Opinion Magazine
Number of visits: 9968352
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડા પ્રધાનની પહેલી મુદ્દતના જુદા તેવર કાયમ જળવાઈ રહે એ જરૂરી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 July 2019

મંગળવારે બે ઘટનાઓ એવી બની છે જે બંધારણીય અને કાયદાકીય રાજની ચિંતા કરનારાઓને શાતા આપનારી છે. આપણે ઇચ્છીએ કે આ સ્પિરિટ જળવાઈ રહે. આમ એટલા માટે કહેવું પડે છે કે વડા પ્રધાનની પહેલી મુદ્દત દરમ્યાન જુદા તેવર જોવા મળ્યા હતા. સ્પિરિટ જળવાઈ રહે એમાં વડા પ્રધાનને અને બી.જે.પી.ને બંનેને લાભ છે.

પહેલી ઘટના દિલ્હીમાં મળેલી બી.જે.પી.ના સંસદીય પક્ષની બેઠકની છે, જેમાં વડા પ્રધાને ઈંદોરમાં બનેલી ઘટનાની આકરી નિંદા કરી છે. બી.જે.પી.ના મહામંત્રી અને પક્ષના પહેલી હરોળના નેતા કૈલાશ વિજયવર્ગીયના વિધાનસભ્ય પુત્ર આકાશ વિજયવર્ગીયે સરકારી અધિકારીને જાહેરમાં ક્રિકેટના બેટથી માર્યો હતો. એની વીડિયો ક્લીપ વાયરલ થયા પછી બચાવ કરવાપણું હતું જ નહીં, પણ એ છતાં પિતા-પુત્રે અને પક્ષે બચાવ કર્યો હતો.

મધ્ય પ્રદેશની કૉન્ગ્રેસ સરકારે આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી હતી. બે દિવસ પછી જ્યારે અદાલતે આકાશ વિજયવર્ગીયને જામીન પર મુક્તિ આપી, ત્યારે તેનું જેલની બહાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરઘસ સુધ્ધાં કાઢવામાં આવ્યું હતું જેમાં, ત્રણ સંસદસભ્યો પણ હાજર હતા. આરોપીના પિતા અને બી.જે.પી.ના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયનો બચાવ કરતા કહ્યું હતું કે તેમનો પુત્ર ગરીબોને મદદરૂપ થવા ઇચ્છતો હતો એટલે ઉશ્કેરાઈ ગયો હતો. દેશ માટે ઉશ્કેરાનારાઓને અને હિંદુ ધર્મ માટે ઉશ્કેરાનાઓને કાયદો હાથમાં લેવાની છૂટ છે, એ તો આપણે જાણીએ છીએ, ગરીબો માટે ઉશ્કેરાઈ જવાની આ પહેલી ઘટના. 

આ ઘટનાની ગંભીર નોંધ લેતા વડા પ્રધાને પક્ષના નેતાઓ તેમ જ કાર્યકર્તાઓને ચેતવણી આપી છે કે ‘મનમાની નહીં ચલેગી. ગમે તે હોય, ગમે તેનો પુત્ર હોય આ પ્રકારનું વર્તન ચલાવી નહીં લેવાય. નિવેદન, આવેદન, દનાદન એ પક્ષની સંસ્કૃતિ નથી. એવા લોકોની સામે પગલાં લેવાવાં જોઈએ.’ વડા પ્રધાને કાયદો હાથમાં લેનારાઓને ખુલ્લી ચેતવણી આપી ત્યારે કૈલાશ વિજ્યવર્ગીય સભાગૃહમાં ઉપસ્થિત હતા. વડા પ્રધાને આકાશ વિજયવર્ગીયનું નામ લીધું નહોતું, પરંતુ આવેદન, નિવેદન, દનાદન એ તેના શબ્દો છે જે વડા પ્રધાને જાણીજોઇને દોહરાવ્યા હતા.

એમ લાગે છે કે પક્ષનું મધ્ય પ્રદેશ એકમ આકાશ વિજયવર્ગીય સામે પગલાં લેશે. આ પહેલાં તેમણે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના વખાણ કરનારાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર, અનંત હેગડે અને નલીન કાતિલ(કર્ણાટકના સંસદસભ્યની અટક જ ચોક્કસ પ્રકારના સંસ્કારની ખાતરી કરાવે છે. તેમની મૂળ અટક શેટ્ટી છે.)ની નિંદા કરી હતી. અનંત હેગડેને તેમણે આ વખતે પ્રધાનમંડળમાં લીધા નથી તેનું કારણ કદાચ તેમની લાંબી જીભ છે. એમ તો ગિરિરાજ સિંહ પણ લાંબી જીભ ધરાવે છે અને તેમને પ્રધાન બનાવવામાં આવ્યા છે. જો કે હમણાંથી તેઓ ઓછું બોલે છે. વડા પ્રધાન પ્રજ્ઞાસિંહ ઠાકુરને માફ કરવાના નહોતા, પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

ખેર, આ કોલમમાં મેં આ પહેલાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમની પહેલી મુદ્દતનાં  શાસન-સંસ્કારનો વારસો બીજી મુદ્દતમાં પણ આગળ ન ચલાવે તેમાં તેમનો લાભ છે. છેવટે ઇતિહાસ ભક્તો નથી લખવાના પણ મૂલ્યાંકનનો ઝીણો ચાળણો ધરાવનારા ઇતિહાસકારો લખવાના છે અને તેઓ નિષ્ઠુર હોય છે.

બીજી ઘટના ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં બની છે. ઉત્તર પ્રદેશની સરકારે અન્ય પછાત જાતિમાં આવતી ૧૭ જાતિઓને અનુસૂચિત જાતિ(દલિત-શિડયુલ્ડ કાસ્ટ)ની યાદીમાં ફેરવી નાખવાનાં નિર્ણયને કેન્દ્ર સરકારે ગેરબંધારણીય ઠરાવ્યો છે. કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન થાવરચંદ ગેહલોતે મંગળવારે રાજ્યસભામાં ખુલાસો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ સરકારનું પગલું અનુચિત અને ગેર-બંધારણીય બંને છે. તેને આવો કોઈ અધિકાર જ નથી. આ અધિકાર માત્ર સંસદની મંજૂરી સાથે કેન્દ્ર સરકાર ધરાવે છે અને રાજ્યો આવો કોઈ અધિકાર નથી ધરાવતા.

વાચકોને જાણ હશે કે દલિતો અને આદિવાસીઓ માટેની અનામતની જોગવાઈ બંધારણીય છે અને અન્ય પછાત જાતિઓ માટેની જોગવાઈ કાયદાકીય છે. બંધારણીય જોગવાઈમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર સંસદને છે, બીજા કોઈને નથી. રાષ્ટ્રપતિ પણ તેની સાથે છેડછાડ ન કરી શકે. ઉત્તર પ્રદેશની સરકારે જે ૧૭ જાતિઓને શિડયુલ કાસ્ટની યાદીમાં ફેરવી છે એમાં કાશ્યપ, રાજભર, ધીવાર, બિંદ, કુમ્હાર, કેવટ, નિષાદ, ભર, મલ્લાહ, પ્રજાપતિ, ઢીમર, બાથમ, તુર્હા, ગોડિયા, માંઝી અને મછુહાનો સમાવેશ થાય. આમાંની કેટલીક જ્ઞાતિઓને બિહાર સરકારે અતિ પછાતની યાદીમાં મૂકી છે.

તો પછી ઉત્તર પ્રદેશની સરકારે આવું પગલું શા માટે ભર્યું? જેનો અધિકાર જ નથી એવું સાહસ શા માટે કર્યું? આમ તો બી.જે.પી. અનામતની જોગવાઈની વિરુદ્ધ છે. જાહેરમાં ભલે ટેકો આપવામાં આવતો હોય, પણ અંદરથી તે તેની વિરુદ્ધ છે. એટલે તો ઓ.બી.સી.માં માંગે એ બધાને ઘૂસાડીને જોગવાઈને હાસ્યાસ્પદ, અવ્યવહારુ અને અપ્રાસંગિક બનાવવામાં આવી રહી છે. ઘરમાં એટલા બધા માણસોને ઘૂસાડી દો કે સામે ચાલીને આ પ્રથાનો અંત લાવવાની માગણી થવા લાગે. માત્ર એસ.સી./એસ.ટી.ને હાથ લગાડી શકાતો નથી, કારણ કે તે બંધારણ દ્વારા સુરક્ષિત છે. તો શું અનામતની બંધારણીય જોગવાઈનું પણ પાણી માપવાનો ઈરાદો હતો? કદાચ હોઈ શકે. રાજ્ય સરકારને આટલી જાણ ન હોય એ માની ન શકાય.

બીજું, આ ૧૭ જ્ઞાતિઓને શિડયુલ કાસ્ટનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ ઉત્તર પ્રદેશમાં જ્યારે માયાવતીની સરકાર હતી ત્યારે તેણે પણ રજૂ કર્યો હતો. ફરક એ હતો કે ત્યારે માયાવતીની સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી કે તેણે સંસદમાં ખરડો લાવીને આ જાતિઓને શિડ્યુલ કાસ્ટનો દરજ્જો આપવો જોઈએ. ત્યારની કેન્દ્ર સરકારે ફેરફાર કરવામાં અનુકૂળતા નહોતી બતાવી અને વાત સમાપ્ત થઈ હતી. યોગી આદિત્યનાથને આ વાતની જાણ ન હોય એવું બને? એ પ્રસ્તાવની ફાઈલ પર નોંધો લખાયેલી હશે.

ત્રીજું, જે ૧૭ જાતિઓને શિડ્યુલ કાસ્ટની યાદીમાં મૂકવામાં આવી છે તેમાં એક જાતિ રાજભર છે જે મુખ્ય પ્રધાનની પોતાની જ્ઞાતિ છે. જો અનામતની સુરક્ષિત જોગવાઈ મળતી હોય તો દલિત તરીકે ઓળખાવવામાં શું ખોટું છે! તેઓ શું પોતાની જ્ઞાતિને મદદ કરવા માગતા હતા?  હોઈ શકે છે.

અહીં કોઈ સવાલ કરી શકે કે યોગી આદિત્યનાથ તો સાધુ છે, યોગી છે અને યોગીને જ્ઞાતિ હોય? હોય. આજકાલના સાધુઓ બધી જ સાંસારિક ઓળખો સાથેના સંન્યાસી છે. ભગવામાં કે શ્વેતમાં ફકીરી આવી ગઈ. બીજો સવાલ. દેશપ્રેમી જ્ઞાતિવાદી પણ હોય? હોય. ભારતમાં સરેરાશ નાગરિકની ચામડી ખોતરશો તો કોઈને કોઈ ઓળખનું લોહી જોવા મળશે. ભારતમાં દેશપ્રેમી અને રાષ્ટ્રવાદી પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ જેવા પ્રસંગે જ જોવા મળે છે.

મૂળ વાત પર પાછા ફરીએ. કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દમાં તેની પોતાના પક્ષની રાજ્ય સરકારને જણાવી દીધું છે કે તમને ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી, પછી ઈરાદો ગમે તે હોય.

વેરી ગૂડ. ખૂબ અભિનંદન. આ સ્પિરિટ જાળવાઈ રહે એવી આશા રાખીએ છીએ.

02 જુલાઈ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2019

Loading

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|4 July 2019

'હૈયાને દરબાર'

પ્રેમ અભિવ્યક્ત કરવા માટે શાયરી અને સંગીતથી ઉત્તમ શું હોઈ શકે? આપણામાંથી કેટલાયે લોકોએ જાન-એ-જિગર સુધી હ્રદયની વાત પહોંચાડવા માટે સરસ મજાની પંક્તિઓનો સહારો લીધો જ છે, સાચી વાત ને? પ્રિયતમાને રિઝવવી હોય ત્યારે તમારામાંથી કેટલા ય પુરુષોએ તારી આંખનો અફીણી ગીત ગાયું જ હશે અને વ્હાલમ સુધી વ્હાલ પહોંચાડવા સન્નારીઓએ 'સાંવરિયો' યાદ કર્યો હશે.

આવી જ એક લાજવાબ અને લોકપ્રિય ગઝલ એટલે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે …! બરકત વિરાણી 'બેફામ'ની આ ગઝલ માત્ર પુરુષોનો જ ઈજારો નથી, સ્ત્રીઓ પણ એટલાં જ પ્રેમથી એ લલકારે છે. 'બેફામ'નાં હ્રદયમાં વસતો ઊર્મિશીલ યુવાન શાયર એની રચનાઓમાં દિલને સ્પર્શી જાય તેવી ગઝલો આપતો રહ્યો છે. શાયર ગમે તેટલો વૃદ્ધ થાય પણ એના હ્રદયમાં વસેલો તરોતાજા યુવાન દિલની ધડકનો સાથે તાલ મિલાવતો હોય છે. આબાલવૃદ્ધ ગુજરાતીઓના કાનમાં આ રચના આજે પણ ગુંજે છે. સૌથી વધુ મોબાઇલ રિંગટોન આ ગઝલની હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ ગીતને લોકપ્રિય બનાવનાર સુપ્રસિદ્ધ કલાકાર મનહર ઉધાસ એક પ્રસંગ ટાંકતા કહે છે કે, "વર્ષો પહેલાંની વાત છે. હું એક પ્રોગ્રામ માટે અમદાવાદ ગયો હતો. એક મોટા ઉદ્યોગપતિએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ પહેલાં એમના ઘરે અમે સૌ બેઠાં હતાં. હીંચકા ઉપર એક યુવાન બેઠેલો હતો. મને જોઈને સીધો મારી પાસે દોડી આવ્યો અને પ્રણામ કર્યા ત્યારે પેલા ઉદ્યોગપતિએ એને કહ્યું કે, તારી પેલી ગઝલવાળી વાત કર ને! પેલો જરા શરમાયો પરંતુ હિંમત એકઠી કરી અને કહેવા માંડ્યો કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મારું એક છોકરી સાથે અફેર હતું પરંતુ, કોઈ કારણસર કંઈક સમસ્યા ઊભી થતાં એ છોકરીને મેં ના પાડી દીધી. પછી બીજા દિવસે એ છોકરી કોલેજમાં આવી ત્યારે એક સી.ડી. લઈને આવી હતી. મને આપતાં તેણે કહ્યું કે આમાં એક ટિકમાર્ક કરેલી ગઝલ છે. એ તું ખાસ સાંભળજે. મારી માત્ર તને આટલી જ વિનંતી છે. એ તો ચાલી ગઈ. હું તો ગુસ્સામાં ધૂંધવાયેલો હતો કે આ બધાં એનાં શું નાટક છે! ઘરે આવીને મેં એ સી.ડી. કબાટમાં મૂકી દીધી. પછી થોડા દિવસ પછી એક વખત રાતના ઊંઘ નહોતી આવતી ત્યારે અચાનક એ સી.ડી હાથ લાગી. સાઉન્ડ સિસ્ટમમાં મૂકી મેં શરૂ કરી. જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ ગઝલોમાં ડૂબતો ગયો. એણે ટિક માર્ક કરેલી ગઝલ હતી, નયનને બંધ રાખીને ..! રડાવનારી ન હોવા છતાં એ ગઝલ સાંભળીને એ દિવસે મને એટલું બધું રડવું આવ્યું કે મેં આ છોકરી સાથે શા માટે આવું કર્યું? બીજા જ દિવસે એને ફોન લગાડ્યો અને મળવાનું નક્કી કર્યું. એન્ડ રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી. અમે પરણી ગયાં. આજે એકબીજાંની સંગાથમાં ખૂબ ખુશ છીએ ત્યારે હજુ પણ એ દિવસો યાદ કરીને નયનને બંધ રાખીને અમે સાથે લલકારીએ છીએ!"

શબ્દોની તાકાતમાં ગાયકની સંવેદના ઉમેરાય ત્યારે એ ભાવકના હ્રદય સુધી પહોંચી શકે છે. મનહરભાઇનો મુલાયમ કંઠ લાખ્ખો ગુજરાતીઓના દિલ પર કામણ કરે છે. ગુજરાતી ગઝલ ઘર ઘરમાં ગૂંજતી થઈ એનો યશ સંપૂર્ણપણે મનહર ઉધાસને જાય છે. 1960માં ગુજરાતથી મુંબઈ કામની તલાશમાં મનહરભાઇ આવ્યા હતા. બનેવી મનુભાઈ ગઢવી દ્વારા કલ્યાણજી-આણંદજીના પરિચયમાં આવ્યા. એમની સાથે રહીને રેકોર્ડિંગના કામમાં તેઓ થોડી ઘણી મદદ કરતા હતા. એવામાં એકવાર ફિલ્મ 'વિશ્વાસ'ના ગીત, આપ સે હમકો બિછડે હુએ એક ઝમાના બીત ગયા …નું રેકોર્ડિંગ મૂકેશના કંઠે થવાનું હતું. નાદુરસ્ત તબિયતને કારણે મૂકેશે આવી શક્યા નહીં તેથી કલ્યાણજીભાઇએ મનહર ઉધાસને આ ગીત પ્રોક્સીમાં ગાવા કહ્યું. મૂકેશ આવે પછી એમના અવાજમાં ફાઇનલ ગીત રેકોર્ડ કરવું એમ નક્કી થયું હતું. બીજે દિવસે મૂકેશ સ્ટુડિયો પર આવ્યા અને મનહરભાઈનું આ ગીત સાંભળીને બોલી ઊઠ્યા કે આ ગીત એટલું પરફેક્ટલી ગવાયું છે કે હવે મારા અવાજમાં રેકોર્ડ કરવાની કોઈ જરૂર નથી. એ ગીત સુપરહિટ સાબિત થયું અને મનહર ઉધાસના નામનો ડંકો વાગવા લાગ્યો.

મનહર ઉધાસ એ દિવસોની યાદ તાજી કરતાં કહે છે, "ફિલ્મ 'વિશ્વાસ'નું ગીત સુપરહિટ થતાં મને ઘણી ઓફરો આવવા માંડી હતી પરંતુ મારું દિલ ગુજરાતી ગઝલ માટે કંઈક કરવા હંમેશાં ઉત્સુક રહેતું હતું. એવામાં ‘ટી-સિરીઝ’માંથી મને ગુલશનકુમારનો ફોન આવ્યો. એમને મારી સાથે કોઈ પ્રોજેક્ટ કરવો હતો. મેં તરત એ તક ઝડપી લીધી અને કહ્યું કે મારી પાસે બહુ જ સરસ ગુજરાતી ગઝલો છે એનું આલ્બમ કરવું છે. એમણે મને છૂટો દોર આપી દીધો હતો એટલે મારું પહેલું આલ્બમ 'આગમન' તૈયાર થયું એટલે મેં એમને એ સી.ડી આપી દીધી. એક જ મહિનામાં એમનો મારી પર ફોન આવ્યો કે તમે આલ્બમમાં શું કમાલ કરી છે કે એનું જબરજસ્ત વેચાણ થયું છે! આ આલ્બમ માટે ગોલ્ડન ડિસ્ક પણ મળી એ મારા માટે આ ખૂબ ગૌરવપૂર્ણ વાત હતી. પછી તો ‘ટી સિરીઝ’ સાથે મેં બીજા છથી સાત આલ્બમ કર્યા. હું ચોક્કસપણે માનું છું કે મારાં સારાં કર્મના પરિણામે ઈશ્વર મારી પાસે આ ભગીરથ કાર્ય કરાવી રહ્યા છે. 'અ' અક્ષરથી શરૂ થતાં ગઝલ આલબમની સંખ્યા 31 થઈ છે અને 32માં આલબમ પર કામ કરી રહ્યો છું."

આપણે સૌ જાણીએ છીએ કે મનહર ઉધાસના દરેક ગઝલ આલ્બમ 'અ'થી શરૂ થાય છે. 'આગમન'માં જ તેમણે નયનને બંધ રાખીને ગઝલ કમ્પોઝ કરી હતી અને એટલી હિટ નીવડી કે આજે પણ અનેક કલાકારો આ ગઝલ ઉમંગભેર ગાય છે. મનહરભાઇની ગઝલ ગાવામાં સરળ હોવાથી કોઈ પણ વ્યક્તિને ગાવામાં સરળતા રહે છે. એટલે જ કદાચ એ ઘરઘરમાં જાણીતી બની છે. ગઝલ સરળ કેમ છે એ રહસ્યોદ્ઘાટન એમણે એમની વાતચીતમાં કર્યું જ છે.

આ ગઝલની સર્જન પ્રક્રિયા વિશે મનહર ઉધાસ કહે છે કે, ‘80ના દાયકામાં બરકત વિરાણી 'બેફામ' અને ‘શૂન્ય’ પાલનપુરીના સન્માનનો ભવ્ય કાર્યક્રમ બિરલા માતુશ્રી હૉલમાં રાખવામાં આવ્યો હતો. જબરજસ્ત મોટા મુશાયરાનું આયોજન ડૉ. પ્રકાશ કોઠારીએ કર્યું હતું. એ વખતે શાયરોને ખૂબ જ ઓછા પૈસા મળતા હતા તેથી આવા મુશાયરાઓ દ્વારા એમનું માન સન્માન કરવામાં આવતું અને એમાંથી જે રકમ ઊભી થાય તે શાયરોને માનધન તરીકે આપવામાં આવતી હતી. આ મુશાયરા માટે ડો. કોઠારીએ મને ‘શૂન્ય’ પાલનપુરી અને ‘બેફામ’ની ગઝલો સ્વરબદ્ધ કરવા નિમંત્રણ આપ્યું. આ કાર્યક્રમના ભાગરૂપે મેં આ બંને શાયરોની ઉત્કૃષ્ટ ગઝલો કમ્પોઝ કરી જેમાં નયનને બંધ રાખીને પણ હતી. હું હંમેશાં શાયરને આગળ રાખું. એટલે કે એનો શબ્દ મારા સંગીત કરતાં વધારે મહત્ત્વનો છે એ ધ્યાનમાં રાખીને જ સ્વરબદ્ધ કરું. હવે ‘શૂન્ય’ અને ‘બેફામ’ બંને તરન્નુમમાં એમની ગઝલો રજૂ કરતા હતા, જેને ભરપૂર દાદ મળતી એટલે મેં એમાં ખાસ કશા ફેરફાર કર્યાં વિના ગઝલો માત્ર સંગીતના સરસ ટુકડાઓ ઉમેરી સ્વરબદ્ધ કરી અને પેશ કરી. લોકોને આ સરળતા એવી પસંદ આવી કે દરેક શેર પર લોકો ખૂબ દાદ આપવા લાગ્યા. એ જ કાર્યક્રમમાં સૌથી વધુ વન્સ મોર નયનને બંધ રાખીને ગઝલને મળ્યા હતા. ઉપરાઉપરી ત્રણ વખત મારે એ ગાવી પડી હતી. બરકતભાઈ પણ ઓવારી ગયા હતા."

મૂળ ભાવનગરના કવિ બરકત વિરાણી છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો એટલે ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી. ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા, છેવટે ‘બેફામ’થી ખૂબ પ્રસિદ્ધ થયા, મક્તામાં ‘મરણ’ એ તેમની આગવી વિશેષતા રહી હતી. એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડિયા રેડિયોના કેન્દ્ર સંચાલક ઝેડ.એ. બુખારીના સંપર્કમાં આવ્યા અને તેમણે મુંબઈ રેડિયો સ્ટેશન પર નોકરી અપાવી. ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી.

ડૉ. પ્રકાશ કોઠારી પોતે શેર-ઓ-શાયરીના ખૂબ શોખીન એટલે બધા શાયરો સાથે એમનો ઘરોબો સારો. અજાણતાં ય એમણે કેટલા ય શાયરોની તબિયતનો ખ્યાલ રાખ્યો હતો અને સાચવી લીધા હતા. બરકત વિરાણી વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, "એમનું તખલ્લુસ ભલે 'બેફામ' હતું પણ તેઓ બહુ જ નરમ, સૌમ્ય અને સરળ હતા. થાય સરખામણી તો ઊતરતા છીએ … એમનો આ શેર એમના વ્યક્તિત્વને જ અનુરૂપ હતો. મુંબઈના ડોંગરી વિસ્તારમાં સાવ સામાન્ય ઘરમાં રહેતા આ શાયરના લગ્ન વિખ્યાત શાયર  શયદા નાં દીકરી રૂકૈયા સાથે થયાં હતાં. ઑલ ઈન્ડિયા રેડિયો પર ઘણો સમય કામ કર્યું. ત્યાં થોડા કડવા અનુભવો પણ થયા. પરંતુ, સ્વભાવે અજાતશત્રુ.  બેફામ’ અને ‘શૂન્ય'નું સન્માન કરવાનું નક્કી કર્યું ત્યારે આ બંને શાયરો માટે અમે એક સરખી સિલ્કની શેરવાની-પાયજામો સિવડાવ્યાં હતાં, એકસરખી મોજડી લીધી હતી. ઓડિટોરિયમમાં બન્ને આવ્યા ત્યારે એકબીજાને જોઇને એટલા ખુશ થયા હતા કે ‘શૂન્ય' તરત બોલી ઉઠ્યા કે મિયાં, ઈન લોગોં ને તો હમેં દુલ્હા બના દિયા હૈ!

એ કાર્યક્રમમાં બંનેએ જે જમાવટ કરી હતી, આહાહા! ‘બેફામ’નો અવાજ શું સુંદર! તરન્નુમમાં ગઝલ શરૂ કરે ને લોકો મંત્રમુગ્ધ થઈને એમને સાંભળતા. એ ગાતાં હોય ત્યારે તમને લાગે કે વાજિંત્રો સાથે વાગી રહ્યાં છે. ‘શૂન્ય'નું રાગદારીનું જ્ઞાન પણ અદ્દભુત! હંમેશાં ગાતાં પહેલાં બોલે પણ ખરા કે આ ગઝલ હું આ રાગમાં ગાવાનો છું. એ વખતના પરંપરાના શાયરોની તૈયારી શું જબરજસ્ત રહેતી! આ કાર્યક્રમમાં મનહર ઉધાસ, પંકજ ઉધાસ અને ચંદ્રા કોઠારી ગઝલ ગાઈને પ્રસ્તુત કરવાના હતા, જેમાં મનહરભાઈએ નયનને બંધ રાખીને પેશ કરી અને ખૂબ લોકચાહના પામી હતી. બરકત વિરાણીએ મનહરની તારીફમાં એટલું જ કહ્યું, જેટલો સુંદર ચહેરો, એટલો જ છે સુંદર અવાજ, એ છે મનહર ઉધાસ! આ બધા શાયરો એવા કમાલના શેર આપી ગયા છે કે જે કામ બે કલાકની સાયકોથેરપી ન કરી શકે એ બે પંક્તિના શેર કરી જાય છે."

મનહરભાઇએ આ વાતને પુષ્ટિ આપતી બીજી એક વાત કરી. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં મનહરભાઈની ગઝલોનો કાર્યક્રમ હતો. કાર્યક્રમ પૂરો થયો એટલે આયોજક મનહરભાઈ પાસે આવ્યા અને એમણે કહ્યું કે એક વ્યક્તિ તમને તીવ્રતાથી મળવા ચાહે છે, તમે મળશો? મનહરભાઈ હા પાડી. બૅકસ્ટેજમાં ગયા તો દૂરથી એક સ્ત્રી ધીમે પગલે મનહરભાઈ તરફ આવી રહી હતી. એમને જોતાં જ એ સ્ત્રી ચોધાર આંસુએ રડવા માંડી. કારણ પૂછ્યું કે તમે રડો છો શા માટે? તો એ બહેને કહ્યું કે તમને જોઈને આનંદના આંસુ આવી રહ્યા છે કારણ કે અમારું લગ્નજીવન તમારી આ ગઝલને લીધે જ સંભવિત બન્યું છે. મનહરભાઈએ પેલા આયોજક ભાઇ તરફ જોયું ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું કે મારી પત્નીને તમને મળવાની તીવ્ર ઈચ્છા હતી કારણ કે, ૨૧ વખત તમારી આ ગઝલ નયનને બંધ રાખીને … ગાઈને મેં મારી પત્નીને પ્રપોઝ કર્યું હતું. આવી તો કેટલીયે ઘટનાઓ આ ગઝલ સાથે સંકળાયેલી છે. દર્શન રાવલે આ ગીત ફ્યુઝન તરીકે ગાઈને લાખો યુવા દિલોને પણ આ ગઝલ પાછળ પાગલ કર્યાં છે. અરે, ઈન્ડોનેશિયાનું એક મ્યુઝિક ગ્રુપ આ ગઝલ જાહેર કાર્યક્રમોમાં રજૂ કરે છે. આવી રોમેન્ટિક ગીતનુમા ગઝલ વરસાદી, મસ્તીભર્યા માહોલમાં સાંભળી જ લેજો!

*****

નયનને બંધ રાખીને, મેં જ્યારે તમને જોયાં છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે

ઋતુ એક જ હતી પણ રંગ નો‘તો આપણો એક જ
મને સહેરાએ જોયો છે બહારે તમને જોયાં છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા, સવારે તમને જોયાં છે

હકીકતમાં જુઓ તો એ ય એક સપનું હતું મારું,
ખૂલી આંખે મે મારા ઘરનાં દ્વારે તમને જોયાં છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે, કિનારે તમને જોયાં છે

ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું,
હું થાક્યો છું તો, એક એક ઉતારે તમને જોયાં છે.

નિવારણ છો કે કારણ, ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુંઝારે તમને જોયાં છે.

નથી મસ્તી મહોબ્બત, એવું કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયાં છે.

• શાયર : બરકત વિરાણી ‘બેફામ’   • સંગીતકાર-ગાયક : મનહર ઉધાસ

https://www.youtube.com/watch?v=PSB2DDTUPDU

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 04 જુલાઈ 2019

Loading

પહેલવહેલું ગાંધીકાવ્ય: મનમોહન ગાંધીજીને

દીપક મહેતા|Opinion - Literature|4 July 2019

મનમોહન ગાંધીજીને

ગાંધી તું હો સુકાની રે:
સાચો હિન્દવાન!
હિન્દની જિંદગી અમારી –
અફળાતી અસ્થિર ન્યારી –
તેને જોગવતો તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
રાજ્ય પ્રજાના હિતનું –
મન્થન દેશે છલકાતું –
નવનીત ઉતારે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
જનતાના જગ મહારાજ્યે –
હિન્દીજન તણા સ્વરાજ્યે –
ગજવે હિન્દી હાક તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

હિન્દી જાત જ જન્માવી;
જગમાં વિખ્યાત બનાવી –
ધપાવે સત્યાગ્રહે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
મનમોહન, ઉદાર ભાવે,
વીરતાના પ્રસંગ લાવે,
હિન્દહિત કસ્તૂરી મૃગ! તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
સુદામાપુરના દીપક!
શ્રી કૃષ્ણનાં જગાવે સ્મારક:
ભારત નાવિક વીર તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
ગાંધી! તુજ સુજોડ પગલે,
હિન્દ-સંતતિ સંચરિયે!
શાંતિ જાય પ્રભુ અર્પે! તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

                                                                             — ‘લલિતજી’ 

જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં  સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત.

નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે.

તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે. ‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭મા પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું. ‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું: “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.” 

ગાંધીજી વિશેનું લલિતજીનું આ કાવ્ય લખાયું છે ૧૯૧૩ના ડિસેમ્બરની ૧૮મી તારીખે. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તે દિવસે એવું શું બન્યું હતું કે જેને લીધે લલિતજી આ કાવ્ય લખવા પ્રેરાયા હોય. અંગ્રેજીમાં કહેવું હોય તો What triggered this poem? એક કરતાં વધુ જાણકારોને હાથે ગાંધીજીના જીવનની વિગતવાર, તારીખો સહિતની, સાલવારી અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થઇ છે. તે જોતાં જણાય છે કે ‘ગ્રેટ માર્ચ’ને કારણે દક્ષિણ આફ્રિકામાં ૬ નવેમ્બર ૨૧૦૩ના રોજ ગાંધીજીની ધરપકડ થઇ હતી પણ તે જ દિવસે તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. પણ ૮ નવેમ્બરે ફરી ધરપકડ થઇ અને ફરી જામીન પર છૂટકારો. ૯ તારીખે ફરી ધરપકડ અને ૯ મહિના વત્તા ૩ મહિનાના કારાવાસની સજા. પણ  ડિસેમ્બરની ૧૮મી તારીખે અણધારી રીતે જેલમાંથી બિનશરતી મુક્તિ મળી હતી. આ સજા થઇ તે પહેલાં જ પોતે હિન્દુસ્તાન પાછા ફરવાના છે એવી જાહેરાત ગાંધીજીએ કરી હતી. એટલે તેમનો જેલમાંથી થયેલો છુટકારો એ દેશવાસીઓ માટે આનંદના સમાચાર ગણાય.

પણ વેઇટ અ મિનિટ! ૧૯૧૩માં આપણા દેશમાં હજી રેડિયો બ્રોડકાસ્ટિંગની શરૂઆત તો થઇ નહોતી. (તેની શરૂઆત ખાનગી ધોરણે થઇ ૧૯૨૩માં, અને સરકારી ધોરણે થઇ ૧૯૩૦માં.) એટલે એ વખતે દેશના તેમ જ પરદેશના સમાચારો મેળવવાનું એકમાત્ર સાધન અખબારો હતું. અને દક્ષિણ આફ્રિકામાં ૧૮મી તારીખે જે કાંઈ બન્યું હોય તેના સમાચાર તો ૧૯મીના અખબારમાં જ આવે ને? એટલે ૧૮મી ડિસેમ્બરે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી છોડવામાં આવ્યા અને તે જ દિવસે આ કાવ્ય લખાયું એ કેવળ એક સુખદ અકસ્માત જ હોઈ શકે. એ બંને વચ્ચે કારણ-કાર્યનો સંબંધ પણ હોઈ શકે.

હવે જે પુસ્તકમાં નોંધ સાથે આ કાવ્ય છપાયું છે તે પુસ્તક વિષે. પુસ્તકનું નામ: ‘ગાંધીકાવ્યસંગ્રહ.’ પ્રથમ આવૃત્તિ: ‘રેટીઆ બારસ ૧૯૯૩’ (એટલે કે ઈ.સ. ૧૯૩૭). ૧૨૭ પાનાં, મૂલ્ય ૧૨ આના (આજના ૭૫ પૈસા). પ્રકાશક: “વીલેપારલેની શ્રી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયત વતી શ્રી ઉમાશંકર જોષીએ પ્રસિદ્ધ કર્યું.” (પુસ્તકમાં બધે ‘જોષી’ જ છાપ્યું છે, ‘જોશી’ નહિ.) અને છેલ્લે, આ પુસ્તકના સંપાદકો હતા ઝીણાભાઈ દેસાઈ અને ઉમાશંકર જોષી. એ વખતે ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ આ શાળાના આચાર્ય હતા અને ઉમાશંકર ગુજરાતીના શિક્ષક હતા. પુસ્તકમાં કુલ ૭૦ કાવ્યો સમાવ્યાં છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ચાર, ‘સ્નેહરશ્મિ’નાં પાંચ, લલિતજીનાં ચાર, રાયચુરા (નામ છાપ્યું નથી, માત્ર અટક છાપી છે)નાં બે, હરિહર ભટ્ટનાં બે, સુંદરજી બેટાઈનાં બે, અને ઉમાશંકર જોષીનાં પાંચ કાવ્યો જોવા મળે છે. બીજા કવિઓનું એક-એક કાવ્ય લીધું છે. છેવટે ‘બાદરાયણ’(ભાનુશંકર વ્યાસ)નાં બે સંસ્કૃત કાવ્યો મૂક્યાં છે. અલબત્ત, નિખાલસતાથી કહેવું જોઈએ કે બે પ્રતિષ્ઠિત કવિઓએ આ સંપાદન કર્યું હોવા છતાં કાવ્ય તરીકે આજે ય ટકી શકે એવી કૃતિઓ અહીં પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળે છે.

આ સંપાદન જે રીતે તૈયાર થયું તે પણ ધ્યાન ખેંચે તેમ છે. ગાંધી જયંતીની ઉજવણી અંગે ગોકળીબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયતે એક ઠરાવ કર્યો હતો. તેમાં છઠ્ઠી કલમ આ પ્રમાણે હતી: “પૂ. ગાંધીજીને લગતાં ગૂજરાતી કાવ્યોનો સંગ્રહ કરી શક્ય હોય તો તેને છપાવી બહાર પાડવાની યોજના.” આવું પુસ્તક તૈયાર થઇ શકે એવી શક્યતા ઓછી જ હતી. પહેલી મુશ્કેલી હતી ખર્ચ માટેના પૈસાની. પણ તે અણધારી રીતે દૂર થઇ. શનિવાર તા. ૧૮-૯-૧૯૩૭ને દિવસે ‘એક બહેન’ શાળાની પ્રાર્થના સભામાં આવ્યા અને પુસ્તકની બધી આર્થિક જવાબદારી પોતે ઉપાડી લેવા તૈયાર થયાં. બીજી મુશ્કેલી હતી સમયની. પણ તે જ દિવસે અખબારોમાં જાહેરાત છપાવી કવિઓને પોતાનાં કાવ્યો મોકલવાની વિનંતી કરી. જવાબમાં ૨૫૦-૩૦૦ કવિઓની રચના મળી. તેમાંથી ૭૦ રચનાઓ પસંદ કરી અને ૨૧-૯-૩૭ના દિવસે મુંબઈના આનંદ પ્રિન્ટિંગ પ્રેસને મેટર છાપવા આપ્યું. ૨૮-૯-૧૯૩૭ના દિવસે ચોપડી છપાઈને તૈયાર થઇ ગઈ. એક અઠવાડિયામાં ચોપડી છપાઈને તૈયાર થઇ જાય એ વાતની આજે કમ્પ્યુટર યુગમાં આપણને બહુ નવાઈ લાગે. પણ એ યાદ રાખવું ઘટે કે એ મુવેબલ ટાઈપનો જમાનો હતો. એક-એક અક્ષર હાથ વડે કમ્પોઝ કરવો પડતો. પછી પ્રૂફ જોઈ સુધારા કરવા પડતા. વળી તે વખતનાં મશીન પર એક સાથે ૧૬ પાનાં જ છાપી શકાતાં. આજે વપરાય છે તેવી તાબડતોબ સુકાઈ જાય તેવી શાહી તે વખતે નહોતી. એટલે આઠ પાનાં છાપ્યા પછી તેને સુકાવા દેવાં પડે અને પછી બીજી બાજુ બીજાં આઠ પાનાં છાપી શકાય. પણ આ બધું કરીને એક જ અઠવાડિયામાં પુસ્તક તૈયાર થઇ ગયું.

સંપાદકીયમાં ‘સ્નેહરશ્મિ’ અને ઉમાશંકરે કહ્યું છે: “પ્રશસ્તિકાવ્યની ઉત્તમ કવિતા પ્રકારમાં ગણના થતી નથી. પણ આ સંગ્રહમાં ગાંધીજીની પ્રશસ્તિ ઉપરાંત એમના જીવનને લગતાં છતાં એમના જ નહિ પણ સારી પ્રજાના જીવનના ગણાઈ ચૂકેલા ઐતિહાસિક પ્રસંગોમાંથી પ્રેરાયેલી કૃતિઓ પણ સદ્ભાગ્યે સારા પ્રમાણમાં છે.” સંપાદકીયનું છેલ્લું વાક્ય આ પ્રમાણે છે: “ગાંધીજીનું ગૂજરાત આ ગાંધીકાવ્યસંગ્રહને અપનાવી લેશે એવી આશા છે.” પણ હકીકતમાં આ સંગ્રહ આજે તો લગભગ ભુલાઈ ગયો છે. જેમ લલિતજીનું ‘મનમોહન ગાંધીજીને’ ગીત પણ ભુલાઈ ગયું છે તેમ. પણ ગાંધીજીની સાર્ધ જન્મશતાબ્દીના આ વર્ષમાં એ ગીત અને એ સંગ્રહને યાદ કરી લઈએ.    

xxx xxx xxx

Flat No. 2, Fulrani, Sahitya Sahawas, Madhusudn Kalelkar Marg, Kalanagar, Bandra (east), Mumbai 400 051.

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “નવનીત સમર્પણ”, જુલાઈ 2019; પૃ. 97-101

Loading

...102030...2,8702,8712,8722,873...2,8802,8902,900...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved