અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં 90% રાહુલ ગાંધી પ્રત્યે તિરસ્કાર ધરાવે છે. તેનું કારણ WhatsApp યુનિવર્સિટીએ ફેલાવેલ જૂઠ અને હિન્દુત્વનો નશો છે. સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય અને અન્ય સંપ્રદાયના ભક્તો રાહુલ ગાંધીને પસંદ કરતા નથી પણ અવતારી વડાપ્રધાનની વાહવાહી કરે છે. તેમનો ડોલર મજબૂત થયો છે અને રૂપિયો ગગડી ગયો છે, તેથી અમેરિકન ગુજરાતીઓ માટે આનંદની બાબત છે ! પરંતુ ભારતમાં પણ રાહુલ ગાંધી પ્રત્યે તિરસ્કાર ધરાવનારાઓની મોટી સંખ્યા છે, તેની પાછળનું કારણ પણ WhatsApp યુનિવર્સિટી અને હિન્દુત્વનો નશો જવાબદાર છે. હું કોલેજમાં હતો ત્યારે રાષ્ટ્રવાદ / દેશભક્તિની વાતો મને ગમતી. પરંતુ જ્યારે પોલીસ સર્વિસમાં જોડાયો, અને ગોડસેવાદીઓને નજીકથી જોયા ત્યારે મારો ભ્રમ તૂટવા લાગ્યો. 2002ના કોમી તોફાનો બાદ તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાનની કામગીરી નજીકથી જોઈ ત્યારે મારો ભ્રમ સંપૂર્ણપણે તૂટી ગયો !
સવાલ એ છે કે કોઈ રાજકીય નેતાનું મૂલ્યાંકન ક્યા આધારે કરવું જોઈએ? તેમના પ્રચાર આધારે? તેમના કપડાંના આધારે? તેમની વકતૃત્વશક્તિના આધારે? તેમની ધાર્મિક આસ્થાના આધારે? લોકોની ભીડ ભેગી કરે તે આધારે? તેમની લોકપ્રિયતાના આધારે? આ બધાં માપદંડો છેતરામણાં છે. રાજકીય નેતાનું મૂલ્યાંકન કરવાનો માપદંડ છે તે બંધારણના આમુખમાં દર્શાવેલ મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે કે કેમ? એ આદર્શો મુજબ તેમની કથની અને કરણી છે કે કેમ?
રાહુલ ગાંધીએ હંમેશા ગોડસેવાદી / સાવરકરવાદી સામંતશાહીનો વિરોધ કર્યો છે. દેશને મનુસ્મૃતિકાળમાં લઈ જવા સામે સખ્તાઈથી વિરોધ કર્યો છે. પ્રગતિશીલતાની તરફેણ કરી છે. રાહુલ ગાંધી પણ મંદિરે જાય છે, પરંતુ પ્રગતિશીલતાને વળગી રહ્યા છે. જ્યારે બીજી તરફ વડા પ્રધાન ધાર્મિકતાનો બેહદ દેખાડો કરી રહ્યા છે, પરંતુ તેમની કથની અને કરણીમાં આભ જમીનનું અંતર છે ! ગોદી મીડિયા રાહુલ ગાંધીને પ્રશ્નો કરે છે તેવા પ્રશ્નો જો વડા પ્રધાનને કરે તો વડા પ્રધાનનું આભા-મંડળ તરત જ અદૃશ્ય થઈ જાય તેમ છે. આ કારણસર જ વડા પ્રધાનને રોજના કરોડો રૂપિયા ઈમેજ મેકિંગ પાછળ ખર્ચવા પડે છે ! રાહુલ ગાંધીની છબિ પ્રાથમિક શાળાના બાળક જેવી દેખાડવા માટે / તેમનું ચારિત્રહનન-કેરેક્ટર એસેસિનેશન કરવા માટે વડા પ્રધાન / તેમનો IT Cell / ગોદી મીડિયા સતત પ્રયત્ન કરે છે ! આ સ્થિતિમાં પણ રાહુલ ગાંધી અડીખમ રહીને બંધારણીય મૂલ્યોનાં જતનનું ખૂબ જ કપરું કામ કર્યે જાય છે.
રાહુલ ગાંધી કઈ રીતે ગોડસેવાદીઓથી જુદા પડે છે? ગોડસેવાદીઓનું કામ નફરત ફેલાવી સત્તા હસ્તગત કરવાનું છે જે સહેલું કામ છે, જ્યારે સદ્દભાવ ફેલાવી સત્તા હસ્તગત કરવાનું કામ અતિ પડકારજનક છે ! રાહુલ ગાંધીએ સદ્દભાવનો રસ્તો પસંદ કરેલ છે. સમાનતા / સામાજિક ન્યાય / સ્વતંત્રતા / બંધુત્વ / બિનસાંપ્રદાયિકતના સિદ્ધાંતો માટે ઝઝૂમવા માટે વૈચારિક સ્પષ્ટતા / દીર્ઘદૃષ્ટિ / હિમ્મત અને સખ્ત પરિશ્રમ જોઈએ. દેશને ગૌરવ અપાવનાર મહિલા ખેલાડીઓના યૌન શોષણના મુદ્દે / મણિપુરમાં મહિલાઓની નગન પરેડના મુદ્દે / દલિત કિશોરી પર બળાત્કારના મુદ્દે / જંગલ-જમીન પર કોર્પોરેટ કંપનીઓના કબ્જાના મુદ્દે / કિસાનોને MSP આપવાના મુદ્દે / બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય મુદ્દે તેમણે અવાજ ઊઠાવ્યો છે ! નફરતને બદલે પ્રેમના રસ્તે ચાલનાર; લોકો વચ્ચે જઈ લોકોના દુ:ખદર્દ સાંભળી અને તેમના માટે અવાજ ઊઠાવનાર રાહુલ ગાંધી લોકતંત્રના સાચા પ્રહરી બન્યા છે. તેમના પ્રયાસોનું હું સમર્થન કરું છું.
સમાનતા / સામાજિક ન્યાય / સ્વતંત્રતા / બંધુત્વ / બિનસાંપ્રદાયિકતના સિદ્ધાંતો માટે ઝઝૂમતા દરેક વ્યક્તિનું હું સમર્થન કરું છું.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર