોંધવામાં આવે તો કેટલા મદદગાર થઈ પડે એ આપને કહેવાની જરૂર નથી.

પણ મારે હવે આ બંધ કરવું જોઈએ. આવી ઢંગધડા વિનાની વાતો વાંચવામાંથી સુપરિન્ટેન્ડેન્ટને મારે બચાવવા જોઈએ. અત્યારે પણ એ માને છે કે અમે એકલા નહીં, બધા જ રાજદ્વારી કેદીઓ, એમને બહુ પજવીએ છીએ, અને અમારી જેલ-બદલીના સમાચારથી એમને કેટલો આનંદ થયો હશે એનો ખ્યાલ હું કરી શકું છું. એના પરિણામે એમના માથેથી મોટો બોજો જરૂર ઊતરશે. અને એ આનંદદાયક બનાવથી રાજી રાજી થઈને એમણે મને એકીસાથે બે કાગળો લખવાની પરવાનગી આપવાનું ઔદાર્ય દાખવ્યું છે. શિસ્તમાં છૂટ મૂકવાનું પહેલી અને છેલ્લી વખતનું પગલું લેતાં એમને વાંધો નહીં લાગે.

અને હું તો ઇચ્છું છું કે એકલા જેલ અધિકારીઓના જ નહીં પણ ગજા ઉપરાંતનું કામ કરનાર આખી સરકારના માથેથી ચિંતાનો બોજો આપણે ઘટાડીએ. અહીંના કલેક્ટર મિ. નોક્સ, જેઓ મને ઓળખે છે તેઓ, પેલે દિવસ મુલાકાતે આવ્યા હતા ત્યારે એમણે આશા દર્શાવી, અને મેં પણ એમ જ પ્રત્યુત્તર વાળ્યો કે અમે ટૂંક સમયમાં મિત્રો તરીકે મળશું. મેં જ્યારે એવી આશાનો પ્રત્યુત્તર વાળ્યો ત્યારે એમણે કહ્યું, ‘એ બધું તમારા ઉપર આધાર રાખે છે.’ મેં કહ્યું, ‘હું તો એક કેદી છું. એનો મારા ઉપર આધાર હોઈ શકે નહીં.’ એમણે હસતાં હસતાં કહ્યું, ‘વારુ, એનો મિ. ગાંધી ઉપર આધાર રાખે છે.’ અને એનો હું જે જવાબ આપત તે સાંભળવા ઊભા ન રહ્યા. (હું કહેત) ‘ગાંધી કહે છે કે બધું સરકારના ઉપર આધાર રાખે છે, સરકાર કહે છે કે બધું ગાંધી ઉપર આધાર રાખે છે. આનો નિવેડો કોણ લાવે?’

પણ હું વળી પાછો વાતે ચડ્યો. આગ્રામાં શું સ્થિતિ હશે એનો મને ખ્યાલ નથી પણ હું આશા રાખું છું કે એ ઠીક ઠીક પ્રમાણમાં ગમે તેવી હશે. મારું જીવન સમગ્રપણે ઠીક ઠીક પ્રમાણમાં આનંદમાં ગયું છે. રાજદ્વારી કેદીઓ માટે તાજમહાલને જેલમાં ન ફેરવી શકાય? પણ વધુ, હવે હું આપને લખું ત્યારે. હાલ તો:

આપના મહાદેવના ઊંડા ભાવભર્યા પ્રણામ

[અંગ્રેજીમાં લખેલો પત્ર અહીં પૂરો થાય છે.]

હવે તો લાગે છે કે હું તો જેટલું ગુજરાતીમાં લખવું હોય તેટલું લખી શકું એમ છું — કારણ, આ કાગળ નાખનાર આદમી મળી ગયો છે. ઉપરના કાગળની નકલ તો એટલા માટે રાખેલી કે તમને મારો કાગળ જેલમાંથી ન મોકલવામાં આવે તો નકલ ક્યાંકથી બીડી દેવી. અને આપ કહી શકો કે આવો કાગળ પણ ન મોકલવો. અહીંના સુપરિન્ટેન્ડેન્ટ તો અસહકારીઓ એટલે તેમના દુશ્મન એટલું સમજે છે. કેવળ વિનોદથી એને ઠીક કર્યો છે અને હવે તો એનું વર્તન મારા તરફ તો બહુ જ સરસ કહેવાય. જો મને ગાડીમાંથી લખવાની તક મળે તો એક સુંદર કાગળ ગુજરાતીમાં લખીને મોકલીશ. અહીં તો એક અક્ષર વધારે લખવાનો વખત નથી રહ્યો.

આપનો એક કાગળ તો જોઈએ. પંદર દિવસ થયા આપનો એક કાગળ જોવાનો નથી મળ્યો.

લિ. સેવક,
મહાદેવના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ.

[‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’માંથી]

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 161-166

Loading

‘નવી શિક્ષણ નીતિ’ વ્યાપક ચર્ચા માગે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 June 2019

નવી શિક્ષણ નીતિની તાકીદ અને તીવ્રતા બાબત બેમત અલબત્ત નથી. ખાસ કરીને, અમદાવાદને તો ઈસરોને કારણે પરિચિત અને પોતાના લાગતા રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અવકાશવિજ્ઞાની કે. કસ્તૂરીરંગન જ્યારે કૉલેજને નામે ધોરણ વગરની ચાલતી હાટડીઓ પર, ‘નકલી કારખાનાં’ પર રોક લગાવવાની વાત કરે ત્યારે કોણ રાજી ન થાય. એમની ચિંતા ને ચેતવણી બિલકુલ વાજબી છે. પણ પ્રશ્ન એ છે કે એના અમલ માટે રાજકીય સંકલ્પ શક્તિ ક્યાં છે? જો કે, કસ્તૂરીરંગન અને સાથીઓ જ્યારે વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય શિક્ષા આયોગ (નૅશનલ એજ્યુકેશન કમિશન) નામની સર્વોચ્ચ સંસ્થાની ભલામણ કરે છે ત્યારે એક સાથે બે પરસ્પરવિરોધી સંકેતો મળે છે. એક સંકેત, નવી શિક્ષણ નીતિમાં અમલની દૃષ્ટિએ શાસનના સર્વોચ્ચ સત્તાસ્તરેથી હોવા જોઈતા દાયિત્વનો છે. સંભવતઃ કસ્તૂરીરંગન અને સાથીઓને અભિમત પણ એ જ હશે. પરંતુ, બીજો સંકેત સંમિશ્ર છે. અને તે એ કે જે ક્ષેત્રમાં સ્વાયત્તતાની ખાસી બધી, બલકે કહો કે પ્રાણવાયુ શી જરૂરત છે તે ક્ષેત્રમાં વડાપ્રધાનનું અધ્યક્ષપદ સ્વાયત્તતાને ગ્રસવાની રીતે સત્તાના કેન્દ્રીકરણનું સૂચક તો નથી ને.

જે બધાં નકલી કારખાનાં બાબતે નવી શિક્ષણ નીતિના મુસદ્દાકારો ચિંતિત કે આશંક્તિ જ નહીં પણ આતંકિત હોવાની છાપ આપે છે એ કારખાનાં આપણા રાજકીય-શાસકીય અગ્રવર્ગ સાથે સીધા નહીં તો આડકતરા મેળાપીપણાથી ચાલે છે. રાજકારણીઓ અને સત્તાપુરુષોની સંદિગ્ધ ડિગ્રીઓ વિશે વખતોવખત ઊઠતા અવાજો અને સેવાતી ચૂપકીદી કે પછી આવી તેવી વિગતોને માહિતી અધિકારની બહાર જાહેર કરવાનો રવૈયો તો ખરું જોતાં હિમદુર્ગનું એકદશાંશમું ટોચકું જ માત્ર છે. આ હાટડીઓ ખાનગી માલિકોને સારુ તેમ જ એમના પક્ષનિરપેક્ષ મળતિયાઓ સારુ ભરપેટ તગડમસ્ત થવાની રીતે (પછી ભલે એથી શિક્ષિત બેરોજગારો કે અશિક્ષિત શિક્ષિતોનો ફાલ સુંડલામોંઢે ઉતરે) એક જીવાદોરીની ગરજ સારે છે.

એક રીતે, નવી શિક્ષણ નીતિએ વાજબીપણે સેવેલી આ ચિંતાની જરી બહાર જઈને કહીએ તો ‘ફેક’ નહીં એવી શિક્ષણસંસ્થાઓ પણ જે તે રાજ્યના કથિત નિયમન તંત્રની રહેમનજરી છટકબારી હેઠળ ફીનાં ઉઘરાણાંમાં મલાઈવાળી કરી શકે છે એ આપણું તંત્ર કઈ હદે અવદશાને પામેલું છે એની દ્યોતક બીના છે.

૨૦૧૭ના, એટલે કે હજુ હમણાંના આંકડાની રીતે જોઈએ તો આપણે જી.ડી.પી.ના આખા ૨.૭ ટકા માત્ર જ શિક્ષણમાં નાખીએ છીએ. ટચૂકડું બ્રાઝિલ છ ટકા નાખે છે, જ્યારે ઇંગ્લંડ-અમેરિકામાં પાંચ ટકાનો નિયમિત જેવો રવૈયો માલૂમ પડે છે. અહીં જી.ડી.પી.ની વિગત જાણી જોઈને આગળ કરી છે; કેમ કે સરકાર જ્યારે નકલી કારખાનાં સામે લોકતરફી બાંયચડાઉ મુદ્રામાં આગળ વધવાનો વાસ્તવિક નિર્ણય લે ત્યારે શિક્ષણક્ષેત્રે રોકાણ બાબતે સરકારની પોતાની જવાબદારી એક ચાવીરૂપ તપાસમુદ્દો બનીને સામે આવે છે.

શિક્ષણને એક ‘ઉદ્યોગ’ તરીકે ખાનગીકરણ અને બજારીકરણને હવાલે થવા દેવામાં આવે ત્યારે શું થાય એ અજાણ્યું નથી. એથી દાયિત્વ અને ઉત્તરદાયિત્વ એમ બેઉ છેડેથી આવે વખતે સરકાર પોતે જી.ડી.પી.માંથી ધોરણસરનું રોકાણ શિક્ષણમાં ફાળવવા તૈયાર છે કે નહીં એ મહત્ત્વનો મુદ્દો બની રહે છે.

૨૦૦૯માં તે વખતની સરકારે આર.ટી.ઈ. કહેતાં શિક્ષણના અધિકારને અન્વયે ૬થી ૧૪ના વયજૂથ માટે સાર્વત્રિક શિક્ષણનું ધોરણ બંધારણની પરંપરામાં સ્વીકાર્યું હતું જેમાં હજુ આટલે વરસે (એન.ડી.એ.નાં પાંચ વરસ પછી પણ) ખાસું અંતર કાપવું રહે છે. હવે નવી નીતિ મુજબ આ વયજૂથમાં સાત વરસનો વધારો કરવાની વાત છે. ૬થી ૧૪ને બદલે, ૩થી ૧૮ વરસની જવાબદારી આર.ટી.ઈ. અન્વયે બને છે. સાફ જાહેર છે કે જી.ડી.પી. અંતર્ગત હાલની ફાળવણી, કમસે કમ, બેવડાવવી જોઈએ. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્‌ અને શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ સરકારમાં આ બાબતે આગ્રહપૂર્વક અમલ કરાવી શકશે કે કેમ તે જોવાનું રહે છે.

બાય ધ વે, કસ્તૂરીરંગન પૂર્વે જે.એન.યુ.ના ચાન્સેલર હતા અને નિર્મલા સીતારામન્‌ તેમ જ વિદેશ પ્રધાન જયશંકર પણ ટુકડે ટુકડે જે.એન.યુ.ની જ પેદાશ છે. આ જોગાનુજોગમાં જે કટાક્ષસુવિધા છે એનો લાભ આ લખનારે જરૂર લીધો છે. પણ એટલી એક ચૂક માફ કરીને વાચકે વિચારવાનું એ છે કે જે નવી નીતિ આપણે ત્યાં વિશ્વસ્તરની યુનિવર્સિટીઓને આમંત્રવા ઇચ્છે છે તેના અમલકારો, ખાસ કરીને સત્તાપક્ષ, જે.એન.યુ.ને શા માટે પોતે કબજે કરવા જોગ અગર ધ્વસ્ત કરવા જોગ કિલ્લા તરીકે જુએ છે. જે.એન.યુ. ટીકાપાત્ર ન હોઈ શકે એમ કહેવાનો આશય નથી; પણ જે નકલી યુનિવર્સિટીઓ અને નકલી કૉલેજો વિશે કસ્તૂરીરંગને કકળતી આંતરડીએ ને જલતા જિગરે રાડ નાખી છે એની વચ્ચે રણદ્વીપ જેવું અને દેશ બહાર લેવાતાં જૂજ નામો પૈકીનું એક ઠેકાણું જે.એન.યુ. છે એ હકીકત છે.

જે.એન.યુ., એના આરંભ સમયની સ્થાપિત ને સુખ્યાત જે થોડીકેક યુનિવર્સિટીઓ હશે એના કરતાં ગુણાત્મકપણે જુદો પડતો એક પ્રયોગ હતો અને છે. અહીં એ સંભારવાનું કારણ નવી શિક્ષણ નીતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ૨૦૦ જેટલી વિદેશી યુનિવર્સિટીઓને આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણ કેન્દ્રો ખોલવા માટે બોલાવવાની વાત છે. માનવીય શિક્ષાકર્મી અનિલ સદ્‌ગોપાલે માર્મિક ટિપ્પણી કરી છે કે આ વિદેશી યુનિવર્સિટીઓનું ‘ઉચ્ચ’ એવું રૅન્કિંગ ત્યાંનાં ઉદ્યોગ સંસ્થાનો પોતાને ધોરણે કરતાં હોય છે. (આ ધોરણોએ ૧૯૬૮માં આંતરરાષ્ટ્રીય કૅમ્પસો પર યુવા અજંપો જગવ્યો હતો.) આ બધું પણ વિચારવું રહેશે.

એક બીજી વાત. આપણે સૌને માટે શિક્ષણના ખયાલ સાથે આગળ વધીએ છીએ એ સાચું; પણ આપણે ત્યાં એક અંદાજ મુજબ સાડાત્રણ કરોડ જેટલા યુવાનો (૧૫થી ૨૪ વયજૂથ) અશિક્ષિત છે અને જો ૧૫થી વધુ વયના સૌ એટલે કે બધા પ્રૌઢોને ગણતરીમાં લઈએ તો જુમલો ખાસા ૨૬.૫ કરોડે પહોંચે છે. દેખીતી રીતે જ, એમને માટે જુદી રીતે વિચારવું રહે. મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ પ્રૌઢશિક્ષણને અગ્રતાની જે કોશિશ શરૂ થઈ હતી તેને નવેસર મૂલવી આગળ લઈ જવા ઉપરાંત ગુજરાતના માઈધાર જેવો પ્રયોગોને પણ અવકાશ આપવો જોઈશે.

વસ્તુતઃ અહીં તો સહેજસાજ જિકર કેવળ કરી છે. વ્યાપક ચર્ચાની ખાસી જરૂર છે. દેશને માત્ર એક જ મહિનાનો સમય સૂચનો માટે અપાયો તે ઓછો, અત્યંત ઓછો છે. ચાલુ પખવાડિયે રાજ્યોના શિક્ષણમંત્રીઓ પોતપોતાનાં સૂચનો સાથે મળવાના છે ત્યારે વધુ મુદ્દત બાબતે વિચારે તેમ જ પોતપોતાનાં રાજ્યોમાં સ્થાપિત સંસ્થાનો અને સરકારી બાબુઓ ઉપરાંત નાગરિક સમાજ સાથે પણ ચર્ચા કરે તે ઇષ્ટ લેખાશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 13 તેમ જ 15

Loading

કૉંગ્રેસનો પરાજય અને ખલદુનની શીખ

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|20 June 2019

વર્ષ ૨૦૧૩માં કૉંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં હતી અને લોકસભાની ચૂંટણી એક વર્ષથી વધારે દૂર હતી સમયે મેં રાહુલ ગાંધી પર એક લેખ લખ્યો હતો. એમાં મેં એમની એક દાયકાની રાજકીય કારકિર્દીની સમીક્ષા કરી હતી. મેં લખ્યું હતું કે “રાહુલ ગાંધીના ઇરાદા સારા છે, પણ એમની અંદર નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ છે. તેઓ સતત દુવિધામાં રહે છે. વળી, એમણે વહીવટી યોગ્યતા ધરાવે છે, એવી કોઈ કામગીરી કરી દેખાડી નથી કે એવો કોઈ સંકેત પણ આપ્યો નથી. એમણે મોટી અને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ ઉઠાવવાની ઇચ્છા પણ પ્રકટ કરી નથી. એમણે ગંભીર સામાજિક સમસ્યાઓની ફક્ત ઓળખ કરી છે, પરંતુ દેશની જનતાની નજરોમાં આ સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતા ધરાવતા હોવાની કે એ માટેની કટિબદ્ધતા ધરાવતા હોવાની છાપ ઊભી કરી શક્યા નથી. જ્યારે તેઓ દેશના સૌથી મોટા, સૌથી જૂના અને હજુ પણ સૌથી વધુ પ્રભાવશાળી રાજકીય પક્ષ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ અને કૉંગ્રેસ તરફથી પ્રધાનમંત્રીપદના ઉમેદવાર સ્વરૂપે પોતાની ભૂમિકા અદા કરશે, તો જ દેશની જનતાનો ભરોસો જીતી શકશે.”

મારી કૉલમનો નિયમિત અભ્યાસ કરતાં અને કૉંગ્રેસ સાથે નિકટતા ધરાવતા એક સામાજિક કાર્યકર્તાએ મારો એ લેખ વાંચ્યો હતો. એમણે મને એક રસપ્રદ વાત જણાવી હતી. જ્યારે વર્ષ ૨૦૦૯માં રાહુલ ગાંધીએ ખેડૂતોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને એ જ વર્ષે યુ.પી.એ.-૨ સરકારની રચના થઈ હતી, ત્યારે સામાજિક કાર્યકર્તાઓએ એમને ગ્રામીણ વિકાસમંત્રી બનવા વિનંતી કરી હતી. રાહુલ મંત્રી બનીને એમના વિચારોને વ્યવહારમાં ઉતારી શક્યા હોત અને એમને વહીવટી અનુભવ પણ મળ્યો હોત. જો કે એમણે સામાજિક કાર્યકર્તાઓની સલાહની ઉપેક્ષા કરી. આ માટે કોઈ કારણ જણાવવામાં આવ્યું નહોતું, પણ એમની માતા કૉંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીને વિશ્વાસ હતો કે એમનો પુત્ર કૉંગ્રેસનું નેતૃત્વ ધરાવતી સરકારમાં પ્રધાનમંત્રી સ્વરૂપે જ સામેલ થશે, એવું લાગતું હતું.

આ ધારણાને સપ્ટેમ્બર, ૨૦૧૩માં બળ મળ્યું હતું. એ સમયે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પછી પ્રધાનમંત્રીપદ માટે આદર્શ વિકલ્પ હશે. જો કે વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને એના ઇતિહાસના સૌથી ખરાબ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કૉંગ્રેસ સત્તામાંથી ફેંકાઈ ગઈ અને લગભગ ૧૬૦ બેઠકો ગુમાવી હતી. જોગાનુજોગે એ જ મહિને બ્રિટનમાં પણ ચૂંટણીઓ યોજાઈ હતી અને એમાં લેબર પાર્ટીને ફક્ત ૨૦ બેઠકોનું નુકસાન થયું હતું છતાં એના નેતા મિલિબેન્ડે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દીધું હતું. પણ કથિત રીતે બ્રિટનના વેસ્ટમિન્સ્ટર મૉડલ પર ચાલતી આપણી રાજનીતિ પોતાના મૂળ મૉડલથી ઘણી વિચલિત થઈ ગઈ હતી. અહીં સત્તાધારી પક્ષના ઉપાધ્યક્ષને જવાબદારી લેવાથી બચાવી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં બ્રિટનથી વિપરીત રાહુલ ગાંધીને પક્ષના પરાજય બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા. એમની માતાએ પક્ષનાં અધ્યક્ષપદેથી રાજીનામું આપીને એમના માટેનો માર્ગ મોકળો કરી દીધો. અત્યારે એનાં પાંચ વર્ષ પછી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં સતત બીજા પરાજયમાં પક્ષનું નેતૃત્વ કર્યું છે.

હવે કૉંગ્રેસ શું કરી શકે છે? એ નવા અધ્યક્ષને શોધશે? એ પ્રથમ પરિવાર ગાંધી-નેહરુ સિવાયની અન્ય કોઈ વ્યક્તિનો વિચાર કરી શકે છે? વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને ‘નામદાર’ કહીને મજાક ઉડાવી હતી અને પોતાને ‘કામદાર’ ગણાવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદીએ મતદારોને સીધું પૂછ્યું હતું કે એમને મહેનતુ ‘કામદાર’, ‘ચોકીદાર’ જોઈએ કે રાહુલ સ્વરૂપે ‘નામદાર’ જોઈએ? બીજી તરફ, અંગ્રેજીના કેટલાંક પત્રકાર ભારતમાં વંશવાદ કોઈ સમસ્યા નથી એવું જણાવે છે. આ માટે તેઓ લોકસભાની ચૂંટણી સાથે આંધ્રપ્રદેશ અને ઓડિસામાં જગન મોહન રેડ્ડી અને નવીન પટનાયકના વિજયને પુરાવા સ્વરૂપે રજૂ કરે છે.

જ્યારે મેં ટ્‌વીટ કર્યું કે કૉંગ્રેસ વંશવાદી રાજનીતિને છોડી દે, ત્યારે ઉત્તરપ્રદેશના એક મિત્રલેખક અનિલ મહેશ્વરીએ મને મહાન અરબ વિદ્વાન ઇબ્ન ખલદુનનું એક લાંબું અવતરણ મોકલ્યું હતું. ૧૪મી સદીમાં ઇબ્ને તર્ક આપ્યો હતો કે સામાન્ય રીતે વંશવાદ ત્રીજી પેઢી પછી પોતાનો પ્રભાવ અને વિશ્વસનીયતા ગુમાવી દે છે. ઇબ્નના કહેવા અનુસાર, વંશ કે વૈભવનો સ્થાપક જ એની પાછળની મહેનત અને વૈભવની કિંમત સમજે છે. એટલે એ વંશને જાળવવા ગુણોને જાળવી રાખે છે. એ પછી એનો પુત્ર પિતાના સીધા સંપર્કમાં રહીને વૈભવને જાળવવાનું શીખે છે, પણ કમનસીબે એના પિતાએ સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું, એનું જ્ઞાન મેળવી શકતો નથી. એટલે પોતાના પિતાની સરખામણીમાં એ જ્ઞાનની દૃષ્ટિએ નબળો હોય છે. હવે બને છે એવું કે બીજી પેઢી પ્રથમ પેઢીના વૈભવને જાળવી શકે છે, પણ કમનસીબે એ પોતાની આગામી એટલે કે ત્રીજી પેઢીને પ્રથમ પેઢીના ગુણો આપી શકતો નથી, પ્રથમ પેઢી પાસે રહેલું જ્ઞાન આપી શકતો નથી. એટલે ત્રીજી પેઢી નકલ અને ખાસ કરીને પરંપરાઓ પર વિશ્વાસ મૂકીને સંતુષ્ટ થઈ જાય છે. ત્યાર બાદ ચોથી પેઢી તો દરેક બાબતે પોતાના પૂર્વજોથી નબળી રહે છે. આ પેઢીના સભ્યો પાસ એ ગુણો હોતા નથી, જેના કારણે આ સામ્રાજ્યનું નિર્માણ થયું હતું. ચોથી પેઢીના સભ્યોને માનપાન મળે છે, પણ આ માનપાન એને કેવી રીતે મળી રહ્યું છે અને એની પાછળનાં કારણો શું હતાં એ સમજી શકતા નથી. ઇબ્ન ખલદુન આ પ્રકારની સ્થિતિસંજોગોમાં નેતૃત્વને અન્ય કોઈ સંતોષજનક ગુણો ધરાવતા નેતાને સુપરત કરવાની સલાહ આપે છે. ઇબ્ન લખે છે કે જે પણ વંશ ચોથી-પાંચમી પેઢી સુધી પહોંચી ગયો, એણે પોતાના પતનનો પાયો પોતે જ નાખ્યો છે. બીજી અને ત્રીજી પેઢી પાસેથી ચોથી પેઢીના હાથમાં આવીને વૈભવ કે વંશ માનપાન ગુમાવી દે છે અને ‘નામદાર’ તરીકે ઓળખાવાની હકદાર બની જાય છે.

ઇબ્ન એ સમજવામાં આપણી મદદ કરે છે કે જગન અને નવીનને શા માટે સફળતા મળી, અને રાહુલને શા માટે નિષ્ફળતા. જગન અને નવીન બીજી પેઢીના છે. એમણે પોતાની નજર સામે એમનાં પિતાનાં કાર્યો જોયાં છે. આ દૃષ્ટિએ જોઈએ તો ઇન્દિરા ગાંધીને જવાહરલાલ નેહરુનું સાંનિધ્ય મળ્યું હતું અને સ્વતંત્રતાસંગ્રામના આદર્શો સાથે એમનો ઉછેર થયો હતો. ઇન્દિરા ગાંધી અત્યંત વિશ્વસનીય અને પ્રભાવશાળી નેતા હતાં. એમના જેવા નેતૃત્વના ગુણો મેળવવાનું રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી ક્યારે ય વિચારી પણ ન શકે. કૉંગ્રેસમાં દરેકે ઇબ્ન ખલદુનના વિચારો સમજવાની અને એને પચાવવાની જરૂર છે. રાહુલ ગાંધી યોગ્યતા ધરાવતા હશે, પણ ઇતિહાસ અને સમાજશાસ્ત્ર એમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. જ્યારે મધ્યયુગ અને સામંતવાદી અરબમાં ચોથી અને પાંચમી પેઢીના વંશવાદને સ્વીકારવામાં આવ્યો નહોતો, ત્યારે આધુનિક અને લોકતાંત્રિક ભારતમાં આવી આશા રાખી શકાય?

[Live हिन्दुस्तानમાંથી; અનુવાદ : કેયૂર કોટક]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 10-11

Loading

...102030...2,8792,8802,8812,882...2,8902,9002,910...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved