અકાલી દળ અન્ય કેટલાક પક્ષો જેવો માત્ર કોમવાદી પક્ષ નથી પરંતુ ધર્મસંસ્થા દ્વારા સ્થાપિત ધર્મની રક્ષા કરવા માટે ખાસ રચાયેલો ધાર્મિક-રાજકીય પક્ષ છે. કોમવાદી એજન્ડા હોવો એક વાત છે અને કોમવાદ ઉપરાંત ધર્મરક્ષણનો એજન્ડા પણ હોવો એ અલગ વાત છે
૨૦૧૪ માટે ૧૯૮૪નું વર્ષ લેસન સમાન છે. લેસન કૉન્ગ્રેસ માટે છે, ધર્મના નામે કરતા રાજકારણ માટે છે, સિખો માટે છે અને RSS તેમ જ BJP માટે છે. કઈ રીતે એ જોઈએ.
૨૦૧૪માં કૉન્ગ્રેસ એના ઇતિહાસમાં નહોતી એટલી દયનીય અવસ્થામાં છે. લોકસભાની ચૂંટણીમાં એને માત્ર ૪૪ બેઠકો મળી છે અને ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીની તુલનામાં ૯.૨૫ ટકા મત ગુમાવ્યા છે. એક ડઝન રાજ્યોમાં કૉન્ગ્રેસને એક પણ બેઠક નથી મળી અને દેશમાં એવું એક પણ રાજ્ય નથી જ્યાં કૉન્ગ્રેસને બે આંકડામાં બેઠક મળી હોય. ૨૦૧૪નું વર્ષ કૉન્ગ્રેસની પ્રચંડ તાકાતનું, તુમાખીનું અને તુમાખીને કારણે કૉન્ગ્રેસે અને દેશે ચૂકવેલી મોટી કિંમતનું વર્ષ હતું. કૉન્ગ્રેસે જવાહરલાલ નેહરુના વિવેક અને શિક્ટાચારના ગુણો જાળવી રાખ્યા હોત, પક્ષ કરતાં દેશના હિતને ધ્યાનમાં રાખ્યું હોત અને તુમાખી ઓછી દાખવી હોત તો આજ જેવી અવસ્થાથી બચી શકી હોત. કૉન્ગ્રેસનાં વળતાં પાણી ઇન્દિરા ગાંધીની વડા પ્રધાનપદની બીજી મુદતથી થયાં હતાં, જે રીતે મુઘલ સામાજ્યનાં વળતાં પાણી ઔરંગઝેબથી થયાં હતાં. બહારથી બન્ને સામ્રાજ્યો (કૉન્ગ્રેસ અને મુઘલ) મજબૂત હતાં, પરંતુ એના અંતની શરૂઆત તેમના વખતથી જ થઈ ગઈ હતી.
ઇન્દિરા ગાંધીએ દેશ કરતાં પક્ષને અને પક્ષમાં વળી પોતાના સ્થાનને વધારે મહત્વ આપ્યું હતું. પોતાની સત્તા સામે પડકાર પેદા ન થાય એ માટે તેમણે લોકતાંત્રિક સંસ્થાઓ સાથે, લોકતાંત્રિક મર્યાદાઓ સાથે અને સેક્યુલરિઝમ સાથે ચેડાં કર્યા હતાં. જમ્મુ અને કાશ્મીરમાં શેખ અબદુલ્લાના અવસાન પછી મુખ્ય પ્રધાન બનેલા તેમના પુત્ર ફારુક અબદુલ્લાને સતાવવાનું શરૂ કર્યું હતું અને એમાં તેમણે RSSનો સહયોગ પણ લીધો હતો. કાશ્મીર જેવા સંવેદનશીલ રાજ્યમાં સંઘને પડદા પાછળ સાથે રાખીને ધાર્મિક રાજકારણ કરવામાં સંકોચ નહોતો કર્યો. ઇન્દિરા ગાંધીએ સૌથી મોટું ઊંબાડિયું પંજાબમાં કર્યું હતું. પંજાબમાં શિરોમણિ અકાલી દળને નાથવા તેમણે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC)નો વિરોધ કરનારા ખાલસાઝનૂની સિખોને ટેકો આપ્યો હતો, કહો કે પેદા કર્યા હતા. ઓસામા બિન લાદેન જેમ અમેરિકાની પેદાશ હતો એમ જરનેલ સિંહ ભીંદરાણવાલે ઇન્દિરા ગાંધી અને કૉન્ગ્રેસની પેદાશ હતો. જ્ઞાની ઝૈલ સિંહ ૧૯૭૨થી ૧૯૭૭નાં વર્ષોમાં પંજાબના મુખ્ય પ્રધાન હતા. ૧૯૭૭ની ચૂંટણીમાં અકાલી દળનો વિજય થયો હતો. પંજાબમાં અકાલી દળની તાકાત તોડવી હોય તો SGPCની તાકાત તોડવી જરૂરી છે અને જ્ઞાની ઝૈલ સિંહે આ ખાસ મિશન માટે ભીંદરાણવાલેને આગળ કર્યો હતો અને ૧૯૭૮માં થયેલી SGPCની ચૂંટણી લડવા કૉન્ગ્રેસે ભીંદરાણવાલેને પૈસા પણ આપ્યા હતા. ૧૯૭૮માં પંજાબમાં જેને કોઈ ઓળખતું નહોતું એ ભીંદરાણવાલે ૧૯૮૦ સુધીમાં માત્ર અકાલી દળ માટે જ નહીં, દેશ માટે ખતરો બની ગયો હતો અને કૉન્ગ્રેસના અંકુશની બહાર નીકળી ગયો હતો.
એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. પંજાબમાં અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન થયું જેની પરિણતી ૧૯૮૪ના જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં કરવા પડેલા ઑપરેશન બ્લુસ્ટારમાં થઈ હતી. અમ્રિતસરમાં સુવર્ણમંદિરમાં લશ્કર મોકલવું પડ્યું હતું અને લશ્કર તેમ જ ત્રાસવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં અત્યંત પવિત્ર અકાલ તખ્તને નુકસાન પહોંચ્યું હતું. દેશમાં અને વિદેશમાં સિખો નારાજ થયા હતા અને ઇન્દિરા ગાંધીના સિખ ચોકિયાતોએ ૧૯૮૪ના ઑક્ટોબર મહિનામાં ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી. ઇન્દિરા ગાંધીની હત્યા પછી સિખોનો જે રીતે નરસંહાર થયો એ આઝાદ ભારતની કલંકરૂપ ઘટનાઓમાંની એક છે.
આગળ કહ્યું એમ ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસના અને પોતાના સત્તાકીય હિત કરતાં દેશના હિતને પ્રાથમિકતા આપી હોત, અન્ય પક્ષો માટે લોકતાંત્રિક સહિષ્ણુતા દાખવી હોત, લોકતાંત્રિક મર્યાદા પાળી હોત અને તુમાખીભર્યા વલણથી બચ્યાં હોત તો ૧૯૮૪માં જે ઘટનાઓ બની અને એમાં પોતાના પ્રાણ સહિત જે કિંમત ચૂકવવી પડી એનાથી બચી શકાયું હોત. કમનસીબે કૉન્ગ્રેસે એમાંથી પાઠ ભણવાની જગ્યાએ દેશના સેક્યુલર ઢાંચા સાથે વધુ એક ઊંબાડિયું કર્યું હતું. કૉન્ગ્રેસે હિન્દુઓના મત મેળવવા અયોધ્યાની બાબરી મસ્જિદનાં તાળાં ખોલાવ્યાં હતા. ૧૯૯૦ સુધીમાં કૉન્ગ્રેસે હિન્દુઓનો, મુસલમાનોનો અને સિખોનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. કૉન્ગ્રેસની આજની જે અવસ્થા છે એ કૉન્ગ્રેસે કરેલાં ઊંબાડિયાંઓનું પરિણામ છે.
૧૯૮૪નું લેસન સિખો માટે અને એકંદરે ધર્મના નામે રાજકારણ કરનારાઓ માટે પણ છે. મૂળમાં તો સિખ ધર્મ હિન્દુ ધર્મનો સુધારાવાદી સંપ્રદાય હતો જેને ૧૬૯૯ની સાલમાં સિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહે ખાલસા નામ આપીને સંગઠિત ધર્મનું સ્વરૂપ આપ્યું હતું. એના સ્વરૂપમાં જ કેટલાંક આગ્રહયુક્ત અલગતાવાદી લક્ષણો છે. બીજી બાજુ સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલા આર્યસમાજે ૧૯મી સદીના છેલ્લા બે દશકોમાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં હિન્દુઓ અને સિખો વચ્ચે અંતર વધારવાનું કામ કર્યું હતું. આર્યસમાજીઓ સિખોને વટલાવીને ફરી હિન્દુ બનાવતા હતા અને વસ્તીગણતરી શરૂ થઈ એ પછી પંજાબના હિન્દુઓને સલાહ આપવામાં આવી હતી કે તેમણે પોતાની માતૃભાષા તરીકે પંજાબીની જગ્યાએ હિન્દી લખાવવી. આર્યસમાજીઓએ ઉદૂર્ને મુસલમાનોની અને પંજાબીને સિખોની ધરાર ધર્મભાષા બનાવી હતી; જ્યારે એ બન્ને હિન્દુઓની, મુસલમાનોની અને સિખોની સહિયારી ભાષા હતી. આર્યસમાજની આવી કોમવાદી પ્રવૃત્તિને કારણે સિખો અને હિન્દુઓ વચ્ચે અંતર વધ્યું હતું. સિખોને ધાર્મિક રીતે ઝનૂની બનાવવામાં અંગ્રેજોનો પણ ફાળો છે. મહારાજા રણજિત સિંહના અવસાન પછી અંગ્રેજોએ સિખોનું રાજ છીનવી લીધું હતું, રણજિત સિંહના સગીર વારસ દુલીપ સિંહને બ્રિટન રવાના કરી દીધો હતો, તેનું ધમાર઼્તરણ કરીને તેને ઈસાઈ બનાવવામાં આવ્યો હતો અને એકંદરે પંજાબમાં મિશનરીઓ વટાળપ્રવૃત્તિ કરતા હતા.
આર્યસમાજ તેમ જ અંગ્રેજોના આક્રમણથી ખાલસા પંથને બચાવવાની જરૂર છે એમ લાગતાં ૧૯મી સદીમાં સિંઘસભા આંદોલન શરૂ થયું હતું. ૧૯૨૫ સુધી સિખોના ગુરુદ્વારાનું સંચાલન હિન્દુ મંદિરોની જેમ થતું હતું. કેટલાંક ગુરુદ્વારા ખાનગી માલિકી જેવાં હતાં જેમાં ગ્રંથીની નિમણૂક વંશપરંપરાગત થતી હતી. કેટલાંક પ્રસિદ્ધ ગુરુદ્વારા જાણે કે સિખ ધર્મના પેટા-સંપ્રદાયની પીઠ હોય એ રીતે ચાલતાં હતાં. સિંઘસભાના આક્રમક ધર્માભિમાની સિખોને ત્યારે લાગ્યું હતું કે હજી તો ૨૦૦ વર્ષ પણ નથી થયાં એવા યુવા સિખ ધર્મને અંગ્રેજો અને આર્યસમાજીઓથી બચાવવો હશે તો ગુરુદ્વારા કબજે કરવાં પડશે. ગુરુદ્વારા એક એવી જગ્યા છે જ્યાં સિખને પાકો સિખ બનાવી શકાય. સિંઘસભાના જથ્થાઓ પંજાબભરમાં ગુરુદ્વારાઓ પર આક્રમણ કરીને કબજે કરતા હતા. આ આંદોલનનો લોહિયાળ ઇતિહાસ છે. એની વિગતોમાં જવાની જરૂર નથી, પરંતુ ૧૯૨૫માં અંગ્રેજ સરકારે સિખ ગુરુદ્વારા ઍક્ટ પસાર કરીને સિખોના લગભગ તમામ ગુરુદ્વારાઓનો વહીવટ લ્ઞ્ભ્ઘ્ને આપી દીધો હતો. અકાલી દળ એ SGPC દ્વારા સ્થાપિત અને હજી પણ આડકતરી રીતે સંચાલિત રાજકીય પક્ષ છે.
આનો અર્થ એ થયો કે અકાલી દળ અન્ય કેટલાક પક્ષો જેવો માત્ર કોમવાદી પક્ષ નથી પરંતુ ધર્મસંસ્થા દ્વારા સ્થાપિત ધર્મની રક્ષા કરવા માટે ખાસ રચાયેલો ધાર્મિક-રાજકીય પક્ષ છે. કોમવાદી એજન્ડા હોવો એક વાત છે અને કોમવાદ ઉપરાંત ધર્મરક્ષણનો એજન્ડા હોવો એ જુદી વાત છે. દેશભરમાં ભાષાઆધારિત બને એટલા વિશાળ રાજ્યની રચના કરવા આંદોલનો થયાં છે. જેમ કે મરાઠી ભાષિકોનું મહારાષ્ટ્ર બે રાજ્ય જેવડું મોટું છે. અન્ય પ્રદેશોથી ઊલટું પંજાબમાં અકાલી દળે પંજાબીની જગ્યાએ સિખો માટેના નાના રાજ્યની માગણી કરી હતી. આંદોલન એટલું તીવ્ર હતું કે જેમ ૧૯૨૫માં અંગ્રેજોએ ગુરુદ્વારાઓના સંચાલનનો કાયદો કરવો પડ્યો હતો એમ ભારત સરકારે વિશાળ પંજાબમાંથી નાનું પંજાબ આપવું પડ્યું હતું. સિખોની માગણી ઠુકરાવીને એને સિખ સૂબા નામ નથી આપવામાં આવ્યું એ જુદી વાત છે, પણ વ્યવહારમાં એ સિખોની ધાર્મિક બહુમતી ધરાવતું રાજ્ય છે.
સેક્યુલર ભારતે ચેતવા માટે પર્યાપ્ત કારણો હતાં; પરંતુ કૉન્ગ્રેસે અકાલીઓને નબળા પાડવા સવાયા અકાલીઓ પેદા કર્યા હતા એનું પરિણામ દેશે, સિખોએ અને ખુદ ઇન્દિરા ગાંધીએ ભોગવ્યું હતું. અલગ ખાલિસ્તાન માટેનું આંદોલન સંકેલાઈ ગયું છે, પણ ભારેલો અગ્નિ આજે પણ પડ્યો છે જે નિમિત્ત મળતાં પ્રગટી શકે છે.
નરેન્દ્ર મોદી માટે પણ લેસન
લેસન BJP માટે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ છે. તેમના માટેનું લેસન ચેતવણીના સ્વરૂપનું છે. પહેલી વાર BJPને કેન્દ્રમાં સ્પક્ટ બહુમતી મળી છે અને એના શિલ્પકાર નરેન્દ્ર મોદી છે. ઇન્દિરા ગાંધી અને કૉન્ગ્રેસ જેવી તુમાખી રાખવામાં ફાયદો નથી. ઊંબાડિયાં કેટલાં મોંઘાં પડે છે એ ત્રણ દાયકા પહેલાંનો ઘટનાક્રમ કહે છે.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 જૂન 2014
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-08062014-20