તીર્થાટન માટે કે ધંધા માટે લોકો એક પ્રાંતથી બીજા પ્રાંતમાં જતા હશે ત્યારે સંવાદ કરવા માટેની કડીભાષા હિન્દુસ્તાની હતી જે પર્શિયન, સંસ્કૃત અને બીજી ડઝનેક લોકભાષાઓના મિશ્રણથી વિકસી હતી. આમ છતાં હિન્દી સામે સાંસ્કૃિતક આક્રમણનો આરોપ કરવામાં આવે છે, કારણ કે એમાં તામિલોને અને દ્રવિડ અસ્મિતાવાદીઓને વિભાજનરેખા મળે છે. હિન્દી સામેની વિભાજનરેખા કાલ્પનિક અને ઊપજાવી કાઢેલી
કેટલાક વાચકોને મારી રવિવારની કૉલમ જોઈને કદાચ લાગતું હશે કે એમાં ઇતિહાસની વાત વધુ આવે છે. આનું કારણ ઇતિહાસનું વળગણ નથી, પરંતુ વર્તમાનને સમજવા માટે ઇતિહાસને સમજવાની જરૂરિયાત છે. વર્તમાન ભારતના મોટા ભાગના પ્રશ્નો ૧૭૫૭માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં શાસક તરીકે પગ જમાવ્યો ત્યારથી લઈને ૧૯૪૭માં અંગ્રેજોએ વિદાય લીધી એ દરમ્યાન પેદા થયા છે અને વિકસ્યા છે. ભારતમાં આજે જોવા મળતી મોટા ભાગની વિભાજનરેખાઓ (ફૉલ્ટલાઇન્સ) એ સમયે પેદા થઈ છે અને વિકસી છે. કેટલીક વિભાજનરેખાઓ ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાંથી હતી જ જેને અંગ્રેજોએ પોતાના સ્વાર્થ માટે પોષી હતી અને કેટલીક અંગ્રેજોએ પેદા કરી હતી. એ તમામ અંગ્રેજો દ્વારા સર્જિત અને વિકસિત વિભાજનરેખાઓને લઈને ભારતીયો રાજકારણ કરે એ અંગ્રેજોને માફક આવતું હતું.
વિભાજન હોવું એ એક વાત છે, વિભાજનની રેખાઓ ખેંચવી એ બીજી વાત છે અને વિભાજનની ખેંચાયેલી રેખાઓને રણભૂમિમાં ફેરવી નાખવી એ ત્રીજી વાત છે. વૈવિધ્યના સ્વરૂપમાં વિભાજન આપણે ત્યાં હતું જ. અંગ્રેજોએ વૈવિધ્યને વિભાજન બનાવીને રેખાઓ ખેંચી આપી અને આપણે વિભાજનરેખાઓને રણભૂમિનું સ્વરૂપ આપ્યું. મુસલમાનો મોહરમના તાજિયા જોરશોરથી ઊજવે તો હિન્દુઓ ગણપતિ-મહોત્સવ અને દુર્ગા-મહોત્સવ હજી વધારે જોરથી ઊજવે. પુણેની શાકમાર્કેટમાં સવર્ણો મહાત્મા ફુલેનું પૂતળું માંડવાનો પ્રસ્તાવ ફગાવે તો બહુજન સમાજ લોકમાન્ય ટિળકનું પૂતળું મૂકવાના ઠરાવને ફગાવે. સર સૈયદ મુસલમાનો માટે અલીગઢ યુનિવર્સિટી સ્થાપે તો મદન મોહન માલવીય હિન્દુઓ માટે બનારસ હિન્દુ યુનિવર્સિટી સ્થાપે. વૈવિધ્યને રણભૂમિનું સ્વરૂપ આપનારા અહીં માત્ર ત્રણ જ દાખલા આપ્યા છે, બાકી શ્વાસ લીધા વિના આવા બીજા ૩૦ દાખલા આપી શકાય.
અંગ્રેજોએ વૈવિધ્યને વિભાજન તરીકે કેવી રીતે સ્થાપ્યું? ભાગલા બરાબર નજરે પડે એમ રેખાંકિત કઈ રીતે કર્યા? એને ભારતીય પ્રજા માટે રણભૂમિમાં કેવી રીતે ફેરવ્યા? આની એક તરકીબ છે અને એ દુનિયાભરમાં વિભાજનવાદીઓ વાપરે છે. અંગ્રેજોએ અજમાવેલી તરકીબ હજી આજે પણ આપણે ત્યાં કેટલાક લોકો વાપરે છે.
વિભાજનરેખાઓ વિકસાવવાની તરકીબ એવી છે કે આપણને ન ગમતી હોય એવી પ્રત્યેક અજાણી અને પરાઈ ચીજ પર સત્તા અને પ્રભાવ કે વર્ચસ્વ (હેજેમની)નું આરોપણ કરો. જેમ કે મરાઠીઓને ઉત્તર ભારતીય ન ગમતા હોય તો એમ કહો કે મહારાષ્ટ્ર પર ઉત્તર ભારતનું સાંસ્કૃિતક આક્રમણ થઈ રહ્યું છે. ભોજપુરી સિવાય બીજી કોઈ ભાષા નહીં જાણનારો અને તુલસીદાસની પાંચ ચોપાઈ કે હનુમાન ચાલીસા સિવાય સાહિત્ય નહીં જાણનારો માણસ ભૂખ મિટાવવા મુંબઈ આવે એને સાંસ્કૃતિક આક્રમણખોર તરીકે ઓળખાવવામાં આવે છે. આવું આરોપણ એ વિભાજનરેખા વિકસાવવા માટેનો ભાગ્યે જ સાચો, મોટા ભાગે આછોપાતળો કે ક્યારેક સાવ કાલ્પનિક પદાર્થ છે.
તામિલોનો હિન્દીવિરોધ આવો ત્રીજા પ્રકારનો, સાવ કાલ્પનિક એવો આરોપિત પદાર્થ છે. તેઓ હિન્દી ભાષાને ઉત્તર ભારતના સાંસ્કૃિતક આક્રમણ તરીકે ઓળખાવે છે અને ઉત્તર ભારતના સાંસ્કૃિતક આક્રમણથી બચવા હિન્દીનો વિરોધ કરે છે. આ વિભાજનરેખા પણ અંગ્રેજોના વારાની છે અને અત્યારે વધારે મજબૂત બની છે.
સંસ્કૃત ભાષા એક જમાનામાં સવર્ણોની અભિવ્યક્તિનું માધ્યમ હતી એટલે એ ભાષા આમ માણસથી ખાસ માણસને બચાવનારી સાંસ્કૃિતક કિલ્લેબંધીની ભાષા હતી. સંસ્કૃત ભાષાની પ્રચંડ વગ (હેજેમની) હતી એટલે સંસ્કૃત ભાષાની વગ તોડવા માટે બુદ્ધ અને મહાવીરે તેમનો સંદેશ લોકભાષામાં આપ્યો હતો. મધ્યકાલીન સંતોએ પણ સંસ્કૃત ભાષાની જ્ઞાન પરની ઇજારાશાહીને તોડવા લોકભાષાઓમાં તત્ત્વજ્ઞાન પીરસ્યું હતું.
અંગ્રેજોએ કલકત્તાને રાજધાની બનાવી એટલે બંગાળીઓને પાશ્ચાત્ય શિક્ષણનો લાભ બીજા કરતાં પહેલાં મળ્યો હતો. બંગાળમાં સુધારો વહેલો થયો એટલે બંગાળી ભાષા પૂર્વ ભારતમાં વગ ધરાવતી ભાષા બની ગઈ અને એના દ્વારા પૂર્વ ભારતના પ્રાંતોમાં બંગાળી ભદ્રવર્ગ વર્ચસ્વ ધરાવતો હતો. બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને સમગ્ર ઈશાન ભારત પર ભદ્રવર્ગના બંગાળીબાબુઓ અને તેમની ભાષાનું વર્ચસ્વ હતું. બંગાળીઓ અને બંગાળી ભાષા સામેનો અણગમો આજે પણ પૂર્વ ભારતમાં જોવા મળે છે. ભારતમાં પર્શિયન ભાષા એક જમાનામાં વગદાર લોકોની વગ વિસ્તારનારી ભાષા હતી જે રીતે આજે અંગ્રેજી ભાષા છે.
સવાલ એ છે હિન્દી ભાષાએ આવો દબદબો, સત્તા, વગ, ઐશ્વર્ય ક્યારે ભોગવ્યું છે? હિન્દી ઇતિહાસના કયા કાલખંડમાં સાંસ્કૃતિક ઇજારાશાહી કે આક્રમણની ભાષા હતી? સંસ્કૃત દ્વારા બ્રાહ્મણોએ, બંગાળી દ્વારા બંગાળી ભદ્રવર્ગે, પર્શિયન દ્વારા કાયસ્થોએ કે અંગ્રેજી દ્વારા સવર્ણો જે વગ ભોગવી છે એવી કઈ વગ હિન્દીભાષિકે ભોગવી છે કે ભોગવે છે? હિન્દીનો ઇતિહાસ તો સામાન્ય માણસનો બીજા સામાન્ય માણસ સુધી પહોંચવાની મથામણનો ઇતિહાસ છે. એને સાંસ્કૃિતક ઇજારાશાહી, સાંસ્કૃિતક આક્રમણ કે કલ્ચરલ હેજેમની સાથે દૂર-દૂરનો પણ સંબંધ નથી.
આવડા મોટા દેશમાં સેંકડો વર્ષ સુધી પ્રજા અપ્રવાસી તો નહીં રહી હોય. ર્તીથાટન માટે કે ધંધા માટે લોકો એક પ્રાંતથી બીજા પ્રાંતમાં જતા હશે ત્યારે સંવાદ કરવા માટે કોઈક તો કડીભાષા હશે જ. એ કડીભાષા હિન્દુસ્તાની હતી જે પર્શિયન, સંસ્કૃત અને બીજી ડઝનેક લોકભાષાઓના મિશ્રણથી વિકસી હતી અને જેમ-જેમ પ્રવાસન વધ્યું એમ વિકસી રહી હતી. આ એવી ભાષા હતી જે જરૂરિયાતમાંથી વિકસી હતી, એનો કોઈ ભવ્ય ઇતિહાસ નહોતો કે સાંસ્કૃિતક વારસો નહોતો. આજે જેને હિન્દી કહેવામાં આવે છે એનું તો દોઢસો વર્ષ પહેલાં અસ્તિત્વ જ નહોતું. આજે જેને હિન્દીનું મધ્યકાલીન સાહિત્ય કહેવામાં આવે છે એ વાસ્તવમાં અવધી કે વ્રજ કે એવી બીજી પ્રાદેશિક ભાષામાં હતું. હિન્દી કે હિન્દુસ્તાનીમાં સાહિત્ય લખાવાની શરૂઆત તો ભારતેન્દુ હરિશ્ચન્દે ઉત્તર ભારતીયો માટે ખડી બોલી વિકસાવી એ પછીનું છે.
જેનો ઇતિહાસ આટલો ટૂંકો છે એના સાંસ્કૃિતક આક્રમણનો પ્રશ્ન જ ક્યાંથી આવ્યો? આમ છતાં હિન્દી સામે સાંસ્કૃિતક આક્રમણનો આરોપ કરવામાં આવે છે, કારણ કે એમાં તામિલોને અને દ્રવિડ અસ્મિતાવાદીઓને વિભાજનરેખા મળી રહે છે. આગળ કહ્યું એમ હિન્દી સામેની વિભાજનરેખા કાલ્પનિક અને ઊપજાવી કાઢેલી છે. દુર્ભાગ્ય એ વાતનું છે કે અખિલ ભારત માટે સુલભ એવી કડીભાષા વિકસાવવાનો નિર્દોષ પ્રયાસ વિભાજનરેખાઓના રાજકારણનો ભોગ બની ગયો.
હિન્દીને કેન્દ્રમાં રાખીને વિભાજનરેખાનું સંકુચિત રાજકારણ માત્ર તામિલો કરે છે એવું નથી. હિન્દુત્વવાદીઓએ અને હિન્દી ભાષાભિમાની બ્રાહ્મણ પંડિતોએ પણ વિભાજનરેખા વિકસાવવામાં ફાળો આપ્યો છે. એ બધાએ હિન્દુસ્તાનીનું કાસળ કાઢી નાખ્યું છે. આગળ કહ્યું એમ વિકસી રહેલી હિન્દુસ્તાની ભાષામાં સંસ્કૃત, પર્શિયન અને બીજી એક ડઝન લોકભાષાઓનું મિશ્રણ હતું. વિભાજનરેખાના રાજકારણના ભાગરૂપે હિન્દુત્વવાદી અને હિન્દી ભાષાભિમાની પંડિતોએ હિન્દુસ્તાનીમાંથી પર્શિયન, અરબી તેમ જ લોકભાષાઓના ગ્રામીણ શબ્દો હટાવીને શુદ્ધ સંસ્કૃતનિષ્ઠ હિન્દી ભાષા માટે આગ્રહ રાખ્યો હતો. હજી પણ તેઓ એ પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમની આવી પ્રવૃત્તિને કારણે દ્રવિડ અસ્મિતાવાદી રાજકારણ કરનારાઓને સંસ્કૃતના અને એ રીતે ઉત્તર ભારતની આર્યસંસ્કૃતિના આક્રમણનો આરોપ કરવાનો મોકો મળી ગયો હતો. શુદ્ધ સંસ્કૃતનિષ્ઠ હિન્દી ભાષાનો આગ્રહ રાખનારાઓ પોતે અંગ્રેજીમાં વહેવાર કરે છે. શાસનસંસ્થામાં દરેક જગ્યાએ તેઓ ગોઠવાયેલા છે. તેમના માટે હિન્દી હિન્દુ અસ્મિતાની ભાષા છે, જરૂરિયાતની ભાષા નથી. આ લોકોએ સામાન્ય ભારતીયની જરૂરિયાતની ભાષા હિન્દુસ્તાનીનું કાસળ કાઢી નાખ્યું અને તામિલોને વિરોધ કરવાનો મોકો આપી દીધો. હિન્દુસ્તાની ભાષા દ્વારા દેશને જોડવાનો એક સુંદર અને નિર્દોષ લોકપ્રયત્ન આ વિભાજનરેખાનું રાજકારણ કરનારાઓએ રોળી નાખ્યો.
ગાંધીજીને આ જોખમ ધ્યાનમાં આવી ગયું હતું. તેઓ તો દરેક પ્રકારની વિભાજનરેખાઓનો વિરોધ કરતા હતા અને એમાં કડીભાષાની વિભાજનરેખા કાલ્પનિક અને ઊપજાવી કાઢેલી છે એ તેમને સમજાઈ ગયું હતું. તેમણે ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દીની જગ્યાએ હિન્દુસ્તાનીને બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે હિન્દુસ્તાની પ્રચારસભાની સ્થાપના કરી હતી જે સમગ્ર દક્ષિણ ભારતમાં કામ કરતી હતી અને દક્ષિણ ભારતીયોમાં એને સારો પ્રતિસાદ મળતો હતો. સી. રાજગોપાલાચારી જેવા દક્ષિણ ભારતના દિગ્ગજ નેતા એમાં ગાંધીજીને સાથ આપતા હતા. એટલું તો તેમને પણ સમજાતું હતું કે આ દેશને કડીભાષાની જરૂર છે. પેરિયાર રામસ્વામી નાયકર જ્યારે આર્યઅસ્મિતા વિરુદ્ધ દ્રવિડ અસ્મિતાનું રાજકારણ કરતા હતા ત્યારે રાજાજીએ એનો વિરોધ કર્યો હતો, પરંતુ જ્યારે ઉત્તર ભારતના હિન્દી ભાષાભિમાની પંડિતોએ હિન્દીને સંસ્કૃતનિષ્ઠ કરવાનો આગ્રહ રાખવા માંડ્યો અને હિન્દી ભાષાને આર્યઅસ્મિતા સાથે જોડવા માંડી ત્યારે દક્ષિણમાં હિન્દુસ્તાની પ્રચાર કરનારા રાજાજી હિન્દીવિરોધી થઈ ગયા હતા.
ગાંધીજીને પરાસ્ત કરવા અને રાજાજીને ગુમાવવા એ આપણી કમાણી છે.
‘નો નૉનસેન્સ’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, ‘સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 22 જૂન 2014
http://www.gujaratimidday.com/features/columns/sunday-sartaaj-22062014-24