એક કેસમાં મુંબઈ હાઇકોર્ટે 16 માર્ચે એવો ચુકાદો આપ્યો છે કે માબાપ હયાત હોય એ કિસ્સામાં તેમની મિલકત પર દીકરો કોઈ હક કરી શકે નહીં. વાત એવી છે કે 2011થી, સ્મૃતિભ્રંશથી પીડાતા પિતાની તબિયત એટલી ખરાબ છે કે તે ઓક્સિજન સપ્લાય પર ટકેલો છે ને ખોરાક નળી વાટે ગ્રહણ કરે છે. કોઇની સાથે સંપર્કમાં રહી શકે એવી તેની સ્થિતિ નથી. તેને નામે મુંબઇમાં બે ફ્લેટ છે. આ સંજોગોમાં પત્નીએ અને તેની બે દીકરીઓએ પોતાને લીગલ ગાર્ડિયન નીમવા કોર્ટમાં અરજી કરી તો દીકરાએ એમ કહીને વાંધો ઉઠાવ્યો કે પિતાની મિલકત પર તેનો દીકરા તરીકે સંયુક્ત હક બને છે. કોર્ટે તેને પૂછ્યું કે દીકરા તરીકે તેણે પિતાની સારવારની કોઈ કાળજી લીધી છે કે પિતાને તે ડૉક્ટર પાસે લઈ ગયો છે કે તેની સારવારનો કોઈ ખર્ચ ઉઠાવ્યો છે? દીકરાએ હકની માંગણી કરતી વખતે તો એમ કહ્યું હતું કે તેણે છેલ્લાં થોડાં વર્ષોમાં પિતાની કાળજી લીધી છે, પણ કોર્ટના સોંસરા પ્રશ્નોનો દીકરો સામનો ન કરી શક્યો. દીકરાએ પિતાની સારવારના બિલો રજૂ તો કર્યાં, પણ તેની ચૂકવણી દીકરાએ નહીં, પણ તેની માતાએ કરી છે તેવું પુરવાર થયું. દીકરાએ એક પણ બિલ ચૂકવ્યું ન હતું. દીકરાના વકીલે એવો દાવો કર્યો હતો કે માબાપ ભલે જીવતાં હોય, પણ તેની મિલકતમાં દીકરાનો પણ સંયુક્ત હક લાગુ પડે છે. ન્યાયાધીશોને એ દલીલ એટલી અતાર્કિક લાગી કે તેનો કોઈ રીતે સ્વીકાર થઈ શકે નહીં એવું કોર્ટે કહ્યું. કોર્ટે ઠરાવ્યું કે માબાપની હયાતીમાં તેમની મિલકત પર દીકરાનો કોઈ હક બનતો નથી, એટલું જ નહીં, એ મિલકત પર દીકરાનો સંયુક્ત હક પણ લાગુ થઈ શકે નહીં. કોર્ટે બીમાર વ્યક્તિની પત્નીને તેમના સંયુક્ત બેન્ક ખાતાંને ઓપરેટ કરવાની અનુમતિ આપી ને બંને ફ્લેટ કોર્ટની સંમતિથી વેચવાની મંજૂરી પણ આપી.
આ ચુકાદાએ માબાપ અને તેમનાં સંતાનો વિષે ઘણા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. વકીલનો એ ધર્મ છે કે તેણે અસીલનો કેસ લડવો ને તેનો બચાવ કરવો. વકીલે દીકરાનો કેસ હાથ પર લીધો ત્યારે તેને હરાવવાની ગણતરી તો ન જ રાખી હોય. કારણકે એમ કરવામાં તો વકીલની પોતાની પણ હાર થાય. વકીલે દીકરાને પૂછ્યું તો હશે જ કે દીકરાએ બાપની સારવારમાં કોઈ ધ્યાન આપ્યું છે કે કેમ? દીકરાએ વાત ન છુપાવી હોય તો વકીલને ખાતરી થઈ જ હશે કે દીકરો બાપની કોઈ મદદ કર્યા વગર માત્ર હક માંગવા નીકળ્યો છે, એ સ્થિતિમાં વકીલને કયા જોર પર આ કેસ જીતવાની ખાતરી હશે તે નથી ખબર, પણ સાધારણ માણસને પણ સમજાય એવું છે કે દીકરાને જમા પક્ષે કૈં નથી ને તે બાપ હયાત છે ત્યારે બાપની મિલ્કત પર હક કરવા નીકળ્યો છે. તેનો દાવો સદંતર ખોટો છે. એ વાત વકીલના ધ્યાન પર આવી જ હશે, છતાં તેણે કેસ હાથ પર લીધો. એમાં ફી સિવાય બીજી કોઈ માણસાઈ જણાતી નથી.
એ દીકરાને જરા જેટલો પણ સંકોચ નહીં થયો હોય કે કયે મોઢે તે બાપના જીવતાં, તેની મિલકત પર હક કરવા નીકળ્યો છે? એ બાપ જેના તરફ તેનું ધ્યાન જ નથી. 2011થી બાપ બીમાર છે, પોતે જુદો રહે છે ને ઘરનાં કોઈ કામમાં તેનો હાથ નથી, એટલું જ નહીં, તેની સારવાર પાછળ રૂપિયો ય કાઢ્યો નથી કે બાપને માટે કોઈ ડોક્ટરના સંપર્કમાં રહેવાનું પણ તેનાથી બન્યું નથી, તો તેની મિલકત પર હક કેવી રીતે થાય? તે પણ બાપ હયાત છે ત્યારે? બાપની સાથે દીકરાને જોડી રાખતી કડી જ કદાચ મિલકત માત્ર છે. તે સિવાય દીકરાએ તો બાપનું નાહી જ નાખેલું છે. એવું પણ લાગતું નથી કે તે મા કે બહેનોના સંપર્કમાં છે નહીં તો લીગલ ગાર્ડિયનની અરજી દીકરા તરફથી આવી હોત, પણ અરજી મા અને બહેનોએ કરી છે. એ શક્ય છે કે માબાપ સાથે દીકરાને નહીં ફાવ્યું હોય ને તે કુટુંબથી અલગ થયો હોય. હવે જો માબાપ સાથે ન ફાવ્યું હોય તો સ્વમાની પુત્રને તેની મિલકત સાથે પણ ન ફાવવું જોઈએ, તેને બદલે માબાપની કાળજીની જરા જેટલી પણ ખાતરી આપ્યા વગર જ દીકરો મિલકતમાં હકનો દાવો કરે છે. આ શરમજનકથી ય વધુ શરમજનક છે.
આવો આ એક જ દીકરો નથી, આવા દીકરાઓ ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં એટલા છે. અહીં એ સંતાનોની જરા ય ઉપેક્ષા કરવાનો હેતુ નથી, જે સંતાનોએ માબાપની ચિંતા કરી છે ને લેવાય એટલી કાળજી લીધી છે. એને તો સલામ જ ભરવાની રહે. કેટલા ય કિસ્સાઓમાં દીકરો પરદેશમાં જ વસી ગયો હોય ને માબાપ એકલાં જ કુટાયાં કરતાં હોય ત્યારે પરિણીત કે અપરિણીત દીકરીઓ જે કાળજી માબાપની લે છે એની કરીએ એટલી પ્રશંસા ઓછી છે. પણ, માબાપ બધી જ વખતે એટલાં નસીબદાર હોતાં નથી કે દીકરાની ચિંતાનો વિષય બને. માબાપ પણ ક્યારેક દબાણ કરીને દીકરાને ભણવા કે નોકરી અર્થે વિદેશ મોકલતાં હોય છે, તેમાં ગણતરી એવી હોય છે કે દીકરો વહાણ ભરીને કમાઈને આવશે, પણ દીકરો બારે વહાણ ડૂબાડીને પરદેશમાં જ વસી જાય છે ને માબાપ ઘરડાંઘરને માથે પડતાં હોય છે. બીજી તરફ વેચાવાનું હોય તો હોજરીમાં એટલી જગ્યા તો રાખતો જ હોય છે જેથી મિલકત તેમાં ઓરી દઈ શકાય. તે અગ્નિસંસ્કારનું બીજાને સોંપે છે, પણ રૂપિયા ગણવાના હોય તો જાતે આવે છે. સાચું તો એ છે કે આ જનરેશન જતું કરવામાં ખાસ માનતું નથી.
આ તો વિદેશમાં વસતાં સંતાનોની વાત થઈ, પણ સંતાનો અહીં હોય ત્યારે માબાપ કૈં ખાટી જાય છે એવું નથી. મોટે ભાગે દીકરો નોકરી અર્થે બીજા શહેરમાં ને માબાપ ગામડામાં કે બીજાં શહેરમાં રહેતાં હોય છે. ઘણીવાર તો દીકરો, વચ્ચે દીવાલ હોય એટલે અંતરે જ હોય છે ને છતાં તે કામ આવતો નથી, તો એવા દીકરાઓ પણ છે જે દૂર દેશાવરમાં માબાપના વિરહમાં ઓગળતા રહેતા હોય. દીકરો બીજે વસી જાય છે ને માબાપ ન રહે ત્યારે ઘરમાંથી શું ઉપજે એમ છે એનો દાખલો પણ ગણાતો રહે છે. એણે માબાપની કાળજી લીધી હોય કે તેની પાછળ ખર્ચ કર્યો હોય એવું ઓછું જ બનતું હોય છે. સાચું તો દરેક વ્યક્તિની બાબતે જુદું પડવાનું, પણ દીકરીનો માબાપની મિલકતમાં હક માન્ય થયો છે ત્યારથી દીકરીઓ માબાપની વધુ કાળજી લેતી થઈ છે. એવું ન હોય ને માત્ર લાગણીને લીધે પણ દીકરીઓ માબાપની દેખરેખ રાખતી હોય એ પણ શક્ય છે. મૂળ વાત તો એ છે કે માબાપ સામું કોઈ પણ કારણે જોવાય ને તેમનાં અંતિમ વર્ષોમાં તે ઉપેક્ષિત ન રહે. એ પણ છે કે માબાપ ન હોય તો તેની સંપત્તિ સંતાનોની થાય જ છે. એમાં વધઘટ હોઈ શકે, પણ કૈં જ ન મળે એવું ઓછું જ બનતું હોય છે. સંતાનોને એટલી ધીરજ હોય પણ છે, છતાં મુંબઈ હાઇકોર્ટે કહેવું પડ્યું કે માબાપ જીવતાં હોય ત્યારે દીકરો બાપની મિલકત પર નજર બગાડે તે યોગ્ય નથી.
જે કિસ્સામાં માબાપે દીકરા-દીકરીને પૈસા ખર્ચીને ભણાવ્યાં-પરણાવ્યાં હોય, નોકરીધંધે વળગાડયાં હોય એમાં હેતુ તો સંતાનોને એવી જગ્યાએ મૂકવાનો હોય જ્યાં તેઓ માનભેર ઊભાં રહી શકે. આટલું કર્યું હોય, પછી સંતાનોએ માબાપની મિલકત મળે કે ન મળે, એનું મહત્ત્વ આંકયા વગર પોતાની ક્ષમતા જ એટલી વધારવાની રહે કે પોતાની મિલકત પર જ ટકી જવાય. કમનસીબે એવું બહુ ઓછું બને છે. ઘણીવાર તો માબાપ પોતાની હયાતીમાં જ સંતાનોને તેમના ભાગ આપી દે છે ને પોતાને માટે કૈં રાખતા નથી ને સંતાનો માબાપને તગેડી મૂકતાં હોય છે. આ કોઈ રીતે સારું નથી. આજની પેઢીમાં બાપને પૈસે તાગડધિન્ના કરવાની વૃત્તિ સહજ થઈ પડી છે એને લીધે સંતાનો પોતાનો વિકાસ કરવાનું ચૂકે છે. સંતાનોએ એ સમજી લેવાનું રહે કે એ કૈં તેમણે કમાવેલી મિલકત નથી કે હક આગળ કરીને માબાપની કનડગત કરે. ખરેખર તો એવી હિંમત જ સંતાનો કેવી રીતે કરી શકે કે માબાપની હયાતીમાં જ મિલકતમાં પોતાનો ભાગ માંગે? માબાપ ધારે તો સંતાનોને ફૂટી કોડી ન આપે ને કાયદો પણ તેમાં દખલ ન કરી શકે એમ બને. માબાપને મિલકતની વ્યવસ્થા કરવાનો પૂરો હક છે. એના પર કોઈ સંતાન તરાપ ન મારી શકે.
માબાપને કોઈ મદદ ન કરી હોય ને તેમની મિલકત પર સંતાનો નજર રાખીને બેસે ત્યારે પ્રશ્ન થાય કે સંતાનોને સ્વમાન પણ નહીં નડતું હોય? આટલી પાંગળી પેઢીને જોઈને કેવળ પીડા જ થાય છે. મિલકત માટે સંતાનોએ માબાપની હત્યા કરી હોય એવા દાખલાઓ શોધવા પણ દૂર જવું પડે એમ નથી. આ પેઢી આટલી સ્વાર્થી તો ન જ હોય, પણ છે. આટલી પ્રગતિ માણસ જાતે કરી હોય તે પછી આવાં સંતાનો સામે આવે છે ત્યારે જગત પરથી ભરોસો ઊઠી જાય છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 માર્ચ 2022