મને આકાશે ઉષા કે સંધ્યાના રંગોમાં
હવે કવિતા કેમ સૂઝે?
એ અગનિયા રંગનાં વાદળોમાં
મારા દિલ દિમાગ પર અથડાય છે પેલી
દલિત દીકરીની ચીસો …
ઓલી રૂપેરી ચાંદની પણ
આછો આછો પ્રકાશ રેલાવી
કોના નિર્લજ્જ ચહેરાને છૂપાવવામાં સહાય કરે છે?
અને કવિ, તું કેમ મૌન છે?
હા, તારી જીભ તો, પ્રશસ્તિપત્રો અને
અપાતાં માનચંદ્રકોએ કંઈ કેટલાએ દહાડાથી કાપીને
હાથમાં આપી દીધી છે!
એ સાચવીને રાખી છે?
તો ચાલ પ્લાસ્ટિક સર્જરી કરાવી
થોડી અંતરની હાય વ્યક્ત કર.
તને તારી સરસ્વતી દેવીના સમ છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 12