દિવંગત ડો. એ.પી.જે. અબ્દુલ કલામને ઉપદેશાત્મક વાતો કરવાનું ગમતું તેમાંની એક ખાસ તેમને ગમતી વાત હતી ૧૯૭૯ના જુલાઇમાં ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન' (ઇસરો) દ્વારા અંતરિક્ષમાં મુકાયેલા એક ઉપગ્રહની. ઇસરોના આ પ્રોજેકટનો અખત્યાર ત્યારે કલામના હાથમાં હતો. કેટલાક સભ્યોએ તેની તૈયારી માટે દહેશત વ્યકત કરી, ત્યારે તેમણે આ ઉપગ્રહ અંતરિક્ષમાં તરતો મૂકવાનો હુકમ કર્યો. ઉપગ્રહ અંતરિક્ષમાં જવાને બદલે બંગાળના ઉપસાગરમાં જઈ પડયો. ટીમલીડર તરીકે કલામને આ નિષ્ફળતાથી હિણપત લાગી હતી અને પત્રકારો સમક્ષ તેની જાહેરાત કરવાના વિચારે તેમને ડર લાગ્યો હતો. ઇસરોના ચેરમેન સતીશ ધવને તેમને આ ખચકાટમાંથી બચાવી લીધા અને ટેલિવિઝન સમક્ષ જાહેરાત કરી કે આ નિષ્ફળતા છતાં હું મારી ટીમમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકું છું અને મને વિશ્વાસ છે કે આવતા પ્રયત્નમાં અમે જરૂર સફળ થઇશું.
પછીના ઓગસ્ટમાં કલામ અને તેમની ટુકડીએ વધુ એક વાર અંતરિક્ષમાં ઉપગ્રહ ચડાવવાની કોશિશ કરી અને આ વખતે તેઓ સફળ થયા. ધવને કલામને પત્રકારોને સંબોધવાનું કહી સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં. પછી રાષ્ટ્રપ્રમુખપદ દરમિયાન અને તે સિવાય પણ ડો. કલામ આ વાતને યાદ કરીને કહેતા કે નિષ્ફળતા મળી ત્યારે નેતાએ પોતે તેની જવાબદારી સ્વીકારી અને સફળતા મળી ત્યારે તેમણે પોતાની ટીમને યશ આપ્યો.
આ વરસે ભારતનો વિજ્ઞાન સમાજ અબ્દુલ કલામના નાયક સતીશ ધવનની જન્મ શતાબ્દી ઉજવી રહ્યો છે. સતીશ ધવન તા. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૨૦ના રોજ શ્રીનગરમાં જન્મ્યા હતા. એક ન્યાયાધીશના પુત્ર સતીશનો ઉછેર અને કેળવણી લાહોરમાં થયાં હતાં. ત્યાં તેમણે ભૌતિકશાસ્ત્ર, ગણિત, સાહિત્ય અને મિકેનિકલ એન્જિનિયરીંગમાં પદવી મેળવી હતી. શૈક્ષણિક લાયકાતનું આ સંયોજન અજોડ નહીં, તો પણ અસાધારણ તો હતું જ.
૧૯૪૫માં આમાંની ત્રીજી પદવી લઈને ધવન બેંગ્લોરમાં નવી જ સ્થપાયેલી હિંદુસ્તાન એરોનોટિકસ લિ.માં જોડાયા અને પછી અમેરિકા જઈ મિનેસોટા યુનિવર્સિટીમાંથી એમ.એસ. અને કૅલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એરોનોટિકલ એન્જિનિયરીંગની એમ.એસ. અને પીએચ. ડી.ની પદવી મેળવી. ભારતને આઝાદી વખતે વિભાજનની વિભીષિકામાં તેમના પરિવારને પાકિસ્તાનથી ભારત આવવું પડયું. તે સમયે તેઓ અહીં ન હતા. ભારત પરત આવ્યા પછી તરત જ સતીશ ધવન ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના એરોનોટિકસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા અને તેની સાથે એક જૂના વિદ્યાર્થી રોડામ નરસિંહના કહેવા મુજબ, ઈન્સ્ટિટ્યૂટમાં યૌવન અને તાજગીનું તત્ત્વ ઉમેરાયું.
ધવને દેશની પ્રથમ સુપરસોનિક વિન્ડ ટનલ બનાવવામાં સંશોધન કર્યું. બેંગલુરુ શહેર અને સાયટોજેનેટિસ્ટ નલિની નિરોડીના પ્રેમમાં પડયા અને ઘરસંસાર માંડી ત્રણ બાળકોના પિતા પણ બન્યા. ૧૯૬૨માં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં જોડાઈ તેના કણકણમાં સ્ફૂર્તિનો સંચાર કર્યો તેમ જ કમ્પ્યૂટર વિજ્ઞાન, મોલિક્યુલર બાયોલોજી, રસાયણશાસ્ત્ર, પરિસ્થિતિ વિજ્ઞાન અને વાતાવરણ વિજ્ઞાન જેવા નવા વિષયોમાં સંશોધન કરાવીને સંસ્થાને દેશની એક અગ્રણી સંશોધન સંસ્થા બનાવી હતી. દેશ-વિદેશના વિદ્વાનો સંશોધકો તરીકે તેમાં જોડાવા લાગ્યા.
૧૯૭૧-૭૨માં ધવન પોતાની જૂની માતૃસંસ્થા કેલ્ટેકમાં સંશોધન કરવા ગયા. પણ તે દરમિયાન દેશને ડો. વિક્રમ સારાભાઇના અકાળ અવસાનથી ખાસ કરીને અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે જોરદાર ફટકો પડયો. પોતાના સલાહકાર પી.એન. હકસરની સલાહથી તે સમયનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ ડો. સતીશ ધવનને ઇસરોના અધ્યક્ષ બનાવ્યા. આ પદ સ્વીકારતાં પહેલાં તેમણે બે શરતો મૂકીઃ (૧) ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિઝના ડિરેકટરપદે હું ચાલુ રહું. (૨) ઇસરોનું વડું મથક અમદાવાદથી ખસેડીને બેંગલુરુ લાવવામાં આવે. ઇંદિરા ગાંધીએ આ બે શરતો ઉપરાંત ધવનને નવી જવાબદારી સ્વીકારતાં પહેલાં તેમનું કેલ્ટેકનું સંશોધન પૂરું કરવાની શરત પણ માન્ય રાખી.
‘ઇસરો’: અ પર્સનલ હિસ્ટરી’માં આર. અરવિંદ લખે છે: ધવને ઇસરોના વ્યવસ્થાપનના માળખામાં ધરમૂળથી ફેરફાર કરતાં ઇસરોની મહત્ત્વાકાંક્ષા વધી. ધવનનું પહેલું કામ વિસ્તીર્ણ વિજ્ઞાનીઓમાં વ્યવસ્થિતપણું લાવવાનું હતું. સંસ્થામાં વ્યકિતગત તેમ જ સામૂહિક ભૂમિકાથી નકકી કરીને, બિનવિવાદાસ્પદ નેતૃત્વની સહાયથી તેમણે આ કામગીરી પાર પાડી. આંતરિક બાહ્ય નિષ્ણાતોની સહાયથી તેમણે ઇસરોની રાષ્ટ્રીય સ્તરે સમીક્ષા કરાવવાનું લાંબા સમયથી પડતર કામ હાથ ધર્યું હતું. તેમણે પ્રમાણિક ટીકાને પ્રોત્સાહન આપી પ્રતિભાને પારખવાનું કામ ઝડપી બનાવ્યું. વિક્રમ સારાભાઈના સમયમાં સુસ્તી અનુભવતી ઇસરોમાં ચુસ્તી આવી.
ઇસરોમાં ધવને સંસ્થાની ઉપગ્રહ, કુદરતી સંપત્તિની માપણી અને સંદેશ વ્યવહાર જેવી બાબતોમાં પણ સામાજિક ભૂમિકા શોધવા પર ભાર મૂકયો અને સંસ્થાને ગંદા રાજકારણથી દૂર રાખી તેનું વડું મથક દિલ્હી લઇ જવાની હિલચાલનો તેમ જ રાજ્યસભાની બેઠક જેવી લાલચથી દૂર રહેવાનો નિર્ણય કર્યો અને તેને વળગી રહ્યા. સતીશ ધવન ભારતીય વિજ્ઞાન ક્ષેત્રના એક આધુનિક ભારતીય હતા. ઉદ્યોગમાં જે.આર.ડી. ટાટા, કલા ક્ષેત્રે કમલાદેવી ચટ્ટોપાધ્યાય અને સહકારી ક્ષેત્રે વર્ગીઝ કુરિયનનું નામ હતું, તેવું ધવનનું નામ હતું. ધવનમાં બુદ્ધિશકિતને પારખવાની ક્ષમતા હતી તેમ જ શાણપણભરી રીતે જવાબદારી વહેંચવાની ક્ષમતા હતી. મને તેમના જીવનમાં અંગત પરિચય કેળવવાનો લહાવો પ્રાપ્ત થયો હતો.
શેડામ નરસિંહ કહેતા કે ડો. સતીશ ધવન મોટે ભાગે જાહેર નહીં કરાયેલા, પણ વૈજ્ઞાનિક સમાજમાં વ્યાપક રીતે સ્વીકૃત એવી ચેતના અને નૈતિકતાની સામાજિક ચેતના હતા. સતીશ ધવનની જીવવિજ્ઞાની દીકરી જયોત્સ્ના ધવન કહે છે કે શ્રી હરિકોટા લોંચ સેન્ટર બાંધતી વખતે આદિવાસીઓના થયેલા સ્થળાંતરથી તેઓ વ્યથિત થયા હતા.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 07-08