Opinion Magazine
Number of visits: 9511195
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓગણીસમી સદીની એક બહુરૂપી પ્રતિભા 

દીપક મહેતા|Opinion - Opinion|6 November 2025

નામ : કેખુશરો નવરોજજી કાબરાજી 

ગામ : મુંબઈ

કામ : પત્રકારત્વ 

પણ મનનું ધામ તો નાટક અને રંગભૂમિ 

કેખુશરો કાબરાજજી

૧૮૪૨ના ઓગસ્ટની ૨૧મી તારીખે મુંબઈના કોટ વિસ્તારમાં આવેલી ગોલવડ ગલ્લીમાં આવેલા ઘરમાં જન્મ. મૂળ વતન સુરત. ૧૮૧૨ના અરસામાં કેખુશરોના બાવા નવરોજજીનો જન્મ. પહેલી નોકરી બોમ્બે ગેઝેટ નામના અંગ્રેજી અખબારમાં. એટલે ઘણા પારસી એમને ‘નવરોજજી ગેઝેટ’ તરીકે ઓળખે. પછી જોડાયા આજના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના પુરોગામી ‘બોમ્બે ટાઈમ્સ’માં. ૧૮૫૦માં દફતર આશકારા છાપખાનાના ભાગીદાર બન્યા. બે વરસ પછી ‘ચિત્રજ્ઞાન દર્પણ’ નામનું સામયિક ખરીદીને એકાદ વરસ ચલાવ્યું. પછી ખરીદ્યું ‘બાગે નસીહત.’ આય બાગે એવણને બરબાદ કરી નાખ્યા. અમુક લખાણને કારણે ગોવર્ધન ભાણજીની વિધવાએ બદનક્ષીનો દાવો માંડ્યો જે નવરોજજી હારી ગયા. ૧૮૫૮ના જુલાઈની ૧૫મીએ આવેલા ચુકાદા પ્રમાણે તેમણે પોતાના પત્રમાં જાહેર માફી માગવાની હતી અને ફરિયાદી બાઈને કેસ અંગે થયેલો બધો જ ખરચ ચૂકવી દેવાનો હતો. માફી તો માગી, પણ ખરચ ભરપાઈ કરવા જેટલા પૈસા હતા નહિ. એટલે નાદારી નોંધાવવી પડી. પૈસેટકે પાયમાલ થઈ ગયા. 

ઘરની જવાબદારી હવે કેખુશરો પર આવી પડી. અભ્યાસ છોડીને મહિને ચાર રૂપિયાના પગારની નોકરી ‘પારસી મિત્ર’માં લેવી પડી. ત્યારથી જીવનના અંત સુધી કેખુશરો વ્યવસાયે પત્રકાર જ રહ્યા. પણ ‘પારસી મિત્ર’ની નોકરી ઝાઝો વખત કરી શક્યા નહિ. કારણ તેમનાં મમ્મા ગંભીર માંદગીને કારણે પથારીવશ થયાં. એટલે ઘરનાં બધાં જ કામ કેખુશરોને માથે આવી પડ્યાં. પણ ઘરમાં બીજું કોઈ કમાનાર નહિ, અને મમ્માની માંદગીનો ખરચ વધારામાં. એટલે થોડા વખત પછી મહીને વીસ રૂપિયાના પગારે ‘જામે જમશેદ’ અખબારમાં રિપોર્ટર તરીકે જોડાયા. પછી તેના મદદનીશ તંત્રી બન્યા. માલિકો સાથેના મતભેદને કારણે તંત્રી સોરાબજી મંચેરજી છૂટા થતાં કેખુશરોને તંત્રીની જવાબદારી માલિકોએ સોંપી. એ વખતે તેમની ઉંમર ૧૭ વરસની! પણ આ કામ કેખુશરો માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. કારણ તેમનાં લખાણો ઉપર દેખરેખ રાખવા માલિકોએ કુંવરજી રૂસ્તમજી મોદીની નિમણૂંક કરેલી. કેખુશરોનું વલણ પહેલેથી સુધારાવાદી. જ્યારે ‘જામે’ હતું કટ્ટર રૂઢિવાદી. એટલે કેખુશરોનાં લખાણો પર રોજ કુંવરજીની કાતર ફરે. પરિણામે એવી ગેરસમજ ફેલાય કે કાબરાજી સુધારાના વિરોધી છે.

એક વખત મુંબઈમાં ખેતવાડીમાં આવેલી ‘જ્ઞાન વર્ધક સભા’એ કાબરાજીનું જાહેર ભાષણ ગોઠવ્યું. વિષય હતો ‘સ્ત્રી જાતિ.’ શ્રોતાઓમાંના એક હતા પ્રખ્યાત સમાજ સુધારક કરસનદાસ મૂળજી. કેખુશરોના વક્તવ્ય અને વિચારોથી પ્રભાવિત થયા. થોડા વખતમાં બન્ને નજીક આવ્યા. જામેના તંત્રી તરીકે રોજ જે માથે વીતતી હતી તેની ખબર પડતાં કરસનદાસે ‘રાસ્ત ગોફતાર’ સામયિકમાં જોડાવા આમંત્રણ આપ્યું. ૧૮૫૧માં મુંબઈમાં થયેલાં પારસી-મુસ્લિમ રમખાણો પછી લોકો અને સરકાર સુધી પારસીઓની વાત પહોંચાડવા માટે દાદાભાઈ નવરોજીએ ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખથી ‘રાસ્ત ગોફતાર’ શરૂ કરેલું. બીજી બાજુ ૧૮૫૨માં કરસનદાસ મૂળજીએ ‘સત્ય પ્રકાશ’ શરૂ કરેલું. ૧૮૬૧માં તે ‘રાસ્ત ગોફતાર’ સાથે જોડાઈ ગયું. કેટલાક પારસીઓએ ૧૮૫૭ની પહેલી જાન્યુઆરીથી ‘સ્ત્રીબોધ’ નામનું માસિક શરૂ કરેલું. ૧૯૪૭ પહેલાંના હિન્દુસ્તાનનું એ સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું સામયિક. એવું ઠરાવાયું કે કેખુશરો ‘રાસ્ત ગોફ્તાર’ના મદદનીશ તંત્રી તરીકે કામ કરે. પગાર પચાસ રૂપિયા. સાથોસાથ ‘સ્ત્રીબોધ’ના તંત્રી તરીકે પણ કામ કરે. પગાર રૂપિયા ત્રીસ. ૧૮૬૩ના માર્ચની ૧૩મી તારીખે કરસનદાસ વિલાયતની મુસાફરીએ જતાં કાબરાજી ‘રાસ્ત ગોફતાર’ના તંત્રી બન્યા અને ૪૦ વરસ સુધી એ જવાબદારી સંભાળી. તેવી જ રીતે ૧૯૦૪ના એપ્રિલની ૨૫મીએ બેહસ્તનશીન થયા ત્યાં સુધી કાબરાજી ‘સ્ત્રીબોધ’ના તંત્રીપદે રહ્યા. કાબરાજી પછી તેમનાં પુત્રવધૂ પૂતળીબાઈ ૧૯૧૨થી ૧૯૪૨ સુધી ‘સ્ત્રીબોધ’નાં તંત્રી રહ્યાં.    

શરૂઆતનાં વર્ષોમાં ‘સ્ત્રીબોધ’ યથા નામ તથા ગુણ હતું. સ્ત્રીઓને માહિતી અને બોધ આપતાં લખાણો – અલબત્ત, બધાં પુરુષોએ લખેલાં – તેમાં છપાતાં. કાબરાજી તંત્રી થયા એ પછી તેમણે તેની કાયાપલટ કરી નાખી. નાટક, નવલકથા, કથા, કવિતા, રેખા ચિત્રો, વગેરે સામગ્રી ધીમે ધીમે ઉમેરતા ગયા. અને કવિતાને બાદ કરતાં, બીજા પ્રકારોના નમૂના પોતે જ રચીને પ્રગટ કર્યા. અલબત્ત, તેમની ઘણીખરી કૃતિઓ મૌલિક નહિ, પણ અંગ્રેજી કૃતિઓથી પ્રેરિત હતી. પણ પારસી કે હિંદુ સમાજના પરિવેશમાં તેઓ એવી સિફતથી મૂળ કૃતિનું રૂપાંતર કરતા કે સામાન્ય વાચકને તો આ રૂપાંતર છે એવો વહેમ પણ ન જાય. 

૧૯મી સદીના એક કાલ ખંડને આપણે ‘સુધારક યુગ’ એવું નામ તો આપી દીધું, પણ પછી વાત કરી માત્ર હિન્દુ સમાજને ધ્યાનમાં રાખીને થયેલી સુધારાની ચળવળની. પારસી કે મુસ્લિમ સમાજ અંગે થયેલી સુધારાની ચળવળ વિષે વિચાર્યું-લખ્યું જ નહિ! કાબરાજી અને બીજા આગેવાનોએ પારસી સમાજમાં પણ સુધારા માટે ચળવળ ચલાવવી પડી હતી. કેવી હતી એ જમાનામાં પારસી સમાજની સ્થિતિ? પારસી સ્ત્રી પતિની સાથે પણ ખુલ્લી ઘોડા ગાડીમાં બહાર નીકળી શકતી નહિ. માફા કે ગાડીના બધા પડદા પાડ્યા પછી જ પારસી સ્ત્રી તેમાં બેસી શકે. પારસી સ્ત્રીઓ ઘરની બહાર છત્રી કે પગરખાં વાપરી શકતી નહિ. બહુ બહુ તો લાકડાની સપાટ પહેરી શકતી. ૧૮૬૩માં માણેકજી ખરશેદજીએ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી એલેક્ઝાન્ડ્રા ગર્લ્સ સ્કૂલ પોતાના ભાયખળાના બંગલામાં શરૂ કરી ત્યારે કોમમાં જબરો ઊહાપોહ થયો. છોકરીની જાતને તે વળી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ અપાય? એ વખતે કાબરાજીએ મહિનાઓ સુધી ‘રાસ્ત-ગોફતાર’માં કન્યા કેળવણીની તરફેણમાં લેખો લખ્યા.  

કાબરાજી પત્રકાર ઉપરાંત ઉમદા લેખક પણ હતા. રંગભૂમિ પર ભજવવા માટે કાબરાજીએ મોટી સંખ્યામાં નાટકો લખ્યાં, જેમાંનાં ઘણાં રૂપાંતરો હતાં. તખ્તાલાયકી એ તેમનાં નાટકોનો સૌથી મોટો ગુણ. કાબરાજીનું પહેલું નાટક શેરના સવાશેર ૧૮૬૩માં ‘સ્ત્રીબોધ’માં પ્રગટ થયું અને છેલ્લું નાટક ધીરજનું ધન ૧૮૭૧માં. તેમનાં બીજાં કેટલાંક નાટકો : જમશેદ, નિંદાખાનું, ભોલી જાન, વિનાશ કાલે વિપરિત બુદ્ધિ, બેજન અને મનીજેહ, નંદબત્રીસી. 

કાબરાજીને હાથે એક બીજું મહત્ત્વનું કામ થયું તે આજે સાવ ભૂલાઈ ગયું છે. એ કામ તે શેકસપિયરનાં નાટકોને ગુજરાતીમાં અવતારવાનું. અલબત્ત, એ સીધા અનુવાદો નથી. પારસી સમાજ અને જીવનના ઢાંચામાં ઢાળેલાં રૂપાંતરો છે. ‘સ્ત્રીબોધ’ના મે ૧૮૬૧ના અંકમાં ‘નઠારી ફરંગીજ ઠેકાંણે આવી’ નામથી શેકસપિયરના The Taming of the Shrewના રૂપાંતરનું પ્રકાશન શરૂ થયું અને એ જ વરસના સપ્ટેમ્બર અંકમાં પૂરું થયું. સુરતમાં નવી શરૂ થયેલી પારસીઓની નાટક મંડળીએ ૧૮૬૧ના નવેમ્બરની પાંચમી તારીખે આ નાટક ભજવ્યું. પશ્ચિમ ભારતમાંના પારસીઓની તવારીખ માટે સોનાની ખાણ જેવા ‘પારસી પ્રકાશ’માં આ અંગે કહ્યું છે : 

(પારસી પ્રકાશ, દફતર બીજું, પાનું ૨૨, જોડણી મૂળ પ્રમાણે) 

ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં પણ સુરતમાં થયેલી આ નાટકની ભજવણી ખૂબ મહત્ત્વ ધરાવે છે. પહેલવહેલું ગુજરાતી નાટક પારસીઓની એક નાટક મંડળીએ મુંબઈમાં ૧૮૫૩ના ઓક્ટોબરની ૨૯મી તારીખે સાંજે ભજવ્યું, જગન્નાથ શંકરશેઠે ગ્રાન્ટ રોડ પર બંધાવેલા થિયેટરમાં. અમદાવાદમાં પહેલવહેલું ગુજરાતી નાટક ભજવાયું તે ૧૮૮૮માં, કેશવલાલ શિવરામ અધ્યાપકે લખેલું નાટક ‘સંગીત લીલાવતી’. એટલે કે આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં સૌથી પહેલું ભજવાયેલું નાટક તે સુરતમાં ભજવાયેલું કાબરાજીનું ‘નઠારી ફરંગીજ ઠેકાંણે આવી’.

ઐતિહાસિક દૃષ્ટિએ કાબરાજીની નવલકથાઓ પણ મહત્ત્વ ધરાવે છે. કારણ એ નવલકથાઓ દ્વારા કાબરાજીએ ગુજરાતીમાં ધારાવાહિક નવલકથા છાપવાની શરૂઆત કરી. તેમની પહેલી નવલકથા ‘ભોલો દોલો’ (૧૨૦ પ્રકરણ) ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ દરમ્યાન ‘સ્ત્રીબોધ’માં પ્રગટ થઈ હતી. ભલે રૂપાંતરિત, પણ આપણી ભાષાની એ પહેલી ધારાવાહિક નવલકથા. ત્યાર બાદ ‘પરણવું કે નહિ પરણવું’, ‘આગલા વખતની બાયડીઓ અને હાલના વખતની છોકરીઓ’, ‘પાતાલ પાણી ચલાવે’, ‘મિજાજી હોસ્નઆરા કેમ ઠેકાણે આવી’, ‘પૈસા! પૈસા! પૈસા!’, ‘દુખિયારી બચુના દુઃખનાં પહાડ’, ‘સોલીને સુધારનાર સુની’, ‘ગુમાસ્તાની ગુલી ગરીબ’, ‘વેચાયલો વર’, ‘ભીખો ભરભરિયો’, ‘હોશંગ બાગ’, ‘ખોહવાયલી ખટલી’, ‘મીઠી મીઠ્ઠી’, ‘ચાલીસ હજારનો ચાનજી’, અને ‘ખૂનનો બદલો ફાંસી’, જેવી નવલકથાઓ ‘સ્ત્રીબોધ’માં હપ્તાવાર પ્રગટ થઈ. છેલ્લી નવલકથા ‘સોલી શેઠની સુનાઈ’ ૧૯૦૪માં. આમ, ૧૮૭૧થી ૧૯૦૪ સુધી સતત ૩૩ વર્ષ ‘સ્ત્રીબોધ’ કાબરાજીની ધારાવાહિક નવલકથા પ્રગટ કરતું રહ્યું. 

ગુજરાતીની પહેલવહેલી ધારાવાહિક નવલકથા ‘ભોલો દોલો, સ્ત્રીબોધ, ઓગસ્ટ ૧૮૭૧

કસરતશાળા અને નાટકશાળા વચ્ચે સંબંધ હોવાનો વહેમ પણ કોઈને ભાગ્યે જ જાય. પણ કાબરાજીની બાબતમાં કસરતશાળા જ તેમને નાટકશાળા તરફ ખેંચી ગઈ. પારસી યુવાનોની શરીર સંપત્તિ વધારવા માટે બીજા કેટલાક મિત્રો સાથે મળીને ૧૮૬૭માં તેમણે ‘કસરતશાળા સ્થાપક મંડળી’ બનાવીને કસરતશાળા શરૂ કરી. પણ થોડા વખત પછી પૈસાને અભાવે તે બંધ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ. ત્યારે નાટક ભજવીને તેની આવક દ્વારા કસરત શાળા જીવતી રાખવાનો વિચાર કાબરાજીને આવ્યો. પારસીઓમાં ‘ફલૂઘૂસ’ તરીકે ઓળખાતા ફરામજી ગુસ્તાદજી દલાલની બંધ પડેલી નાટક મંડળીનો સરંજામ કાબરાજીએ મેળવ્યો. પારસી છોકરાઓને ભેગા કર્યા. શેક્સપિયરના નાટક કોમેડી ઓફ એરર્સનું પોતે જ રૂપાંતર કર્યું. પોતાના ‘રાસ્ત ગોફતાર’ દ્વારા મોટે પાયે આગોતરી જાહેરાત કરી. અને નાટક ભજવીને ભેગી થયેલી ૧,૪૦૦ રૂપિયાની રકમ કસરતશાળાને, ખર્ચ બાદ કર્યા વિના, આપી દીધી.

ખરું જોતાં હાથમાં લીધેલું કામ તો પૂરું થયું હતું. ભેગાં કરેલાં બધાં ફદિયાં તો આપી દીધાં, પણ નાટક ભજવવા માટે ભેગા કરેલા પોરિયાઓનું હવે કરવું શું? ફરી ફરામજીની મદદ લઈને એક નવી નાટક મંડળી ઊભી કરવાનો વિચાર આવ્યો. પણ અગાઉ કરતાં કૈંક જૂદું કરવાની ધગશ. અગાઉની પારસી નાટક મંડળીઓમાં તેના બધા નટ ભાગીદાર રહેતા. કાબરાજીએ ત્રણ-ચાર માલિક અને બીજા બધા પગારદાર નોકરો એવું માળખું રાખ્યું. વળી આ મંડળીને સલાહ-સૂચન આપવા માટે જાણીતા વિદ્વાનો અને શ્રીમંતોની એક કમિટી બનાવી. નાટક કંપનીના નિયમો ઘડ્યા તેમાં એક નિયમ એવો રાખ્યો કે કોઈ પણ નવું નાટક સૌથી પહેલાં માત્ર આ કમિટીના સભ્યોને જ બતાવવું. અને તેમની મંજૂરી મળે તો જ તેના જાહેર પ્રયોગ કરવા. એ જમાનાના અગ્રણી લેખક, પત્રકાર, સમાજ સુધારક સોરાબજી શાપુરજી બંગાળીએ નામ પાડ્યું વિક્ટોરિયા નાટક મંડળી.

પણ આ વિક્ટોરિયા નાટક મંડળી શરૂ ક્યારે થઈ? કોઈએ કહ્યું ૧૮૬૭માં થઈ, કોઈએ કહ્યું ૧૮૬૮માં. કોઈ કહે છે મુંબઈમાં થઈ, કોઈ કહે છે કે ના, ના, સ્થાપના તો દિલ્હીમાં થયેલી!  ખુદ કાબરાજી જેના તંત્રી હતા તે ‘રાસ્ત ગોફતાર’નો હવાલો આપીને પારસી પ્રકાશ (દફતર ૨, પાનું ૨૫૩) નોંધે છે કે કાબરાજીએ વિક્ટોરિયા નાટક મંડળીની સ્થાપના ૧૮૬૮ના મે મહિનાની ૧૬મી તારીખે મુંબઈમાં કરી હતી. જે સલાહકાર સમિતિ બનાવી તેના પ્રમુખ હતા વિનાયકરાવ જગન્નાથ શંકરશેઠ અને સમિતિના એક સભ્ય હતા ડો. ભાઉ દાજી. બાકીના સાત સભ્યો જાણીતા પારસીઓ હતા. કાબરાજી પોતે સમિતિના સેક્રેટરી હતા. આ નાટક મંડળીના પહેલવહેલા માલિકો હતા : દાદાભાઈ ઠુંઠી, ફરામજી ગુસ્તાદજી દલાલ, કાવસજી નસરવાનજી કોહીદારૂ, અને હોરમસજી મોદી. વખત જતાં આ નાટક મંડળીએ પોતાનાં નાટક ભજવવા માટે ગ્રાન્ટ રોડ પર વિક્ટોરિયા થિયેટર બંધાવ્યું હતું. 

પણ આ નાટક મંડળી સાથેનો કાબરાજીનો સંબંધ ઝાઝો ટક્યો નહિ. માલિકો સાથેના મતભેદને કારણે તેઓ છૂટા થયા અને ‘નાટક ઉત્તેજક મંડળી’ સ્થાપી. તેણે પહેલું નાટક ભજવ્યું તે કાબરાજીનું જ લખેલું ‘સૂડી વચ્ચે સોપારી.’ પણ તે ઝાઝું ચાલ્યું નહિ. કાબરાજીએ નક્કી કર્યું કે હવે પારસી નહિ પણ હિંદુ નાટક ભજવવું. એ જમાનાના જાણીતા નાટકકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો. એટલે કાબરાજીએ તેમની પાસે નાટકની માગણી કરી. અને હરિશ્ચન્દ્ર નાટક રણછોડભાઈએ તેમને આપ્યું. મૂળ તમિળ નાટકના અંગ્રેજી અનુવાદનો રણછોડભાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. રણછોડભાઈની પરવાનગી લઈને કાબરાજીએ નાટકમાં કાપકૂપ કરી, ગીતો ને નૃત્યો ઉમેર્યાં. ત્રણેક ગીતો રણછોડભાઈએ લખી આપ્યાં. કવીશ્વર દલપતરામનું એક પદ અને એક ગરબી ઉમેર્યાં, અને એક પદ કવિ નર્મદનું ઉમેર્યું. બાકીનાં ગાયનો કાબરાજીએ પોતે લખ્યાં. ખમાજ રાગની ઠુમરી પર અને પીલુ રાગમાં ગવાતી ગરબી પર નાચની તક ઊભી કરી. ૧૮૭૬માં રણછોડભાઈના અને પોતાના નામ સાથે આ નાટક છાપીને કાબરાજીએ પ્રગટ કર્યું. કાબરાજીએ ‘હરિશ્ચન્દ્ર’નાં રિહર્લસર શરૂ કર્યાં. એક બાજુથી ‘શુદ્ધ’ ગુજરાતી ગાવા-બોલવાની તાલીમ પારસી પોરિયાઓને આપતા જાય, બીજી બાજુથી વેશભૂષા, પડદા, સાધન-સામગ્રી એકઠી કરતા જાય. એટલું જ નહિ, એ બધાંનો ઉપયોગ કરવાની પારસી એક્ટરોને ટેવ પાડતા જાય. આ નાટક અંગે કાબરાજીને એટલો તો આત્મવિશ્વાસ કે ભજવવા માટે મુંબઈના ધોબી તળાવ પરની ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટની જગ્યા આખા એક વર્ષ માટે ભાડેથી મેળવી. અને ૧૮૭૪માં ખેલ શરૂ કર્યા. ખેલ વખતે દર્શકોની એટલી ભીડ થતી કે એ ઈમારતના દરવાજા ખેલ શરૂ થતાં પહેલાં અડધા કલાકે બંધ કરી દેવા પડતા. અને એ જમાનામાં એક વરસમાં તેના કેટલા પ્રયોગ થયા હશે? પૂરા અગિયાર સો. આ નાટકમાંથી ‘નાટક ઉત્તેજક મંડળી’ને એટલી કમાણી થઈ કે તેમાંથી તેણે ખાસ પોતાનાં નાટક ભજવવા માટે મુંબઈમાં ક્રાફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું. 

તેમાં પહેલું નાટક ભજવાયું તે રણછોડભાઈ ઉદયરામનું ‘નળ-દમયન્તી નાટક.’ આ નાટક જોવા માટે હિંદુ સ્ત્રીઓ બહુ મોટી સંખ્યામાં આવવા લાગી. પણ સાથે આવેલાં બાળકો રડતાં ત્યારે એક્ટરોને અને બીજા પ્રેક્ષકોને ખલેલ પડતી. એટલે નાટક કંપનીના કેટલાક ભાગીદારો કહે કે  બાળકોને સાથે લાવવાની મનાઈ ફરમાવીએ. પણ કાબરાજીએ જુદો રસ્તો લીધો. પહેલું તો બપોરે ખાસ ‘જનાના ખેલ’’શરૂ કર્યો અને એ વખતે પણ થિયેટરની લોબીમાં ઘોડિયાં મૂકાવ્યાં અને તેમાં સૂતેલાં બાળકોનું ધ્યાન રાખવા ખાસ માણસો રાખ્યા. તે પછી તો આ નાટકની લોકપ્રિયતા બેહદ વધી ગઈ. એટલે ત્રણ મહિના સુધી રોજે રોજ આ નાટક ભજવવું પડ્યું. ત્યાર બાદ આ જ થિયેટરમાં કાબરાજીએ કવિ નર્મદનું ‘રામજાનકીદર્શન’ નામનું નાટક કેટલાક ફેરફાર અને ઉમેરા સાથે ‘સીતાહરણ’ નામથી ૧૮૭૮માં ભજવવાનું શરૂ કર્યું. એ ખેલ વખતે ઘણા હિંદુ પ્રેક્ષકો ઊભા થઈને રામ-સીતાનાં પાત્રો ભજવનાર નટોને પગે લાગતા. 

પોતાના, નટોના, અને પોતાની નાટક કંપનીના સ્વમાનનો પણ કાબરાજી પૂરો ખ્યાલ રાખતા. એક વખત એક અમીરે પોતાના બંગલામાં નાટક ભજવવા આમંત્રણ આપ્યું. બધા ખર્ચ ઉપરાંત માત્ર એક ખેલ માટે એક હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ) આપવાની ઓફર કરી. બીજા ભાગીદારો તૈયાર હતા, પણ કાબરાજીએ કહ્યું કે આપણે કાંઈ મદારી નથી કે કોઈને ઘરે જઈને ખેલ કરીએ. આવું કરીએ તો ‘જેન્ટલમેન’ ખેલાડીઓની મંડળીને અને તેની મોભાદાર કમિટીને નીચાજોણું થાય. એટલે તેમણે વિનયપૂર્વક એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. થોડા વખત પછી વધુ મોટી મુશ્કેલી. નાટક ઉત્તેજક મંડળીની કમિટીના એક સભ્યને ઘરે લગ્નપ્રસંગે નાટક ભજવવા એ સભ્યે જણાવ્યું અને તે માટે ૫૦૦ રૂપિયા આપવાની તૈયારી બતાવી. ઘણા સભ્યોને થયું કે હવે કાબરાજી બરાબરના ફસાયા છે. પણ કાબરાજીએ દલીલો કરીને બહુમતિ સભ્યોને પોતાની સાથે લઈ લીધા અને આ આમંત્રણ પણ સ્વીકાર્યું નહિ.

ભલે આડકતરી રીતે, પણ કાબરાજીએ ભજવેલું હરિશ્ચન્દ્ર નાટક મુંબઈમાં બિન-પારસી ગુજરાતી રંગભૂમિના મંડાણનું નિમિત્ત બન્યું. મુંબઈની નિશાળોના કેટલાક ગુજરાતી મહેતાજીઓ – એ વખતે ‘શિક્ષક’ શબ્દ પ્રચલિત નહોતો થયો – હરિશ્ચન્દ્ર નાટકનો એક ‘સોલ્ડ આઉટ’ શો મેળવવા માટે નાટક ઉત્તેજક મંડળીના ફરામજી ગુસ્તાદજી દલાલ ઉર્ફે ‘ફલુઘૂસ’ પાસે ગયા. તેઓ દાયકાઓથી પારસી રંગભૂમિ સાથે સંકળાયેલા હતા, રણછોડભાઈના મિત્ર હતા. પણ સ્વભાવે આખાબોલા જ નહિ, કડવાબોલા અને તોછડા. મહેતાજીઓએ એક શો માટે ૩૦૦ રૂપિયા આપી શકશું એમ કહ્યું. ફરામજી કહે કે ૫૦૦ કરતાં એક દમડી બી ઓછી નહિ લઉં. મહેતાજીઓ કહે : એટલા બધા તો અમને ન પરવડે. ફલુઘૂસ તાડૂક્યા : ‘જા, જા, વાનિયા! તારે વેપલો કરવો હોય તો મૂક ૫૦૦ મારી ટેબલ પર, નહિતર નીચી મૂંડી કરી ચાલતો થા.’ આ સાંભળી નરોત્તમ નામના મહેતાજીને લાગી આવ્યું. કહે : ‘વાંધો નહિ. અમે અમારી હિંદુ નાટક મંડળી કાઢશું’. આ સાંભળી ફલુઘૂસ વધારે વિફર્યા : ‘અલ્યા વાનિયા! તું સ્ટેજ ઉપર એક ઉંદરડી સરખી પન ચલાવી નહિ સકે!’  

દુભાયેલા મહેતાજીઓ ગયા રણછોડભાઈ પાસે. કહે : મરાઠીમાં નાટક મંડળીઓ નાટક કરે, હિન્દી નાટકો ભજવાય, પારસી નાટક મંડળીઓ નિયમિત રીતે નાટકો કરે. તો ગુજરાતી નાટક મંડળી કેમ નહિ? રણછોડભાઈએ પહેલાં તો તેમને વારવાનો પ્રયત્ન કર્યો : ‘નાટક કરવાં એ કાંઈ ખાવાના ખેલ નથી. ના આવડે તો આ ધંધો, સમય, પૈસા ને આબરૂ ખોવાનો ધંધો બને.’ પણ મહેતાજીઓ અડગ છે તેવી ખાતરી થતાં રણછોડભાઈએ ૧૮૬૬માં પ્રગટ થયેલ પોતાના ‘લલિતા દુઃખદર્શક નાટક’ની પાંચ નકલ કબાટમાંથી કાઢીને મહેતાજીઓના હાથમાં મૂકી. કહે : ‘પહેલાં આ વાંચી જાવ. પછી મારી પાસે આવજો.’ નરોત્તમ મહેતાજીએ તરત જવાબ આપ્યો કે આ નાટક મેં ૬૫ વખત વાંચ્યું છે. બીજા, જયશંકર કહે કે મેં ૭૫ વાર વાંચ્યું છે. 

રણછોડભાઈને ખાતરી થઈ કે આ લોકો ખાલી વાતો કરતા નથી, મહેનત કરવા પણ તૈયાર છે. એટલે નવ કલાક ચાલે એટલા લાંબા નાટકમાં કાપકૂપ કરીને તેને પાંચ કલાકનું બનાવ્યું. ૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે રણછોડભાઈના આશીર્વાદ સાથે ‘ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના થઈ. મુંબઈની આ પહેલી બિન-પારસી ગુજરાતી નાટક મંડળી. લલિતા દુઃખદર્શકનું દિગ્દર્શન કરવાની જવાબદારી પણ રણછોડભાઈએ ઉપાડી. નાટક મંડળીઓ સાથે કાબરાજી જે શરત કરતા તે જ શરત રણછોડભાઈએ પણ કરી : પહેલો પ્રયોગ માત્ર આમંત્રિતો માટે. તેમને પસંદ પડે તો જ જાહેર પ્રયોગ. ગ્રાન્ટ રોડ પરના વિક્ટોરિયા થિયેટરમાં પહેલો પ્રયોગ થયો તે આમંત્રિતોને ખૂબ પસંદ પડ્યો. રાતે આઠ વાગે શરૂ થયેલો ખેલ વહેલી સવારે સાડા ત્રણે પૂરો થયો. પછી તો ગુજરાતી નાટક મંડળીએ તેના ૯૦ જેટલા પ્રયોગ કર્યા. આપણે ત્યાં એક એવો ખ્યાલ વહેતો થયો છે કે ‘જૂની રંગભૂમિ’ એટલે ભાંગ વાડી અને દેશી નાટક સમાજ. પણ હકીકતમાં આ ગુજરાતી નાટક મંડળી દ્વારા બિન—પારસી ‘શુદ્ધ’ ગુજરાતી નાટક મંડળીઓની શરૂઆત થઈ.

૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપના થઈ ત્યારે કાબરાજી તેના પ્રશંસક હતા. પણ પછી ધીમે ધીમે કાઁગ્રેસ વિરોધી અને બ્રિટિશ સરકાર તરફી બની ગયા. છતાં ગાંધીજી તેમને મળવા જતા. ૧૯૪૫માં આગાખાન જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજી નબળી તબિયતને કારણે આરામ કરવા એક મહિનો પાંચગણી રહેલા. ત્યાંની બાથા સ્કૂલમાં કાબરાજીનાં પૌત્રી જરબાનુને મળવાનું થયું. ત્યારે ગાંધીજીએ કહેલું : “કાબરાજી તો એડિટર હતા, અને મેં તો બધા એડિટરોની સીડી ભાંગેલી. તે વેળા મારી કિંમત હતી બદામની. ‘મહાત્મા’ તો પાછળથી થયો – એ તો બધા ઢોંગ. કાબરાજી સરકાર પક્ષના હતા પણ પાછળથી મારી ઉપર જરા પ્રસન્ન થયેલા.” પછી કહે : “એક વાર કાબરાજીની દીકરીઓએ મુંબઈમાં ‘બોલે તેનાં બોર વેચાય’ ગીત ગાયેલું તે ગીત હજી મારા કાનમાં ગણ ગણ ગણ ગણ થઈ રહ્યું છે. તે તમને આવડે છે?” સારે નસીબે જરબાનુએ વડીલો પાસેથી આ ગીત સાંભળેલું. એટલે તે જ દિવસે સ્કૂલની થોડી છોકરીઓને તૈયાર કરાવી બીજે દિવસે સવારની પ્રાર્થના સભામાં ગવડાવ્યું. ‘સ્ત્રીબોધ’ના ૧૯૪૫ના સપ્ટેમ્બર-ઓક્ટોબર અને નવેમ્બર, એમ બે અંકમાં પ્રગટ થયેલા ‘પાંચગણીમાં મહાત્માજી’ લેખમાં જરબાનુ લખે છે : “આ ગીત જે રીતે અમે ગાયું તે કાંઈ બાપુજીને પસંદ પડ્યું નહિ. કહેવા લાગ્યા કે “તે બહેનો તો સરસ ગાનારી હતી. એ ગીતનો રાગ તો ઊંચે જાય છે. પણ હું કંઈ તમારા ગાયનની ટીકા કરવા નથી માગતો.”   

કાબરાજીના અવસાન પછી કવિ અરદેશર ફરામજી ખબરદારે લખ્યું :

લેખકનો સરદાર ગયો, નિજ લેખણની તલવાર ચલાવી;

કોણ હવે સરદારી ધરી રણમાંહે રહે અતિ શૌર્ય મચાવી!

બંધ થયો મધુ વાણીપ્રવાહ, ગયો કહિ અમૃતપાન કરાવી? 

કેખુશરો! લઇ તેજ ગયો, અમ માટ રહી અહિ વાટ અંધારી.  

E.mail :  deepakbmehta@gmail.com
પ્રગટ : “ઊહાપોહ:૨”; જુલાઈ–સપ્ટેમ્બર 2025 

Loading

નાગરિકોનો મતાધિકાર ઝૂંટવી લેવાનું કાવતરું એટલે SIR? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|6 November 2025

હેમંતકુમાર શાહ

PUCL દ્વારા અમદાવાદમાં ગઈ કાલે SIR વિશે યોજાયેલી એક સભામાં આપેલા ટૂંકા પ્રવચનના મુખ્ય મુદ્દા :

(૧) ગુજરાત સહિતનાં ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનો વિશેષ સઘન સુધાર (SIR) કાર્યક્રમ ચોથી નવેમ્બરથી ત્યારે શરૂ થયો છે કે જ્યારે બિહારમાં SIRની જે પ્રક્રિયા થઈ છે તેની કાયદેસરતા અને બંધારણીયતા વિશે સર્વોચ્ચ અદાલતમાં અરજી થઈ છે. અદાલતનો ચુકાદો આવવાનો બાકી છે ત્યારે શા માટે ૧૨ જગ્યાએ એ જ પ્રક્રિયા થઈ રહી છે? ચૂંટણી પંચને આટલી ઉતાવળ કેમ છે? 

(૨) મતદાર યાદીમાં પોતાનાં નામ ચકાસવા માટે ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ આપવામાં આવી છે. ગુજરાતમાં કેટલા લોકો કોઈ પણ વેબસાઇટ જોતા હશે? એ જ રીતે, ટોલ ફ્રી ફોન નંબર પણ આપવામાં આવ્યો છે. પણ એ વારંવાર એન્ગેજ્ડ આવે અથવા કોઈ ફોન ઉપાડે જ નહીં તો શું?  

(૩) મૂળભૂત સવાલ તો મતાધિકારનો છે. બિહારમાં ૬૫ લાખ લોકોનાં નામ મતદાર યાદીમાંથી બાકાત કરી નાખવામાં આવ્યાં છે. કેમ રદ્દ કરવામાં આવ્યાં તેનું કોઈ કારણ તેમને આપવામાં આવ્યું જ નથી. આમ, કોઈ મતવિસ્તાર નહીં, કોઈ એક બેઠક નહીં પણ આખું રાજ્ય કબજે કરવાનો ભા.જ.પ.નો કારસો છે, કાવતરું છે અને તે ચૂંટણી પંચની મિલીભગતથી અમલમાં મૂકાઈ રહ્યું છે.

(૪) લોકશાહીનો ખાતમો બોલાવવાની જે પ્રક્રિયા ગુજરાતમાં ૨૫ વર્ષથી અને દેશમાં ૧૧ વર્ષથી ચાલી રહી છે, SIR તેનો જ ભાગ છે. લોકશાહીમાં લોકો મતાધિકાર ધરાવે છે અને પોતાના શાસકને ચૂંટે છે. હવે એ અધિકાર ઝૂંટવી લેવામાં આવી રહ્યો છે એમ લાગે છે. બહુમતી મત પોતાને જ મળે અને પોતાની જ સરકારો રચાય એવી ભા.જ.પ.ની લુચ્ચી ચાલમાં ચૂંટણી પંચ SIR દ્વારા સાગરીત બની રહ્યું છે. 

(૫) ચૂંટણી પંચનું કામ તો મતદાર યાદી તૈયાર કરવાનું છે. એને બદલે એ કોઈ વ્યક્તિ ભારતની નાગરિક છે કે નહીં તે ચકાસી રહ્યું છે. એ તેનું કામ છે જ નહીં. 

(૬) ગુજરાતમાં માત્ર ત્રણ મહિના અને ચાર દિવસમાં મતદાર યાદીઓ સુધારવાની આ આખી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે! કેટલી બધી ઉતાવળ છે આમાં! આ ઝડપ આશ્ચર્યજનક છે કારણ કે અગાઉ જ્યારે પણ આ પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે તે ઓછામાં ઓછી છ મહિના ચાલી હતી. ખાસ કરીને નાગરિકો માટે પુરાવા ભેગા કરવાનું કામ આસાન હોતું નથી. 

(૭) ઝડપ થાય તો ખાસ કરીને સ્થળાંતરિત મજૂરો અને અન્ય બીજા ઘણા નાગરિકો મતદાર યાદીમાંથી બાકાત થઈ જાય એવી સંભાવના રહે જ છે. દેશમાં આશરે ૧૫ કરોડ સ્થળાંતરિત મજૂરો છે. 

(૮) ૧૯૪૮ની માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાની કલમ-૨૧ કહે છે કે, “દરેક વ્યક્તિને સીધી રીતે અથવા તો મુક્ત રીતે પસંદ કરાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના દેશની સરકારમાં ભાગીદાર થવાનો અધિકાર છે.” SIR દ્વારા મતાધિકારથી વ્યક્તિને વંચિત રાખવામાં આવે તો તે તેનો પાયાનો આ અધિકાર ખોઈ બેસે છે. 

(૯) ભારતના બંધારણમાં કલમ-૧૯(એ)માં નાગરિકનો અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર લખવામાં આવ્યો છે. મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકો શાસકો પ્રત્યે અને રાજવહીવટની વ્યવસ્થા પ્રત્યે પોતાનો મત અભિવ્યક્ત કરે છે. હવે જો મતાધિકારથી જ નાગરિક વંચિત રહી જાય તો નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો જ લોપ થઈ જાય છે.

(૧૦) અત્યારે ૨૦૦૩ની મતદાર યાદીને આધાર ગણવામાં આવી રહી છે. તેમાં જેનું નામ નહીં હોય તેણે પુરાવા આપવા પડશે. આ પુરાવામાં આધાર કાર્ડને ઓળખનો પુરાવો ગણવામાં આવશે, નાગરિકતાનો નહીં. આધાર કાર્ડ કઢાવવા માટે જે પુરાવા આપવા પડે છે તે પુરાવા હવે ચૂંટણી પંચ માગે છે! જો પુરાવો ન અપાય તો તેનું નામ મતદાર યાદીમાંથી રદ્દ થઈ જાય! હવે એ વ્યક્તિએ આ ૨૨ વર્ષના ગાળા દરમ્યાન પંચાયતો કે પાલિકાઓ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મત આપ્યો હોય અને સરકારો રચવામાં ફાળો આપ્યો હોય તો તેનો અર્થ શું?  

(૧૧) રેશન કાર્ડને પણ ચૂંટણી પંચ પુરાવા તરીકે ગણવા તૈયાર નથી એ એક આશ્ચર્ય છે. એમ કરીને પંચ સામાન્ય માણસોને હેરાન કરી રહ્યું છે. 

૦૬-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લોકોએ જે કરવું હતું એ જ કર્યું !

રમેશ સવાણી|Opinion - Opinion|6 November 2025

એક આફ્રિકન બોધકથા છે. એમાં એક કાગડો રાજાનો ભાઈબંધ છે. એક દિવસ એ કાગડો રાજાને કહે છે : બધા લોકો કોયલનાં વખાણ કરે છે પણ મારાં વખાણ તો કરતા જ નથી. તમે એવું કંઈક કરો જેથી લોકો મારાં વખાણ કરે. બીજા જ દિવસે રાજાએ એક વટહુકમ બહાર પાડ્યો : હવે પછી આપણે બધાંએ કાગડાને ‘કોયલ’ કહેવો અને કોયલને ‘કાગડો’. 

લોકો એ વટહુકમનો આદર કરવા લાગ્યા બધા કાગડાને કોયલ કહેવા લાગ્યા. પણ જ્યારે સ્વરનાં વખાણ કરવાનાં આવે ત્યારે બધા ‘ભૂતપૂર્વ કોયલ’ એટલે કે ‘સમકાલીન કાગડા’નાં જ વખાણ કરે. 

પાછો કાગડો રાજા પાસે ગયો. કહે : મહારાજ, એક વટહુકમ બહાર પાડીને મારો કંઠ બદલી નાખો. તો મહારાજ કહે : મિત્ર, રાજા તરીકે મારી પણ કેટલીક મર્યાદાઓ હોય છે. હું નામ બદલી શકું; કંઠ નહીં. 

આ બોધકથા મેં અનેક મિત્રોને, વિદ્યાર્થીઓને, (જાહેરમાં) અનેક શ્રોતાઓને પણ કહી છે. અને બધાંને પૂછ્યું છે કે આ બોધકથામાંથી તમે શો બોધ તારવશો? લગભગ બધાંએ એમ કહ્યું કે રાજા પ્રકૃતિને ન બદલી શકે. અર્થાત્ સત્તા પ્રકૃતિ ન બદલી શકે. જો કે, નરેન્દ્રભાઈ તો અદાણી અંબાણી માટે પ્રકૃતિ પણ બદલી નાખે. કંઈ કહેવાય નહીં. 

દરેક બોધકથામાં હોય છે એમ આ બોધકથામાં પણ એક trap છે. એથી હું બોધકથા વિશે જરા જુદી રીતે વિચારું છું. મને લાગે છે કે આ બોધકથામાં પ્રજા રાજા કહે એમ કરે છે પણ એમ કરીને એ મૂળ સત્ય બદલતી નથી. એ કાગડાને ‘કોયલ’ કહે છે. જેવો મહારાજાનો હુકમ. પણ જ્યારે કંઠનાં વખાણ કરવાનાં આવે ત્યારે કોયલના કંઠનાં જ વખાણ કરે. એ કોયલના સત્યનો આદર કરે છે.

ઝોહરાન મમદાની

એ (મૂળ ગુજરાતી, ઉંમર 34) રોટી, કપડાં અને મકાનની વાત કરી વિશ્વના સૌથી વધુ સમૃદ્ધ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણી જીતી છે. ભારત કા મીડિયા ‘રોટી, કપડાં, મકાન અને રોજગારની વાત કરનારને દેશદ્રોહી ઘોષિત કરે છે ! ટ્રમ્પે ધમકી આપેલી કે જો મમદાનીને ચૂંટશો તો ન્યૂયોર્ક શહેરને ફંડ આપતાં પહેલાં મારે વિચાર કરવો પડશે. ન્યૂયોર્કની કેટલીક કંપનીઓના CEOએ કહ્યું કે જો મામદાનીને ચૂંટશો તો અમે ન્યૂયોર્ક છૌડીને બીજે ક્યાંક જતા રહીશું. ટેક્સાસના ગર્વનરે કહ્યું કે જો ન્યૂયોર્કની કંપનીઓ મારા ત્યાં આવશે તો હું એમના પર 100% tariff નાખીશ. સાલું આ tariff પણ ખરું શસ્ત્ર છે. ગ્લોબલાઈઝેશને આપેલું.

તો કેટલાક Republican નેતાઓએ ટ્રમ્પને વિનંતી કરી કે આ માણસ યહૂદીઓનો વિરોધી છે, એને કારણે આપણી વિદેશનીતિ પર અવળી અસર પડશે. એનું નાગરિકત્વ છીનવી લો. કેટલા ય લોકોએ એને ‘સામ્યવાદી’ અને ‘સમાજવાદી’ની ગાળો દીધી. 

ટૂંકમાં, અનેક રાજાઓએ મામદાનીની સામે અનેક વટહુકમો બહાર પાડ્યા અને લોકોએ એ વટહુકમોનો વિરોધ ન કર્યો પણ જ્યારે મત આપવાનો આવ્યો ત્યારે કોયલને અન્યાય ન કર્યો. એ લોકોએ જે કરવું હતું એ જ કર્યું.

મૂડીવાદ અને એમાં પણ ખાસ કરીને નિઓ-મૂડીવાદ સાવ જ નિષ્ફળ ગયો છે. પણ, એ સમૂહમાધ્યમો અને સામાજિક માધ્યમોના ઘાસચારા પર નભી રહ્યો છે. તમે જુઓ કે આ મૂડીવાદનાં વિદ્વાનોએ કેવાં કેવાં નામ આપ્યાં છે : late Capitalist Fascism (Mikkel Bolt Rasmussen), The playstation Dreamworld (Alfie Bown), Cryptocommunism (Mark Alizart), Platform Capitalism (Nick Srnicek), Narcocapitalsim (Laurent de Sutter), Paranoid Finance (Fabian Muniesa), Pornocapitalism  (Byung-Chul Han), Emotional Capitalism (Eva Illouz), Affective Capitalism (Brian Massumi, Patricia Clough), Surveillance Capitalism (Shoshana Zuboff), Info-Capitalism / Cognitive Capitalism (Yann Moulier-Boutang, Franco “Bifo” Berardi), Data Capitalism (Nick Srnicek). હજી આ યાદી હું લંબાવી શકું એમ છું. એ માટે મારે ઊભા થઈને મારા પુસ્તકાલયમાં આવેલા નિઓલિબરલ અર્થતંત્ર પરનાં પુસ્તકો જોવાં પડે. આ બધાં જ નામ મૂડીવાદ દેવના અલગ અલગ ચહેરાને સૂચવે છે. એને કોઈ એક ચહેરો નથી.

મામદાનીનું એક જ જમા પાસું છે : પોતે જે રાજકીય વિચારધારામાં માને છે એને એમણે જરા પણ છુપાવી નથી. એમણે પોતાને સમાજવાદી-ડેમોક્રેટ તરીકે ઓળખાવ્યા છે. ઘણા ડેમોક્રેટોને એ વાત ગમી નથી. કયો રાજકારણી આજના જમાનામાં પોતાને સમાજવાદી કહેવા તૈયાર થશે? 

પણ, ઝિઝેક, બાદિયુ જેવા અનેક ફિલસૂફો કહે છે કે હવે પછી જે રાજકીય પક્ષો સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને ઓળખી શકશે એ જ રાજકીય પક્ષો સત્તા પર આવી શકશે. કેમ કે દિનપ્રતિદિન એ વર્ગ સતત વિસ્તરતો જાય છે.

જો કે, મારું માનવું છે કે ભારતમાં એવું નહીં થાય. ભારતમાં ગરીબ માણસ પાસે કર્મનો સિદ્ધાન્ત છે અને એને તાવ આવે છે ત્યારે એ બે કામ કરતો હોય છે. સૌ પહેલાં તો એ તાવની દવા લેતો હોય છે અને પછી કોઈક માતાની કે બાપાની કે પીરની બાધા રાખતો હોય છે. પછી એ સાજો થઈ જાય ત્યારે માતાની કે બાપાની કે પીરની બાધા કરતો હોય છે અને એમ માનતો હોય છે કે એમની કૃપાથી જ એનો તાવ ગયો. નહીં તો એ ઉપર પહોંચી ગયો હોત. એ પેલી દવાને ભૂલી જતો હોય છે.  

[સૌજન્ય : બાબુ સુથાર, ભાષાવિજ્ઞાની, સર્જક, Philadelphia, USA]
05 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

1234...102030...

Search by

Opinion

  • નાગરિકોનો મતાધિકાર ઝૂંટવી લેવાનું કાવતરું એટલે SIR? 
  • લોકોએ જે કરવું હતું એ જ કર્યું !
  • વિશ્વધાનીમાં મેયર મમદાની : ફૂટતું પ્રભાત ને સંકેલાતી રજની
  • નેહરુ વિશે જૂઠાણાં શા માટે ફેલાવવામાં આવે છે? 
  • સોમનાથનો સ્વીકાર ને અયોધ્યાનો અસ્વીકાર: આ કેવી સરદારી?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved