ભારતના બહુધર્મી, બહુસાંસ્કૃતિક, બહુભાષી, ખૂબ ભણેલા બૌદ્ધિકોથી માંડી અભણ શ્રમિક એવા વિરાટ પ્રેક્ષકસમુદાયના હૃદયને જે સ્પર્શી શકે તે સુપરસ્ટાર થઈ શકે અને છેક સુધી સુપરસ્ટાર રહી શકે. દિલિપકુમાર એવા સુપરસ્ટાર હતા …
વન એન્ડ ઓન્લી દિલિપકુમારની ચિરવિદાયને 6 જુલાઈએ પાંચ વર્ષ પૂરાં થશે. વન એન્ડ ઓન્લી શબ્દો એમના સમકાલીનો રાજ કપૂર અને દેવ આનંદ માટે વાપરવાનું પણ મન થાય. 2011માં દેવ આનંદનું મૃત્યુ થયું ત્યારે દિલીપકુમારે કહ્યું હતું, ‘હું દેવ આનંદથી એક વર્ષ અને રાજ કપૂરથી બે વર્ષ મોટો. 1940ના દાયકાની મધ્યમાં અમે અમારી કારકિર્દીની શરૂઆત કરી. રાજ સાથે તો જૂની દોસ્તી. હું અને દેવ લોકલ ટ્રેનમાં સાથે જતા, સ્ટુડિયોમાં ફરતા ને કામ શોધતા. એ દાયકાના અંત સુધીમાં ‘શહીદ’, ‘અંદાઝ’, ‘બરસાત’, ‘શબનમ’ ‘ઝિદ્દી’ ‘બાઝી’ આવી. અમે ત્રણે ઊંચકાયા, સફળ થયા, જામી ગયા. અમારી વચ્ચે સુંદર પ્રૉફેશનલ રૅપો હતો. અમે સ્પર્ધકો ખરા, પણ દોસ્ત પણ ખરા. વણબોલ્યા એથિક્સ પાળતા, એકબીજાની પ્રતિભાને આદરથી જોતા, હળતામળતા, મઝા કરતા, એકબીજાના પારિવારિક પ્રસંગે હાજરી આપતા. રાજ મારી અને દેવની નકલ કરી હસાવતો …’ રાજ કપૂરના મૃત્યુ પ્રસંગે પણ તેમણે આ પ્રકારની સ્મૃતિઓ તાજી કરી હતી. આ ત્રણેની ગેરહાજરીથી, એ ત્રણે વડે એક વાર સમૃદ્ધ હતું તે ફિલ્મવિશ્વ અને પ્રેક્ષકવિશ્વ એક પ્રકારનો ખાલીપો અનુભવે છે.
બ્રિટિશ ઈન્ડિયાની વાયવ્ય સરહેદે આવેલા પેશાવરમાં પૃથ્વીરાજ કપૂર અને લાલા ગુલામ સરવર ખાન પાડોશીઓ હતા. પેશાવર અત્યારે પાકિસ્તાનમાં છે અને ખૈબર પખ્તુનવા પ્રદેશનું પાટનગર છે. એ પેશાવરની કપૂર હવેલીમાં સૃષ્ટિનાથ – જેને રણબીર પણ કહેતા – તેનો અને લાલા સરવર ખાનને ત્યાં યુસૂફ ખાનનો જન્મ થયો. પછી બન્ને જુદા પડ્યા ને યુવાનીમાં મુંબઈમાં ફરી મળ્યા. બન્નેને ફિલ્મોમાં કામ કરવું હતું. એક ધર્મદેવ નામનો યુવાન એ સમયની પ્રખ્યાત લાહોર કૉલેજ(લાહોર પણ અત્યારે પાકિસ્તાનમાં છે)માં અંગ્રેજી સાહિત્ય ભણ્યો હતો તે પણ સાથે થયો.
આ રણબીર, યુસૂફ અને ધર્મદેવને આપણે રાજ કપૂર, દિલિપકુમાર અને દેવ આનંદ તરીકે ઓળખીએ છીએ. ત્રણેની જુદી જુદી પ્રતિભા, જુદી જુદી અપીલ. ગૌરવભર્યાં વ્યક્તિત્વો. આ ત્રણેએ એકસાથે કામ કદી નહોતું કર્યું. દિલિપકુમાર અને રાજ કપૂરની એક જ ફિલ્મ હતી, ‘અંદાઝ’(1949) અને દિલિપ કુમાર અને દેવ આનંદની પણ એક જ ફિલ્મ હતી, ‘ઈન્સાનિયત’(1955).

દિલિપ કુમારના જીવન, રોમેન્ટિક સંબંધો અને સિદ્ધિઓ વિશે આજ સુધીમાં ઘણું ઘણું કહેવાઈ ગયું છે – વાત કરીએ ‘અંદાઝ’ ફિલ્મની અને ‘અંદાઝ’ ફિલ્મના દિલિપ કુમારની. એ વખતે મેલોડ્રામા અભિનયનું અંગ ગણાતો. ‘અંદાઝ’નો રાજ ક્પૂર ‘આગ’ બનાવી ચૂકેલો અને ‘બરસાત’ બનાવી રહેલો મૅચ્યૉર અભિનેતા હતો, છતાં તેના અભિનયમાં ભારોભાર કૃત્રિમતા અને મેનરિઝમ્સ દેખાય છે. તેની સામે દિલિપકુમારનો સહજ પણ ઊર્જસ્વી અભિનય ખૂબ સુંદર વિરોધાભાસ ઊભો કરે છે. દિલિપકુમારે પાંચ વર્ષ પહેલા આવેલી પોતાની પહેલી ફિલ્મ ‘જ્વાર ભાટા’માં પણ આ જ અભિનયશૈલી અપનાવી હતી. ફિલ્મ ફ્લૉપ થઈ, આત્મવિશ્વાસ ફ્લૉપ ન થયો. રોમેન્ટિક ‘અંદાઝ’ હોય, હીરોઈઝમવાળી ‘આન’ હોય, સોશ્યલ ડ્રામા ‘દાગ’ હોય, ટ્રેજેડી ‘દેવદાસ’ હોય, ક્લાસિક ‘આઝાદ’ હોય, કોમેડીની છાંટવાળી ‘ગોપી’ હોય કે ઍપિક ‘મુગલ-એ-આઝમ’ – દિલિપકુમાર અને એની સહજ-સંયમિત અભિનયશૈલી, સંવાદશૈલી છવાઈ જાય. ‘જ્વાર ભાટા’ બૉમ્બે ટૉકિઝની ફિલ્મ હતી. દિલિપકુમારને શોધવાનું, પહેલી ફિલ્મ આપવાનું અને દિલિપ નામ આપવાનું શ્રેય બૉમ્બે ટૉકિઝનાં દેવિકારાણીને જાય છે. ‘જ્વાર ભાટા’ પછી ‘જૂગનુ’ આવી. પૃથ્વીરાજ કપૂરે દિલિપકુમારના પિતાને ‘જૂગનુ’નું હૉર્ડિંગ બતાવ્યું ત્યારે એમને ખબર પડી કે દીકરો ફિલ્મોમાં કામ કરે છે! ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એનો ‘ફર્સ્ટ ખાન’ મળી ગયો હતો.
મહેબૂબ ખાન નિર્મિત-દિગ્દર્શિત ‘અંદાઝ’ અત્યંત સફળ સાબિત થઈ હતી. ‘અંદાઝ’માં શોભેલી રાજ-નરગિસની જોડી એ જ વર્ષે આવેલી ‘બરસાત’થી પૂરબહારમાં ખીલી ઊઠી. ‘અંદાઝ’ના બે ગીત ‘ઊઠાયે જા ઉનકે સીતમ’ અને ‘તોડ દિયા દિલ મેરા’માં લતાજીના કંઠ પર પુરોગામી ગાયિકાઓની અસર દેખાય છે. આ ફિલ્મે તેમને ‘બરસાત’ અપાવી. નૌશાદની કારકિર્દીમાં પણ ‘અંદાઝ’નો એક રોલ છે. આ ફિલ્મમાં દિલિપકુમાર માટે મુકેશે અને રાજ કપૂર માટે મહમ્મદ રફીએ ગાયું હતું. પછીથી બન્ને અભિનેતાઓના ‘વૉઈસ’ બદલાઈ ગયા હતા.
હિંદી ફિલ્મોનો માનીતો પ્રણયત્રિકોણનો પ્લૉટ સ્થાપિત કરવામાં ‘અંદાઝ’ મુખ્ય છે. તેની શ્રીમંત, આધુનિક નીના (નરગિસ) એ વખતના અંગ્રેજનુમા ભારતીય શ્રીમંતવર્ગનું પ્રતીક છે. અંગ્રેજી બોલતી, ઘોડેસવારી કરતી, કાપેલા વાળ અને આધુનિક વસ્ત્રોમાં ફરતી, કલબમાં પુરુષો સાથે નૃત્ય કરતી ને આયાઓ-બટલરોવાળા વિશાળ ઘરમાં ‘મૅમ’ બનીને રહેતી નીનાને દિલિપ (દિલિપકુમાર) તોફાની ઘોડાથી બચાવે છે અને પહેલી નજરે એના પ્રેમમાં પડી જાય છે. નીનાના પિતાને દિલિપ પસંદ નથી. નીનાની આધુનિક જીવનશૈલી પણ પસંદ નથી, પણ નીના એમને ગણકારતી નથી. એ પાર્ટીઓ કરતી રહે છે, દિલિપને એમાં આમંત્રણ આપતી રહે છે, અને એક દિવસ વિદેશથી આવેલા રાજન(રાજ ક્પૂર)ને પોતાના પ્રેમી અને મંગેતર તરીકે ઈન્ટ્રોડ્યુસ કરે છે. રાજન-નીનાના લગ્નની આગલી રાતે દિલિપ નીનાને કહે છે, ‘હું તને ચાહું છું.’ નીના કહે છે, ‘તું મારો સરસ મિત્ર છે’ અને પતિ રાજનને શંકા આવવી શરૂ થાય છે…
મહેબૂબ ખાનનું ટાર્ગેટ 1940ના દાયકાનું યંગ ઑડિયન્સ હતું. એમને બતાવવું હતું કે આધુનિકતા ભૂલો કરાવે છે, પરંપરાને વળગી રહો – પણ થયું ઊંધું. એમાં દેખાડાતી, આજે પણ આધુનિક લાગે એવી આધુનિકતાએ જ પ્રેક્ષકોને ખૂબ આકર્ષ્યા. ફિલ્મમાં બતાવેલી વિજાતીય મૈત્રી ભારતના મૂલ્યોમાં બંધબેસતી નહોતી, પણ નીનાનું પાત્ર ઊંડાણ પામ્યું છે. નીના સ્પષ્ટ છે કે રાજન પ્રેમી છે અને દિલિપ મિત્ર. પણ તેનું મન પોતાની જ સાથે ક્યારેક સંઘર્ષમાં ઊતરે છે. નીનાનો સંઘર્ષ ફિલ્મને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે ને ત્રિકોણ ગ્રીક ટ્રેજેડીને આંબી જાય છે.
ફિલ્મનો અંત દિલિપની હત્યા, નીનાને મળતી જનમટીપ અને તેની રાજનને ભલામણ ‘આપણી દીકરીને તું આ આધુનિકતાથી દૂર રાખજે, એને શીખવજે કે સમાજે દોરી આપેલી રેખાને ઓળંગવી યોગ્ય નથી’ – થી આવે છે. ફિલ્મના આધુનિકપણાને અહીં ધક્કો લાગે છે, પણ મહેબૂબ ખાનને જે કહેવું છે તે કહેવાઈ જાય છે.
‘અંદાઝ’માં દિલિપકુમાર રોમેન્ટિક-ટ્રેજિક નાયક છે. ડ્રામેટિક થવાની પૂરી તક, પણ તેઓ સંયમ ગુમાવતા નથી. ફિલ્મનું કોઈપણ એક જ ગીત જુઓ, તો પણ અભિનયના એ ઊંડાણની ને ઊંચાઈની ઝાંખી થઈ જાય. જેમ કે ‘તૂ કહે અગર જીવનભર મૈં ગીત સુનાતા જાઉં’ – કેમેરા અડધાથી વધારે સમય તો કુકુના ડાન્સ પર ફરે છે. બાકીના અડધાથી પણ અડધા સમયમાં દિલિપકુમારના ક્લૉઝ-અપ્સ આવે છે. પણ આટલા આ ક્લૉઝ-અપ્સમાં એમનો આખો ચહેરો બોલે છે. અપલક આંખોમાં ચમકતો એ ઊમળકો, આછું પણ આનંદભર્યું એ સ્મિત, વ્યક્ત થવાની અણી પર આવી ગયેલો એ અવ્યક્ત પ્રેમ – અદ્દભુત અને અવર્ણનીય હતા દિલિપકુમાર.
અભિનેતા કાં તો ‘સ્ટાર’ હોય, અથવા ‘ઍકટર’. દિલિપકુમાર બન્ને હતા. પદ્મવિભૂષણ, દાદાસાહેબ ફાળકે, રાજ્યસભાના સભ્ય, મુંબઈના મેયર, હુલ્લડો વખતના શાંતિદૂત પણ હતા. સાતેક ભાષા જાણતા, ખૂબ વાંચતા. તેઓ પરફેક્શનમાં જેટલું માનતા એટલું જ ઓવરએક્સપૉઝરમાં ન માનતા – ચોપન વર્ષની કારકિર્દીમાં પાંસઠ ફિલ્મો જ કરી.
ભારતના બહુધર્મી, બહુસાંસ્કૃતિક, બહુભાષી, ખૂબ ભણેલા બૌદ્ધિકોથી માંડી અભણ શ્રમિક એવા વિરાટ પ્રેક્ષકસમુદાયના હૃદયને જે સ્પર્શી શકે તે સુપરસ્ટાર થઈ શકે અને છેક સુધી સુપરસ્ટાર રહી શકે. દિલિપકુમાર એવા સુપરસ્ટાર હતા. ‘કૌન કમબખ્ત બરદાશ્ત કરને કે લિયે પીતા હૈ?’ કહેતા દેવદાસને, ‘મેરા દિલ કોઈ આપકા હિંદુસ્તાન નહીં કિ જિસપે આપ હુકૂમત કર સકે’ ગર્જતા સલીમને અને ‘ક્રાન્તિ કભી મરતે નહીં’ની ઘોષણા કરતા ક્રાન્તિવીરને ભારતનો પ્રેક્ષક કદી મરવા ન દે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 05 જુલાઈ 2026
![]()

