કવીશ્વર દલપતરામ
'મારે સારે નસીબે મને કવીશ્વર દલપતરામનો પરિચય પ્રમાણમાં વહેલો થયો. અને ૧૮૪૮થી મેં તેમની સેવાનો લાભ લેવાનું શરૂ કર્યું ત્યારથી મારા આ સહકાર્યકર લગભગ સતત મારી સાથે રહ્યા છે. સ્થાનિક તવારીખો, રૂઢિઓ, હસ્તપ્રતો, અને લેખો મેળવવા માટે કે તેમની નકલ કરાવી લેવા માટે તેમણે ગુજરાતના ઘણા ભાગોનો પ્રવાસ કર્યો – અલબત્ત, તે માટેની સગવડો મેં તેમને કરી આપી હતી – તેને પરિણામે અમને ધીમે ધીમે સફળતા મળી.' (અંગ્રેજી રાસમાળાની ૧૮૫૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની પ્રસ્તાવનાના અંશનો અનુવાદ)
'છેલ્લે દિવસે રાસમાળાનાં અસલ દલપત લખ્યાં ગુજરાતી પ્રકરણોના બે ચોપડા, જાણે જગત ઉંબરે ઊભી દલપત ભણાવ્યું દલપતરામને પાછું સોંપતો હોય તેમ દલપતરામને પાછા આપીને ફાર્બસે કહ્યું કે આ પ્રકરણો ગોઠવીને યથાસ્થિત છપાવાય તો મારાં બધાં કામ પૂરાં થયાં હું લેખીશ.એ ચોપડા તે દલપત રાસમાળા, જેના ઉપરથી ફાર્બસ રાસમાળા લખાઈ ને છપાઈ.’ (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, ઉત્તરાર્ધ / નાનાલાલ દલપતરામ કવિ, પા. ૧૧૨-૧૧૩) (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)
‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી ‘રાસમાળાની વાત’
જો આપણે શબ્દો ગળી જનારા નહિ, પણ ચાવીને વાંચનારા હોઈએ તો સવાલ થયા વગર ન રહે કે ફાર્બસ અને નાનાલાલ, બેમાં કોણ સાચું? કોણ નહિ? ફાર્બસની રાસમાળા તેમની મૌલિક કૃતિ, કે દલપતરામની ગુજરાતી કૃતિનો અનુવાદ માત્ર? રાસમાળા એક કે બે? રાસમાળાના ફાર્બસ લેખક કે અનુવાદક? દલપતરામની મહેનતનો જશ ખાટી જવાનો પ્રયત્ન ફાર્બસે કર્યો? કે ફાર્બસની કૃતિ દલપતરામના ખાતામાં જમા કરાવવાની મહેનત નાનાલાલે કરી છે?
ફાર્બસે દલપતરામની સહાય વિષે જે લખ્યું તેનું મૂળ જાત-માહિતીમાં રહેલું છે. નાનાલાલે જે લખ્યું તેનો આધાર? ફાર્બસના અવસાન પછી ‘બુદ્ધિપ્રકાશ’ના ઓક્ટોબર ૧૮૬૫ના અંકથી દલપતરામે ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની પોતાની લેખમાળા છાપવાનું શરૂ કર્યું હતું. તેમાં ફાર્બસ સાથેની પોતાની છેલ્લી મુલાકાત વિષે લખતાં દલપતરામ કહે છે : ‘એક કામ ઘણી જરૂરનું બાકી છે. તે એ કે રાસમાળામાં હિંદુ રાજાઓની વાતો જેમાંથી આપણે લીધી છે, તે અસલ પ્રકરણો હું તમને આપું તે ગોઠવીને છપાય તો હું જાણીશ કે મારાં બધાં કામ પૂરાં થયાં … એમ કહીને કેટલાંક પ્રકરણો મને સોંપ્યાં. વળી કહ્યું કે અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સાહેબને હું લખીશ, કે તેઓ આ પુસ્તક તમારી મારફતે રચાવીને છાપે.’ પણ પછી આગળ જતાં આ જ લેખમાળામાં દલપતરામ આખી વાતને જૂદો જ વળાંક આપે છે : ‘ફારબસસાહેબના ફરમાવ્યા પ્રમાણે રાસમાળાનાં કેટલાંક અશલ પ્રકરણો ગોઠવીને તેનું પુસ્તક કાવ્યદોહનના બીજા પુસ્તક જેવડું બે ભાગમાં તૈયાર કરીને મેં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના શેક્રેટરી સાહેબને આપ્યું, તથા તે છાપવા સારૂ આશરે રૂ. ૨૦૦)ના કાગળો ફારબસસાહેબે મોકલેલા તે પણ સાહેબ મોસુફને મેં સોંપ્યા. અને એ પુસ્તક રચતાં જે ખરચ થયું તે સોસાયટીએ આપ્યું. તે પુસ્તક સોસાયટીએ મુંબઈની ફારબસ ગુજરાતી સભામાં મોકલ્યું છે.’
એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ
દલપતરામે ઉપરોક્ત લેખમાં જે લખ્યું કે ‘હિંદુ રાજાઓની વાતો જેમાંથી આપણે લીધી છે, તે અસલ પ્રકરણો હું તમને આપું’ તેનાથી નાનાલાલ કાં ગેરમાર્ગે દોરવાયા છે, અથવા તેમની પિતૃભક્તિ તેમને દલપતરામના શબ્દોનું જૂદું (અને ખોટું) અર્થઘટન કરવા પ્રેરે છે, અથવા તો એક પિતૃશોકમાં ડૂબેલા કવિની આ અહોભાવપ્રેરિત કલ્પના છે. તેને હકીકતો સાથે ભાગ્યે જ કશી લેવાદેવા છે. ‘અસલ પ્રકરણો’ એટલે જે ગુજરાતી હસ્તપ્રતોમાંથી દલપતરામે ઉતારા કરેલા તે, ‘રાસમાળા’નાં અસલ ગુજરાતી પ્રકરણો નહિ. આ બે ચોપડા ૧૮૬૮માં સોસાયટીએ મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાને મોકલ્યા, પણ તેમાંનો ફક્ત કેટલોક જ ભાગ એ સભાએ છેક ૧૯૩૩માં પ્રગટ કર્યો. પોતાના આ ‘પુસ્તક’ની પ્રસ્તાવના પણ દલપતરામે લખી રાખી હતી અને તેમાં તેને ‘ગુજરાતી રાસમાળા’ તરીકે ઓળખાવ્યું હતું. પણ ફાર્બસ ગુજરાતી સભાએ એ નામે નહિ, પણ ‘ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ એવા નામે એમાંનો કેટલોક ભાગ પ્રગટ કર્યો. એટલે કે, ૧૮૯૮માં દલપતરામનું અવસાન થયું ત્યાં સુધી આ ચોપડા છપાયા નહોતા. પણ એ છપાયા ત્યારે નાનાલાલ હયાત હતા. બીજી બાજુ ફાર્બસની અંગ્રેજી રાસમાળાનો ગુજરાતી અનુવાદ રણછોડભાઈ ઉદયરામ પાસે કરાવીને ૧૮૬૯માં ફાર્બસ ગુજરાતી સભાએ પ્રગટ કર્યો. આની પાછળનું કારણ એ હોવાનો સંભવ છે કે આ સામગ્રી ‘ગુજરાતી રાસમાળા’ તરીકે પ્રગટ કરી શકાય તેમ નથી એવું સંસ્થાના જાણકાર સંચાલકોને લાગ્યું હોય, યોગ્ય રીતે. જે બે ચોપડાનો ઉલ્લેખ દલપતરામ, નાનાલાલ, અને અંબાલાલ કરે છે તે બે ચોપડા (ક્રમાંક ૪૮-૩-૬ અને ૪૮-૧૧) સારે નસીબે આજ સુધી ફાર્બસ ગુજરાતી સભામાં સચવાયા છે, પણ અત્યારે તે અત્યંત જીર્ણ અવસ્થામાં છે. એ જોતાં સ્પષ્ટ જણાય છે કે આ ચોપડામાં જે છે તે રાસમાળા માટે એકઠી કરેલી કાચી સામગ્રી છે. એને કોઈ રીતે ગુજરાતી કે અસલ રાસમાળા તરીકે ઓળખાવી શકાય તેમ નથી.
આ બંને ચોપડા ૧૮૫૬ અને ૧૮૬૫ની વચમાં ક્યારેક, એટલે કે અંગ્રેજી રાસમાળા પ્રગટ થઈ તે પછી, અને ૧૮૬૫માં ફાર્બસનું અવસાન થયું તે પહેલાં લખાયા છે. કારણ, તેમાં અંગ્રેજી રાસમાળા ૧૮૫૬માં પ્રગટ થઈ તેનો ઉલ્લેખ છે. તો બીજી બાજુ મૂળ લખાણ શરૂ કરતાં પહેલાં ‘સાહેબને પૂછવાનું’ એવા મથાળા નીચે ૧૦ મુદ્દા નોંધ્યા છે. તેમાંનો પહેલો મુદ્દો આ છે : 'ગુજરાતી ગ્રંથ બને તેનું નામ સું પાડવું?’ એટલે કે, આ ચોપડો લખાયો ત્યાં સુધી ‘ગુજરાતી રાસમાળા’ નામ નક્કી થયું નહોતું. વળી, ‘રાસમાળા’નો ઉલ્લેખ કરીને દલપતરામ કહે છે : ‘તેમાં જે અસલ પુસ્તકો પરથી પ્રકર્ણાદિ દાખલ કરેલાં છે તેમાના કેટલાએક પ્રકર્ણો મને સોંપીને કહ્યું જે આટલા પ્રકરણોનું એક પુસ્તક ગુજરાતીમાં છપાવીને પ્રગટ કર્યું હોય તો ગુજરાતી વાચનારાઓને ઘણું ઉપયોગી થઈ પડે.’ એટલે કે, આ ‘ગુજરાતી રાસમાળા’ પ્રગટ કરવા અંગેની વાત એ મરણપથારીએ પડેલા ફાર્બસની ‘છેલ્લી ઈચ્છા’ નહોતી, એ અંગે અગાઉ પણ તેમણે દલપતરામ સાથે વાત કરી હતી. આ ઉપરાંત, ‘ગુજરાતી રાસમાળા’ની બીજી એક હસ્તપ્રત (ક્રમાંક ૭૩૮) પણ ફાર્બસ ગુજરાતી સભામાં સચવાઈ છે. તે હસ્તપ્રત ૪૮-૧૧ની ૧૯૩૦માં કરાવેલી નકલ છે. ફાઉન્ટન પેનથી, ઝીણા, પણ અત્યંત સુવાચ્ય અક્ષરે આ નકલ લખાયેલી છે. તેનું લેખન ૧૯૩૦ના નવેમ્બરની ૩૦મી તારીખે વિલેપાર્લેમાં પૂરું થયું છે. મૂળ હસ્તપ્રત આજે અડતાં પણ બીક લાગે એવી દશામાં છે ત્યારે આ નકલ ઘણી મહત્ત્વની બની જાય છે. વળી એને સ્કેન કરીને પણ સાચવી લીધી છે.
રાસમાળા ૧ આવૃત્તિ ૧૮૫૬
પોતાના અનુવાદના પહેલા ભાગની પ્રસ્તાવનામાં રણછોડભાઈએ નોંધ્યું છે કે રાસમાળાનો ગુજરાતી અનુવાદ પ્રગટ થાય એવી ફાર્બસની પોતાની જ ઇચ્છા હતી અને તેમણે યોગ્ય અનુવાદકનું નામ સૂચવવા સર ટી.સી. હોપને વિનંતી કરી હતી. એ વખતે તેમણે રણછોડભાઈનું નામ સૂચવ્યું હતું, પણ તે માટે મુંબઈ જઈ ફાર્બસને મળવું જરૂરી હતું, જે એ વખતે રણછોડભાઈ માટે શક્ય નહોતું. એટલે અનુવાદ થઈ શક્યો નહિ. ફાર્બસના અવસાન પછી ફાર્બસ ગુજરાતી સભાએ અનુવાદનું કામ માથે લીધું અને તે માટે એ વખતની રીત પ્રમાણે અનુવાદના નમૂના મોકલવા જાહેર અપીલ કરી. આ રીતે આવેલા નમૂના ચકાસવા માટે એક સમિતિની નિમણૂક કરી. તેણે રણછોડભાઈનો નમૂનો પસંદ કર્યો અને તેથી અનુવાદનું કામ તેમને સોંપાયું.
‘ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ પુસ્તક પ્રગટ થયું ત્યારે અંબાલાલ બુલાખીરામ જાની ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી હતા. તેઓ એક વિદ્વાન સંશોધક પણ હતા. પુસ્તક પ્રગટ કરતી વખતે તેના કર્તૃત્ત્વ અંગે તેમણે પૂરી સાવધાની રાખી છે. દલપતરામને પુસ્તકના કર્તા ક્યાં ય ગણાવ્યા નથી. પુસ્તકના ટાઈટલ પેજ પર છાપ્યું છે : 'ગુજરાતના મધ્ય અને ઉત્તરકાળનાં રાજ્યો તથા રાજવંશો સંબંધી સંઘરેલી માહિતીઓ અને કથનીઓ. સંગ્રહી લખનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ.’ એટલું જ નહિ, પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે નિખાલસપણે લખ્યું છે : ‘એકંદર જોતાં ગ્રંથ કેવળ અપરિપક્વ – ટાંચણવાળી દશામાં તૈયાર કરેલો છે, તેમ જ તે સંપૂર્ણ પણ નથી … શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ તે પ્રગટ કરવા ધારણા રાખી ન હતી. પરંતુ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી તે પ્રગટ કરવા માટે પોતાને સોંપવાની માગણી થતાં, તેમ જ આ ગ્રંથ કવીશ્વર પાસે લખાવાયો, ત્યારે તે પ્રગટ કરવાનો મૂળ ઉદ્દેશ હતો એ વિચાર લક્ષમાં લેતાં અમારી સભાએ એની ભાષાશૈલી તેમ જ વસ્તુને એમ ને એમ સાચવી, માત્ર પ્રકરણો પાડી, પ્રગટ કરવાનું કામ મને સોંપ્યું અને તેટલું જ કામ મેં કર્યું છે.’
કવીશ્વર દલપતરામના હસ્તાક્ષરમાં એક પાનું
પોતાની લેખમાળામાં દલપતરામ પુસ્તકને ‘કાવ્યદોહનના બીજા પુસ્તક જેવડું બે ભાગમાં’ તરીકે ઓળખાવે છે. જ્યારે ફાર્બસ ગુજરાતી સભાએ પ્રગટ કરેલું પુસ્તક ક્રાઉન ૧૬ પેજી સાઈઝનાં ૩૭૧ પાનાંનું જ છે (પ્રારંભિક પાનાં અલગ). એટલે અંબાલાલ જાનીએ ભલે લખ્યું નથી, પણ મૂળમાં સારી એવી કાપકૂપ પણ થઈ છે. એ પણ નોંધવું જોઈએ કે આ ‘ગુજરાતી રાસમાળા’ની વાત ફાર્બસના અવસાન પછી જ વહેતી થઈ. ૧૮૫૬માં અંગ્રેજી રાસમાળા પ્રગટ થઈ ત્યારથી ૧૮૬૫ સુધી આવો દાવો કોઈએ કર્યો નથી. અગાઉ જે બે ચોપડાનો ઉલ્લેખ કર્યો છે તેમાં પણ ક્યાં ય આવો દાવો દલપતરામે કર્યો નથી.
પણ દલપતરામની ‘ગુજરાતી રાસમાળા’ના પ્રકાશન અંગેની સૌથી વધુ ચોંકાવનારી માહિતી તો ‘બુદ્ધિપ્રકાશ’ની જૂની ફાઈલો ફંફોસતાં અણધારી રીતે મળી આવી છે. દલપતરામ, ફાર્બસ અને ‘રાસમાળા’ અંગે આજ સુધીમાં ઘણાંએ લખ્યું છે, ઘણું લખ્યું છે, પણ નવાઈની વાત એ છે કે આજ સુધી કોઈનું એ તરફ ધ્યાન જ ગયું નથી. ફાર્બસની અંગ્રેજી રાસમાળા ૧૮૫૬માં લંડનથી પ્રગટ થઈ. આ પુસ્તક લખવા માટે ફાર્બસ લાંબી રજા લઈને સ્વદેશ ગયા હતા. પુસ્તક પ્રગટ થયું તે પછી તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ૧૮૫૭ના જાન્યુઆરીની ૧૦મી તારીખે સુરત પહોંચ્યા અને એક્ટિંગ જજ અને એજન્ટ ટુ ધ ગવર્નરની બેવડી જવાબદારી સંભાળી. અને ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૮ના માર્ચ અંક(પાનું ૪૦)થી દલપતરામ ‘રાસમાળાની વાત’ હપ્તાવાર પ્રગટ કરવાનું શરૂ કરે છે. એ વખતે બીજાં ઘણાં સામયિકોની જેમ ‘બુદ્ધિપ્રકાશ’માં પણ આખા વરસના અંકોના સળંગ પાના નંબર અપાતા. ૧૮૫૮ના પાંચમા વર્ષમાં પાના નંબર ૪૦, ૬૩, ૮૦, ૯૮, ૧૧૩, ૧૨૯, ૧૫૨, ૧૬૭, અને ૨૦૯ ઉપર ‘રાસમાળા’ કે રાશમાળા’ શીર્ષક સાથે દલપતરામનું લખાણ પ્રગટ થયું છે. ૧૮૫૯માં પણ પાના નંબર ૩૦ અને ૪૪ ઉપર તે ચાલુ રહે છે. છેલ્લા હપ્તાને અંતે ‘અધૂરું’ લખ્યું છે, પણ તે પછી કોઈ હપ્તો છપાયો નથી. કશી ચોખવટ કર્યા વગર પ્રકાશન આ રીતે અધવચ્ચે કેમ અટકાવી દેવું પડ્યું હશે એ એક કોયડો છે. દલપતરામ ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી હતા અને પોતાનું દરેક લખાણ પહેલાં ‘બુદ્ધિપ્રકાશ’માં છાપતા. ફાર્બસ સાથેનો તેમનો સંબંધ જોતાં ફાર્બસે એ પ્રકાશન અટકાવવા કહ્યું હોય એમ માનવું મુશ્કેલ. એક અનુમાન સૂઝે છે : ૧૮૫૩થી ૧૫ વરસ સુધી ટી.બી. કર્ટિસ સોસાયટીના સેક્રેટરી હતા. ફાર્બસના અવસાન પછી તેમણે દલપતરામની ‘ગુજરાતી રાસમાળા’નું પ્રકાશન એ છાપવા માટે ફાર્બસે ૨૦૦ રૂપિયાના કાગળ મોકલ્યા હોવા છતાં સોસાયટી દ્વારા ન કરતાં દલપતરામના બે હસ્તલિખિત ચોપડા મુંબઈ ફાર્બસ ગુજરાતી સભાને મોકલી દીધા હતા. તો ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થતી લેખમાળા નબળી હોવાનું લાગતાં તેમણે તેનું પ્રકાશન અટકાવ્યું હોય? નહીંતર દલપતરામ પોતાની લેખમાળાનું પ્રકાશન અધવચ્ચે પડતું શા માટે મૂકે?
એવી જ રીતે આ લેખમાળાની શરૂઆત પણ ગૂંચવણ ભરેલી છે. પાંચમા પુસ્તકના ૪૦મા પાના પર પહેલી વાર ‘રાસમાળાની વાત’ મથાળાથી લખાણ છપાયું છે. પણ તેને મથાળે લખ્યું છે : ‘ગયા ચોપાનિયાના પૃષ્ટ ૧૬મેથી સાંધણ. ભાગ ત્રીજો.’ પણ ૧૮૫૮ના પહેલા અંકમાં પાના ૧૩-૧૬ ઉપર ‘રાસમાળા’ મથાળા નીચે નહિ, પણ સ્વતંત્ર રીતે ‘જયશિખરી ચાવડાની વાત’ લખાણ છપાયું છે. અને તેને મથાળે છાપ્યું છે ‘ગયા પુસ્તકમાંના પૃષ્ટ ૧૬૪મેથી સાંધણ.’ ‘ગયું પુસ્તક’ એટલે ૧૮૫૭નું (ચોથું) પુસ્તક. એ વરસના ૧૫૫થી ૧૬૪મા પાના સુધી ‘જયસિખરી ચાવડાની વાત’ છપાઈ છે. એ પહેલાંના કોઈ અંકમાં તેનું પુરોસંધાન જોવા મળતું નથી. એના પરથી અનુમાન કરવું રહ્યું કે ‘જયસિખરીની વાતના’ બે હપ્તાને પછીથી દલપતરામે ‘રાસમાળા’ના પહેલા બે હપ્તા ગણીને નામ બદલીને ‘રાસમાળાની વાત’ કર્યું હશે. એટલે કે, અંગ્રેજી ‘રાસમાળા’ના પ્રકાશન પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા તે જ વરસે દલપતરામે તેની કાચી સામગ્રી ફાર્બસનો, કે તેની રાસમાળાનો ઉલ્લેખ સુધ્ધાં કર્યા વગર ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરવાનું શરૂ કરી દીધું હતું!
એટલે, ‘ગુજરાતી રાસમાળા’ પ્રગટ થાય એવી ખુદ ફાર્બસની જ ‘છેલ્લી ઇચ્છા’ હતી, એ ઇચ્છા પૂરી કરવા દલપતરામ આતુર હતા, પણ તેમની હયાતિમાં એ પૂરી થઇ નહિ, એવી વાત કોઈ રીતે ટકી શકે તેમ નથી. વળી એવો સવાલ પણ કરી શકાય કે જો આ બે ચોપડા ૧૮૫૭-૫૮-૫૯માં દલપતરામ/સોસાયટી પાસે હતા (એ વગર હપ્તાવાર પ્રકાશન શક્ય ન બન્યું હોય) તો તે પાછા ફાર્બસ પાસે ક્યારે અને શા માટે ગયા? કારણ દલપતરામ કહે છે કે ફાર્બસના અવસાનના થોડા દિવસ પહેલાં મુંબઈમાં થયેલી છેલ્લી મુલાકાત વખતે ફાર્બસે તે પોતાને આપ્યા હતા.
બીજું, એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે દલપતરામે એકઠી કરેલી સામગ્રીને આધારે જ ફાર્બસે રાસમાળાનું પુસ્તક લખ્યું. પણ આ અર્ધસત્ય છે, અને અર્ધસત્ય હંમેશાં જોખમી હોય છે. દલપતરામે ભેગી કરી આપેલી સામગ્રી ઉપરાંત ડો. ભાઉ દાજી, વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી વગેરે પાસેથી પણ ફાર્બસે પુસ્તકો / હસ્તપ્રતો મેળવેલાં. આ મેળવવા માટે તેઓ પોતે પણ ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ, પ્રયત્નો કરતા. જેના પર ફાર્બસે ઘણો આધાર રાખ્યો છે તે ‘પ્રબંધચિંતામણી’ની હસ્તપ્રત ભેટ આપવા માટે તેમણે ‘રાસમાળા’ની પ્રસ્તાવનામાં મારવાડના જૈન પીરચંદજી ભૂધરજીનો આભાર માન્યો છે. એટલું જ નહિ, પ્રબંધચિંતામણીનો અંગ્રેજી અનુવાદ કરવામાં ‘અનિવાર્ય એવી મદદ’ કરવા માટે પણ તેમનો આભાર માન્યો છે. આ ઉપરાંત પ્રેમચંદ સલાટ અને ત્રિભુવનદાસ તથા ભૂધર દયારામ નામના બે સુતારોનો ખાસ ઉલ્લેખ કર્યો છે. એટલે કે, દલપતરામ જે કાંઈ શોધી લાવે તે જ માત્ર ફાર્બસનો આધાર નહોતો, બીજાઓની મદદ પણ તેમણે લીધેલી.
દલપતરામે પોતે ઉપરોક્ત લેખમાં નોંધ્યું છે કે ફાર્બસ સરકારી કામે પ્રવાસ કરતા ત્યારે પણ સમય કાઢીને જૈન ગ્રંથભંડારો, મંદિરો, સ્મારકો, ઐતિહાસિક ઈમારતોની મુલાકાત લેતા, નોંધો કરતા, ફોટા પાડી લેતા કે ચિત્રો દોરી લેતા. આ ઉપરાંત તેઓ સિક્કાઓ, શિલા કે તામ્ર લેખોનો અભ્યાસ કરતા, જાણકાર લોકોને મળી તેમની પાસેથી માહિતી મેળવતા – આજની પરિભાષામાં કહીએ તો ફિલ્ડવર્ક કરતા. ‘રાસમાળા’ કશા વિક્ષેપ વગર લખી શકાય તે એક માત્ર હેતુથી સરકારી નોકરીમાંથી લાંબી રજા લઈ ફાર્બસ પોતાને વતન, બ્રિટન, ગયેલા અને ત્રણ વરસ ત્યાં રહેલા. સ્વદેશ જઈને પુસ્તક લખવાથી ફાર્બસને એક મોટો લાભ એ થયો કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના દફતર, ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરી, બીજાં પુસ્તકાલયો અને સંસ્થાઓમાંથી પણ ઘણી સામગ્રી એકઠી કરીને તેનો ઉપયોગ પુસ્તકમાં કરી શક્યા. આમ, દલપતરામ ફાર્બસના સહાયક જરૂર હતા, મહત્ત્વના સહાયક હતા. પણ તેથી તેમણે ગુજરાતીમાં લખેલા પુસ્તકનો ફાર્બસે તો માત્ર અંગ્રેજીમાં અનુવાદ કર્યો એવું તો કોઈ રીતે માની કે કહી શકાય નહિ.
અંગ્રેજી ‘રાસમાળા’ની પહેલી આવૃત્તિમાં છાપેલાં ફાર્બસે દોરેલાં બહુરંગી ચિત્રોમાંનું એક
જેમ દલપતરામના ચોપડા ફાર્બસ ગુજરાતી સભામાં સચવાયા છે તેમ ફાર્બસના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા ચાર મોટા, લેજર સાઈઝના ચોપડા પણ સચવાયા છે. તેમાંથી બે નંબરના ચોપડામાં ‘પ્રબંધચિંતામણી’નો ફાર્બસે કરેલો અંગ્રેજી અનુવાદ છે, જે આજ સુધી અપ્રગટ રહ્યો છે. પાંચ નંબરના ચોપડામાં શત્રુંજયવર્ણન (સંસ્કૃત), દશેરા બનાવ (ગુજરાતી), જેવી કેટલીક પ્રકીર્ણ કૃતિઓ તથા મૌખિક પરંપરામાંથી ભેગી કરેલી કથાઓ છે. છ નંબરના ચોપડામાં પૃથુરાજરાસો (ગુજરાતી) અને દ્વયાશ્રય (સંસ્કૃત) જેવી કૃતિઓના વિગતવાર સારાંશ અંગ્રેજીમાં લખ્યા છે. આઠ નંબરના ચોપડામાંની સામગ્રી પ્રકીર્ણ પ્રકારની છે. તેમાં કેટલાંક કથા, કિસ્સા, વંશાવળી, શિલાલેખો અને તામ્રલેખોના અનુવાદ જોવા મળે છે. આ સામગ્રી જોતાં લાગે છે કે મોટે ભાગે આ છેલ્લો ચોપડો હશે. એક, ત્રણ, ચાર, અને સાત નંબરના ચોપડા ફાર્બસ ગુજરાતી સભાના સંગ્રહમાં જોવા મળતા નથી. દેશના કે વિદેશના બીજા કોઈ પુસ્તકાલય પાસે એ હોય એવી માહિતી હજી સુધી મળી નથી, પણ શોધ ચાલુ છે.
આ ઉપરાંત ફાર્બસે ‘રત્નમાળ’ નામની કૃતિનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. ફાર્બસના અવસાન પછી તેમના મિત્ર અને ફાર્બસની સાથે બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે કામ કરતા જસ્ટિસ ન્યૂટને આ અનુવાદ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયાટી ઓફ મુંબઈ)ના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો. પછીથી આ સંસ્થાના જર્નલના ૧૮૬૭-૧૮૭૦ના નવમા અંકમાં મોટા કદનાં ૮૦ પાનાંમાં તે છપાયો હતો. રત્નમાળની અધૂરી હસ્તપ્રત દલપતરામે વઢવાણના દેશળજી ગઢવી પાસેથી મેળવી હતી અને ડિંગળ પદ્યમાંથી દલપતરામે ગુજરાતી ગદ્યમાં તેનો અનુવાદ કર્યો હતો. તેને આધારે ફાર્બસે અંગ્રેજી પદ્યમાં તેનો અનુવાદ કર્યો. આ રત્નમાળનો ફાર્બસનો અંગ્રેજી અનુવાદ પહેલાં પ્રગટ થયો, મૂળ કૃતિ પછીથી છેક ૧૯૦૩માં છપાઈ. રેવાશંકર અંબારામ ભટ્ટે તે છપાવી હતી. આ કૃતિના લેખક કૃષ્ણાજી હોવાનું મનાય છે, પણ મૂળ કૃતિ ૧૯૦૩માં છપાઈ ત્યારે તેના ટાઈટલ પેજ પર દલપતરામનું નામ એવી રીતે છપાયું હતું કે કૃતિના કર્તા દલપતરામ હોય તેવો ભ્રમ ઊભો થાય. વઢવાણથી મળેલી આ હસ્તપ્રત પણ ફાર્બસ ગુજરાતી સભામાં સચવાઈ છે.
ગુજરાત બહાર ફાર્બસ ઓળખાય છે તે મુખ્યત્ત્વે ‘રાસમાળા’ના લેખક તરીકે. ૧૮૫૬માં લંડનની રિચર્ડસન બ્રધર્સ નામની પુસ્તક પ્રકાશક કંપનીએ આ પુસ્તક બે ભાગમાં પ્રગટ કર્યું હતું, અલબત્ત, ફાર્બસના ખર્ચે. ફાર્બસે દોરેલાં ચિત્રો પણ તેમાં મૂકવામાં આવ્યાં હતાં. તેમાંનાં કેટલાંક બહુરંગી હતાં. હિન્દુસ્તાનનો, અને ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રનો ઇતિહાસ લખનારા બીજા લેખકો કરતાં ફાર્બસ એક મહત્ત્વની બાબતમાં જૂદા પડે છે. બીજા ઇતિહાસ લેખકોએ મોટે ભાગે મુસ્લિમ લખાણો, દસ્તાવેજો, વગેરેને આધારે ઇતિહાસ લખ્યો છે. જ્યારે ફાર્બસે મુખ્ય આધાર હિંદુ લેખકોનાં લખાણોનો તથા સ્થાનિક શિલા લેખો, દંતકથાઓ, વહીવંચાના ચોપડા, લોકકથાઓ, શિલ્પ-સ્થાપત્ય વગેરેનો લીધો છે. આ અંગે ઝવેરચંદ મેઘાણીએ યોગ્ય રીતે જ ફાર્બસની વિશિષ્ટતા બતાવતાં કહ્યું છે : ‘ગુજરાતની ઇતિહાસદૃષ્ટિને નવું જીવન શ્રી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસસાહેબે જ આપ્યું. 'રાસમાળા’ના એ ચિરસ્મરણીય અંગ્રેજ કર્તાએ ગુજરાતના ઇતિહાસનું સંશોધન કરવા બેસતાં ઇતિહાસના બે ઉપેક્ષિત રક્ષકોને લક્ષ્યમાં લીધા : એક તો વહીવંચાઓને કે ચારણોને, અને બીજા જૂના જૈન પ્રબંધ લેખકોને. સાંપ્રદાયિક દ્વેષ અને વિદ્વત્તાનો ઘમંડ, એ બે જાતના આંખે પાટા બાંધીને બેસનાર દેશીઓ જે ન કરી શક્યા તે એક વિદેશી અમલદારે કર્યું, કેમ કે આ બેઉ અવગુણોથી તે મુક્ત હતો … તામ્રલેખો, શિલાલેખો તેમાં જ રીતસરની તવારીખ-નોંધોનો જ્યાં અભાવ વર્તે છે, ત્યાં આવા લોકકવિઓના રાસો અને પ્રબંધો ઇતિહાસના અન્વેષણ સારુ ઘણા માર્ગદર્શક થઈ પડે છે. ફાર્બસસાહેબે આવી સામગ્રીને આધારે ‘રાસમાળા’ રચી ગુજરાતના ઇતિહાસનું સ્પેડ વર્ક – પ્રાથમિક ખોદાણકામ તો કર્યું જ છે.” (પરિભ્રમણ, નવ સંસ્કરણ, ખંડ ૧, પા. ૫૩૨. લે. ઝવેરચંદ મેઘાણી; સંપાદકો જયંત મેઘાણી, અશોક મેઘાણી. ૨૦૦૯)
એટલે, ‘રાસમાળા’ ફાર્બસની જ કૃતિ. તેને માટેની કેટલીક કાચી સામગ્રી દલપતરામે ભેગી જરૂર કરી આપેલી. અને એ અર્થમાં તેઓ ફાર્બસના સહાયક પણ ખરા. પણ ‘રાસમાળા’ એ મૂળ દલપતરામની કૃતિ, અને ફાર્બસ તો તેના માત્ર અનુવાદક, કે મહેનત બધી દલપતરામની અને જશ મળ્યો ફાર્બસને તેવી વાત કોઈ રીતે ટકી શકે તેમ નથી.
Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051
Email: deepakbmehta@gmail.com
xxx xxx xxx
સૌજન્ય : “નવનીત – સમર્પણ” જૂન 2021; પૃ. 95-105