પાંચ રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં અપસેટ સર્જીને કાઁગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી (અને બીજા રાજ્યોમાં અદ્ધર ચાલી રહેલા ભા.જ.પ.ના રથને બે વેંત નીચો આણી દીધો), તે પછી અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાઓને બળ મળ્યું છે. એ સ્વાભાવિક પણ છે, કારણ કે દિલ્હી જેવા અડધા રાજ્યમાં અડધી સત્તા ભોગવતી આપની સુશાસનની ક્ષમતામાં વિશ્વાસ મૂકીને પંજાબની જનતાએ આખું રાજ્ય આપી દીધું એ જેવી તેવી સફળતા નથી.
એક રાજ્યમાંથી બીજા રાજ્યનું સુકાન સાંભળનારી આપ પહેલી પ્રાદેશિક પાર્ટી છે. દેશમાં બે જ પક્ષો એવા છે જેની એકથી વધુ રાજ્યોમાં સરકાર છે; ભા.જ.પ. અને કાઁગ્રેસ. આપનો એમાં ઉમેરો થયો છે. આપ અને કાઁગ્રેસ વચ્ચે બીજી એક બાબતમાં પણ સામ્ય ઊભું થયું છે; બંને પાસે બબ્બે મુખ્ય મંત્રી છે.
ભારતમાં પ્રાદેશિક પક્ષો રાજ્યની સીમાઓ ઓળંગવામાં સફળ રહ્યા નથી. આપની હાજરી સ્થાનિક સ્તરે પણ દેખાય છે. ગોવામાં તેને બે બેઠકો મળી છે. આસામમાં સ્થાનિક પંચાયતની ચૂંટણીઓમાં તેની બે બેઠકો છે. ગુજરાતમાં ગયા વર્ષે પંચાયતની ચૂંટણીમાં સુરત, ગોધરા અને ગાંધીનગરમાં પણ તેનો દેખાવ સારો રહ્યો હતો.
આવું તો મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસ પણ કરી શકી નથી. આપ તો તેની સરખામણીમાં હજુ બચ્ચું છે, અને છતાં એક મહત્ત્વનું રાજ્ય પંજાબ કાઁગ્રેસ પાસેથી ખૂંચવી લઈને તેણે રાષ્ટ્રીય પક્ષોની પંગતમાં સ્થાન મેળવ્યું છે. જોવા જેવી વાત એ છે કે ચૂંટણીઓ પહેલાં મમતા બેનરજીએ જ ભા.જ.પ. સામે સંયુક્ત મોરચો માંડવા માટે કાઁગ્રેસને કહેણ મોકલ્યું હતું.
કાઁગ્રેસે ત્યારે ગઠબંધન સ્વીકાર્યું નહોતું. તેને વિશ્વાસ હતો કે ચન્નીના નેતૃત્વમાં તે પંજાબને જાળવી રાખશે, ગોવામાં પોતાના દમ પર સરકાર બનાવશે અને ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાની 'લડકી હૂં લડ સકતી હૂં' ચળવળ રંગ લાવશે. કાઁગ્રેસનાં તમામ સ્વપ્ન ચૂર થઇ ગયાં છે અને પહેલાં કરતાં તે વધુ કમજોર બની ગઈ છે. સંગઠનની દૃષ્ટિએ તે હજુ પણ અખિલ ભારતમાં ફેલાયેલી પાર્ટી છે, પરતું ચૂંટણી જીતી શકવાની તેની ક્ષમતા સામે હવે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.
ભા.જ.પ. દેશમાં ૪૦ ટકા મત ધરાવે છે. બાકીના ૬૦ ટકા વોટ હજુ પણ વિપક્ષોમાં વહેંચાયેલા છે. શુદ્ધ ગણિતની ભાષામાં કહીએ તો ભા.જ.પ.ને હરાવવા માટે વોટ કાફી છે. સવાલ સક્ષમ પાર્ટી અને નેતાનો છે. હવે અચનાક કાઁગ્રેસના વિકલ્પ તરીકે આપનું નામ લેવાઈ રહ્યું છે. પંજાબમાં આપે કાઁગ્રેસ અને ભા.જ.પ. બંનેને સફળ ટક્કર આપી છે. ઉત્તર પ્રદેશમાં પણ જનતાએ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને ગઈ વિધાનસભા કરતાં વધુ બેઠકો આપી છે. એનો અર્થ એ થયો કે જનતા વિકલ્પ પણ શોધી રહી છે, નહીં તો પંજાબમાં પણ ભા.જ.પ.ને મત મળ્યા હોત અને યુ.પી.માં સ.પા.ના હાલ પણ કાઁગ્રેસ જેવા થયા હોત.
લોકશાહીમાં ખાલી જગ્યાઓ લાંબી ટકતી નથી. ચૂંટણીઓનો પવન કોઈને કોઈને તેમાં ખેંચી લાવે છે. ૨૦૨૨ની વિધાનાસભાની ચૂંટણીઓ એ 'કોઈ' એટલે આપ છે. કાઁગ્રેસ સમ ખાવા પૂરતો પણ દેખાવ ન કરી શકી અને તૃણમૂલ કાઁગ્રેસ ગોવામાં એક પણ બેઠક જીતી ન શકી એટલે આપનો આત્મવિશ્વાસ બેવડાઈ ગયો છે.
પ્રાદેશિક પક્ષોની મર્યાદાઓ તોડવામાં આપ સફળ રહી છે તેનું એક કારણ એ છે કે તૃણમૂલ કાઁગ્રેસ, સમાજવાદી પાર્ટી, અકાલી દલ, શિવસેના, રાષ્ટ્રીવાદી કાઁગ્રેસ કે દક્ષિણની પાર્ટીઓની જેમ આપની ઓળખ 'પ્રાદેશિક' નથી. દિલ્હીમાં હોવાના કારણે તેને 'ડિફોલ્ટ' રાષ્ટ્રીય ચહેરો મળેલો છે. બીજું, તે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની ચળવળમાંથી પેદા થયેલી પાર્ટી છે એટલે તેના વિચારોમાં રાષ્ટ્રીય મુદ્દાઓ છે.
દિલ્હીમાં તેણે શિક્ષણ, સ્વાસ્થ્ય, અને બીજલી-પાની જેવી જનકલ્યાણની બાબતો પર ધ્યાન આપીને પ્રમાણમાં સારા શાસનનો પરિચય આપ્યો છે. પંજાબના ચૂંટણી પ્રચારમાં 'દિલ્હી મોડેલ'ની જ વાતો થતી હતી. પરિણામો પછી કેજરીવાલ અને મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ભગવતસિંહ માને તેમનાં ભાષણોમાં પંજાબમાં દિલ્હી મોડેલ પ્રમાણે શાસન કરવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ આત્મવિશ્વાસ સાથે, આપે પાડોશી હરિયાણા, હિમાચલ પ્રદેશ અને વડા પ્રધાનના વતન ગુજરાતમાં 'દિલ્હી મોડેલ'નો પ્રયોગ દોહારવવાનું નક્કી કર્યું છે. હરિયાણામાં વિધાનસભાની મુદ્દત ૨૦૨૪માં સમાપ્ત થાય છે, પરંતુ એવો ગણગણાટ છે કે ત્યાં વહેલી ચૂંટણી કરવામાં આવે. ગુજરાતમાં તો પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોના બીજા જ દિવસથી ભા.જ.પ.નો પ્રચાર શરૂ થઇ ગયો હતો. ૧૧મી માર્ચે પંચાયત સંમેલનમાં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રોડ શો કરીને વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું હતું.
આપ જાણે રાહ જ જોતી હોય તેમ ગુજરાતનાં મુખ્ય શહેરોમાં તેણે મોટાં બોર્ડ ચઢાવ્યાં છે, જેમાં લખ્યું છે "દિલ્હી અને પંજાબ પછી હવે ગુજરાત." પરિણામો પછી તરત પાર્ટીએ મિસ કોલ મારફતે સભ્યપદ અભિયાન શરૂ કરવા ટેલીફોન નંબર જારી કર્યો છે. લોકોના જાગૃતિ માટે પાર્ટીએ રાજ્યમાં ત્રિરંગા યાત્રા પણ કાઢી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ તમામ ૧૮૨ બેઠકો પર ભા.જ.પ.ના મુખ્ય વિરોધી તરીકે દાવો નોંધાવે તે નિશ્ચિત છે. તેનું મુખ્ય કારણ એ છે કે ૧૯૯૦ પછી રાજ્યમાં કાઁગ્રેસનું ક્રમશ: ધોવાણ થતું રહ્યું છે અને ભા.જ.પ. મજબૂત થતી રહી છે. ત્યાં સુધી કે કાઁગ્રેસ એક અસરકારક વિરોધ પક્ષ તરીકે પણ ગણનામાં નથી.
સમગ્ર દેશમાં જો એક એવું રાજ્ય હોય, જ્યાં ચૂંટણીના કરોડો રૂપિયા અને માણસોની મહેનત લેખે લાગે તે માટે કમ-સે-કમ સરખી ટક્કર આપવા માટે વિરોધ પક્ષની હાજરી હોય, તો તે ગુજરાત છે. ગુજરાતમાં વિરોધ પક્ષના નામે કાઁગ્રેસની હાલત એટલી બધી ખરાબ છે કે ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ જાણે ભા.જ.પ. જીતી ગયું હોય તેવો માહોલ હોય છે.
આમ આદમી આ ખાલી જગ્યા પુરવા માટે ચોક્કસ હિમ્મત કરશે. તેની પાસે આત્મવિશ્વાસ છે, બે રાજ્યોના રિસોર્સિસ છે અને શાસનનું વિઝન છે. ગયા વર્ષે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૨૭ બેઠકો જીતીને આપે સૌને ચોંકાવ્યા હતા. બીજો આઘાત એ હતો કે કાઁગ્રેસને એકપણ બેઠક મળી નહતી. ત્યારથી કેજરીવાલ નિયમિત ગુજરાત આવતા રહ્યા છે.
આ ચૂંટણીમાં આપને પાટીદારોના મત મળ્યા હતા. પાટીદારો પરંપરાગત રીતે ભા.જ.પ.ના સમર્થકો છે, પરંતુ પાટીદાર અંદોલન પછી તેઓ કાઁગ્રેસ તરફ વળ્યા હતા. તે વખતે, ૨૦૧૬માં, કાઁગ્રેસને સુરતમાં ૩૬ બેઠકો મળી હતી. ધીમે ધીમે પાટીદારો કાઁગ્રેસ તરફથી પણ ખસી ગયા અને આપ તરફ વળ્યા હતા. આપે એટલા માટે જ પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયાને ગુજરાત આપના નેતા તરીકે નીમ્યા હતા. તેનો ફાયદો સુરતની ચૂંટણીમાં થયો હતો.
ઇટાલિયા કહે છે, “પંજાબનો વિજય અકસ્માત નથી. ૨૦૧૨માં જ્યારે આપની રચના થઇ ત્યારે અમે જે સ્વપ્ન જોયું હતું તે દિશામાં આ એક કદમ છે. એક દિવસ સમગ્ર દેશ આમ આદમીઓની સરકાર જોશે. આપે ગુજરાતમાં નવી આશા જન્માવી છે. અહીંની જનતા એવા ભ્રષ્ટ અને સરમુખત્યાર નેતાઓને પાઠ ભણાવવા તૈયાર છે, જે રાજકારણને તેમની અંગત જાગીર સમજે છે.”
વિચાર તો હિમ્મતવાળા છે, પણ આપ માટે રસ્તો એમ આસાન નથી. સુરતના તેના છ કોર્પોરેટરો ભા.જ.પ.માં જતા રહ્યા છે. પાટીદાર દાનવીર મહેશભાઈ સવાણી પણ આપ છોડી ગયા છે. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અત્યારે ગુજરાત કાઁગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. કાઁગ્રેસ ભલે સત્તા માટે સક્ષમ દાવેદાર ન હોય, રાજ્યમાં કાઁગ્રેસનો વોટ શેર ૪૧ ટકા છે અને તેના ૧૬ વિધાનસભ્યો છે. ઉપરાંત, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત સુધી તેનું સંગઠન ફેલાયેલું છે. ખુદ વડા પ્રધાન મોદી ગુજરાતની ચૂંટણીઓને હલકામાં લેતા નથી. તેમને કાઁગ્રેસના વારસાની સારી પેઠે ખબર છે.
ત્રીજું, સુરતના વગદાર નેતા સી.આર. પાટિલ ગુજરાત ભા.જ.પ.ના પ્રમુખપદે છે. પંજાબમાં આપના વિજયનું કારણ કાઁગ્રેસની આંતરિક લડાઈ હતી એવું કહીને પાટિલ ઉમેરે છે કે, “દરેક રાજકીય પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે. ગુજરાતની પ્રજા ભા.જ.પ. સાથે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે છે. વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં અમને વિરોધી પક્ષોથી કોઈ મુશ્કેલી થવાની નથી.
પ્રગટ : ‘સન્ડે-સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 20 માર્ચ 2022