મધુ રાયની નવલકથા કરતાં અિશ્વની ભટ્ટની નવલકથા હજારગણી વધુ લોકપ્રિય છે અને દસગણું વધારે વેચાણ ધરાવે છે. અંગ્રેજીમાં આ જ થઈ રહ્યું છે. અિશ્વની ભટ્ટનો ગુજરાતી વાચકનો પુત્ર હવે અંગ્રેજી વાંચે છે જેની રસરુચિ પિતા જેટલી જ ટૂંકી છે એટલે તે પિતાની જેમ અિશ્વની ભટ્ટના અંગ્રેજી અવતાર ચેતન ભગતને વાંચે છે
UPSCની પ્રવેશપરીક્ષામાં હિન્દી અને અંગ્રેજીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કોઈ અંગ્રેજી પુસ્તકના પ્રકાશનની આખું પાનું ભરીને ઍડ્વર્ટાઇઝમેન્ટ આપવામાં આવે એ બદલાતા યુગનો સંકેત આપે છે. ફ્લિપકાર્ટ નામના ઑનલાઇન સ્ટોરે ચાર દિવસ પહેલાં “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા”ના કવરપેજ પર ચેતન ભગતનાં પ્રકાશિત થઈ રહેલાં પુસ્તકોની એડ્વર્ટાઇઝમેન્ટ આપી હતી. “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા” ઍડ્વર્ટાઇઝમેન્ટ માટે ભારતનું સૌથી મોંઘું અખબાર છે. એના પહેલા પાના પર ઍડ્વર્ટાઇઝમેન્ટ છપાવવા પાછળ ફ્લિપકાર્ટે ઓછામાં ઓછા ૮૦ લાખથી એક કરોડ રૂપિયા ખર્ચ્યા હશે. આ તો મુંબઈ શહેરની વાત થઈ. બીજાં મહાનગરોમાં કરવામાં આવેલી જાહેરખબરોનો ખર્ચો જોડો તો ફ્લિપકાર્ટે ત્રણેક કરોડ રૂપિયા ખર્ચ્યા હોવા જોઈએ. ચેતન ભગતની પ્રકાશિત થઈ રહેલી અંગ્રેજી નવલકથા ‘હાફ ગર્લફ્રેન્ડ’ની ઓછામાં ઓછી ૩૦ લાખ નકલ વેચાય તો જ ઍડ્વર્ટાઇઝમેન્ટનો ખર્ચો પોસાય અને એટલી પહોંચ આજે અંગ્રેજી પલ્પ લિટરેચરે મેળવી લીધી છે એમ આ ઍડ્વર્ટાઇઝમેન્ટ સૂચવે છે.
ગુજરાતી સાહિત્યમાં પ્રશિષ્ટ સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય એવા બે પ્રકાર છે. લોકપ્રિય સાહિત્યકારોને સાહિત્યકાર માનવામાં આવતા નથી, કારણ કે તેમનું સાહિત્ય અભિજાત હોતું નથી પરંતુ ઘટનાપ્રચુર સ્થૂળ હોય છે. તેમના ભાષાકર્મમાં એ બારીકી અને સૌંદર્ય નથી હોતાં જે શિષ્ટ સાહિત્યની કૃતિઓમાં જોવા મળે છે. એક વાર લોકપ્રિય ગુજરાતી સાહિત્યકાર અિશ્વની ભટ્ટે આ લખનારને કહ્યું હતું કે તેમની નવલકથાઓ દળદાર હોય છે એનું એક કારણ ભાષા સાથે કામ લેવાની આવડતનો અભાવ છે. જે વાત મધુ રાય ૧૦ પાનાંમાં કહી શકે એ કહેવા માટે મને (અિશ્વની ભટ્ટને) ૫૦ પાનાંની જરૂર પડે છે અને એ પછી પણ એ સૌંદર્ય તો હોતું જ નથી જે મધુ રાયના ગદ્યમાં જોવા મળે છે. અિશ્વની ભટ્ટ નિખાલસતા માટે જાણીતા હતા, પણ બીજા લોકપ્રિય સાહિત્યકારો પોતાને ઊતરતા સાહિત્યકાર માનતા નથી અને સાહિત્યજગતમાં વિવેચકો દ્વારા કરવામાં આવતી તેમની ઉપેક્ષા કે ટીકા માટે નારાજ છે.
લોકપ્રિય સાહિત્યમાં કથાવસ્તુ સ્થૂળ હોય છે. લેખકો પાત્રોના આંતરજગતમાં પ્રવેશી શકતા નથી, પાત્રો બ્લૅક ઍન્ડ વાઇટ(સારાં અને નરસાં)માં વહેંચાયેલાં હોય છે, પાત્રોના ગ્રે એરિયાને તેઓ પકડી શકતા નથી, ભાષાકર્મમાં બારીક સૌંદર્ય હોતું નથી, ગદ્ય સપાટ હોય છે અને સમસામયિક પ્રશ્નોને તેઓ ઇંગિતો દ્વારા સ્પર્શી શકતા નથી. જે વાચકો શિષ્ટ વાંચન માટે સજ્જ નથી તેમને આવું સાહિત્ય વધારે રુચે છે અને માટે લોકપ્રિય સાહિત્ય લોકપ્રિય હોય છે. કેટલાક વિવેચકો તો આગ્રહ રાખતા હોય છે કે લોકપ્રિય સાહિત્યકારોને સાહિત્યકાર નહીં પણ લેખક તરીકે ઓળખાવવા જોઈએ. લેખક અને સાહિત્યકારમાં ફેર છે. દરેક લેખક સાહિત્યકાર હોતો નથી. જગતભરમાં જનસામાન્યની વાંચનની જરૂરિયાત હોય છે અને લોકપ્રિય સાહિત્યકારો એ જરૂરિયાત પૂરી પાડે છે. પ્રાચીન અલંકારશાસ્ત્રમાં પણ ભાવકની સજ્જતાના આધારે ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. ક્લાસ અને માસનો ભેદ દરેક યુગમાં અને દરેક સમાજમાં જોવા મળે છે. કાળનો ચાળણો એવો હોય છે જે વખત જતાં નબળી કૃતિને ચાળી નાખે છે. સંસ્કૃત ભાષામાં પણ નબળું સાહિત્ય સર્જાતું હશે, પણ એને કાળના ચાળણાએ ચાળી નાખ્યું એટલે આજે એ સંઘરાયેલું મળતું નથી. આપણી ભાષાની વાત કરીએ તો એક જમાનામાં જે સાહિત્યકારો લોકપ્રિયતામાં ઊપડ્યા ઊપડતા નહોતા તે આજે ખોવાઈ ગયા છે.
ભાવકભેદ અને સર્જકતાનો ભેદ તો ચિરંતન રહેવાનો છે, પણ જ્યારે ભાવકની સંખ્યાના આધારે નબળું સર્જન સર્જકતાનું સ્થાન લેવા માંડે અથવા અ-સાહિત્ય સાહિત્ય તરીકે સ્થપાવા માંડે ત્યારે એ ચિંતાનો અને ઊહાપોહનો વિષય જરૂર બને છે. ભારતીય અંગ્રેજી સાહિત્યવિશ્વમાં ચેતન ભગત નામના અ-સાહિત્યકાર સાહિત્યકાર તરીકે સ્થપાઈ રહ્યા છે એ વિશે વ્યાપક ચર્ચા થઈ રહી છે. ભારતીયો દ્વારા અંગ્રેજી ભાષામાં સાહિત્યસર્જનની શરૂઆત ૧૯૩૦ના દાયકાથી થઈ હતી. મુલ્કરાજ આનંદ, રાજા રાવ અને આર. કે. નારાયણ પહેલી પેઢીની સર્જકત્રિપુટી હતી. એમ તો બંકિમચંદ્ર ચૅટરજીએ છેક ૧૮૬૪માં ‘રાજમોહન્સ વાઇફ’ નામની નવલકથા અંગ્રેજીમાં લખી હતી, પરંતુ એ એવી એકલી ઘટના હતી. ભારતીય અંગ્રેજી સાહિત્ય-સર્જનની શરૂઆત તો ૧૯૩૦ પછી જ થાય છે. મુલ્કરાજ આનંદ, રાજા રાવ, આર. કે. નારાયણ, ખુશવંત સિંહ, કમલા દાસ, ગીતા મહેતા, સલમાન રશ્દી, ફારુખ ધોંડી, અમિતાવ ઘોષ, અરુંધતી ઘોષ, ઉપમન્યુ ચૅટરજી, અનીતા દેસાઈ, કિરણ દેસાઈ, જુમ્ફા લાહિરી, વિક્રમ સેઠ, કિરણ નગરકર, રોહિંગ્ટન મિસ્ત્રી, રસ્કિન બૉન્ડ, શશી થરૂર અને વિદેશી ભારતીયમાં વી. એસ. નાયપૉલ વગેરે ભારતીય અંગ્રેજી સાહિત્યનાં મહત્ત્વપૂર્ણ નામ છે.
એક વાત તો સર્વસ્વીકાર્ય છે કે ભારતીય ભાષાઓમાં લખાતા સાહિત્યની તુલનામાં અંગ્રેજીમાં લખાતું ભારતીય સાહિત્ય ઘણું નબળું છે. આઠ દાયકાના અંગ્રેજી સાહિત્ય-સર્જનમાં એવી આઠ કૃતિ માંડ મળશે જેની કાળના ચાળણામાં ચળાવાની શક્યતા ઓછી છે. ભારતીય અંગ્રેજી સાહિત્ય નબળું હોવા માટે ઘણાં કારણો છે જેમાં મુખ્ય કારણ મૂળિયાંના અભાવનું છે. અંગ્રેજીમાં વિચારનારાઓ અને લખનારાઓ ભારતીય પરિવેશ(લોકાલ)માં અને પાત્રોમાં પ્રવેશી નથી શકતા જેટલા તેમની વચ્ચે રહેનારાઓ, તેમની ભાષામાં વિચારનારા અને લખનારા ભારતીય ભાષાકીય સાહિત્યકારો પ્રવેશી શકે છે. જે અનુભૂતિના અંદરના ઊંડાણમાંથી નથી આવતું એ નબળું હોય છે એમ કાવ્યશાસ્ત્ર કહે છે. એટલે જ ભારતીય અંગ્રેજી સાહિત્યકારો સાહિત્ય-વિવેચન નથી કરતા. જયપુર લિટરરી ફેસ્ટિવલમાં ભારતીય અંગ્રેજી સાહિત્યની ગુણવત્તા વિશે વાત કરવાનું ટાળવામાં આવે છે. કૃતિવિવેચન પણ થતું નથી.
એકંદરે ભારતીય અંગ્રેજી સાહિત્ય ચિરંજીવિતાના સંકટનો સામનો કરી રહ્યું છે એમાં ચેતન ભગત સાહિત્યકાર તરીકે સ્વીકૃતિ પામે અને સ્થપાય એ આઘાતજનક છે. આ યુગ માર્કેટિંગ અને મીડિયોક્રિટીનો છે જેમાં માર્કેટિંગ દ્વારા ઓછું કૌવત ધરાવનારા મીડિયોકરો આઇકન તરીકે સ્થપાય છે. ચેતન ભગત સાહિત્યના ઉદાર ગજથી માપો તો પણ સાહિત્યકાર ન કહેવાય એવા લેખક છે. ૨૦૦૪માં તેમણે તેમની પહેલી નવલકથા ‘ફાઇવ પૉઇન્ટ સમવન’ લખી ત્યારે તેમને કોઈ પ્રકાશક મળતો નહોતો. એક ડઝન પ્રકાશકોએ તેમને કહ્યું હતું કે તેમણે નવલકથાના નામે જે લખ્યું છે એ એક સ્થૂળ અને સપાટ વાર્તા છે જે સરળ અંગ્રેજીમાં લખાઈ છે. તેમની કૃતિમાં જો કોઈ ગુણ છે તો એ બાળવાર્તા જેવી સરળતાનો છે. છેવટે તેમને એક પ્રકાશક મળી ગયો અને પછી તેઓ જે રીતે ઊંચકાયા એ ઇતિહાસ છે. ટીકાકારો ચેતન ભગતને અંગ્રેજી સાહિત્યનાં રાખી સાવંત તરીકે ઓળખાવી રહ્યા છે.
અંગ્રેજી ભાષામાં સ્થૂળ અને સપાટ વાર્તા સાહિત્યકૃતિ તરીકે અને ચેતન ભગત સાહિત્યકાર તરીકે આટલી ઝડપથી અને આટલા પ્રમાણમાં કેમ સ્થપાયા એની સામાજિક મીમાંસા થવી જોઈએ. અંગ્રેજી અનેક દેશોમાં વસતા લોકોની સ્વાભાવિક પહેલી ભાષા છે એટલે એમાં માતબર અમર સાહિત્ય સર્જાયું છે. એ સાહિત્ય એટલું અમર છે કે જગતની અનેક ભાષાઓમાં એના અનુવાદો થયા છે. એ પછી સંસ્થાનવાદી યુગમાં સંસ્થાનોમાં વસ્તી ભદ્ર વર્ગની દેશી પ્રજા અંગ્રેજી અપનાવવા લાગી અને ૧૯મી સદીના અંતભાગમાં દેશીઓ દ્વારા લખાયેલું અંગ્રેજી સાહિત્ય પ્રકાશિત થવા લાગ્યું. આગળ કહ્યું એમ તેમનું સાહિત્ય અનુભૂતિગત નથી એટલે એમાંનું બહુ ઓછું સાહિત્ય ટકી શકે એવું છે એ જુદી વાત છે. દેશી અંગ્રેજી સાહિત્યકારોની કૃતિઓનો જે ભાવક વર્ગ હતો એ પણ પાછો અભિજાત ભદ્ર હતો એટલે એની રસરુચિ કેળવાયેલી હતી. મુલ્કરાજ આનંદનો ભારતીય વાચક શેક્સપિયર વાંચી શકતો હતો અને સલમાન રશ્દીનો વાચક ગૅબ્રિયલ ગાર્સિયા માર્કેઝને વાંચી અને માણી શકે છે.
સમાજચક્ર બદલાતાં હવે નવી સ્થિતિ પેદા થઈ છે. હવે જેની અભિજાત રસરુચિ નથી એવા સામાન્ય માણસે અંગ્રેજી ભાષાને સમજી શકવાની હદે અપનાવી લીધી છે. તે વ્યાકરણદુક્ટ ન હોય એવું અંગ્રેજી વાંચી, લખી અને બોલી શકે છે; પણ તેની રસવૃત્તિ એટલી કેળવાયેલી નથી કે તે શેક્સપિયર કે માર્કેઝને માણી શકે. આવું જ થોડા દાયકાઓ પહેલાં આપણી ભાષામાં થયું હતું અને હજી આજે પણ એ પ્રક્રિયા ચાલુ છે. આપણી ભાષાનો નવશિક્ષિત વર્ગ સામાજિક રીતે નીચલા થરમાંથી આવતો હતો જેની આગલી પેઢી નિરક્ષર હતી. વાંચનવિશ્વમાં નવા ઉમેરાયેલા નવશિક્ષિત વાચકને ગુજરાતી વાંચતાં તો હવે આવડતું હતું, પણ તેની રસવૃત્તિ એટલી હદે કેળવાયેલી નહોતી કે તે સુરેશ જોશીને માણી શકે. આ નવશિક્ષિત વાચકની તેની ભાવનક્ષમતા અનુસારના વાંચનની જરૂરિયાત હતી જેમાંથી આપણે ત્યાં લોકપ્રિય સાહિત્યનો ફાલ આવ્યો હતો. મધુ રાયની નવલકથા કરતાં અિશ્વની ભટ્ટની નવલકથા હજારગણી વધુ લોકપ્રિય છે અને દસગણું વધારે વેચાણ ધરાવે છે. અંગ્રેજીમાં આ જ થઈ રહ્યું છે. અિશ્વની ભટ્ટનો ગુજરાતી વાચકનો પુત્ર હવે અંગ્રેજી વાંચે છે જેની રસરુચિ પિતા જેટલી જ ટૂંકી છે એટલે તે પિતાની જેમ અિશ્વની ભટ્ટના અંગ્રેજી અવતાર ચેતન ભગતને વાંચે છે.
ચેતન ભગતની પ્રચંડ સફળતાનું રહસ્ય હવે સમજાઈ ગયું હશે. ભારતની તમામ ભાષાઓમાં પોતપોતાના અિશ્વની ભટ્ટો હતા અને છે. હવે તેમના વાચકોના વારસદારોએ અંગ્રેજી ભાષા અપનાવી લીધી છે, પણ રુચિમર્યાદા હોવાને કારણે તેમણે અિશ્વની ભટ્ટોના કાઉન્ટરપાર્ટ ચેતન ભગતને અપનાવ્યા છે. કલ્પના કરો કે ભારતની વિવિધ ભાષાઓમાંથી કેટલા વાચકો ઉમેરાયા હશે કે ફ્લિપકાર્ટને “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા”માં આખું પાનું ભરીને ઍડ્વર્ટાઇઝમેન્ટ આપવાનું પોસાય. પ્રારંભમાં કહ્યું એમ આ બદલાયા યુગનો સંકેત છે.
મેં અનેક વાર કહ્યું છે કે ભારતીય સમાજમાં અત્યારે પરિવર્તનનો રેંટ ચાલી રહ્યો છે જેમાં જે પ્રજા સદીઓથી નીચે દબાયેલી હતી એ હવે ઉપર આવી રહી છે. આધુનિક અને સાર્વત્રિક શિક્ષણ, જાગૃતિ તેમ જ લોકતંત્રનું આ પરિણામ છે. ઉપર આવેલા આ નવશિક્ષિત સમાજની રસરુચિ હજી કેળવાઈ નથી અને એમાં દાયકાઓ લાગશે. માટે જ શિક્ષણશાસ્ત્રીઓ શિક્ષણ અને કેળવણીમાં ભેદ કરે છે. શિક્ષણ ઝડપભેર પ્રાપ્ત કરી શકાય છે, પણ કેળવાતાં વાર લાગે છે. દેશના નવશિક્ષિત વર્ગની હજી પૂરી કેળવણી થઈ નથી એટલે આ સંક્રાન્ત સમયમાં ચેતન ભગતો રાજ કરી રહ્યા છે જે રીતે ગુજરાતીમાં લોકપ્રિય સાહિત્યકારોએ રાજ કર્યું હતું અને આજે પણ કરી રહ્યા છે. પહેલાં શિક્ષણ અને પછી કેળવણીની પ્રક્રિયા પૂરી થતાં સો વર્ષ તો જશે જ અને ત્યાં સુધી રાખી સાવંતો અને ચેતન ભગતો સર્જક તરીકે પૂજાતાં રહેશે.
સૌજન્ય : લેખકની ‘નો નૉન્સેન્સ’ નામક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 09 અૉગસ્ટ 2014
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaat-10082014-16