
ચંદુ મહેરિયા
સંસદના અંદાજપત્ર સત્રમાં ઓડિશાના કોરાપુટ મતવિસ્તારના અનુસૂચિત જનજાતિના કાઁગ્રેસ સાંસદ સપ્તગિરિ શંકર ઉલાકાના નેતૃત્વ હેઠળની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીનો અહેવાલ રજૂ થયો હતો. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલયની એકત્રીસ સભ્યોની સંસદીય સ્થાયી સમિતિએ ‘મનરેગા’માં મહત્ત્વના સુધારા સૂચવતી ભલામણો તેના સંસદ સમક્ષના રિપોર્ટમાં કરી છે. મનરેગાના કામના દિવસો અને દૈનિક વેતનમાં વૃદ્ધિ કરવા સમિતિએ ભલામણ કરી છે.
ગ્રામીણ ભારતના અકુશળ નાગરિકોને કામનો અધિકાર આપતો નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ ( NAREGA) યુ.પી.એ.-૧ના સત્તાકાળમાં ઘડાયો હતો. આ કાયદામાં ગામડાંના બિનકુશળ શ્રમિકોને સરકાર પાસે કામ માંગવાનો કે વિકલ્પે બેકારી ભથ્થું આપવાની જોગવાઈ છે. ૨૦૦૯ની ગાંધી જયંતીથી કાયદા સાથે ગાંધીજીનું નામ જોડવામાં આવ્યું છે. હવે તે ‘મનરેગા’ કે ‘મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ’ તરીકે ઓળખાય છે. બીજી ફેબ્રુઆરી ૨૦૦૬થી કાયદાનો અમલ શરૂ થયો તે હકીકતને હવે તો બે દાયકા થવા આવ્યા છે. પરંતુ જેમ તેની પ્રાસંગિકતા વધી છે, તેમ તેની સામેના પડકારો પણ વધ્યા છે.
ગામડાંના લોકોને ઘરઆંગણે તેમની માંગણીથી વરસના ફરજિયાત સો દિવસનું કામ આપી સ્થળાંતર રોકવાનો આ કાયદાનો ઉદ્દેશ છે. તેનાથી આર્થિક રીતે નબળા લોકો માટે રોજગાર ઊભો કરવો છે. કામની જરૂરિયાત ધરાવતા લોકો અને ગ્રામ્ય વિકાસ કાર્યો વચ્ચે મેળ બેસાડીને ચાલતા મનરેગાથી પંચાયતી રાજ અને ગ્રામ સભાનું મહત્ત્વ ઊભું થયું છે. વળી લોકતંત્ર છેક તળિયાના લોકો સુધી પહોંચ્યું છે. મનરેગા થકી પલાયન રોકવાનો તો સ્થાનિક મજૂરીના દર વધારવાનો પણ હેતુ છે. અને તે ઘણે અંશે સાકાર થયો છે. કાયદા દ્વારા ગરીબી ઘટાડવાનો તેમ ૩૦ ટકા શ્રમિકો મહિલા રાખવાની જોગવાઈથી મહિલા સશક્તીકરણનો પણ આશય છે.
ગામના તળાવો ઊંડા કરવાં, રસ્તાઓનું નિર્માણ, મકાન બાંધકામ, સિંચાઈ, પૂર નિયંત્રણ, વનીકરણ, નહેર સફાઈ, પ્રધાન મંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પાણીનો સંગ્રહ અને તેનું સંવર્ધન તથા બીજા પર્યાવરણ સંબંધી કામો મનરેગા હેઠળ કરવામાં આવે છે. એટલે મનરેગા ખાડા ખોદવાની કે પૂરવાની યોજના નથી. પરંતુ તેના થકી ગ્રામીણ ભારતમાં અનેક નાના મોટા વિકાસ કામો થયાં છે. માળખાંકીય સુવિધાઓ ઊભી થઈ છે.
કરોડો શ્રમિકોને રોજી આપતી ‘મનરેગા’ વિશ્વની સૌથી મોટી રોજગાર યોજના છે. જો કે તેમાં શ્રમિકોની માંગણીથી વરસના સો દિવસ જ રોજી આપવામાં આવે છે. વળી મનરેગા મજૂરોનું વેતન લઘુતમ વેતનથી પણ ઓછું છે. એટલે તેનાથી મજૂરોના જિંદગીના થોડા દહાડા ટૂંકા થાય છે પરંતુ તેમનાં જીવનધોરણમાં કોઈ સુધારો થતો નથી. કામના વિકલ્પે બેરોજગાર ભથ્થું આપવાની કાયદામાં જોગવાઈ છે ખરી, પરંતુ તેનો ક્યાં ય અમલ થતો નથી.
એટલે સંસદીય સમિતિએ કામના દિવસો ૧૦૦થી વધારીને ૧૫૦ કરવાની અને ‘મનરેગા’ શ્રમિકોનું રોજનું વેતન રૂ. ૪૦૦ કરવાની મહત્ત્વની ભલામણ કરી છે. જ્યારથી ‘મનરેગા’નો અમલ શરૂ થયો છે ત્યારથી જ તેના કામના દિવસો અને મજૂરીનો દર વધારવાની માંગણી થતી રહી છે. વર્તમાન સરકાર ખાસ કરીને વડા પ્રધાન નરેંદ્ર મોદીએ તો ‘મનરેગા’ને યુ.પી.એ. સરકારની રોજગાર ક્ષેત્રે વિફળતાનું સ્મારક ગણાવી હાંસી ઉડાવી હતી. પરંતુ કોરોના પછીના બેરોજગાર ભારતને ‘મનરેગા’નો જ આશરો હતો. અન્નના અધિકારને વશવર્તી સરકાર ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપે છે ત્યારે કામ કરીને રોજી માંગતા હાથને સરકાર નિરાશ ના કરી શકે.
‘મનરેગા’ના બે દાયકાનું મૂલ્યાંકન કરતાં જણાય છે કે ગ્રામીણ શ્રમિકોની આ જીવાદોરી પ્રત્યે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ ઘટતી જાય છે. મનરેગાના બજેટમાં થતો ઘટાડો અને કામ માંગતા હાથમાં થતો વધારો તેની સામેનો સૌથી મોટો પડકાર છે. મનરેગા મજૂરોને ઓછું વેતન અને તે પણ ઘણાં વિલંબથી ચુકવાય છે. આખા દેશમાં એક સરખો વેતન દર નથી. ૨૦૨૪-૨૫ના વરસમાં મજૂરીનો વધેલો સરેરાશ દર માત્ર ૨૮ રૂપિયા છે. મનરેગા માટે કેન્દ્ર ૯૦ ટકા અને રાજ્ય ૧૦ ટકા હિસ્સો ફાળવે છે. હાલમાં મનરેગાના ખાતામાં રૂ. ૨૩,૪૪૬.૨૭ કરોડનું કરજ છે. આ દેણામાં વિલંબથી ચુકવાતી મજૂરીનો મોટો ભાગ છે.
ભ્રષ્ટાચાર નિવારણના નામે મનરેગા મજૂરી કામદારોના બેન્ક ખાતામાં સીધી જમા થાય છે. હવે કામદારોના જોબકાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા ફરજિયાત કરાયા છે. આધાર કાર્ડમાં મામૂલી ભૂલ કે અન્ય નજીવા કારણોસર અડધા કરોડ કરતાં વધુ જોબકાર્ડ રદ કરવામાં આવ્યા છે. જોબકાર્ડ કુટુંબદીઠ આપવામાં આવે છે. તેમાં કુટુંબના ચારથી પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. એટલે લગભગ બે કરોડ લોકોને ‘મનરેગા’થી વંચિત રહીને ભૂખમરો વેઠવાનો વારો આવ્યો છે.
જ્યારે ‘મનરેગા’ માટે થતી નાણાંકીય ફાળવણી સૌથી વધુ હતી ત્યારે ૨૦૦૮-૦૯ અને તે પછીના એક બે વરસોમાં પણ તે જી.ડી.પી.ના ૦.૫૩ થી ૦.૫૫ ટકા આસપાસ હતી. હાલમાં તો તે ૦.૩૦ થી ૦.૩૩ ટકાની વચ્ચે છે. અકુશળ અને અસંગઠિત ‘મનરેગા’ શ્રમિકો માટેના ખર્ચની સરખામણી ઉદ્યોગોને આપેલી ટેક્સમાં રાહત સાથે કરીએ તો તે જી.ડી.પી.ના ૩ ટકા જેટલી છે. એકલા ડાયમંડ અને ગોલ્ડની કંપનીઓને મળેલી કરવેરાની છૂટ મનરેગાના બજેટ કરતાં બેગણી છે. ત્યારે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ અને પ્રાથમિકતા શું છે તે સમજી શકાય છે.વળી ઉદ્યોગોથી પેદા થતી રોજી અને મનરેગાથી પેદા થતી રોજીમાં જમીન આસમાનનું અંતર છે.
કેન્દ્ર સરકાર ‘મનરેગા’ના બજેટની રાજ્યોને ફાળવણીમાં ભેદભાવ રાખે છે. જ્યાં ડબલ એન્જિન સરકાર હોય ત્યાં પૂરતી અને સમયસર ફાળવણી થાય છે જ્યારે વિપક્ષી રાજ્ય સરકારોને ઓછી અને મોડી ફાળવણી થાય છે. આમ કરીને તે કેન્દ્ર વિપક્ષશાસિત રાજ્યોની સરકારોના મનરેગા શ્રમિકોમાં અસંતોષ જન્માવવામાં સફળ થાય છે.
ટેકનોક્રસીમાં વૃદ્ધિ ‘મનરેગા’ સામે મોટો પડકાર છે. બેન્ક ખાતાને આધાર સાથે લિંક કરવું, ઈ-મસ્ટર રોલ જેવા ગતકડાં શ્રમિકોને વધુ હેરાન કરવા જ કાઢવામાં આવ્યા હોય તેવું અનુભવે જણાયું છે. એટલે તેનાથી છૂટકારો મળે તો જ આ કાયદાનો સુચારુ અમલ થઈ શકે છે.
‘મનરેગા’ના ઘણા ઉદ્દેશો પાર પડ્યા છે. રોજીરોટી અર્થે ગામડાંમાંથી શહેરોમાં થતું સ્થળાંતર ઘટ્યું છે.’ મનરેગા’ના કારણે ગામડાઓમાં ખેતમજૂરી સહિત અન્ય રોજીના દર વધ્યા છે. કામદારોની અછત ઊભી કરી શકાઈ છે. તેમની સોદાશક્તિ વધારી શકાઈ છે. મહિલાઓનું સશક્તીકરણ થયું છે. એટલે તેની સાર્થકતા અને પ્રાસંગિકતા સ્વયંસ્પષ્ટ છે.
મહાત્મા ગાંધી શ્રમિકો માટે જીવન યોગ્ય દરમાયો ઈચ્છતા હતા, પરંતુ તેમના નામ સાથે જોડાયેલા આ રોજગાર ખાતરી કાયદામાં શ્રમિકને તે મળતો નથી. તે કેટલી મોટી કરુણતા છે. સરકાર અને શ્રમિક બેઉ માટે મનરેગા જીવાદોરી છે. એટલે સંસદીય સમિતિની ભલામણો સ્વીકારીને સરકાર મનરેગા મજૂરોના કામના દિવસો અને રોજગારીનો દર વધારીને તેને વધુ સાર્થક કરી શકે છે. ‘મનરેગા’ના બે દાયકે ગ્રામીણ શ્રમિકોની જેમ શહેરી ગરીબો માટે પણ મનરેગા જરૂરી છે તે દિશામાં વિચારવાની તાતી જરૂર છે.
e.mail : maheriyachandu@gmail.com