માર્ચ મહિનામાં લદ્દાખમાં તાપમાન માઇનસ ડિગ્રી સુધી જાય છે, પરંતુ બાકી દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ગરમી વધી રહી છે ત્યારે, લેહમાં પણ રાજકીય ગરમીનો પારો ચઢી રહ્યો છે. ત્યાં પર્યાવરણવાદી સોનમ વાંગચુક દ્વારા શરૂ કરવામાં આવેલી ‘આમરણ’ ભૂખ હડતાળ હવે એક મોટો રાજકીય મુદ્દો બની રહી છે. તેમણે છઠ્ઠી માર્ચે ભૂખ હળતાળ શરૂ કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે તેમનો વિરોધ 21 દિવસના તબક્કામાં થશે.
એક સમય હતો જ્યારે દેશભરની ચેનલો સોનમ વાંગચુકનો ઇન્ટરવ્યુ લેવા માટે લદ્દાખની મુલાકાત લેતી હતી. આમિર ખાને તેમના જીવન પર ‘3 ઇડિયટ્સ’ ફિલ્મ બનાવી ફિલ્મો હતી. હવે એ જ સોનમ વાંગચુક શૂન્યથી 10 ડિગ્રી તાપમાનમાં ખુલ્લા આકાશમાં 21 દિવસની ભૂખ હડતાળ પર છે. લદ્દાખના લોકોને અમલદારશાહી નહીં, પરંતુ લોકોનું શાસન જોઈએ છે.
છેલ્લાં બે વર્ષથી લદ્દાખના લોકો તેમની જમીન, નોકરીઓ અને વિશિષ્ટ ઓળખની સુરક્ષા માટે રાજ્યનો દરજ્જો અને બંધારણીય બાંયધરી માટે આંદોલન કરી રહ્યા છે. તેમની ચાર પ્રમુખ માંગણીઓ છે :
1. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો
2. છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ
3. લદ્દાખમાં જાહેર સેવા આયોગની સ્થાપના
4. લદ્દાખ માટે બે સાંસદો
લદ્દાખની વસ્તી આશરે ત્રણ લાખ છે. લેહ અને કારગિલના જોડિયા જિલ્લાઓનો વહીવટ અગાઉ અનુક્રમે માત્ર બે નાયબ કમિશનરો દ્વારા કરવામાં આવતો હતો. તેનાથી વિપરીત, લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશનું સંચાલન લેફ્ટનન્ટ ગવર્નર, એક સલાહકાર, એક મુખ્ય સચિવ, ત્રણ કમિશનર સચિવો, ચાર સચિવો, એક આઇ.જી. લદ્દાખ પોલીસ, ડી.આઇ.જી., બે એસ.એસ.પી., પાંચ એસ.પી. અને અગાઉની રાજ્ય સેવાઓના પુષ્કળ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, જેના પરિણામે અમલદારશાહીમાં ગૂંચવણ પેદા થાય છે.
આશ્ચર્ય એ છે કે, ચાર વર્ષથી વધુ સમય પછી, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ભરતીના ગેઝેટેડ નિયમો નથી, નિવાસસ્થાનની સ્પષ્ટતા નથી અને લદ્દાખમાં સ્વદેશી જનજાતિઓનો અંદાજ – પરંતુ તેની પાસે એક ઔદ્યોગિક નીતિ છે જે પ્રદેશની નાજુક ઇકોલોજી માટે ચિંતા ઊભી કરે છે.
સોનમ વાગચુંગ લદ્દાખ પ્રદેશને ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ભૂખ હડતાળ પર છે. કેન્દ્ર સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ વાંગચુકે 6 માર્ચે ભૂખ હડતાળ શરૂ કરી હતી. આ માટે તેમણે લેહમાં નવાંગ દોર્જે મેમોરિયલ પાર્કની પસંદગી કરી છે. લદ્દાખના જુદા જુદા ભાગો સહિત દેશભરના લોકો આ ઉપવાસને સમર્થન આપી રહ્યા છે.
19 ફેબ્રુઆરી 2024ની વાતચીતના થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની પણ રચના કરી હતી. વાટાઘાટોનો આ રાઉન્ડ 19થી 23 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો, પછી ફરીથી 4 માર્ચે, પરંતુ કોઈ સમજૂતી થઈ ન હતી.
છઠ્ઠી અનુસૂચિ આદિવાસી અધિકારોના રક્ષણની જોગવાઈ કરે છે. છઠ્ઠી અનુસૂચિ હેઠળના વિસ્તારો સ્વાયત્તતા પણ ધરાવે છે અને જમીન અને અન્ય કુદરતી સંસાધનોના સંદર્ભમાં કાયદા અને નિયમો બનાવી શકે છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ સત્તાઓ આપતી બંધારણની કલમ 370ને કેન્દ્ર દ્વારા રદ્દ કરવામાં આવ્યા બાદ લદ્દાખ 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું હતું.
આ મહિનાની શરૂઆતમાં લેહથી બોલતા, સોનમ વાગચુંગે વિરોધ પહેલાં તેમના સંબોધનમાં બે અપીલો કરી હતી; પહેલી આપીલ તમામ લોકોને સરળ જીવન જીવવાની હતી અને બીજી અપીલ કેન્દ્ર સરકારને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખને સામેલ કરવાના તેના વચનને પૂર્ણ કરવા અને આ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવા માટેની હતી.
સોનમ વાંગચુક પર્યાવરણની પણ ચિંતા કરે છે. તેમણે કહ્યું હતું “અમે લદ્દાખની ટેકરીઓને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. ભારતીય બંધારણમાં એક ખૂબ જ વિશેષ જોગવાઈ છે, જેને કલમ 244ની છઠ્ઠી અનુસૂચિ કહેવામાં આવે છે. તે લદ્દાખ જેવા આદિવાસી પ્રદેશના લોકો અને સંસ્કૃતિઓને સુરક્ષા પૂરી પાડે છે અને અન્ય લોકોની દખલ વિના આ સ્થળોનો વિકાસ કેવી રીતે કરવો તે નિશ્ચિત કરે છે શકે છે.”
સોનમ વાંગચુકના અંદોલનને ટેકો આપનાર સ્થાનિક રહેવાસી થિનલેસ દોર્જેએ એક હિન્દી મીડિયાને કહ્યું હતું કે અંદોલનને ટેકો આપવા માટે દરરોજ લગભગ એક હજાર લોકો ભૂખ હડતાળ સ્થળ પર આવી રહ્યા છે. સમર્થનમાં આવેલા તમામ લોકો લદ્દાખના સ્થાનિક રહેવાસીઓ અને નાગરિક સમાજ સાથે સંકળાયેલા લોકો છે.
3 ફેબ્રુઆરીના રોજ લેહમાં કડકડતી ઠંડીમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ કેન્દ્ર સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ભાગ લીધો હતો. પ્રદર્શન ઉપરાંત લદ્દાખ બંધ રહ્યું હતું. તેમાં એપેક્સ બોડી લેહ (એ.બી.એલ.) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ(કે.ડી.એ.)એ બંધ અને પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. આ બંને સામાજિક, ધાર્મિક અને રાજકીય સંગઠનો છે જે લદ્દાખની ચાર માંગણીઓ માટે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે.
બી.બી.સી.એ લદ્દાખમાં કરેલી તપાસમાં લોકો તરફથી ખબર પડી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશની રચના પહેલા લદ્દાખના લોકો જમ્મુ-કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશનમાં ગેઝેટેડ પદ માટે અરજી કરી શકતા હતા, પરંતુ હવે આ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે.
2019 પહેલાં, જમ્મુ અને કાશ્મીર સર્વિસ સિલેક્શન બોર્ડ નોન-ગેઝેટેડ નોકરીઓ માટે ભરતી કરતું હતું અને તેમાં લદ્દાખમાંથી પણ ઉમેદવારો રહેતા હતા. પરંતુ હવે આ નિમણૂકો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે.
આ કમિશન એક બંધારણીય સંસ્થા છે જે કેન્દ્ર સરકાર માટે ભરતી કરે છે. અલગ કેન્દ્રશાસિત પ્રદેશની રચના થઈ ત્યારથી, લદ્દાખમાં નોકરીઓ માટે નોન-ગેઝેટેડ ભરતી ઝુંબેશ મોટા પાયે હાથ ધરવામાં આવી નથી, જેના કારણે લદ્દાખના યુવાનો ગુસ્સે થયા છે.
કેન્દ્ર સરકારે કલમ 371ની તર્જ પર વિશેષ જોગવાઈઓ લંબાવવાની પેશકશ કરી છે, પરંતુ તેણે છઠ્ઠી અનુસૂચિની માંગને સ્વીકારી નથી. અત્રે એ યાદ રાખવા જેવું છે કે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠનની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે લદ્દાખ અને કારગિલ બંનેએ આ નિર્ણયને આવકાર્યો હતો કારણ કે ત્યારે તેઓ આને સંપૂર્ણ રાજ્ય તરફ એક પગલાં તરીકે જોતા હતા.
પરંતુ લદ્દાખ લેફ્ટનન્ટ ગવર્નરના નેતૃત્વ હેઠળ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું ત્યારે લોકોનો ઓસરી ગયો હતો. જો કે, તેઓ એવી આશા પર અડગ રહ્યા કે બંને જિલ્લા પરિષદોને છઠ્ઠી અનુસૂચિ હેઠળ સમાન દરજ્જો મળશે.
જો કે, તેમાં પણ કોઈ પ્રગતિ ના થતાં વાંગચુક તેમ જ લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ ગયા વર્ષથી એક થયા હતા. તેમણે તેમનો પ્રથમ મોટો વિરોધ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2023માં યોજ્યો હતો, જેમાં વાંગચુકે ગયા જૂનમાં બીજો “આબોહવા ઉપવાસ” શરૂ કર્યો હતો. 3 ફેબ્રુઆરી 2024ના રોજ, બંને સંગઠનોએ લેહમાં બંધનું એલાન કર્યું હતું અને તે વખતે સાંસ્કૃતિક ઓળખ, પર્યાવરણ, સ્થાનિક લોકો માટે નોકરીમાં અનામત અને લેહ અને કારગિલ માટે એક-એક સંસદીય બેઠકની માંગ સાથે હજારો લોકો એકત્ર થયા હતા.
લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ લદ્દાખનું અંદોલન પણ રાજકીય ગરમી પકડી રહ્યું છે. વાંગચુકને પણ લાગે છે કે આ જ એક સમય છે જ્યારે તેઓ દેશનું, સરકારનું અને રાજકીય પક્ષોના ધ્યાન તેમની માંગણીઓ તરફ ખેંચી શકે છે.
તેમને લાગે છે કે સરકારને ચૂંટણીની ચિંતા છે, લાદ્દાખીઓની નહીં. એટલા માટે વાંગચુકના સમર્થકો 24મી માર્ચે દેશભરમાં ભૂખ હડતાળ પણ કરવા જઈ રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ તેમની સાથે જોડાઈ રહી હોવાનો તેમનો દાવો છે. તેમને લાગે છે કે કેન્દ્ર સરકાર વચન પાળશે નહીં અને તે લોકો રાહ જોતા રહી ગયા હતા. ચાર વર્ષમાં વિવિધ બેઠકોમાં આ મુદ્દાઓ પર ઘણી વખત ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ 4 માર્ચે સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો હતો.
વાંગચુકે કહ્યું છે કે, “જમ્મુ-કાશ્મીરમાં પુનઃસ્થાપના થઈ રહી છે, પરંતુ લદ્દાખમાં નહીં. જ્યાં સુધી સરકાર તરફથી આશ્વાસન નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન નહીં રોકીએ. કાઁગ્રેસે અમને આ વચન આપ્યુ છે, પરંતુ ભા.જ.પ. એમ નથી કહેતો કે તે પોતાનું વચન પૂરું કરશે. આ મુદ્દો તેમના ઘોષણાપત્રમાં પણ હતો, પણ તે તેને પૂરો નથી કરતા.”
તેમણે કહ્યું હતું કે, “લદ્દાખમાં ભારેભાર ગુસ્સો છે. અમારું આંદોલન ચાલુ છે. લદ્દાખ એક સંવેદનશીલ સરહદ છે, પરંતુ કેન્દ્ર આ બાબતે ગંભીર જણાતું નથી. કેન્દ્રએ વર્ષ 2019માં લદ્દાખના લોકોનું દિલ જીતી લીધું હતું, પરંતુ હવે એવું લાગે છે કે તેમણે અમને આસમાનમાંથી બચાવીને ખજૂર પર અટકાવી દીધા છે.”
એક્સ (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટમાં વાંગચુકે લખ્યું છે, “આ સરકાર ભારતને ‘લોકશાહીની માતા’ કહેવાનું પસંદ કરે છે, પરંતુ જો ભારત લદ્દાખના લોકોને લોકશાહી અધિકારોથી વંચિત રાખતું હોય અને તેને નવી દિલ્હીથી નિયંત્રિત અમલદારોને આધીન રાખતું હોય, તો તેને લદ્દાખના સંદર્ભમાં લોકશાહીની સાવકી માતા જ કહી શકાય.”
લાસ્ટ લાઈન:
“જેને ખુદની વંશાવલી ખબર નથી તે હરામીથી બહેતર નથી, જેને પોતાના દેશનો ઇતિહાસ ખબર નથી તે શરણાર્થીથી બહેતર નથી.”
– લદ્દાખી કહેવત
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 24 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર