અમેરિકાની એક યુનિવર્સિટીમાં ફિલોસોફીનો પ્રોફેસર જ્યોર્જ જેમ્સ, ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલ જિલ્લામાં રહેતા પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણાને મળવા આવ્યો હતો. પ્રોફેસરે સુંદરલાલના જંગલ પ્રેમ અને તેને બચાવવાની તેમની ચળવળની વાતો સાંભળી હતી. મળતાં વેંત તેણે પૂછ્યું, "મને ખબર છે તમે વ્યસ્ત માણસ છો, એટલે હું સીધો જ મુદ્દા પર આવી જાઉં. મને ખબર છે કે તમે લાંબા સમયથી પર્યાવરણ માટે લડી રહ્યા છો અને તેના માટે ઉપવાસો પણ કર્યા છે. મીડિયામાં એ બહુ આવ્યું છે. હું ફિલોસોફીનો પ્રોફેસર છું. મને જીવનની ફિલોસોફી અને જીવનની ગતિવિધિઓ પાછળની પ્રકૃતિની ફિલોસોફીમાં રસ છે. તમને શેનામાંથી પ્રેરણા મળે છે? તમારામાં આવાં અસાધારણ પગલાં ભરવાનું સાહસ ક્યાંથી આવે છે? પ્રેસમાં આવું બધું કોઈ પૂછતું નથી."
"મારું સમગ્ર ચિંતન," સુંદરલાલે આંગળીના વેઢા ગણતાં જવાબ વાળ્યો હતો, "ત્રણ 'એ' અને પાંચ 'એફ' પર ટકેલું છે. પહેલો 'એ' ઑસ્ટેરિટી (કરકસર) માટે છે. પૃથ્વી પર આપણે સરળતાથી જીવવું જોઈએ. બીજો 'એ' એટલે ઑલ્ટર્નટિવ (વિકલ્પ) : કરકસર શક્ય ન હોય તો વિકલ્પો શોધવા જોઈએ." સુંદરલાલ બોખા મોઢે હસ્યા અને પ્રોફેસરને પૂછ્યું કે સમજ પડે છે ને.
"મને સમજાય છે, " પ્રોફેસરે કહ્યું હતું.
"ત્રીજો 'એ' અફોરેસ્ટેશન (વનીકરણ) માટે છે”. તેમણે બીજા હાથની આંગળીના વેઢા ગણતાં ચાલુ રાખ્યું, "પાંચ 'એફ' આપણા જીવન માટે અનિવાર્ય તત્ત્વો માટે છે, જે આપણને વૃક્ષો આપે છે. ફૂડ (ખોરાક) ફોડર (ઘાસ), ફ્યુઅલ (ઇંધણ), ફર્ટીલાઈઝર (ખાતર) અને ફાયબર (રેશા)."
પ્રોફેસરને એટલું સમજાયું કે સુંદરલાલ અગાઉ પણ આ કહી ચુક્યા હોવા જોઈએ, પણ મીડિયામાં વાંચવા મળ્યું ન હતું. તેણે કેમરા બેગ ફંફોસીને એક ટેપ રેકોર્ડર કાઢીને પૂછ્યું, "હું આપણી વાતો ટેપ કરી લઉં તો ચાલશે?"
'હા, હા," સુંદરલાલે કહ્યું, અને પછી એ વાતચિત દિવસો, મહિનાઓ અને બીજા વર્ષ સુધી લંબાતી ગઈ. એમાંથી જે સુંદર પુસ્તક આવ્યું, તેનું નામ હતું – ઇકોલોજી ઈઝ પર્મેનન્ટ ઈકોનોમી (પર્યાવરણ કાયમી અર્થનીતિ છે).
પ્રોફેસર જ્યોર્જ જેમ્સે આ પુસ્તકમાં સુંદરલાલ બહુગુણાને ભારતની પર્યાવરણીય ચેતનાના પ્રથમ ગુરુ ગણાવ્યા હતા. ગઈ ૨૧ તારીખે, ૯૪ વર્ષના આ 'વૃક્ષમિત્ર'નું, કોરોનાની મહામારીમાં અવસાન થઇ ગયું. સ્વતંત્ર ભારતમાં, ગાંધીજીમાંથી પ્રેરણા લઈને, અનેક અહિંસક ચળવળો અને સત્યાગ્રહો આવ્યાં છે. સુંદરલાલ બહુગુણાની 'ચિપકો ચળવળ' આઝાદ ભારતનો એવો જ એક સત્યાગ્રહ હતો. સુંદરલાલ બહુગુણાના અવસાન સાથે એક એવો અવાજ પણ બંધ થઇ ગયો છે, જેની મારફતે ગાંધીજીની ચેતના અને ચિંતન જીવતું હતું.
૧૯૨૭માં, ટિહરી ગઢવાલના એક ગામમાં જન્મેલા સુંદરલાલ ૧૩ વર્ષની ઉંમરે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. એ પહેલીવાર ગાંધીજીને મળ્યા ત્યારે તેમની એક પેટીનું તેમને કુતૂહલ હતું. ગાંધીજીએ એને ખોલીને બતાવી તો એમાં યરવડા રેટિયો હતો, જે તેમણે યરવડા જેલમાં બનાવ્યો હતો. સુંદરલાલ પછી કૉન્ગ્રેસના રાજકારણમાં સક્રિય થઇ ગયા હતા. આઝાદી પછી ગાંધીજીએ કૉન્ગ્રેસને વિખેરી નાખવાનું સૂચન કર્યું હતું, ત્યારે સુંદરલાલ ટિહરીમાં કૉન્ગ્રેસના મહામંત્રી હતા, અને આદિવાસી-પછાત લોકો માટે રાત્રીશાળા ચલાવતા હતા.
૧૯૪૯માં, તે ગાંધીજીનાં સાથીદાર મીરાં બહેન અને ઠક્કર બાપાના સંપર્કમાં આવ્યા, પછી સમાજસેવા અને પર્યાવરણની સેવા તરફ વળ્યા હતા. ગુજરાત સહિત ભારતમાં આદિવાસીઓના ઉત્થાન માટે કામ કરતા મૂળ ભાવનગરના ગાંધીવાદી સેવક અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાએ સુંદરલાલને કહેલું કે તમે જેને શાળામાં ભણાવો છો તે લોકો કેવી ખોલીઓમાં રહે છે તે ખબર છે? સુંદરલાલે માથું ધુણાવ્યું. ઠક્કર બાપાએ તેમની ટેકણ લાકડી બતાવીને કહ્યું હતું કે મેં આનાથી હજારો અંધારી-ગોબરી ખોલીઓ માપી છે જેમાં સમાજના આ સેવકો રહે છે. તેના પરથી પ્રેરણા લઈને સુંદરલાલે ટિહરીમાં એક સ્વસ્છ આવાસ યોજના બનાવી હતી, જે આજે ઠક્કર બાપા હોસ્ટલના નામથી પ્રચલિત છે.
ગાંધીજીનાં ‘અંગ્રેજી બોલતાં’ શિષ્યા મીરાંબહેને ઋષિકેશમાં પશુલોક આશ્રમ સ્થાપ્યો હતો. ૧૯૪૯માં ગંગામાં પૂર આવ્યું અને આશ્રમને તહસનહસ કરી ગયો. પૂરનું કારણ જાણવા મીરાંબહેન ઘોડા પર બેસીને પહાડોમાં ગંગોત્રી તરફ ગયાં હતાં. એમાં એમણે બે બાબતો જોઈ : એક, જંગલોની કટાઈ અને બે, પહોળાં પાંદડાવાળાં ઓક વૃક્ષોનાં વનની સ્થાને ધંધા માટે ફાયદાકાર ચીર-પાઈન વનનો વિકાસ.
મીરાંબહેને પશુલોક આશ્રમ સમેટી લીધો અને જીઓનલિ નામના ગામમાં ગાયોની સેવા કરવા માટે ગોપાલ-આશ્રમ સ્થાપ્યો. ટિહરી ગઢવાલ ત્યારે ભારતનો સૌથી ગરીબ પ્રદેશ હતો. જંગલો હતાં, પણ બિનઉપયોગી હતાં. મીરાંબહેન ત્યાંની જમીનને ઉપજાઉ બનાવવા માંગતાં હતાં, પણ એમાં નહેરુ સરકારની અમલદારશાહી આડી આવતી હતી. છેવટે તેઓ ટિહરી છોડી દઈને કાશ્મીરમાં સ્થાયી થઇ ગયાં.
મીરાંબહેન ગયાં, પણ પાછળ એક વિરાસત અને એક સ્વપ્ન મૂકીને ગયાં હતાં, જે સુંદરલાલે અને તેમનાં પત્ની વિમલાબહેને ઉપાડી લીધું. એમાંથી ધીમે-ધીમે જંગલો બચવવાની ભારતની સૌથી સફળ ચળવળ શરૂ થઇ, જેને આપણે ‘ચિપકો આંદોલન’ તરીકે જાણીએ છીએ. એ આંદોલનમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ આંદોલનમાં વૃક્ષોને કપાતાં બચાવવાં માટે મહિલા અને પુરુષો વૃક્ષોને વળગી જતાં હતાં, જેથી તેનું નામ ‘ચિપકો આંદોલન’ પડ્યું હતું.
જંગલોની કપાઈ સામે ગામે-ગામ લોકોને જાગૃત કરવા માટે સુંદરલાલ બહુગુણાએ ૧૯૮૧થી ૧૯૮૩ સુધી ૫,૦૦૦ કિલોમીટર લાંબી ટ્રાંસ-હિમાલય પદયાત્રા કરી હતી. હિમાલયમાં એક હજાર મીટરથી વધુના જંગલની કપાઈ સામે તેઓ ૧૯૮૧માં આમરણ અનશન પર બેઠા હતા. આ અંદોલનનું પરિણામ એ આવ્યું કે ૧૯૮૦માં ઇન્દિરા ગાંધીએ ૧૫ વર્ષ સુધી જંગલોની કપાઈ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
અમેરિકાના પ્રોફેસર જ્યોર્જ જેમ્સને પેલા ઇન્ટરવ્યૂમાં સુંદરલાલ બહુગુણાએ કહ્યું હતું, “અમારી પરંપરામાં દરેક ચીજમાં દિવ્યતા છે. દિવ્યતા માત્ર સ્વર્ગમાં નહીં, પણ પંખીઓમાં, પશુઓમાં, નદી-ઝરણાંમાં, પહાડોમાં અને જંગલનાં વૃક્ષોમાં છે. હવે ચારે બાજુ ટેકનોલોજી છે. આપણે ડેમ બનાવવા માટે નદીઓને મારી નાખી છે, અને આ બધું માણસની લાલચને સંતોષવા માટે. ગાંધીએ એક જ વાક્યમાં સમજાવ્યું હતું : સૌની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રકૃતિમાં પૂરતું છે, પણ એક જણની લાલચ સંતોષવા માટે એ ઓછું પડી જાય છે.”
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 મે 2021