માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવનાર માન્ચેસ્ટર કેથિડ્રલના ડીન Rogers Govenderના આમંત્રણથી, એક પ્રકલ્પમાં ભાગીદાર બનવાની તક મળી. ગ્રેટર માન્ચેસ્ટર પોલિસ દળે ચારેક વર્ષ પહેલાં આધુનિક ગુલામીના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને તેનો હલ શોધવા એક ખાસ એકમ ઊભું કર્યું છે. માનનીય ગવન્ડરનાં સૂચનથી વિવિધ ધર્મને અનુસરતા કેટલાક નાગરિકોને આ સમસ્યા વિશે જાણકારી આપીને તેમના સમાજનાં વલણો જાણવા અને તેનો હલ શોધવા માટે તેમનો સહકાર મેળવવા એક મિટિંગ યોજવામાં આવેલી. તે વિશે આગળ ઉપર જે પગલાં ભરવામાં આવશે તેનો અહેવાલ યથા સમયે આપીશ, પરંતુ આજે વાત કરવી છે આધુનિક ગુલામી પ્રથાની અને ખાસ કરીને ભારત આ સમસ્યામાં દુનિયામાં કયા સ્થાને છે તે જોવાની.
‘ગુલામી પ્રથા’ શબ્દ કાને પડતાં અશ્વેત સ્ત્રી-પુરુષ અને બાળકોને બજારમાં ઊભાં રાખીને તેમનું વેચાણ થતું હોય, તેમને લોઢાની સાંકળે બાંધીને ઘસડવામાં આવતાં હોય કે તેમની પાસે શેરડી તથા તમાકુની ખેતી કરાવવામાં આવતી હોય, તેવા કારમા જુલમનાં દ્રશ્યો નજર સામે તરી આવે. સામાન્ય માન્યતા એવી છે કે યુરોપિયન મૂળના શ્વેત લોકો આફ્રિકા ખંડમાં વસતી અશ્વેત પ્રજાને પોતાનાથી ઉતરતી માનવીય ગુણવત્તા ધરાવનારા, નીચા બુદ્ધિ આંક વાળા, જેમને કોઈ ધર્મ કે ભાષાનું જ્ઞાન ન હોય તેવા પશુ સમાન અર્ધ માનવ તરીકે ઓળખાવવા લાગ્યા અને શ્યામ રંગધારી હોવાને કારણે તેમનાથી ઉતરતી જાતિના ગણીને તેમનું શોષણ કરવાને પોતાની જાતને અધિકારી માનવા લાગ્યા. રંગ ભેદને આધારે આવું અમાનવીય કૃત્ય આચરવા બદલ સદીઓ સુધી ખુદ બાઇબલનો આધાર પણ લેવાતો રહ્યો. વળી ‘તમારી પાસે કોઈ ધર્મ નથી, શિક્ષણનો અભાવ છે, આરોગ્ય અને સ્વાસ્થ્યની સગવડો નથી, તેથી તમને મદદ કરવા અમને જીસસે મોકલ્યા છે, તમે તેને શરણે આવો તો આ પાપમય જિંદગીમાંથી ઉગારો થશે અને બદલામાં અમે તમને શાળા, દવાખાનાં, રોજગારીની તકો અને આવાસો આપીશું’, તેમ કહીને એમના વતનમાં પગપેસારો કર્યો અને ત્યાર બાદ કરુણા અને પ્રેમના પ્રસારના અંચળા હેઠળ ધર્મ પરિવર્તન તથા સંસ્થાનવાદનો યુગ આવ્યો તે હકીકત જગ જાહેર છે. એકદા ગુલામી પ્રથા કાયદેસર હતી તેમ કહી શકાય. જીવતા જાગતા બે પગાળા માનવીઓનું લીલામ થાય, તેમનાં શરીર સ્વાસ્થ્ય, માનસિક તાકાત, દેખાવ અને કામ કરવાની ક્ષમતાને આધારે બોલી બોલાય અને પતિ-પત્ની-બાળકો જુદાં જુદા ંઘરોમાં વેચાય એ સાવ સામાન્ય બાબત ગણાવા લાગી. ઢોરને પણ કામ કરાવ્યા બાદ કાળજીથી નીરણ અને પાણી અપાય, માંદું પડે તો સારવાર કરાય અને પ્રેમથી પીઠ થાબડવામાં આવે, જ્યારે આ ગુલામો તો એટલી માનવતાના્ ય અધિકારી નહોતા ગણાતા. માનવ ઇતિહાસમાં ગુલામી પ્રથા એ એક બહુ મોટું કાળું ધાબું છે.
છેવટ દરેક યાતનાનો અંત આવે તેમ યુનાઇટેડ કિંગ્ડમની પાર્લામેન્ટે ઈ.સ. 1833માં તેનાં સંસ્થાનોમાં ગુલામી પ્રથા નાબૂદ કરવાનો કાયદો પસાર કર્યો. એમ તો ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે માનવ વ્યાપાર અને ગુલામો પ્રત્યે અમાનવીય વર્તાવ કરવા વિરુદ્ધ કાયદાઓ ઘડેલા. પરંતુ સમગ્ર ભારત કે વિશ્વના અન્ય દેશોમાં એ જુલ્મી પ્રથા ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહી. યુ.એસ.એ.માં ભારે સંઘર્ષ અને જાનહાનિ બાદ જાન્યુઆરી 1863માં પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકને Emancipation Proclamation બિલ પસાર કર્યા બાદ, બે વર્ષે ગુલામી પ્રથાનો કાયદેસર અંત આવ્યો. નોંધ લેવાની વાત એ છે કે યુનાઇટેડ કિંગ્ડમમાં અને કદાચ બીજા દેશોમાં પણ ગુલામોના માલિકોને તેમની માલિકી હેઠળના ગુલામોને મુક્ત કરી દેવા બદલ તેમને પડેલી ખોટનું નાણાકીય વળતર આપવામાં આવેલું! પેઢીઓ સુધી એ ગુલામ પ્રજાના જાન લેવાયા, ઢોરમાર મારેલો, ભૂખે મારેલા, અપહરણ અને બળાત્કાર જેવા ગુનાઓ તેમના પર આચરેલા જેનું વળતર બીજી અનેક પેઢીઓ સુધી વળી શકાય તેમ નથી, તેનો કોઈને વિચાર સુધ્ધાં ન આવ્યો. અરે, આ શોષણ પ્રથાને ખુદ રાજ્ય અને ચર્ચનો પણ સીધો કે આડકતરો ટેકો હતો. સત્તા અને ધર્મ જ્યારે માર્ગ ભૂલે છે ત્યારે કેવો અમાનવીય અત્યાચાર કરાવી શકે છે તેનો આ ગુલામી પ્રથા જીવંત પુરાવો છે. ખેર, આખર કાયદાઓ પસાર થયા અને લાખો ગુલામોની પીડા અને યાતનાઓનો અંત આવ્યો. દુનિયાએ નિરાંતનો દમ લીધો. માનવ જાતને પોતાના પર લાગેલું કલંક ધોવાયાનો અહેસાસ થયો.
પણ એમ કંઈ માણસ શુદ્ધ નિષ્પાપ જીવન જીવીને રહેવા થોડો ટેવાયેલો છે? કાયદા વિરુદ્ધ વર્તન ન થાય પણ નીતિ વિરુદ્ધ વર્તન થાય તો તેને કોણ પકડીને સજા કરવાનું છે? બસ, આવા અનીતિમય વિચારને મૂડીવાદ, વૈશ્ચિક બજાર, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિક જીવન પદ્ધતિના રૂડા મુખવટા પાછળ ઉછેરવાનું સહેલું બન્યું છે અને ‘આધુનિક ગુલામી પ્રથા’ના રૂપમાં એ પુનર્જિવન પામી રહી છે. આજે દુનિયામાં 12થી 29 મિલિયન લોકો આધુનિક ગુલામી પ્રથાના ભોગ બનેલ છે, તેવો અંદાજ છે. તેઓ જે પ્રકારના વ્યવસાયમાં સંકળાયેલા છે તેનાથી લગભગ 35 બિલિયન ડોલર જનરેટ થાય છે તેવો અંદાજ છે. આફ્રિકા ખંડના ઘણા દેશો, નેપાળ, પાકિસ્તાન, કેરેબિયન અને ભારતમાં આવા કામ-ધંધા અને જીવન પ્રથાનું વધુ પ્રમાણ જોવા મળે છે. એનો અર્થ એ કે રંગભેદ નાબૂદ થયો એ એક ભ્રમણા છે, બાકી હજુ પણ મુખ્યત્વે અશ્વેત પ્રજા ધરાવનાર દેશોમાં આંતરિક આર્થિક અને સામાજિક પરિસ્થિતિને પરિણામે ગુલામી પ્રથા નવા વેશ પરિધાન કરીને ગલીએ ગલીએ ફરતી જોવા મળે છે. દુનિયાના કુલ ગુલામોમાંથી 76% ગુલામો માત્ર 10 દેશોમાં રહે છે જેમાં ભારતમાં તેની સહુથી મોટી સંખ્યા – કુલ વસતીના 1% એટલે કે 14 મિલિયન લોકો ગુલામી ભોગવે છે. આ હકીકત વાઇબ્રન્ટ ગુજરાત કે Make in Indiaના નારા લગાવનારને દેખાતી હશે?
સવાલ એ થાય કે આ કહેવાતી આધુનિક ગુલામી પ્રથાના પ્રકારો કયા? જ્ઞાતિ અને વર્ગ વ્યવસ્થા હજુ પણ પ્રચલિત છે જેણે ગુલામી પ્રથાને વારસાગત સ્વરૂપ આપ્યું છે જે શિક્ષણ અને રોજગારીની સુધરેલી તકો છતાં સમાજમાંથી વિદાય નથી લીધી. વધારામાં ભારત, પાકિસ્તાન અને અન્ય જ્ઞાતિ પ્રથામાં ચુસ્તપણે માનનારા દેશોમાં બન્ધુઆ મઝદૂર અને ભૂમિ વિહોણા મઝદૂરો ગુલામો જેવી જ સ્થિતિમાં સબડે છે. રાજકીય સંઘર્ષ, પર્યાવરણીય પરિવર્તન કે કુદરતી આફતોને કારણે થતા ફરજિયાત સ્થળાંતર સ્ત્રી-પુરુષોને ગુલામની દશામાં લાવી મૂકે છે. એવી જ રીતે વેશ્યા વ્યવસાયમાં ફસાયેલી બાળાઓ અને સ્ત્રીઓ, બાળ લગ્નના ભોગ બનેલ બહેનો અને બાળ મજૂરીમાં ફસાયેલ બાળકો આધુનિક ગુલામીના જ એક ભાગ રૂપ છે. તેમાં વળી વકરેલા આતંકવાદને પગલે ચાલેલા માનવ વ્યાપાર અને વિશિષ્ટ વિચારધારાઓના પ્રચારને કારણે માનવ માનવ વચ્ચે સમતા અને આદર અદ્રશ્ય થતાં માલિક અને ગુલામનો રિશ્તો વધુ પ્રબળ બનતો ચાલ્યો છે.
ભારતમાં પ્રવર્તતતી પ્રચ્છન્ન અને દેખીતી ગુલામી અવસ્થાના થોડા આંકડા જોઈએ. સૌ પ્રથમ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં મોરિટાનિયા, હાઇટી અને પાકિસ્તાન પછી ભારત ગુલામીની પકડમાં જીવતા લોકોમાં ચોથો નંબર ધરાવે છે, એ હકીકત અત્યન્ત દુઃખદ છે.
દુનિયાના કુલ ત્રીસેક મિલિયન ગુલામોમાંથી 14 મિલિયન જેટલા ભારતમાં વસે છે.
તેઓ આવા પ્રકારની ધાતુની ખાણોમાં કામ કરતા હોય છે અથવા બંધુઆ મઝદૂરના વેશે નાના-મોટા ખેત ઉદ્યોગો કે અન્ય મઝદૂરીનાં કામ કરતા જોવા મળે છે.
પશ્ચિમના દેશોમાં કેટલાક સ્ટોર્સને સસ્તાં કપડાં પૂરા પાડનાર કંપનીઓ બાળમજૂરીનો પૂરેપૂરો ઉઠાવે છે એ આ છબીમાં સાબિત થાય છે.
કૈલાશ સત્યાર્થી જેવા અગણિત કર્મશીલો સદીઓ અને દાયકાઓથી આ ક્રૂર પ્રથાનો અંત લાવવા ઝઝૂમી રહ્યા છે.
પણ જેને રૂંવે રૂંવે ધન લોલુપતા, જ્ઞાતિ પ્રથાનું ઝેર સામંતશાહીનો નશો અને આધુનિક ‘વિકાસ’ના નામે પ્રગતિ કરવાની ઘેલછાનો રોગ પ્રસરી ગયો હોય તેવા દેશ પાસે આધુનિક ગુલામી પ્રથાનો નજીકના ભવિષ્યમાં અંત લાવવાની અપેક્ષા સેવવી કદાચ વધુ પડતી લાગે, પરંતુ જયારે યુનાઇટેડ કિંગ્ડમ અને ખાસ કરીને માન્ચેસ્ટર મહાનગરમાં વસતી તમામ કોમને આ પ્રશ્ન વિષે જાગૃતિ લાવીને પોતપોતાના સમૂહના સામાજિક ધારાધોરણો, સાંસ્કૃિતક માન્યતાઓ અને નીતિમત્તાના ખ્યાલોને બદલી ગુલામીના દૂષણને તડીપાર કરવા આહ્વાન આપવામાં આવે ત્યારે એ દિશામાં અહીંના જવાબદાર નાગરિક હોવાને નાતે જરૂર યથાશક્તિ મદદરૂપ થઈશ પણ મનમાં ભારતમાં પ્રચલિત ગુલામી પ્રથાનો અંત કેવી રીતે અને ક્યારે આવશે એ વિષે સતત વિચાર આવે. અન્ય દેશોની વાત નીકળતાં ભારત આધુનિક ગુલામી પ્રથા અસ્તિત્વ ધરાવે છે એ સ્વીકારવામાં અને તેની નાબૂદી માટે સત્વરે અસરકારક પગલાં લેવાની બાબતમાં અત્યન્ત પાછળ છે્, એ હકીકત છતી થતાં અન્ય સભ્યોની હાજરીમાં શરમથી મસ્તક ઝૂકી ગયું. દિલ કહે છે, ચાલ પહેલાં તારી જનમભોમને આ પાપકર્મથી છોડાવનાર સૈન્યમાં ભરતી થઈ જા. …
… કદાચ મારા જીવનકાળ દરમ્યાન પશ્ચિમના અન્ય દેશોની સાથે જ ભારત પણ આધુનિક ગુલામીનો અંત લાવવા સફળ થઇઈચૂક્યું હશે એવું સ્વપ્ન સેવું છું.
e.mail : 71abuch@gmail.com