
રમેશ ઓઝા
આ જગતમાં નરેન્દ્ર મોદીની જેટલી ઠેકડી ઊડાડવામાં આવી રહી છે અને એમાં ય ગયા મહીને જે રીતે અને જે પ્રમાણમાં ઠેકડી ઊડી છે એ કદાચ ઇતિહાસની પહેલી ઘટના છે. મને યાદ નથી કે ઇતિહાસમાં ક્યારે ય કોઈ નેતાની આટલી ઠેકડી ઊડી હોય અને એ પણ તેની હયાતીમાં અને સત્તાના સર્વોચ્ચ શિખરે હોય ત્યારે. લોકોએ રોષમાં આવીને રસ્તા પર ઊતરીને અને કાયદો હાથમાં લઈને નેતાઓને મારી નાખ્યા હોય, દેશમાંથી તગેડી મૂક્યા હોય કે પદભ્રષ્ટ કર્યા હોય અથવા લોકોના રોષથી બચવા આત્મહત્યા કરી લીધી હોય એવી અનેક ઘટનાઓ બની છે (ત્રણ ઘટના તો છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ પાડોશી દેશમાં બની છે) પણ એ કોઈની ઠેકડી ઊડાડવામાં નહોતી આવી. મારી જાણકારીમાં જગતના ઇતિહાસમાં આવી આ પહેલી ઘટના છે. ઠેકડી જોઇને ગૃહ પ્રધાન અમિત શાહે એકવાર કહેવું પડ્યું હતું કે આદરણીય વડા પ્રધાનની ઠેકડી ન ઊડાડવી જોઈએ.
અહીં એક વાતનો સ્વીકાર કરવો જોઈએ કે આ મૂડી નરેન્દ્ર મોદીએ પોતે રળી છે. એમની પોતાની સિદ્ધિ છે. બીજી સિદ્ધિ વિષે બે મત હોઈ શકે, આ સિદ્ધિ બાબતે બે મતની કોઈ શક્યતા નથી.
શા માટે આવું બન્યું?
આ જગતમાં ચાર પ્રકારના લોકો જોવા મળે છે. એક એ જે સામાન્ય માણસ તરીકે જન્મે છે, સામાન્ય જિંદગી જીવે છે અને વિદાય લે છે. બીજા એ જે સામાન્ય માણસ તરીકે જન્મે છે અને પુરુષાર્થ કરીને શક્ય એટલા ઉપર ઊઠવાનો પ્રયાસ કરે છે. શક્ય એટલા એ મહત્ત્વનો શબ્દ છે. ત્રીજા એ જે કેટલાક અસામાન્ય ગુણો લઈને જન્મે છે અને પછી તેને હજુ વધુ સમૃદ્ધ કરે છે. ચોથા એ જે સામાન્ય હોવા છતાં ય અસામાન્ય હોવાનો દેખાવ કરે છે. ઢોંગ અને દેખાવ કરનારા અનેક લોકો તમે જોયા હશે.
નરેન્દ્ર મોદીને તમે આમાંથી કઈ શ્રેણીમાં મૂકશો? જો તમારો જવાબ ચોથી શ્રેણીનો હોય તો તમે ભૂલ કરો છો. તેમણે પાંચમી શ્રેણી પેદા કરી છે અને કદાચ તેમાં તેઓ એકલા છે અથવા એકાદ-બે પાત્ર ઇતિહાસમાં થઈ ગયા હોય અને મને જાણ ન હોય એવું બને. તેઓ અસામાન્ય હોવાનો દેખાવ માત્ર નથી કરતા, એનો ધરાર સ્વીકાર કરાવવાનો પ્રયાસ કરે છે. જીદપૂર્વક પ્રયાસ કરે છે, આકાશપાતાળ એક કરે છે, થાક્યા વિના દિવસ
માં અઢાર અઢાર કલાક મહેનત કરે છે, વિદેશોમાં દોડે છે, કોઈએ નામ ન સાંભળ્યું હોય એવા સન્માનો મેળવે છે. શું શું નથી કરતા? નરેન્દ્ર મોદીની અસામાન્યતાને સ્થાપિત કરવા આખી યંત્રણા વિકસાવવામાં આવી છે. અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, એ ખર્ચાને પહોંચી વળવા આંગળિયાત ઉદ્યોગપતિઓને ફાયદો કરી આપવો પડે છે, વિરોધીઓને મેનેજ કરવા પડે છે. જે નથી એનો સ્વીકાર કરો.
હું મહાત્મા ગાંધી કરતાં વધુ મહાન છું, હું જવાહરલાલ નેહરુ કરતાં વધુ બત્રીસલક્ષણો છું, જગતમાં મારા નામના ડંકા વાગે છે, હું કોઈ વિદ્વાન કરતાં વધુ વિદ્વાન છું, હું વીરોમાં વીર છું, હું બહુશ્રુત છું, હું પ્રજાવત્સલ છું, હું નોન બાયોલોજીકલ છું. હું શું નથી? સ્વીકાર કરો. કરો કરો અને કરો. જે જોઈએ તે આપું, પણ મારી મહાનતાનો સ્વીકાર કરો. આ જગતમાં હિટલર, મુસોલિની, સ્તાલીન જેવા ઘણા શાસકો થયા છે (આજે પુતિન, ઝિંગપીંગ કે કીમ જોંગ જેવા શાસકો છે) પણ તેમણે તેમનામાં જે નથી તેનો સ્વીકાર કરાવવાની જિદ્દ નહોતી કરી કે નથી કરતા. ડોનાલ્ડ ટ્રમ્પ નથી કરતા. તેમણે ક્યારે ય ગાંધી અને નેહરુની પંક્તિમાં બેસવાની ચેષ્ટા નહોતી કરી ત્યાં સ્વીકાર કરાવવાનો તો પ્રશ્ન જ પેદા નથી થતો. અહીં તો જુદો જ ખેલ હતો. મેં મારી બનાવેલી અને મને ગમતી ઈમેજનો સ્વીકાર કરો. કદાચ એવું પણ હોય કે પોતે બનાવેલી એ ઈમેજ તેમને પોતાને જ સાચી લાગવા માંડી હોય. આવું બનતું હોય છે.
આ પાંચમી શ્રેણી નરેન્દ્ર મોદીએ વિકસાવી છે જેમાં કદાચ તેઓ એક માત્ર જીવ છે. મહાન હોવાનો દાવો નહીં, એવા તો લાખો માણસો થઈ ગયા, મહાનતાનો ધરાર સ્વીકાર કરાવવાની એષણા અને તેની આકાશપાતાળ એક કરનારી જીદ. ગોદી મીડિયા, સાયબર સેલ, ફિલ્મ અભિનેતા, ફિલ્મ દિગ્દર્શક, કેટલાક બૌદ્ધિકો વગેરે મળીને નહીં નહીં તોયે દસેક હજાર લોકોની ફોજને કામે લગાડવામાં આવી. કોઈ શંકા કરે કે ઝીણી નઝરે જુએ તો તેને ડામી દો. તેને બોલવા જ નહીં દો. બોલવા માટેનું પ્લેટફોર્મ જ આંચકી લો. ધીરે ધીરે મહાનતાના દાવાને સ્વીકારનારી જમાત વિસ્તરતી જશે અને દાવા વિષે શંકા કરનારી જમાત હાંસિયામાં ધકેલાતી જશે.
પણ ૨૦૨૬નું વરસ ઇઝરાયેલ માટે અને ઇઝરાયેલપૂજક નરેન્દ્ર મોદી માટે બહુ વસમું નીવડ્યું. ઇઝરાયેલનો આયર્ન ડૉમ ઈરાને વીંધી નાખ્યો અને નરેન્દ્ર મોદી નામના મહામાનવની મહાનતાનો ફુગ્ગો લબરમૂછિયા છોકરાઓએ વીંધી નાખ્યો. માત્ર ચાર મહિનાની અવધિમાં બે ઘટના બની.
તમે આની કલ્પના કરી હતી? હું મારી વાત કરું તો મને એમ લાગતું હતું કે આ ફુગ્ગો એક દિવસ ફૂટશે તો જરૂર કારણ કે ફૂટવું એ દરેક ફુગ્ગાની નિયતિ છે. પણ ક્યારે? છેલ્લાં બે વર્ષ દરમ્યાન જે રીતે ભારતીય રાજ્ય પર કબજો કરવામાં આવી રહ્યો હતો, અવાજોને શાંત કરવામાં આવતા હતા અને ત્રીજી મુદ્દત ચાલી રહી હતી ત્યારે એમ લાગવા માંડ્યું કે કદાચ આ બડભાગી બચી જશે. નરેન્દ્ર મોદી સત્તામાં છે ત્યાં સુધીમાં કદાચ ફુગ્ગો ન પણ ફૂટે. જો એવું બનશે તો એ સત્ય માટે શોકાંતિકા હશે. જૂઠ અટ્ટહાસ્ય કરશે. સભ્યતા, નૈતિકતા, સંસ્કારિતાનું તેજ ઝાંખું પડશે. માંડૂક્ય ઉપનિષદના ઋષિનું સત્યમેવ જયતેવાળું આર્ષવચન ઓશિયાળું બનશે. ભારતની અને હિંદુ સભ્યતાની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી.
પણ ફુગ્ગો ફૂટી ગયો. એક ચિનગારી પ્રગટી, દાવાનળ થયો અને તેની ગરમીમાં ફુગ્ગો ફૂટી ગયો.
ભારતીય (હિંદુ વાંચો) ન્યાયશાસ્ત્ર મુજબ ચિનગારી ક્યાં અને કોણે પ્રગટાવી એના નિમિત્ત કારણનું મહત્ત્વ નથી, મહત્ત્વનું છે ઉપાદાન કારણ. માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે, કુંભાર તો નિમિત્ત માત્ર છે. મહાનતા સ્થાપિત કરાવવાનો અને કબૂલ કરાવવાનો જે અબજો રૂપિયાનો મોંઘો ખેલ ચાલતો હતો એ લોકો જોતા હતા અને સમજતા હતા. એક માણસની મહાનતાનો સ્વીકાર કરાવવા માટે આખી કાયનાતને કામે લગાડવામાં આવે! સરકાર, સરકારી તંત્ર, શિક્ષણસંસ્થાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, કલાપ્રવૃત્તિ, રાષ્ટ્રીય વિમર્શ વગેરે તમામ પ્રકારનો રાષ્ટ્રીય ઉદ્યમ એક માણસની જે નથી એ મહાનતાને સ્થાપવા અને સ્વીકારાવવા માટે કામ કરે! અને એ પણ ચોવીસે કલાક, ૩૬૫ દિવસ અને દાયકાઓથી!
લોકો આ જોતા હતા અને ખાસ કરીને એ યુવાઓ જેને આ દેશમાં હવે પછી સરેરાશ ૬૦ વરસ જીવવાનું છે. કલ્પના કરો, અનિશ્ચિત સમયખંડમાં છ દાયકા! આ અકળામણ વિસ્ફોટનું ઉપાદાન કારણ હતું. લાખો યુવા એવા હતા જેનાં માંબાપ મોદીસમર્થક છે. નરેન્દ્ર મોદીએ પ્રત્યેક હિંદુ પરિવારમાં તિરાડ પાડી હતી તો જેન ઝીએ પ્રત્યેક હિંદુ ઘરોમાં ક્રાંતિ કરી. જેન ઝીને એક વાત સમજાઈ ગઈ કે એક વ્યક્તિની જે નથી એવી મહાનતાનો સ્વીકાર કરાવવા માટે દેશને બરબાદ નહીં, ગુલામ બનાવવામાં આવી રહ્યો છે. ભયનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એક નિમિત્ત કારણ મળતાની સાથે તેમણે ભયને ફગાવી દીધો. તમે જોયું હશે કે સડક પર ઉતરેલા યુવાઓનો ટાર્ગેટ નરેન્દ્ર મોદી પોતે અને તેમની બનાવવામાં આવેલી ઈમેજ હતાં, ધર્મેન્દ્ર પ્રધાન અને ‘નીટ’ તો બાજુએ નિમિત્તરૂપ હતા. તમે એ પણ જોયું હશે કે તરુણો તેમનો રોષ દલીલની જગ્યાએ ઠેકડી દ્વારા ઠાલવતા હતા. ઠેકડીનું પણ એક સમાજશાસ્ત્ર છે જેની અલગથી ચર્ચા કરી શકાય.
આવો તે કેવો મોહ અને કેવી આત્મમુગ્ધતા કે ઠેકડીનો વિષય બનીએ! અને આવા બેહુદા પ્રયાસમાં મદદ કરનારાઓ પણ કેટલા પામર! જવાહરલાલ નેહરુ અને નરેન્દ્ર મોદી વચ્ચે ૧૨ વડા પ્રધાનો થઈ ગયા. કોઈએ નેહરુને ભૂંસવાની કે નેહરુની લાઈન નાની કરીને પોતાની લાઈન મોટી ચિતરવાનો પ્રયાસ નહોતો કર્યો. કોઈ નેહરુ સાથે હોડમાં નહોતા ઉતર્યા. અને વળી કેટલાકે કેટલીક બાબતે નેહરુ કરતાં લાંબી લાઈન ખેંચી પણ છે. ઇન્દિરા ગાંધી (સુરક્ષા અને આત્મનિર્ભરતા), રાજીવ ગાંધી (ટેકનોલોજીકીય આધુનિકતા), પી.વી. નરસિંહ રાવ અને ડૉ. મનમોહન સિંહ (અર્થનીતિ) અને અટલ બિહારી વાજપેયી (જમ્મુ અને કાશ્મીર તેમ જ દક્ષિણ એશિયાઈ નીતિ)માં નેહરુ જેટલું જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. નેહરુ કરતાં આગળ છે. પોતાની સમજ અને આવડત, પોતાના યુગના પ્રશ્નો અને તકને પારખવાની સમજ, તેજસ્વી લોકોની ટીમ, નિર્ણય લઈને જોખમ ઊઠાવવાની હિંમત અને રાષ્ટ્રને એક ડગલું ઊપર લઈ જવાની પ્રતિબદ્ધતા હોય તો જવાહરલાલ નેહરુ જેવી પ્રતિભા નહીં ધરાવનારાઓ પણ મહાન કામ કરી જતા હોય છે. કરીને ગયા છે. અને એવું કોણે કહ્યું કે જવાહરલાલ નેહરુએ કોઈ ભૂલો નહોતી કરી. એ પણ હાડમાંસનો માનવી હતો. આ જગતમાં એવો કયો માણસ થયો છે જેણે ભૂલ ન કરી હોય? ભગવાન રામચન્દ્રના હાથે સીતાને અન્યાય થયો હતો.
કોઈકના જેવા વાઘા પહેરીને અને કૃત્રિમ આભામંડળ વિકસાવીને હાસ્યાસ્પદ બનવા કરતાં આવડત મુજબ શુભનિષ્ઠાથી કામ કરતા જઈએ તો એ કામ અવશ્ય ઇતિહાસમાં જમા થાય છે, આવનારો સમય તેનો શ્રેય આપે જ છે. ઉદાહરણ તરીકે ડૉ મનમોહન સિંહની ખરડાવવામાં આવેલી પ્રતિભા અત્યારે ઉજળી થઈ રહી છે ને! સમયનો ખેલ જુઓ અને એમાં એક લેસન પણ છે. પ્રચાર દ્વારા ચમકાવવામાં આવેલી પ્રતિભા ઝાંખી પડી રહી છે અને પ્રચાર દ્વારા ઝાંખી પાડવામાં આવેલી પ્રતિભા ચમકી રહી છે.
તો ભાઈ, આપણે આપણે બની રહીને જીવીએ અને આપણાપણું જાળવી રાખીને તેને વિકસાવીએ તો આયખું સાવ એળે જતું નથી. સમય આની ગેરંટી આપે છે.
08 ઑગસ્ટ 2026
![]()

