કોઈ ધમકી નહીં, કોઈ લલકાર નહીં, કોઈ કડવાં વેણ નહીં. ઊલટું તેમના ભાષણમાં નેહરુને આંટી દે એવી સ્વપ્નરંજકતા નજરે પડતી હતી. કવિત્વમય વક્તૃત્વશૈલીમાં વાજપેયી પણ ઝાંખા પડે. એ ભાષણ સાંભળીને આ આપણા નેતાને થયું છે શું એવો પ્રશ્ન કદાચ મોદીભક્તોના મનમાં પેદા થયો હશે
બુધવારે (11 જૂન 2014) રાષ્ટ્રપતિનો આભાર માનતા પ્રસ્તાવ પર બોલી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળતો હતો ત્યારે મને મોહમ્મદ અલી ઝીણાએ ૧૯૪૭ની ૧૧ ઑગસ્ટે પાકિસ્તાનની બંધારણસભામાં કરેલા ભાષણની યાદ આવતી હતી. ઇસ્લામ અને વેગળી મુસ્લિમ રાષ્ટ્રીયતાના નામે કોમવાદી રાજકારણ કર્યા પછી, દેશને ક્ષતવિક્ષત કર્યા પછી, ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમોનું સહઅસ્તિત્વ અસંભવ છે એમ કહીને પાકિસ્તાન મેળવ્યા પછી મોહમ્મદ અલી ઝીણા ગાંધી અને નેહરુની કલ્પનાના ભારત જેવું પાકિસ્તાન બનાવવા માગતા હતા. ઝીણાએ પાકિસ્તાનની બંધારણસભામાં મંગળ-પ્રવચન કરતાં કહ્યું હતું કે પાકિસ્તાન સેક્યુલર દેશ હશે જેમાં રાજ્યને હિન્દુઓની, મુસલમાનોની, ઈસાઈઓની અને સિખોની ધાર્મિક માન્યતા સાથે કોઈ સંબંધ નહીં હોય. પાકિસ્તાન રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય અને રાજ્ય ન તો કોઈ ધર્મ કે ધર્માનુયાયીનો પક્ષપાત કરશે કે ન કોઈ ધર્મ કે ધર્માનુયાયીના માર્ગમાં અવરોધ પેદા કરશે. ઝીણાનું પ્રવચન એવું હતું જાણે તેમની અંદર જવાહરલાલ નેહરુનો પરકાયાપ્રવેશ થયો હોય. ઝીણાનું પ્રવચન સાંભળીને તેમના વિરોધીઓ અને સમર્થકો ડઘાઈ ગયા હતા. બન્નેના જીભ પર પ્રશ્ન એક જ હતો : ઝીણા જો પાકિસ્તાનને ભારત જેવું જ બનાવવા માગતા હતા તો ભારતથી અલગ થવાની જરૂર શું હતી? ભારતના વિભાજનનો વિરોધ કરનારા હિન્દુઓ અને મુસલમાનોએ આમાં રાજી થવા જેવું કંઈ નહોતું, કારણ કે એ રાંડ્યા પછીનું ડહાપણ હતું. ઊલટું કોમવાદી ધોરણે વિભાજન માગનારા લોકોએ ઝીણા સામે મોરચો માંડ્યો હતો અને દલીલ કરી હતી કે અમે ઇસ્લામ અને મુસલમાનોને અન્ય ધર્મ અને ધર્માનુયાયીઓ સાથે એક પંક્તિએ મૂકવા માટે પાકિસ્તાન આંદોલનને ટેકો નહોતો આપ્યો. એ પછી શું બન્યું એની વિગતોમાં જવાની જરૂર નથી. એટલું થયું કે ઝીણાના હાથમાંથી ઝીણાની કલ્પનાનું પાકિસ્તાન સરકી ગયું.
એ દિવસે નરેન્દ્ર મોદીને સાંભળ્યા પછી બીજા એક ઐતિહાસિક ભાષણની યાદ આવી હતી જે ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતની બંધારણસભામાં ૧૯૪૬ની ૧૩ ડિસેમ્બરે ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશન પર બોલતાં આપ્યું હતું. ભારતનું બંધારણ અને એ બંધારણ નિર્મિત ભારત રાજ્ય કેવું હશે એનો મુસદ્દો બંધારણસભામાં ચર્ચા માટે અને મંજૂરી માટે રાખવામાં આવ્યો હતો. ઑબ્જેક્ટિવ રેઝોલ્યુશનમાં જે ધ્યેય નક્કી થાય એ મુજબ ભારતના બંધારણની અને રાષ્ટ્રની રચના થવાની હતી. બહુ મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ હતો અને એમાં બોલતા ડૉ. આંબેડકરના પંડમાં પણ જાણે કે ગાંધી અને નેહરુનો પરકાયાપ્રવેશ થયો હતો. બંધારણસભામાં થયેલાં પાંચ શ્રેષ્ઠ ભાષણોમાં ડૉ. આંબેડકરના ભાષણનો સમાવેશ તો અવશ્ય થાય, પણ જો મત લેવામાં આવે તો એને કદાચ પ્રથમ ક્રમાંક પણ મળે એવું એ અદ્દભુત ભાષણ હતું. બંધારણસભાના સભ્યો સુખદ આશ્ચર્ય સાથે ભાવવિભોર થઈ ગયા હતા. જે માણસે આખી જિંદગી ગાંધીજીને અને હિન્દુઓને ગાળો આપી, જે માણસે આખી જિંદગી ગાંધીજીની શુભનિષ્ઠા વિશે શંકા કરી, જે માણસે આખી જિંદગી હિન્દુઓના સુધરવા વિષે અશ્રદ્ધા રાખી, જે માણસે અંગ્રેજોને ટેકો આપ્યો અને જે માણસ જ્ઞાતિગ્રસ્ત ભારતમાં કાયદાનું રાજ સંભવી જ ન શકે એમ માનતો હતો તેનામાં આટલું પરિવર્તન?
ના. મોહમ્મદ અલી ઝીણાના ભાષણમાં અને ડૉ. આંબેડકરના ભાષણમાં પ્રાસંગિક ઢોંગ નહોતો. ઢોંગ કરવા માટે તેમની પાસે કોઈ કારણ નહોતું. પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર બને કે સેક્યુલર, ઝીણાના રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રપ્રમુખના પદને ઊની આંચ આવવાની નહોતી; બલકે કોમવાદી ધોરણે રચાયેલા પાકિસ્તાનમાં ઝીણા વધુ સ્વીકાર્ય બન્યા હોત. ડૉ. આંબેડકર માટે પણ પ્રાસંગિક ઢોંગ કરવાની જરૂર નહોતી અને તેઓ ઢોંગ કરે એવા માણસ પણ નહોતા. આ બન્નેની અંદર જવાહરલાલ નેહરુનો પરકાયાપ્રવેશ એટલા માટે થયો હતો કે એ બન્ને અંતે તો આધુનિક મૂલ્યવસ્થા પર આધારિત કાયદાના રાજ્યમાં શ્રદ્ધા ધરાવતા હતા. આનો અર્થ એવો નથી કે જવાહરલાલ નેહરુને આધુનિક મૂલ્યવ્યવસ્થા બીજા બધા કરતાં વહેલી સમજાઈ ગઈ હતી અને બીજાને મોડેથી બ્રહ્મજ્ઞાન થયું હતું. આનું કારણ એ છે કે જવાહરલાલ નેહરુ બહુમતી કોમનું નેતૃત્વ કરતા હતા એટલે તેમને ઉદારતા પરવડતી હતી, જ્યારે બીજા નેતાઓ વિભાજિત ભારતમાં અલગ-અલગ પ્રકારની લઘુમતી કોમનું નેતૃત્વ કરતા હતા એટલે બહુમતી સામે શંકા અને પ્રતિકાર તેમની રાજકીય જરૂરિયાત હતી. આધુનિક મૂલ્યઆધારિત રાજ્ય વિશેની સમજ અને શ્રદ્ધા તો તેમનામાં પણ હતી, પરંતુ આઝાદી પહેલાં તેમને એ પરવડતી નહોતી.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મૂલ્યો વિશેની સમજ અને શ્રદ્ધા હોવા છતાં રાજકીય જરૂરતના ભાગરૂપે માણસે કેટલે દૂર જવું જોઈએ? સ્વાભાવિક રીતે એટલે દૂર તો ન જ જવું જોઈએ કે પાછા ન ફરી શકાય. ગાંધીજી, કૉન્ગ્રેસ અને હિન્દુઓ સામે બાર્ગેનિંગ કરવામાં કે કાઉન્ટર-વેઇટ શોધવામાં મોહમ્મદ અલી ઝીણા વધારે પડતા દૂર જતા રહ્યા હતા એટલે તેમને કે તેમના પાકિસ્તાનને પાછા ફરવા માટે રસ્તો બચ્યો નહોતો. જો કે આયેશા જલાલ જેવા ઇતિહાસવિદો કહે છે કે ઝીણા દૂર જતા નહોતા રહ્યા પણ તેમને દૂર ધકેલી દેવામાં આવ્યા હતા અને પાકિસ્તાન તેમના ગળે બાંધી દેવામાં આવ્યું હતું. બીજી બાજુ ડૉ. આંબેડકર ગાંધીજીને, કૉન્ગ્રેસને કે હિન્દુઓને ગમે એટલી ગાળો આપે પણ તેઓ મોટા ભાગે પાછા ફરી ન શકાય એટલે દૂર ગયા નહોતા અને પ્રસંગોપાત્ત જ્યારે ગયા ત્યારે કૉન્ગ્રેસના નેતાઓએ ઉદારતા દાખવીને તેમને ઑર્બિટની બહાર જવા નહોતા દીધા, ધકેલવાનો તો પ્રશ્ન જ નહોતો.
મુસ્લિમ રાજકારણ કરનારા ઝીણાને દૂર ધકેલી દેવામાં આવે અને હિન્દુ કોમનું અંગ ગણાતા દલિતોનું રાજકારણ કરનારા આંબેડકર દૂર જતા હોય તો પણ સંભાળી લેવામાં આવે એ શું કૉન્ગ્રેસનું સૂક્ષ્મ કોમવાદી રાજકારણ નહોતું? ઇતિહાસનાં તથ્યોના પ્રકાશમાં આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.
આઝાદી પહેલાંના ઝીણા અને બંધારણસભામાંના ઝીણા વચ્ચે જે મોટી વિસંગતિ છે એ વિશે સ્પષ્ટતા કરવાનો ઝીણાને મોકો નહોતો મળ્યો, કારણ કે એ પછી એક વરસમાં ઝીણાનું અવસાન થયું હતું અને એ વરસ ઝીણાની સખત બીમારીનું વરસ હતું. ડૉ. આંબેડકરે આ વિસંગતિ વિશે બંધારણસભામાં જ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે આપેલા છેલ્લા પ્રવચનમાં સ્પષ્ટતા કરી છે. એનો પણ બંધારણસભામાં આપવામાં આવેલાં અદ્દભુત પાંચ પ્રવચનોમાં સમાવેશ થઈ શકે એમ છે. તેમણે કહ્યું હતું કે આઝાદ ભારત હવે એક વાસ્તવિકતા છે. એ ભારત આધુનિક રાજ્ય તરીકે આકાર પામે એમાં દરેકનો સ્વાર્થ છે અને એમાં ય ખાસ કરીને લઘુમતી કોમનો અને સવર્ણો દ્વારા શોષિત દલિતોનો વધારે સ્વાર્થ છે. આ સ્થિતિમાં અધિકાર માટેના સંઘર્ષ પછી હવે નવી સ્થિતિમાં સાથે મળીને દરેકના અધિકારની બાંયધરી આપનારા અધિકારયુક્ત આધુનિક રાજ્યની રચના કરવામાં આવે એ સમયની ડિમાન્ડ હતી. એક સમયના પેલા ઝેર ઓકતા અને વિરોધ કરતા આંબેડકરને બંધારણસભાની બહાર મૂકીને નેહરુને અપનાવવા એ દેશની અને વિશેષરૂપે દલિતોની જરૂરિયાત હતી માટે ડૉ. આંબેડકરમાં જવાહરલાલ નેહરુનો પરકાયાપ્રવેશ થયો હતો. સવર્ણ હિન્દુઓ વિશેની કડવાશ અને શંકા બંધારણસભામાં બેઠેલા આંબેડકરના મનમાં નહોતી એવું નહોતું. એ કડવાશ તો જીવનભર રહી હતી.
રાષ્ટ્રપતિનો આભાર માનતું ભાષણ આપનારા નરેન્દ્ર મોદીની અંદર પણ જવાહરલાલ નેહરુનો પરકાયાપ્રવેશ થયો હોય એવું દેખાતું હતું. કોઈ ધમકી નહીં, કોઈ લલકાર નહીં, કોઈ કડવાં વેણ નહીં. એમાં ઊલટું નેહરુને આંટી દે એવી સ્વપ્નરંજકતા નજરે પડતી હતી. કવિત્વમય વક્તૃત્વશૈલીમાં વાજપેયી પણ ઝાંખા પડે. એ ભાષણ સાંભળીને આ આપણા નેતાને થયું છે શું એવો પ્રશ્ન કદાચ મોદીભક્તોના મનમાં પેદા થયો હશે. કટ્ટરપંથી હિન્દુઓને કદાચ ૧૯૪૭માં કટ્ટરપંથી મુસલમાનોને થયો હતો એવો પ્રશ્ન પણ થયો હશે કે જો નેહરુની કલ્પનાનું જ ભારત અભિપ્રેત હતું તો અત્યાર સુધી તેમને ગાળો શા માટે આપી? શા માટે રસ્તા પર ઊતરીને પથરાવાળી કરી? ઉદારમતવાદી સેક્યુલરિસ્ટોએ કદાચ રાહત અનુભવી હશે અથવા એમાં તેમને ઢોંગ નજરે પડ્યો હશે. શાસન કરતી વખતે ભલભલાની સાન ઠેકાણે આવી જાય છે અને છેવટે નેહરુનો જ માર્ગ અપનાવવો પડે છે એવો વિજયનો અનુભવ તેમણે કર્યો હોય એવું પણ બને.
ભારતીય રાજ્યની અને નરેન્દ્ર મોદીની હવે પછીના મહિનાઓમાં કસોટી થવાની છે. જોઈએ શું થાય છે.
શું છે આ ભાષણના સંભવિત સૂચિતાર્થો?
૧. ગાંધી-નેહરુનો માર્ગ ભારત માટે અને આજની દુનિયા માટે અંતિમ અને અનિવાર્ય છે.
૨. આધુનિક મૂલ્યઆધારિત રાજવ્યવસ્થા ભારતની વ્યાવહારિક જરૂરિયાત છે એટલે એને સ્વીકારવું પડે એ નરેન્દ્ર મોદીની મજબૂરી છે.
૩. ડૉ. આંબેડકરની જેમ નરેન્દ્ર મોદી રાજકીય જરૂરિયાતનું રાજકારણ કેટલા પ્રમાણમાં કરવું અને કેટલે દૂર જવું એની મર્યાદા સમજે છે અને એ સાથે આધુનિક મૂલ્યોઆધારિત આધુનિક રાષ્ટ્રની સંકલ્પનાનો ભલે સિદ્ધાંતમાં નહીં પણ વ્યવહારમાં સ્વીકાર કરે છે.
૪. નરેન્દ્ર મોદી સરાસર ઢોંગ કરે છે. નેહરુની ભાષા એ ઇમેજ મેકઓવરનો ખેલ છે અને એક દિવસ અસલી ચહેરો અને જમણેરી ફાસીવાદી એજન્ડા લાગુ કરવામાં આવશે.
આમાંની કઈ શક્યતા વધુ છે એ તમારે વાચકે વિચારવાનું છે. હું મારો અભિપ્રાય અનામત રાખું છે. પહેલી બે શક્યતાઓ મને ગમે છે અને એમાં મારી શ્રદ્ધા છે. ત્રીજી શક્યતા હોય તો રાજી થવાપણું છે. નરેન્દ્ર મોદી પોતાને પ્રેમ કરનારા ચાલાક અને મહત્ત્વકાંક્ષી માણસ છે. તેમને સંઘના એજન્ડા કરતાં પોતાના અમરત્વમાં વધારે રસ છે અને અમર થવું હોય તો અશોક, અકબર કે નેહરુ જ બનવું પડે; બીજો કોઈ માર્ગ નથી. ઔરંગઝેબ જેવાઓ કુખ્યાત થઈ શકે, અમર ન થઈ શકે. ચોથી ઢોંગની શક્યતા પણ હોઈ શકે છે. દેશમાં પહેલી વાર નેહરુના અંતિમથી ૧૮૦ ડિગ્રી વિરુદ્ધના બીજા અંતિમની સરકાર બહુમતી સાથે આવી છે. અટલ બિહારી વાજપેયી નેહરુવિરોધી ધ્રુવનું પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ તેઓ અંતિમવાદીઓમાં મધ્યમમાર્ગી હતા અને તેમની પાસે બહુમતી નહોતી. તેમનાથી ઊલટું નરેન્દ્ર મોદી અંતિમવાદીઓમાં અંતિમવાદી હોવાની ઇમેજ ધરાવે છે અને સ્પષ્ટ બહુમતી ધરાવે છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 જૂન 2014
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-15062014-20