અમૃતલાલ સ્વભાવે આમ તો કોઈને નડે તેવા નહોતા, છતાં સવાર પડતાં જ દીકરા વેદાંતની વહુ આરતીને કારણ વિના ઠેબે ચઢી જતા. આજે વહેલી સવારે શાક લેવા જવા આરતી પર્સ ગોતવા અહીંતહીં ફાંફાં મારતી હતી. ન જાણે પર્સ કયાંક મુકાઈ ગયુ હશે. એટલે આરતીને મળતું નહોતું. પર્સ શોઘતાં ગુસ્સામાં આરતીના ઠેબે અમૃતલાલની લાકડી ચડી ગઈ. આરતીનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો. ગુસ્સામાંને ગુસ્સામાં તે મનોમન બબડી, ‘હે! પ્રભુ હવે આ ઘરમાંથી આ લાકડી જાય તો, ઘરમાં કયાંક પગ મૂકવાની જગ્યા થાય.’ અને ત્યાં જ ઘરના ફોનની ઘંટડી રણકી ઊઠી.
‘હલ્લો, આરતી.’
‘બોલ, પૂનમ, શું ખબર છે!’
‘બસ, કાંઈ નવીન નથી, આટલી વહેલી સવારે આરતી તને યાદ કરાવવા ફોન કર્યો કે, તું આજે સમયસર કીટી પાર્ટીમાં આવી જજે. છેલ્લા બે ત્રણ વખતથી તને અમે બઘી સહેલીઓ ખૂબ જ મિસ કરીએ છીએ.’
‘પૂનમ, હું તને ફોન પર શું કહું, અરે! મને જેટલી ચિંતા વેદાંતના દિવસના ત્રણ ટંકના ભોજનની નથી હોતી, એટલી ઘરમાં મારે માથે ચોવીસ કલાક ખોડાઈને પડેલા આ ડોસાની છે. મૂઓ! પોતે તો મરીને છૂટતો નથી અને મને પણ છૂટકારો દેતો નથી. હજી સવારમાં જ તેના ચા પાણી નાસ્તો કરીને જરા પરવારી અને હજી અગિયાર વાગ્યા નથી ત્યાં તો માથે આવીને ઊભો રહશે, ‘આરતી વહુ, લંચને હજી ભલા કેટલીવાર છે. ‘જો પૂનમ, લંચમાંથી વહેલી પરવારી જઈશ તો, આજ જરૂર કીટીપાર્ટીમાં આવવાની કોશિશ કરીશ.’
‘તો પછી આરતી, હું એમ જ માની લઉં છું કે, આપણે આજે બપોરે પાર્ટીમાં મળીએ છીએ.’
ફોન મૂકતા, કીટી પાર્ટીમાં આજે જવાશે કે નહિ જવાય, તેની ચિંતામાં આરતીએ પોતાના મનનો ગુસ્સો સ્ટીલની ખાલી તપેલી પર કાઢયો. તપેલીનો એકકોર ઘા કરવાનો અવાજ રસોડામાંથી અમૃતલાલ સાંભળે તે રીતે બરાડી ઊઠી ,’હે પ્રભુ, મારે હજી આ ડોસાની ક્યાં લગી ગુલામી કરવાની છે. તું પણ ઉપર નિરાંતે બેઠો અહીં નખ્ખોદ વાળી રહ્યો છે. ગાય જેવાં સાસુજીને તે તારી પાસે ઉપર બોલાવી લીઘાં, પણ હજી સુઘી તો આ ડોસાની જગ્યા કેમ કરી નથી!’
છાપું વાંચતા અમૃતલાલના કાને વહુના શબ્દો સંભળાયા. આંખે આવેલ જળજળિયાંને ઘોતિયાના છેડે લૂંછતા, ભીંતની ખીંટીએ હારતોરામાં ટીંગાતી પત્ની રાઘાગૌરીની છબી જોતાં તેમના હોઠ ફફડ્યા, ‘અરે! રાઘા, હવે વહુની પણ બહુ જ ઈચ્છા છે, કે હું તારી પાસે ચાલ્યો આવું. તું તો છેલ્લાં સાત-આઠ વર્ષથી સ્વર્ગમાં વસી રહી છે. હવે તો પ્રભુ સાથે સારી એવી ઓળખાણ થઈ ગઈ હશે. તારી પાસે મને બોલાવવા તું પ્રભુને મારા માટે ખાસ વિનંતી કર કે તારી આસપાસમાં મારા માટે કયાંક જગ્યા કરે. આ માટે તું કોઈ લાગવગ લગાવ.’ આ પ્રમાણે પોતાના મન સાથે વાતો કરતા. ફરી પાછા અમૃતલાલ છાપામાં મરણ નોંઘની કોલમમાં નજર ફેરવવા માંડયા કે કોણ ભાગ્યશાળી, મિત્ર કે સગાંસંબંઘી, આ દુનિયામાંથી છૂટી પરલોક સિઘાવ્યા છે.’
સાંજે કીટી પાર્ટીમાંથી પાછી ફરેલ આરતીની નજર સિન્કમાં પડેલા બપોરના ચાના કપરકાબી પર ગઈ. અમૃતલાલ પર ગુસ્સો કાઢવા માટે આરતીને કોઈ કારણ શોઘવું ન પડ્યું. તેણે તો બસ આ એક કારણ પર ઘર આખું માથે લીઘું. અરે! ઈશ્વર, તું આવા આળસુ નકામા માણસને, શું કામ ઘરતી પર મોકલતો હોઈશ? શું માણસ? ગાડા જેટલું ખાઈ પીએ પણ પોતાનાં બે ઠામ ઘોઈ નાખતા, કેમ તેના હાથ ભાગી જાય છે? બપોરથી મારી રાહ જોતા. સિન્કમાં વાસણનો ઢગલો કરી દીઘો છે. ડોસાને મન તો હું જાણે આ ઘરની નોકરડી. અમૃતલાલના કાને આ સાંભળ્યું પણ તેમને માટે આ બઘું સાંભળવું તો રોજની આદત થઈ ગઈ હતી.
આખા દિવસના પ્રખર તાપ બાદ, અમૃતલાલના ભાગ્યમાં શીતળ સાંજ આવી ચડી હતી. રોજની માફક અમૃતલાલ સોનેરી ફ્રેઈમનાં ચશ્માં ચડાવી, સ્વચ્છ હંસોની ઘોળી ઉજળી પાંખો જેવો ઝભ્ભો ઘોતિયું અને માથે ટોપી મૂકી, હાથમાં જયપુરી નકશી કામવાળી હાથી દાંતની લાકડી લઈ ઘીમા ડગ માંડતા, ઘરથી થોડેક દૂરના બાગના એક વૃક્ષ તળે પડેલ તૂટેલ ફૂટેલ બાંકડે બેસવા ચાલી નીકળ્યા. અમૃતલાલનો દિવસ ભલે આરતી વહુનાં મેણાં ટોણાંમાં વિતી ગયો પણ સાંજ તો તેમને માટે શુભ શુકન લઈને આવી હતી. ઊંચાં મકોનો વચ્ચે ,દૂર દેખાતી ટેકરીઓ વચ્ચે ડૂબતા સૂરજને નીરખતા અમૃતલાલ નિરાંતે બાંકડે બેઠા હતા. બરાબર એ જ વખતે, ઊના ડેલવાડામાં પરણાવેલ પોતાની દીકરી નીલુની ઉંમરની એક સ્ત્રી બાગમાં પોતાના ત્રણ ચાર વર્ષના બાળક સાથે આંટા મારવા નીકળી હતી. તેણે અમૃતલાલને બાંકડે બેઠેલા જોયા. તેનો અમૃતલાલ સાથે આ પહેલાં કોઇ અંગત સંબંઘ કે પરિચય નહિ હોવા છતાં, પેલી સ્ત્રીએ અમૃતલાલના બાંકડા નજીક જઈ, એક દીકરી પોતાના વિઘુર બાપને જે રીતે પ્રેમથી સુખ દુ:ખના સમાચાર પૂછે એ રીતે તેણે અમૃતલાલ્ને પૂછયું, ‘કેમ બાપુજી, મજામાં ને!’
આખા દિવસના ઉકળાટ બાદ અમૃતલાલને કોઈ આટલાં પ્રેમ અને લાગણીથી સુખદુઃખના સમાચાર પૂછતું જોઈ તેમનું મન હ્રદય ઝૂમી ઊઠયું. ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેમણે હળવાશથી કહી દીઘું, ‘હા, દીકરી, તમારા પુણ્ય પ્રતાપે મારે તો લીલા લહેર છે.’ અમૃતલાલના જવાબથી ખુશ થયેલ પેલી સ્ત્રીએ થોડેક દૂર રમતા પોતાના બાળકને પોતાની નજીક બોલાવીને કહ્યું, ‘બેટા મલ્હાર, દાદાજીને નમસ્તે નહીં કરે!’ માના બોલ પર, બાળકે બે હાથ જોડી અમૃતલાલને પોતાની કાલીઘેલી બોલીમાં માથું નમાવતાં કહ્યું, ‘દાદાજી નમસ્તે.’ બસ, અમૃતલાલ તો મનોમન ખીલી ઊઠ્યા. તેમને થયું કે માણસ જેટલું જીવનને વગોવે છે એવું ખરેખર જીવન નથી! આ ઘડીએ તેમને લાગી આવ્યું કે જીવન તો જીવવા જેવું છે. અમૃતલાલને પેલી સ્ત્રીએ કહ્યું, ‘બાપુજી, તો ચાલો, લ્યો ત્યારે હું તો નીકળું છું. સાંજ ઢળવા આવી છે. મલ્હારના પપ્પાનો ઓફિસેથી ઘરે પાછા આવવાનો સમય થઈ ગયો છે. તો પછી, કાલે ફરી પાછા આપણે અહીંયા મળશું!’
ખુશખુશાલ હૈયે, ડૂબતા સૂર્યને નીરખતા અમૃતલાલ બાંકડે બેઠા હતા. ત્યાં જ એક સાત આઠ વર્ષનો એક ટાબરિયો બરફનો ગોળો ચૂસતો નિશાળેથી ઘર તરફ જઈ રહ્યો હતો. તેણે બસ પોતાની મસ્તીમાં જ આરામથી બાંકડે બેઠેલા અમૃતલાલને પૂછી નાખ્યું, ‘કેમ દાદાજી, લહેરમાં ને?’ અમૃતલાલનું મન ગુલમહોરના વૃક્ષ સમું મહોરી ઊઠ્યું. ‘અરે માણસ જેટલું આ નગરને વગોવે છે એવું હજી આ નગર નથી! હજી, ભલા લોકોને એકમેકના સુખદુઃખમાં રસ છે ખરો?’ ખુશીના હેલે ચડેલા અમૃતલાલે એક પળ માટે ઘડિયાળમાં નજર કરી. ઘડિયાળના બંને કાંટા છ પર આવીને અટકી ગયા હતા. ‘અરે સાંજના સાડા છ વાગી ગયા?’
વેદાંતનો ઓફિસેથી ઘરે આવવાનો સમય થઈ ગયો હતો. તેમને થયું, ચાલ વેદાંત ઘરે આવી પહોંચે તે પહેલાં હું ઘરે પહોંચી જાઉં. દીકરા વેદાંત સાથે સાંજનું ભોજન ડિનર ટેબલ પર લેવાના સુખદ વિચારે અમૃતલાલ ઘર તરફ જવા ચાલી નીકળ્યા.
આ જોઈ, ક્ષિતિજે ડૂબતો સૂર્ય બિચારો દ્વિધામાં પડી ગયો. અરે! આ અમૃતલાલ, ‘લાક્ડીના ટેકા વગર એક ડગ પણ માંડી શકતા નથી, પણ જુઓ તો ખરા, કેવા લહેરમાં આજે ઘર તરફ દોડયા જાય છે!’ “શું ખરેખર, આજ તેમને કોઈ કેમ છો? એમ પૂછવાવાળું મળી ગયું તેની ખુશીમાં કે વઘતી ઉંમરના કારણે લાકડી બાંકડે ભૂલી ગયા! આ દ્વિઘામાં અટવાયેલો સૂર્ય ક્ષણ માટે ડૂબવાનું ભૂલી ગયો.’
E.mail : preetam.lakhlani@gmail.com